શ્રી ધર્મનાથ ભગવાન: એમના પૂર્વભવો અને અંતિમ ભવની કથા

વજ્રના લાંછનથી ઓળખાતા, શ્રી ધર્મનાથ ભગવાન વર્તમાન કાળચક્રના પંદરમા તીર્થંકર છે. રત્નપુર નગરમાં જન્મેલા, તે રાજા ભાનુ અને રાણી સુવ્રતા દેવીના પુત્ર હતા. તેમનું દેહપ્રમાણ ૪૫ ધનુષનું હતું. લાંબા આયુષ્ય પછી, તેમણે દીક્ષા લીધી અને નિર્વાણ પામ્યા. કિન્નર યક્ષદેવ અને કંદર્પા યક્ષિણિદેવી તેમના શાસન દેવ અને શાસન દેવી હતા.

Dharmanath bhagwan

તો ચાલો, હવે ભગવાનના તીર્થંકર તરીકેના તેમના જન્મ પહેલાના, પૂર્વ બે જન્મોની જીવનકથા જોઈએ. અંતે, આપણે તેમના છેલ્લા જન્મની કથા પણ જોઈશું.

ત્રીજો ભવ રાજા દ્રઢરથ તરીકે અને બીજો ભવ દેવલોકમાં

ભગવાન ધર્મનાથ, તેમના છેલ્લા ત્રીજા ભવમાં, ઘાતકી ખંડના મહાવિદેહ ક્ષેત્રમાં, ભરત વિજય નામના પ્રદેશમાં આવેલા ભદ્દિલ નગરમાં, દ્રઢરથ નામના રાજા તરીકે જન્મ્યા હતા. તેઓ ખૂબ જ ધાર્મિક રાજા હતા, જે પોતાના રાજ્યને ખૂબ સાત્વિકતાથી ચલાવતા હતા. પોતે વિરક્ત ભાવે, જેમ પોતાના જ ઘરમાં પોતે અતિથિ હોય, તેમ જ રાજ્ય ચલાવતા હતા.

અક્રમ માર્ગ થકી મુક્તિ પમાડતા જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાન પણ કાયમ કહેતા હતા કે અમે અમારા ઘરે ગેસ્ટની જેમ રહીએ છીએ. શું મહેમાનને કોઈ ટેન્શન હોય કે કંઈ કરવાનું હોય ખરું? શું મહેમાન કોઈ વાતમાં ડખો કરે ખરા? ના, બરાબર ને? ઘરના અન્ય સભ્યો, યજમાન તરીકે, ટુવાલથી માંડીને જમણ સુધીનું બધું જ મહેમાન માટે તૈયાર રાખે છે, ખરું ને? એટલે જ, પરમ પૂજ્ય દાદાશ્રી બધાને કાયમ કહેતા હતા કે સૌએ પોતપોતાના ઘરમાં ગેસ્ટની જેમ રહેવું.

એ જ રીતે, રાજા દ્રઢરથ પણ પોતાનું રાજ્ય મહેમાનની જેમ ચલાવતા હતા. થોડોક સમય રાજ કર્યા પછી, તેઓ દીક્ષા લે છે અને તીર્થંકરોની ખૂબ જ ભકિત આરાધના કરે છે. તેના પરિણામે, તેમને તીર્થંકર નામગોત્ર કર્મ બંધાય છે. તેમનો આયુષ્યકાળ પૂરો કર્યા બાદ, તેઓ વૈજયંત મહાવિમાનમાં દેવ તરીકે જન્મ લે છે. અહીં, તેમનું આયુષ્ય ખૂબ લાંબું હોય છે.

ધર્મનાથ ભગવાનનો તીર્થંકર તરીકે અંતિમ ભવ

દેવગતિમાં આયુષ્ય પૂર્ણ કર્યા બાદ, રાજા દ્રઢરથનો જીવ રાણી સુવ્રતા દેવીના ગર્ભમાં અવતરે છે, જે ભરતક્ષેત્રના રત્નપુર નગરમાં, રાજા ભાનુના પત્ની હતા. જ્યારે આ દ્રઢરથ રાજાનો જીવ તેમના ગર્ભમાં હોય છે, ત્યારે રાણી ધર્મમાં પ્રવૃત્ત થઈ જાય છે અને તે સમયે તેમને અંતરમાં ખૂબ જ ધાર્મિક ઈચ્છાઓ થાય છે. ધર્મ પ્રત્યેની અત્યંત વધેલી આસ્થા જોઈને, માતા-પિતાએ તેમના પુત્રનું નામ ધર્મનાથ રાખ્યું.

Dharmanath bhagwan

તેઓ સુવર્ણ વર્ણ ધરાવતા હતા. તેમનું બાળપણ વિવિધ પ્રકારની વિદ્યાઓ શીખવામાં વ્યતીત થયું હતું. યુવાનીમાં તેમના લગ્ન થયા અને તેમનો રાજ્યાભિષેક થયો.

