પહેલો ભવ નયસાર તરીકે
નયસાર કઠિયારો હતો. તે ખૂબ ધાર્મિક અને પવિત્ર વ્યક્તિ હતો. તે જંગલમાં ખૂબ પરિશ્રમ કરતો, લાકડા કાપતો અને તે રાજાને રાજ્યના ઉપયોગ માટે આપતો. તે ખૂબ ગરીબ હતો, પણ દિલનો ઉદાર હતો. તેને જે કોઇ પણ મળે તે બધાની તે દિલથી મદદ કરતો. જમતા પહેલા, દરરોજ તે જેને ખોરાકની જરૂર હોય તેમને શોધતો. તેવી વ્યક્તિને જમાડ્યા પછી જ, તે પોતે ખાતો.
એક વખત, એવું બન્યું કે જ્યારે તે જંગલમાં લાકડા કાપી રહ્યો હતો ત્યારે, તેણે સાધુઓનું ટોળું પસાર થતું જોયું. સાધુ એટલે જેઓ આત્મજ્ઞાન સહીત હોય. એ પંચ પરમેષ્ઠી ભગવંતોમાંનું એક સર્વોત્તમ પદ છે જેમને આપણે નવકાર મંત્ર દ્વારા રોજ યાદ કરીએ છીએ.

સાધુઓ તેમનો રસ્તો જંગલમાં ભૂલી ગયા હતા. ત્યારે જમવાનો સમય થયો હતો. તેથી, નયસાર તેઓ પાસે ગયો અને તેઓને જમવા માટે આગ્રહ કર્યો. તેણે સાધુને ખૂબ જ પ્રેમથી અને ભક્તિભાવથી જમાડ્યા. બદલામાં, સાધુઓએ તેને સાચા ધર્મનો ઉપદેશ આપ્યો. તેના ઉમદા ગુણો જેમકે, અન્ય લોકો પ્રત્યેનો આદરભાવ અને ભૂખ્યા માણસોને પ્રેમથી જમાડવાના કારણે તથા સાધુઓની ખૂબ જ ભક્તિભાવથી સેવા કરવાને કારણે, નયસારને સમકિત પ્રાપ્ત થયું, જે સમ્યક દર્શન અથવા આત્મજ્ઞાન તરીકે પણ ઓળખાય છે. તેને અનુભવમાં આવ્યું કે, “હું શાશ્વત આત્મા છું અને મન, વચન અને કાયા એ વિનાશી છે.” તેની આંતરિક દ્રષ્ટિ બદલાય છે, તેનામાં સાચી સમજણ પ્રસ્થાપિત થાય છે જેનાથી તે નાશવંતને નાશવંત તરીકે અને શાશ્વત વસ્તુઓને શાશ્વત તરીકે જોઇ શકે છે.
એ જ ક્ષણથી, વ્યક્તિના સાંસારિક જીવનનો અંત આવે છે અને મોક્ષ માર્ગની યાત્રાનો પ્રારંભ થાય છે. જ્યાં સુધી આ સમ્યક દ્રષ્ટિ પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી વ્યક્તિ ગમે એટલા મંત્રજપ કરે, ઉપવાસ કરે કે ધ્યાન કરે છે, તેનો કોઇ અર્થ નથી, વ્યક્તિ જન્મ અને મરણના આ જટિલ ચક્રમાં કર્મ બંધનથી ફસાયા જ કરે છે. આત્મજ્ઞાન ત્યારે જ શક્ય બને છે જ્યારે કોઇ આત્મજ્ઞાની મળી જાય છે, માટે વ્યક્તિએ હંમેશા જ્ઞાનીને શોધવા જોઇએ. પછી, એક દિવસ, નયસારની જેમ, આપણે પણ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકીશું.
બીજો ભવ દેવલોકમાં
તેના સારા કર્મોને કારણે, નયસાર, તેના પછીના ભવમાં, દેવગતિમાં જન્મ લે છે.
