વર્તમાન કાળચક્રના ૨૪ તીર્થંકરોની જીવનકથાઓ

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે, “ભાવ શક્તિએ જબરજસ્ત શક્તિનો સ્ત્રોત છે.” તે જ વ્યક્તિને આ સંસારમાં ‘સર્વ શક્તિમાન’ બનાવી દે છે. જો કે, પ્રત્યેક વ્યક્તિ આ ઉત્કૃષ્ટ ભાવશક્તિને ઉપયોગમાં લઈ શકતી નથી. “બહુ જ જૂજ વ્યક્તિઓ આટલી ટોચ ઉપર જઈ શકે છે અને તીર્થંકર ભગવાનની જેમ જબરજસ્ત શક્તિનું સામર્થ્ય ધરાવે છે!!!” તો, તીર્થંકરનો અર્થ શું થાય?

તીર્થંકર, એમના અંતિમ મનુષ્ય ભવમાં, ‘સર્વ જીવ કરું શાસન રસી’ (દરેક જીવમાત્રને મોક્ષ માટે હું પ્રેરણા આપી શકું) – એવી અદમ્ય ભાવના ધરાવતા હોય છે. આ ભાવની શક્તિ એટલી તીવ્ર હોય છે કે તેઓને સ્વયં જ તીર્થંકર નામકર્મ બંધાય છે. આના પરિણામે, આવતા મનુષ્ય ભવમાં, તેમને આ નામ કર્મ ઉદયમાં આવે છે અને તેઓ તીર્થંકર બને છે! તેઓ કેવળજ્ઞાન અને મોક્ષ પ્રાપ્ત કરે છે. તેઓને સામાન્ય રીતે જૈન તીર્થંકર તરીકે ઓળખવામાં આવે છે પરંતુ તેઓ ક્યારેય કોઇ એક ધર્મ પૂરતા સિમિત હોતા નથી; તેઓ તો સર્વ જીવોના મોક્ષ માટે છે.

તીર્થંકર અતિ દુર્લભ હોય છે અને આ સંસારનું સૌથી ઉત્કૃષ્ટ પદ છે! તીર્થંકર અર્થાત તીર્થના જનેતા (સંસ્કૃત શબ્દ જેનો અર્થ ‘નદી દરિયાને મળતી આવતી હોય તેવી જગ્યા કે સંગમ’) એવો થાય છે, જેનો અર્થ એવો થાય કે તેઓ લોકોને જન્મ મરણના ભવ સાગરમાંથી પાર ઉતરવામાં મદદ કરે છે. તેઓ ‘જિન’ તરીકે પણ ઓળખાય છે, જેનો અર્થ વિજેતા વ્યક્તિ, કે જેમને પોતાના આંતરિક શત્રુઓ જેવા કે ક્રોધ, માન, માયા અને લોભ ઉપર વિજય મેળવ્યો છે. તેઓ પોતાના જીવનકાળ દરમ્યાન, અસંખ્યાત જીવોને કેવળજ્ઞાન અને મોક્ષ પ્રાપ્તિ માટે પરમ ઉપકારી બને છે. ઘણા લોકો મોક્ષના રસ્તે વળે છે અને તેમની નિશ્રામાં અસાધ્ય પ્રગતિ કરે છે.

માત્ર ને માત્ર તેમની પ્રત્યક્ષ હાજરી થકી જ વ્યક્તિ આ સંસારમાંથી મુક્તિ મેળવી શકે છે, અન્યથા નહિ. વર્તમાનમાં આપણી પૃથ્વી ઉપર, પ્રત્યક્ષ તીર્થંકર હાજર નથી. જો કે, મંદિર એ પરમ નિમિત્ત છે કે, જેનાથી લોકો સંસારી બાબતોને ભૂલીને તીર્થંકર ભગવાનની ભજના કરીને પરમ શાંતિનો અનુભવ કરે છે. તેમની પાસે માત્ર એક જ વસ્તુ માંગવી જોઇએ કે, “હે ભગવાન, મને મોક્ષ સિવાય બીજું કંઇ જોઇતું નથી. મારા ઉપર તમે એવી કૃપા વરસાવો કે જેથી મને જ્ઞાની પુરૂષનો ભેટો થાય, જેઓ મારો હાથ ઝાલીને અને મોક્ષના પંથે દોરી જાય.”

શું તમને આવા ઉત્કૃષ્ટ મહાનુભવોના વાસ્તવિક જીવન ચરિત્રની કથાઓ જાણવાનો રસ છે ખરો? તો આવો આપણે સહુ, આ વર્તમાન કાળ ચક્રના ચોથા આરામાંના કેટલાક તીર્થંકર ભગવાનની આધ્યાત્મિક કથાઓ અને નૈતિક કથાઓ વિશે જાણીએ.

×
Share on