પછી દેવતાઓની વિનંતીથી રાજા ધર્મનાથ દીક્ષા લે છે. દીક્ષા લીધાના બે વર્ષ બાદ, તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. કેવળજ્ઞાન થયા પછી, દેવો સમોવસરણની રચના કરે છે અને પ્રભુ ત્યાં બિરાજીને સુંદર તાત્ત્વિક દેશના આપે છે. તીર્થંકર ભગવાનની દેશના સાંભળવા હજારો લોકો ગામે ગામથી આવે છે. એ દેશનાથી લોકોના કષાયો કપાઈ જાય, અંતઃકરણ સ્થિર થઈ જાય અને સેંકડો લોકોને સમકિત થઈ જાય છે.

આ કાળચક્રના પાંચમા વાસુદેવ, પુરૂષ સિંહ અને સુદર્શન બળદેવે પણ ભગવાન ધર્મનાથના સમોવસરણમાં હાજરી આપી હતી. તેમની દેશના સાંભળીને, પુરૂષ સિંહને અંદર ઉત્કૃષ્ટ વૈરાગ્યનો ભાવ જાગે છે અને તેઓ સમકિતને પામે છે. સુદર્શન બળદેવ પણ શ્રાવક ધર્મ અંગીકાર કરે છે અને મોક્ષ પામે છે.

તીર્થંકર ભગવાનની દેશના એવી હોય છે, કે જે ક્રોધ, માન, માયા અને લોભ રૂપી ચારેય કષાયોના પડદા ચીરી નાખે છે, અને ભટકતા મન, બુધ્ધિ, ચિત્ત અને અહંકારને સ્થિર કરે છે; અને સમકિત પ્રાપ્ત કરાવે છે. ભગવાન ધર્મનાથે કષાય ઉપર અજોડ તાત્ત્વિક દેશના આપી હતી.

કષાયોનું વર્ણન

જો મોક્ષે જવું હોય તો, કાં તો આત્માને જાણવો પડશે અથવા કષાય રહિત થવું પડશે. દ્વેષમાં ક્રોધ અને માન આવે છે, અને રાગમાં, માયા અને લોભ આવે છે. જો આત્મજ્ઞાન થકી સ્વરૂપની અજ્ઞાનતા દૂર થાય, તો રાગ અને દ્વેષ બન્ને જતાં રહે છે, અને આમ કષાયો જતાં રહે છે. આ રીતે કષાયો જ કર્મો બાંધે છે. તે કારણ સ્વરૂપે રહેલા છે. જ્યાં કષાય નથી ત્યાં આત્મા છે. જ્યાં સુધી કષાયો છે, ત્યાં સુધી કેવળજ્ઞાનનો અનુભવ શક્ય નથી. નીચે દર્શાવ્યા મુજબ કષાયો ચાર પ્રકારના છે.

  1. અનંતાનુબંધી કષાયો: અનંતાનુબંધી કષાયો કોને કહેવાય? દાખલા તરીકે, પિતાને પુત્ર પર પૈસા અને મિલકતની બાબતમાં એવો ક્રોધ આવે અને પુત્ર સાથે જોરથી બોલાચાલી થયા પછી પિતા ક્રોધમાં કહે છે, કે “જા, હું હવે તારું મોઢું નહીં જોઉં. તું મારાથી દૂર થઈ જા. મારા ઘરમાં આવીશ નહીં.” આને ભયંકર ક્રોધ કહેવાય. એ અનંતાનુબંધી અનંત અવતારના બંધ પાડી દે છે. આનાથી અનંત અવતારો સુધી રખડવું પડે. આનું ફળ શું આવશે એનું આપણને ભાન જ નથી! અજ્ઞાન દશામાં આપણે આ જ બધું કરતા આવ્યા છીએ. અજ્ઞાનતાને કારણે આખી જિંદગી સુધી એ વ્યક્તિ સાથે બોલીએ નહીં. પછી સામાનું મન તૂટી જાય અને સાથે પોતાનું મન પણ તૂટી જાય. એ સંબંધ તૂટ્યા પછી સંધાય જ નહીં આખી જિંદગી.
  2. અપ્રત્યાખાની કષાયો: આ બધામાંથી જ્યારે પોતે પાછો વળે અને અંદર એવું થાય કે આ બધું ખોટું થયું અને પશ્ચાતાપ થાય, સાથે પ્રતિક્રમણ-પ્રત્યાખાન કરે, તો અનંતાનુબંધી કષાયમાંથી હલકો થઈને અપ્રત્યાખાની કષાયમાં આવે છે. એક વર્ષની અંદર આ બધું થઈ જવું જોઈએ, તો જ એ અપ્રત્યાખાનીમાં આવ્યો કહેવાય. જો વર્ષની ઉપર ગયો તો એ પાછો અનંતાનુબંધીમાં આવ્યો કહેવાય અને પાછો વાળવો મુશ્કેલ છે. એક વર્ષની અંદર જો એ પાછો વળી જાય, પ્રતિક્રમણ-પ્રત્યાખાન કર્યું તો એ પછી અનંતાનુબંધીમાંથી બચી જાય છે.
  3. પ્રત્યાખાની કષાયો: જો પંદર દહાડામાં એ પાછો ફરે તો એ પ્રત્યાખાની કહેવાય છે. એનો જલ્દી ઉકેલ આવી ગયો.
  4. સંજ્વલન: સંજ્વલન એટલે એક સમય ઊભો થાય, એક સમય ટકે અને ત્રીજા સમયે ખલાસ થઈ જાય.

