મલ્લિનાથ ભગવાનની જીવન કથા: જાણીએ એમના પૂર્વ અને અંતિમ ભવ વિષે

રાજા કુંભની પત્ની પ્રભાવતી દેવીએ ભગવાન મલ્લિનાથ કે જે ૧૯મા તીર્થંકર છે તેમને જન્મ આપ્યો. તેઓ વર્તમાન કાળ ચક્રના એક માત્ર સ્ત્રી તીર્થંકર છે. સ્ત્રીદેહ હોવા છતાં, તેઓ તીર્થંકર બન્યા. આ આધ્યાત્મિક જગતના ૧૦ આશ્ચર્યોમાનું એક આશ્ચર્ય છે, કારણ કે સામાન્ય રીતે જૈન શાસ્ત્રો મુજબ ફક્ત પુરૂષ દેહે જ તીર્થંકર પદ ધારણ થઇ શકે એમ છે. આમ, તીર્થંકરને હજારો રાણીઓ હોય છે, પરંતુ મલ્લિનાથ ભગવાન અને નેમિનાથ ભગવાન તેમાં અપવાદરૂપ છે. એવું એટલા માટે કે તેઓ તીર્થંકર દેહે પણ અપરિણીત હતા.

કુંભ તેઓનું લાંછન છે. કુબેર તેમના યક્ષ દેવ છે અને અપરાજિતા તેમની યક્ષિણિદેવી  છે. સાધુ અને સાધ્વીના રૂપમાં તેઓના હજારો અનુયાયીઓ હતા. એક સ્ત્રી પણ મોક્ષે જઈ શકે છે અને તમામ મોહમાંથી મુક્ત થઇ શકે છે, એવું તેઓએ ઉત્કૃષ્ટ ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે.

ચાલો તીર્થંકર ભગવાન મલ્લિનાથ છેલ્લા બે પૂર્વભવોની જીવનકથા વિશે જોઇએ.

મહાબલ તરીકેનો ત્રીજો છેલ્લો ભવ અને દેવ તરીકેનો બીજો છેલ્લો ભવ

તીર્થંકર બન્યા પહેલાના તેમના ત્રીજા અંતિમ ભવમાં, ભગવાન મલ્લિનાથના આત્માએ મહાબલ રાજા તરીકે જન્મ લીધો હતો. તેમના નામ પ્રમાણે, મહાબલ ખૂબ જ શક્તિશાળી અને તાકાતવાન હતા. તેમને છ મિત્રો હતા. તેઓ સાતેય વચ્ચેની મિત્રતા એટલી ગાઢ હતી કે તેઓએ જે કંઇ પણ તેઓ કરે તેમાં એક સાથે જ રહેવાની પ્રતિજ્ઞા કરી હતી. જ્યારે મહાબલ યુવાન વયના થયા ત્યારે, તેઓને રાજાની પદવી પ્રાપ્ત થઇ. તેઓના લગ્ન થયા અને તેમને એક પુત્ર થયો.

જ્યારે તેમનો પુત્ર યુવાનવયે પહોંચ્યો ત્યારે મહાબલે તેને રાજગાદી સોંપી દીધી. પછી, મહાબલ, તેમના છ મિત્રોની સાથે, ધાર્મિક ક્રિયાઓમાં સમય પસાર કરવા લાગ્યા. કેટલાક સમય પછી, તેઓ સાતેયે ‘દીક્ષા’ લીધી. તેઓએ પ્રતિજ્ઞા લીધી કે તેઓ જે કંઇ પણ આધ્યાત્મિક ક્રિયાઓ કરશે અને તપશ્ચર્યા કરશે, તે બધી એક સંગાથે જ કરશે અને સમાન રીતે જ કરશે. તેમાંના જે કંઇ તપશ્ચર્યા કરે, તે જ બીજાએ પણ અવશ્ય કરવાની; કોઇએ જરા પણ વધુ કે ઓછી કરવાની નહિ અને કોઇએ જરા પણ વહેલી કે મોડી શરૂ પણ કરવાની નહિ.

