અનંતનાથ ભગવાનની કથાઓ: તેમનો પૂર્વભવ અને અંતિમ ભવોની કથાઓ

અનંતનાથ સ્વામી વર્તમાન કાળચક્રના ૧૪મા તીર્થંકર છે અને તેમનું લાંછન બાજપક્ષી છે. તેમનો જન્મ અયોધ્યામાં થયો. ભગવાનનો જન્મ રાણી સુયશા અને રાજા સિંહસેનના પુત્ર તરીકે થયો. તેમનું દેહપ્રમાણ ૫૦ ધનુષનું હતું. તેમના ગણધરો ૫૦ હતાં. પાતાલ યક્ષદેવ અને અંકુશા યક્ષીણી દેવી અનુક્રમે તેમના શાસન દેવ- યક્ષ દેવી છે.

ચાલો, હવે ભગવાનના તીર્થંકર તરીકેના જન્મ અને તેમના અંતિમ બે પૂર્વભવોની જીવન કથાઓ વાંચીએ. ભગવાને તેમના તીર્થંકર તરીકેના અંતિમ ભવમાં નવતત્વ પરની દેશના આપી હતી.

ત્રીજો અંતિમ ભવ રાજા પદ્મરથ તરીકે અને બીજો અંતિમ ભવ દેવલોકમાં

તેમના ત્રીજા અંતિમ ભવમાં, ભગવાનનો જીવ રાજા પદ્મરથ તરીકે હતો. રાજા પદ્મરથ, ઘાતકી ખંડમાં પૂર્વ મહાવિદેહક્ષેત્રમાં ઐરાવત વિજયમાં આવેલી અરિષ્ટા નગરીમાં શાસન કરતા હતા. તેઓ ખૂબ જ સરસ રીતે રાજ ચલાવતા હતા અને પછી, ઘણા વર્ષોના શાસન બાદ, તેમણે દીક્ષા લીધી.

દીક્ષા પછી, તેમને તીર્થંકર-નામ-ગોત્ર-કર્મ બંધાયું. આયુષ્યકાળ સમાપ્ત થતાં, પદ્મરથ રાજાનો દેવલોકમાં જન્મ થયો.

અંતિમ ભવ તીર્થંકર અનંતનાથ સ્વામી તરીકે

દેવ તરીકે આયુષ્યકાળ સમાપ્ત થતાં, રાજા પદ્મરથનો જીવ તીર્થંકર તરીકે જન્મ લે છે. તેમનો જન્મ ભરતક્ષેત્રમાં આવેલી અયોધ્યા નગરીમાં, રાજા સિંહસેન અને રાણી સુયશાના પુત્ર તરીકે થયો.

anantnath swami

નામકરણ સંસ્કાર

અનંતનાથ સ્વામી જ્યારે માતા સુયશાના ગર્ભમાં હતા, ત્યારે તેમના પિતા, રાજા સિંહસેન અનંત શક્તિશાળી એવા એમના શત્રુઓ પર વિજય મેળવે છે, આના પરથી, એમના પુત્રનું નામ અનંતનાથ રાખ્યું.

બાળપણ અને દીક્ષા

અનંતનાથ સ્વામીના લગ્ન થયા અને ઘણા વર્ષો સુધી રાજ્ય ચલાવ્યું. પછી, દેવલોકોની વિનંતિથી, ભગવાને દીક્ષા લીધી.

દીક્ષા લીધાના ત્રણ વર્ષ બાદ, અનંતનાથ ભગવાનને કેવળજ્ઞાન થયું.

સમવોસરણ અને દેશના

કેવળજ્ઞાન થતાં, દેવલોકોએ ભગવાન અનંતનાથ પ્રભુ માટે સમવોસરણની રચના કરી, જ્યાંથી ભગવાને લોકોને દેશના આપી.