mallinath story

થોડાક સમય પછી, મહાબલ, જે અન્ય કરતા વધુ બુધ્ધિચાતુર્ય ધરાવતા હતા, તેઓએ મિત્રો સાથે કપટ કર્યું. તેઓ છ મિત્રો સાથે સાધના કરી રહ્યા હતા. જો કે, સાધના પૂરી થયા બાદ અને બીજા છ મિત્રોએ જયારે ભોજન લઇ રહ્યા હોય, ત્યારે મહાબલ સાધના શરૂ રાખી એવું બહાનું બતાવતા હતા કે તેમની તબિયત સારી નથી. આ રીતે, તેઓએ તેમના મિત્રો સાથે કપટ કરવાની શરૂઆત કરી અને મિત્રો કરતાં વધુ સાધના કરી.

જેથી, મહાબલે, આવતા ભવ માટે સ્ત્રી તરીકે જન્મ થાય એવું કર્મ બાંધ્યું. મિત્રો સાથે કપટ અને વચન ભંગને કારણે તેઓએ પુરૂષ જાતિ તરીકેનો જન્મ ગુમાવ્યો. બીજી તરફ, તેમણે શુધ્ધ ભાવના સાથે સાધના કરી હોવાને કારણે,તીર્થંકર તરીકેનું કર્મ બંધાય છે.

આ રીતે, તમામ સાત મિત્રો તેમની ધાર્મિક પૂજાઓ કરવાનું ચાલુ રાખે છે. જ્યારે તેમનો આયુષ્યકાળ પૂરો થાય છે, ત્યારે તેઓ દેવ તરીકે જન્મ પામે છે. દેવ તરીકેનો આયુષ્યકાળ સમાપ્ત થતા, મહાબલનો આત્મા તીર્થંકર તરીકે જન્મ લે છે.

સ્ત્રી તીર્થંકર, મલ્લિનાથ તરીકેનો છેલ્લો જન્મ

mallinath bhagwan

મિથિલા નગરીના રાજા કુંભ અને રાણી પ્રભાવતીએ એક પુત્રીને જન્મ આપ્યો જેનું નામ તેઓએ મલ્લિકુંવરી રાખ્યું. આ એક અપવાદ કહેવાય કે તીર્થંકર સ્ત્રી તરીકે જન્મે છે. માટે, દરેકને ઘણું આશ્ચર્ય થયું. બીજી બાજું, રાજા મહાબલના છ મિત્રો જુદા જુદા રાજ્યોમાં રાજકુંવર તરીકે જન્મે છે. જ્યારે તેઓ મોટા થાય છે ત્યારે આ છ રાજકુમારોને રાજગાદી સોંપાય છે.

મલ્લિકુંવરી અથવા મલ્લિનાથનો ઉછેર અત્યંત પ્રેમથી અને બધી સુખ સાહ્યબીઓ વચ્ચે થાય છે. તેમની સુંદરતા અજોડ અને અવર્ણનીય હતી. તેઓ એટલા સુંદર અને બુધ્ધિશાળી હતા કે કોઇપણ વ્યક્તિ તેમને જોઇને જ મુગ્ધ થઈ જાય એવું હતું. તેમના પિતાને તેમના વિવાહ માટે ચિંતા થવા લાગી.

બીજી તરફ, મહાબલના મિત્રો પોતપોતાનું રાજ્ય ચલાવી રહ્યા હતા. તેમાંના એક રાજાની રાણીએ, એક દિવસ, ભગવાનની પૂજા કરવા માટે મંદિરે જવાની ઇચ્છા દર્શાવી. રાજાએ તેને અનુમતિ આપી અને રાજા પણ તેમની સંગાથે ગયા. જ્યારે રાણી તૈયાર થયા, ત્યારે તેઓ એટલી સુંદર લાગતા હતા કે જેથી રાજાએ તેના મંત્રીને પૂછ્યું, “શું આ જગતમાં આમના જેટલું કોઇ સુંદર છે ખરું?” મંત્રીએ જવાબ આપ્યો, “કદાચ આપને ખ્યાલ નથી, પરંતુ હવે આપે પૂછ્યું જ છે, તો હું તમને જાણાવવા માંગું છું કે મલ્લિકુંવરી, મિથિલાનરેશની પુત્રી સૌથી સુંદર છે. તેમની તુલના કોઇની સાથે થઈ શકે તેમ નથી.” મંત્રીએ તેમને જોઇ હતી તેવી જ રીતે તેમની સુંદરતાનું આબેહુબ વર્ણન કર્યું. આ સાંભળીને, રાજાએ તેની સાથે પરણવાનો વિચાર કર્યો. તેમણે મંત્રી સાથે મિથિલાના રાજાને સંદેશો પહોંચાડ્યો કે તેઓ તેમની પુત્રી સાથે વિવાહ કરવાની ઇચ્છા ધરાવે છે.

બીજી તરફ, બીજા રાજાને અત્યંત સુંદર પુત્રી હોય છે. એમનો તો સ્નાનગૃહ પણ અત્યંત વૈભવશાળી હતો. એક વખત, પુત્રીની પ્રશંસા કરતા કરતા, રાજાએ તેમના મંત્રીને પૂછ્યું, “શું તેના કરતા પણ અત્યંત સુંદર બીજું કોઇ છે?” મંત્રીએ તેમને મલ્લિકુંવરીની અજોડ સુંદરતા વિશે વાતો કરી અને કહ્યું કે તેમનો સ્નાનગૃહ તો તમારી પુત્રી કરતાં પણ વધુ વૈભવશાળી છે. આ સાંભળીને રાજાએ મિથિલાના રાજાને સંદેશો મોકલ્યો કે તેઓ તેમની પુત્રી સાથે વિવાહ કરવા ઇચ્છે છે.

ત્રીજા રાજાના રાજ્યમાં, એક શ્રાવક હતો જેમની ભક્તિથી દેવો ખૂબ જ પ્રસન્ન હતા. તેના પરિણામે, દેવોએ તેમને કાનના કુંડલની જોડ આપી. શ્રાવકે તેમાંથી એક કુંડલ રાજા કુંભને તેમની મલ્લિકુંવરી માટે આપ્યું અને બીજું કુંડલ, ત્રીજા રાજાની પુત્રી માટે આપ્યું. રાજાએ શ્રાવકને કુંડલ વિશે પૂછ્યું અને તેમણે આખી વાત કહી સંભળાવી. પછી, વાતચીત દરમિયાન, તેમણે મલ્લિકુંવરીની સુંદરતાનું વર્ણન કર્યું. આથી રાજાને તેની સાથે પરણવાની ઇચ્છા થઈ અને રાજા કુંભને વિવાહ માટેનો પ્રસ્તાવ મોકલ્યો.

mallinath story

ચોથા રાજાના રાજ્યમાં, એક ચિત્રકાર હતો. ચિત્રકાર પાસે એવી લબ્ધી અને કળા હતી કે તે સ્ત્રી જેવી હોય તેવું જ ચિત્ર દોરી શકે. એક વખત તેણે મલ્લિકુંવરીને જોઇ. એમની છબીને ધ્યાનમાં રાખીને, તેણે આખું ચિત્ર એવું તૈયાર કર્યું કે જાણે રાજકુંવરી ખરેખર તેની સામે જ ન ઊભી હોય! એક બગીચામાં ચિત્રકારે તેનું ચિત્ર રાખી દીધું. મલ્લિકુંવરીના ભાઇ, મલ્લિકુમારે, તે જોયું અને પછી વિચાર્યું કે તેણી (મલ્લિકુંવરી) ત્યાં ખરેખર ઊભી છે અને ત્યાંથી તે જતો રહે છે. પછી, તેને ખ્યાલ આવ્યો કે આ તો ચિત્ર છે. તેણે ચિત્રકારને ઠપકો આપ્યો અને કહું કે શા માટે તે મને મૂર્ખ બનાવ્યો. તે એટલો બધો ક્રોધે ભરાયો કે તેણે તો ચિત્રકારના હાથ જ કાપી નાખ્યા. ચિત્રકાર ખૂબ જ હતાશ થઈ ગયો અને પછી બીજા રાજ્યમાં ગયો. આ રાજ્ય ચોથા રાજાનું હતું. ચિત્રકાર સમગ્ર પ્રસંગનું વર્ણન રાજાને કરે છે. આ સાંભળીને, રાજાએ વિવાહ માટેનો પ્રસ્તાવ રાજા કુંભને મોકલ્યો.