તીર્થંકરની વાણી એવી વચનબળવાળી હોય છે, કે જેને સાંભળવાથી વ્યક્તિની મહીં રહેલા બધા કર્મોના આવરણોને ભેદીને સીધા આત્માને સ્પર્શે છે. તેમના શબ્દોની એવી અસર હોય છે, કે જેને સાંભળવા માત્રથી જ, લોકો જીવન-મરણના ચક્રમાંથી તરીને મોક્ષ પ્રાપ્ત કરે છે. આ જગતમાં તીર્થંકરની સ્યાદ્વાદ વાણીના તોલે કોઈ આવી શકે એમ નથી. આવી વાણી બીજે ક્યાંય ન સાંભળવા મળે!!!

anantnath swami

તીર્થંકર શ્રી અનંતનાથ ભગવાને નવ તત્વ વિશે ખૂબ સરસ દેશના આપી, જેનો અર્થ થાય છે નવ શાશ્વત સત્યો. મોક્ષમાર્ગના સિધ્ધાંતોને જાણવા માટે નવ તત્ત્વને સમજવા જરૂરી છે. જે નીચે દર્શાવ્યા મુજબ છે:

  • જીવ તત્વ: જીવ તત્વ એ આત્માના શુદ્ધ તત્વને દર્શાવે છે, તે એ જ જીવીત ઉર્જા કે જે દરેક જીવમાત્રમાં હાજર છે. તેને આત્મતત્વ પણ કહેવાય છે, જેને આપણે અનુભવવાની (આત્મ-સાક્ષાત્કારની) જરૂર છે.

આપણે ખરેખર તો આત્મતત્વ સ્વરૂપે જ છીએ. આત્મતત્વના લક્ષણો નીચે દર્શાવ્યા મુજબ છે:

  • અરૂપી
  • અનંત દર્શન, અનંત જ્ઞાન અને અનંત સુખ જે સહજ સ્વભાવે કરીને છે
  • અવ્યાબાધ
  • અવિનાશી
  • અજર અને અમર
  • ટંકોત્કીર્ણવત
  • અચ્યુત, એટલે કે અનંત પરમાણુઓ સાથે રહેવા છતાં, તેને કશો સ્પર્શ થતો નથી

ખરેખર, આપણે જીવ તત્વ (આત્મા) છીએ. જો કે, અજ્ઞાનતાના કારણે, આપણે પોતાને ‘ચંદુ’ (અહીં વાંચકોએ પોતાનું નામ સમજવું) માની લઈએ છીએ. ‘હું આત્મા છું’ એ જ અંતિમ જ્ઞાન છે કે, જેનો અનુભવ થવો જોઇએ. જ્ઞાનીનો ભેટો થવાથી, તેમની કૃપાથી, જીવ તેનો અનુભવ કરી શકે છે. માટે, આપણને બધાને એક જ ભાવના હોવી જોઇએ કે, ‘મારે આત્મા પ્રાપ્ત કરવો છે, એ જ મારું શાશ્વત સ્વરૂપ છે.’ અનંત જન્મોથી આપણે સંસારમાં ઘણુ પ્રાપ્ત કર્યું; પણ આ એક જ વસ્તુ આપણને હજુ પ્રાપ્ત થઈ નથી.

અજ્ઞાન દશામાં, ‘ચંદુ’ (અહીં વાંચકોએ પોતાનું નામ સમજવું) તરીકે વર્તીને ક્રોધ, માન, માયા અને લોભ ઉત્પન્ન થયા કરે છે. તેના પરિણામે, આપણે કર્મો બાંધીએ છીએ. જ્યારે આપણે બીજાને સુખ આપીએ છીએ, ત્યારે આપણે સારા કર્મો બાંધીએ છીએ. એ જ રીતે, જ્યારે આપણે બીજાને દુ:ખ પહોંચાડીએ છીએ અથવા નુકસાન કરીએ છીએ, ત્યારે આપણે ખરાબ કર્મો બાંધીએ છીએ. તેના પરિણામે, આપણે અનુક્રમે સુખ કે દુ:ખનો અનુભવ કરીએ છીએ. જો કે, આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી, આપણે આત્મ સ્વભાવમાં સ્થિર થઈએ છીએ. પરિણામે, રાગ, દ્વેષ, અને અજ્ઞાનતાનો વિલય થાય છે, નવા કર્મો , સારા કે ખરાબ બંધાતા નથી.