હવે પાંચમા રાજાની વાર્તા સાંભળીએ. ત્યાં એક તપસ્વિની હતા જે રાજ્યની રાજકુંવરી પાસે અમુક દાન માંગવા જાય છે. તે આ દાનનો ઉપયોગ એવા કાર્ય માટે કરવા જઈ રહી હતી, જેનાથી આસક્તિ (મોહમાં) વધારો થાય. મલ્લિકુંવરી અથવા મલ્લિનાથ જે ત્યાં હાજર હતા તેઓ તપસ્વિની સાથે વાતો કરી રહ્યા હતા અને સમજાવતા હતા કે તમે જે કરી રહ્યા છો તે યોગ્ય નથી અને આનાથી તેઓ પાપ કર્મો બાંધી રહ્યા છે. આ સાંભળીને, તપસ્વિની ખૂબ નિરાશ થઈ જાય છે અને તેને મલ્લિકુંવરીની ઇર્ષા થાય છે અને આ વાતનો તે બદલો લેવાનું વિચારે છે, એ માટે તે નક્કી કરે છે કે, મલ્લિકુંવરી લગ્ન એવા રાજા સાથે કરાવી દઉં કે જેને અસંખ્ય રાણીઓ હોય.

તપસ્વિની રાજકુંવરીનું રાજ્ય ત્યજી દે છે અને પાંચમા રાજાના રાજ્યમાં પહોંચે છે. તે રાજાને ઘણી બધી અતિ સુંદર રાણીઓ હોય છે અને તે બધી રાણીની સુંદરતાની ખૂબ પ્રશંસા કરતો. જો કે, જ્યારે તપસ્વિનીએ રાજાને સમજાવ્યું કે મલ્લિકુંવરી આ બધી રાણીઓ કરતાં અતિ-અતિ સુંદર છે અને કોઇની પણ સરખામણી તેની સાથે થઇ શકે તેમ નથી, આ સાંભળીને રાજાએ કુંભ રાજાને વિવાહ માટેનો પ્રસ્તાવ મોકલ્યો.

હવે છઠ્ઠા રાજાની વાર્તા સાંભળીએ. એક વખત મલ્લિકુંવરીથી ભુલમાં તેના કુંડળ તૂટી જાય છે. પછી તેણી તે સોની પાસે મોકલે છે પરંતુ તે સરખા થઈ શકે તેમ ન હતા. ક્રોધમાં આવીને, રાજા કુંભે તે સોનીનો દેશનિકાલ કરી દીધો. પછી સોની છઠ્ઠા રાજાના રાજ્યમાં જાય છે અને આ પ્રસંગ તેમને વર્ણવે છે. આ વાતચીત દરમિયાન, સોની મલ્લિકુંવરીની સુંદરતા વર્ણવે છે. તરત જ, છઠ્ઠા રાજાએ કુંભ રાજાને વિવાહ માટેનો પ્રસ્તાવ મોકલ્યો.

છ રાજાઓના હ્રદયનું પરિવર્તન

આ રીતે છ રાજાઓ, જે મલ્લિકુંવરી કે મલ્લિનાથના પૂર્વભવના છ મિત્રો હતા, તેમણે રાજકુંવરી સાથે લગ્ન માટેનો પ્રસ્તાવ મોકલ્યો. રાજા કુંભ હવે આ બાબતે શું કરવું તે માટે ખૂબ જ મૂંઝવણમાં મૂકાય જાય છે. જો તેઓ કોઇને પણ “ના” કહે તો પછી તે રાજાઓને ગમશે નહિ. વધારામાં, બધા તેનાથી ખૂબ શક્તિશાળી હતા, ના કહેવાથી પોતાના રાજ્ય ઉપરની યુદ્ધ માટે તેમણે તૈયારી રાખવી પડે. જો કે, રાજા તેમાંના કોઇ રાજાને “હા” પણ કહી શકે તેમ ન હતા.

mallinath story

જ્યારે રાજાએ બધાના જ પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો, ત્યારે છએ રાજાઓએ મિથિલા નગરી ઉપર હુમલો કર્યો. ‘અવધિજ્ઞાન’ દ્વારા, મલ્લિકુંવરીને ખ્યાલ આવ્યો કે આ છ રાજા તેના પૂર્વ જન્મના છ મિત્રો હતા. માટે, તેમણે પિતાને કહ્યું કે તેઓ ચિંતા ન કરે અને માત્ર તેઓને એક સંદેશો મોકલે. બાકી બધી વસ્તુ તે સંભાળી લેશે.

સુંદર હોવા ઉપરાંત મલ્લિકુંવરી અત્યંત બુધ્ધિશાળી હતા. તેમણે સોનાનું પૂતળું બનાવવાનો આદેશ કર્યો કે જે તદન તેમના જેવા જ આકારનું હોય. પછી, રાજકુંવરી પૂતળાના ઉપરના ભાગ ઉપર ઢાંકણ ફીટ કરાવે છે અને તેને સોનાના કમળથી સુશોભિત કરે છે. મૂર્તિકારે તદન એવું જ પૂતળું બનાવ્યું કે, જે જોનારને એમ જ લાગે કે મલ્લિકુંવરી જ ત્યાં ઊભી છે. રાજકુંવરી દરરોજ જમતા પહેલા થોડોક ખોરાકનો ભાગ તે પૂતળામાં નાખે છે.

આની સાથે, મલ્લિકુંવરીએ થોડા થોડા અંતરે ખંડ (ઓરડા) બનાવવનો આદેશ કર્યો. ખંડની મધ્યમાં આ સોનાના પૂતળાને રાખવા માટે કહ્યું. છ દરવાજામાંથી દરેક આ સોનાના પૂતળાને જોઇ શકે તે પરંતુ એના પાછળના દરવાજામાં કોણ છે તેને કોઈ ના જોઇ શકે તેવી તેમણે ગોઠવણ કરી.

mallinath story

રાજા કુંભના સૂચન મુજબ, બધા છ રાજાઓ ગુપ્ત રીતે અલગ અલગ ખંડોમાં ગોઠવાઇ જાય છે અને તેમની પાસે રહેલા દરવાજામાં ઊભા રહે છે. પૂતળુ એ સાચે મલ્લિકુંવરી હોય એમ તેઓ ધારી લે છે, પ્રત્યેક રાજા તેની સામે એકધારૂ તાક્યા કરે છે અને તેના તરફ આકર્ષિત થાય છે. બધા રાજા પૂતળા પાછળ દોટ મુકે છે, એકબીજાને જૂએ છે અને મલ્લિકુંવરી માટે ઝઘડવા લાગે છે. મલ્લિકુંવરી પાછળથી આવે છે અને પૂતળાની ઉપર રહેલા કમળ જેવા ઢાંકણને દોરી દ્વારા ખોલી નાખે છે. જેવું ઢાંકણ ખોલવામાં આવે છે કે તરત જ અસહ્ય દુર્ગંધ ફેલાવા લાગે છે. અસહ્ય દુર્ગંધને કારણે છ એ રાજા તલવાર ફેંકી દે છે, તેમના મોઢા ઢાંકીને ખંડમાંથી બહાર ચાલ્યા જાય છે.