જ્યારે અનંત જન્મોથી એક માત્ર મોક્ષની ભાવના સાથેના આપણા પુણ્ય કર્મો ભેગા થાય, ત્યારે આપણને જ્ઞાનીનો ભેટો થાય છે અને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. પછી, જ્ઞાની આપણને તીર્થંકર સુધી પહોંચવાનો માર્ગ દર્શાવે છે, ત્યાં તીર્થંકરના દર્શન માત્રથી જ, આપણે કેવળજ્ઞાન પ્રાપ્ત થશે. જ્યારે બધા કર્મો સંપૂર્ણપણે વિલિન થશે ત્યારે કેવળજ્ઞાન પ્રાપ્ત થશે.

જ્યારે જ્ઞાની ‘હું કોણ છું’ (આત્મા) અને ‘હું કોણ નથી’ (ચંદુ) એની ભેદરેખા પાડી આપે છે ત્યારે આત્મજ્ઞાન થાય છે. ત્યારપછી, આત્મામાં રહેવાથી, કર્તાભાવ રહેતો નથી અને પરિણામે, ભોગવટા (ભોક્તા ભાવ) પણ રહેતા નથી. આનો અનુભવ કરવો એ જ મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય છે. માટે, જ્ઞાનીઓ વારંવાર કહે છે, “ચેતો, ચેતો, આત્મા એ જ તમારું ખરું સ્વરૂપ છે. જો તમને આ અનુભવ થશે તો, પછી મોક્ષ અહીં જ વર્તાશે.” આ મોક્ષ આપણે જ્ઞાનીની હાજરીમાં અનુભવી શકીએ છીએ.

  • અજીવ તત્વ: અજીવ એટલે નિશ્ચેતન તત્વ. અહીં ૬ શાશ્વત તત્વો છે. આત્મા ઉપરાંત, બીજા પાંચ તત્વો જેમ કે પુદગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાળ અને આકાશ, આ બધુંઅજીવ તત્વમાં આવે છે.
  • પાપ – એટલે ખરાબ કર્મો
  • પુણ્ય – એટલે સારા કર્મો
  • આશ્રવ – એટલે કર્મો બંધાવાનું કારણ
  • સંવર – એટલે નવા કર્મો બંધાવાનું બંધ થવું
  • નિર્જરા – એટલે કર્મો પૂરા થવા
  • બંધ – એટલે નવા કર્મોનું બંધન
  • મોક્ષ – એટલે મુક્તિ અથવા છૂટકારો. મોક્ષના બે તબક્કા છે; પહેલા તબક્કો એટલે બધા પ્રકારના ભોગવટામાંથી મુક્ત થવું અને બીજો તબક્કો એટલે અંતિમ મુક્તિ (મોક્ષ)     .
  • પહેલા પ્રકારનો મોક્ષ જ્યારે આપણે જીવતા છીએ ત્યારે જ અનુભવાય છે, આ દેહમાં જ. ‘હું આત્મા છું’ તેનો અનુભવ, જેના થકી જીવ બધા ભોગવટામાંથી મુક્તિ અનુભવી શકે છે. દેહને ભોગવટો રહે છે, પરંતુ ‘હું આત્મા છું’ તે જાગૃતિ રહેવાથી, આપણને ભોગવટાની જરા પણ અસર થતી નથી.
  • બીજો અને અંતિમ મોક્ષ જ્યારે બધા કર્મો પૂરા થાય છે, જ્યારે આયુષ્ય કર્મોના પરમાણુઓ પણ ખરી પડે છે અને માત્ર કેવળ આત્મા રહે છે, ત્યારે થાય છે, જે સીધો સિધ્ધક્ષેત્રમાં જાય છે અને ત્યાં કાયમ માટે રહે છે.

અનંતનાથ સ્વામીની દેશના સાંભળીને, લાખો લોકો દીક્ષા લે છે અને મોક્ષમાર્ગ ઉપર પ્રગતિ કરે છે. તીર્થંકર અનંતનાથ સ્વામીના સમયમાં ચોથા વાસુદેવ પુરુષોત્તમ, ચોથા પ્રતિવાસુદેવ મધુ અને ચોથા બળદેવ સુપ્રભ થાય છે. વાસુદેવ પુરુષોત્તમ અને બળદેવ સુપ્રભ પણ અનંતનાથ પ્રભુની દેશના સંભાળવા જાય છે અને ભગવાન પાસેથી દીક્ષા લે છે. તેઓ બન્નેને સમ્યક દર્શન પણ પ્રાપ્ત થાય છે. સુપ્રભ બળદેવ તે જ જન્મમાં મોક્ષ પણ પ્રાપ્ત કરે છે.

ચાલો આપણે, ત્રીજા વાસુદેવ, ત્રીજા પ્રતિ વાસુદેવ અને ત્રીજા બળદેવની વીરકથા વિષે વાંચીએ:

દ્વારકા નગરીના સોમ રાજાના બે પુત્રો પુરુષોત્તમ અને સુપ્રભ હોય છે. વાસુદેવ પુરુષોત્તમ અને બળદેવ સુપ્રભ ઓરમાઈ ભાઈઓ હોય છે. નિયમ મુજબ બળદેવ અને વાસુદેવ હંમેશા ઓરમાઈ ભાઈઓ જ હોય (સાવકીમાંના સંતાનો) અને બંને ભાઈઓ વચ્ચેનો પ્રેમ આ જગતમાં અજોડ હોય. બંનેને એકબીજા માટે ખૂબ જ પ્રેમ હતો.

એક વખત નારદની વાતોથી પ્રેરાઈને પ્રતિવાસુદેવ મધુ રાજાએ સોમ રાજા સામે ખંડણીની (રાજ્ય સહીત) માંગણી કરી. સામે પક્ષે, સોમ રાજાને આ સમાચાર મળતાં જ તેમના બે પુત્રો પુરુષોત્તમ અને સુપ્રભે આ ખંડણીનો અસ્વીકાર કરતાં યુદ્ધની ઘોષણા કરી.

કુદરતી રીતે નિયમ એવો જ હોય છે કે, યુદ્ધમાં વાસુદેવના સાથે પ્રતિવાસુદેવનું મૃત્યુ થાય છે. કારણકે, વાસુદેવનો અહંકાર જબરદસ્ત હોય છે અને પરિણામે એ અહંકારના આધારે તેઓ પ્રચંડ શક્તિ અને સામર્થ્ય ધરાવે છે. વાસુદેવ એટલે અડધી પૃથ્વીના અધિપતિ. આખી દુનિયામાં બળવાન એવા કે મેરુ પર્વતને હલાવી નાખે એટલી શક્તિ વાસુદેવ ધરાવે છે.

આમ મધુ રાજા અને પુરુષોત્તમ વાસુદેવ વચ્ચે મહાયુદ્ધ છેડાયું. યુદ્ધના અંતે નિયમ મુજબ, વાસુદેવ પુરુષોત્તમના ચક્રથી પ્રતિવાસુદેવ મધુનું મૃત્યુ થાય છે. સાથે સાથે મધુ રાજાના બધા ખંડણી રાજાઓ હવે વાસુદેવ પુરુષોત્તમના શરણે આવે છે. ત્યારબાદ વિજયી પુરુષોત્તમ રાજાનો વાસુદેવ તરીકે રાજ્યાભિષેક થાય છે.

ત્યારબાદ વાસુદેવ પુરુષોત્તમ અને બળદેવ સુપ્રભ પણ અનંતનાથ પ્રભુની દેશના સંભાળવા જાય છે અને ભગવાન પાસેથી દીક્ષા લે છે. તેઓ બન્નેને સમ્યક દર્શન પણ પ્રાપ્ત થાય છે. સુપ્રભ બળદેવ તે જ જન્મમાં મોક્ષ પણ પ્રાપ્ત કરે છે.

અંતે, અનંતનાથ સ્વામી, ૬૦૦ સાધુ, સાધ્વીઓ અને કેવળીઓ સાથે સમ્મેદ શિખરજી પર્વત ઉપરથી મોક્ષ પ્રાપ્ત કરે છે.

તીર્થંકરને અત્યંત ભક્તિથી હૃદયપૂર્વક વંદન!!! હે પ્રભુ, તમોને અમારી ખરા દિલથી પ્રાર્થના કે, “તમારી જીવન ચરિત્રની કથા જે કોઈ વાંચે તે બધાને મોક્ષે જવાની તીવ્ર ઝંખના થાય!”

×
Share on