આ ક્ષણે, મલ્લિનાથ આગળ આવે છે અને છએ રાજાને સંબોધીને કહે છે, “જે સુંદરતા માટે તમે છએ ઝઘડી રહ્યા હતા તે આ દુર્ગંધ જ હતી. ખોરાકનો થોડોક ભાગ રોજે આમાં નાખવામાં આવતો હતો જેના કારણે તમને અસહ્ય દુર્ગંધ આવી રહી હતી. માટે, જેમાં દરરોજ ખોરાકના ટુકડાઓ નાખવામાં આવે છે, જેમાંથી શરીર હાડકા, માંસ અને લોહી બને છે એવા દેહ તરફ તમે શા માટે આકર્ષિત થાવ છો ? જેના માટે અંદરોઅંદર લડાઇ કરો છો અને એકબીજાને મારી નાખવા તૈયાર થાવ છો એવા આ મોહમાં તમે શા માટેપડો છો? આ તમને નર્કે લઈ જશે. બુધ્ધિશાળી લોકો ક્યારેય પણ આ શરીર પ્રત્યે આકર્ષિત થતા નથી. હે રાજાઓ! શા માટે તમે ભૂલી ગયા કે તમે છએ રાજાઓ ગત જન્મમાં મારા મિત્રો હતા! કૃપા કરીને તે યાદ કરો.”

mallikuvri-and-sixking

મલ્લિનાથના અત્યંત પ્રભાવશાળી શબ્દો સાંભળીને, છએ મિત્રો અચંબામાં પડી જાય છે. તેઓને જાતિસ્મરણ જ્ઞાન (જેના દ્વારા વ્યક્તિ પૂર્વભવને યાદ કરી શકે છે) પ્રાપ્ત થાય છે. તેઓને તેમનો પૂર્વભવ યાદ આવે છે જેમાં તેઓ બધા મિત્રો હતા અને એકસાથે તપશ્ચર્યા કરવાનું નક્કી કર્યું હતું.

રાજકુમારીના જ્ઞાનસભર શબ્દો સાંભળીને, છએ રાજાઓ સાંસારિક બંધનોમાંથી મુક્ત થાય છે. તેઓ મલ્લિનાથનો આભાર વ્યકત કરે છે, માફી માંગે છે અને ભગવાન જે કંઇ કહે તે કરવા માટે તૈયાર થાય છે. મલ્લિનાથ ભગવાને અત્યારે તેઓને પોતપોતાના રાજ્યમાં જવા માટેનું કહ્યું અને કહ્યું કે જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે તેઓ જણાવશે કે શું કરવાનું છે.

મલ્લિનાથ ભગવાનની, જ્ઞાનપ્રકાશ આપનારી આ કથા આપણને કહે છે કે, મોહ અને આકર્ષણ એ માત્ર ભ્રાંતિ જ છે!

કેવળજ્ઞાન અને નિર્વાણ

તેઓએ લગ્ન કર્યા નહિ અને બ્રહ્મચર્યપૂર્વકનું જીવન જીવ્યા. લોકોને મોક્ષ અને આત્મજ્ઞાન પ્રાપ્તિ અર્થે સહાય થઇ શકે એવો ફેલાવો કરવા દેવોએ મલ્લિનાથને વિનંતિ કરી. ત્યારબાદ, ભગવાને દીક્ષા લીધી અને એ જ દિવસે, તેમને “કેવળજ્ઞાન” પ્રાપ્ત થયું.

mallinath story

કેવળજ્ઞાનની પ્રાપ્તિ બાદ, જ્યારે ભગવાન મલ્લિનાથ દેશના આપે છે, ત્યારે છએ રાજાઓ ત્યાં હાજર હોય છે. તેઓએ પણ દીક્ષા લીધી અને આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું. તેઓને ૨૮ ગણધરો હતા. સાચા ધર્મ અંગે તેઓએ લાંબા કાળ સુધી દેશના આપી અને પછી સમ્મેત શિખરમાં તેઓ નિર્વાણ પામ્યા.

×
Share on