આ ચાર પ્રકારના કષાયોને સમજાવતો એક સરસ દાખલો અહીં દર્શાવ્યો છે. દાખલા તરીકે, જો તમને ક્રોધ થયો તો એ ક્રોધ એટલો બધો ભારે હોય જાણે કે, એક મોટો પહાડ અને તેની વચ્ચે એક મોટી તિરાડ પડી જાય, એક કે બે ફૂટની તો પછી ગમે તે થાય પણ શું એ તિરાડને સંધાય? એ સંધાય જ નહી. એ ગમે તે કરે અનંત અવતાર સુધી એ સંધાશે નહી. એને અનંતાનુબધી કષાય કહ્યું છે. પછી અપ્રત્યાખાની કષાયમાં એક ખેતર હોય, એની માટીમાં તાપ-તડકાથી બહુ બધી તિરાડો પડી ગઈ હોય, ફાટ પડી હોય અને પાછું વરસાદ કે પાણી પડે, તો એ સંધાઈ જાય, એકાકાર થઈ જાય. તેથી માટીમાં પડેલી તિરાડને અપ્રત્યાખાની કહ્યું છે અને પ્રત્યાખાની કષાય એટલે જેમ રેતીમાં જરાક ગાડું ચાલે તો કેવી વચ્ચે તિરાડ પડી જાય, પણ પાછું થોડી વારમાં જ એક પવનનું જોકું આવે કે તરત બધું સરખું થઈ જાય, પુરાઈ જાય પેલી તિરાડ ન રહે. સંજ્વલન કષાયમાં જેમ પાણીમાં લીસોટા પાડતા જઈએ તો શું થાય? એ કેટલી વાર ટકે? એ છે તો એકબાજુ આપણે પાડતા જઈએ અને બીજી બાજુ ભૂસાતું જાય. એટલે એ ટકે જ નહીં,એને સંજ્વલન કષાય કહ્યા છે.

તો, કષાયોની ઉત્પત્તિ કેવી રીતે થાય છે? જડ અને ચેતન, બે શાશ્વત તત્ત્વો પાસે પાસે આવવાથી, તે બંનેના મિશ્રણથી તીસરું ભાસ્યમાન પરિણામ ઉત્પન્ન થાય છે. જેમ તાંબા અને સોનાના મિશ્રણથી તીસરી જ ધાતુ ઉત્પન્ન થતી લાગે છે. જડ અને ચેતનના મિશ્રણથી જે ત્રીજું અસ્તિત્વ દેખાય છે, તેને અહમ્ અથવા અહંકાર કહેવામાં આવે છે. અહમ્ એટલે ‘હું’પણું. આત્મા અને જડ બંનેના મિશ્રણથી ઊભું થયેલું છે તેને મિશ્રચેતન કહ્યું છે. આમ એ કર્તા થાય છે. ક્રોધ-માન-માયા-લોભની બધી ગ્રંથિઓ ઉભી થાય છે. અનંત અવતાર સુધી આ બધું ચાર્જ અને ડિસ્ચાર્જ ચાલ્યા જ કરે છે. આત્મજ્ઞાન થયા પછી ક્રોધ-માન-માયા-લોભના ડિસ્ચાર્જ વખતે જ્ઞાન જાગૃતિથી ક્રોધ-માન-માયા-લોભ ખરી પડે છે. જયારે વ્યક્તિને “હવે હું ડિસ્ચાર્જમાં છું જ નહીં” એવી અડગ સમજણ રહે તો કષાયો ખરતા જાય અને આત્મભાવ વ્યક્ત થતો જાય.. જેમ આત્મ પ્રકાશ વધતો જાય એમ એના ગુણસ્થાનકો આગળ ને આગળ વધતા જાય છે. તીર્થંકરોએ વ્યાખ્યાયિત કર્યા મુજબ, આ આધ્યાત્મિક પ્રગતિના ૧૪ ગુણસ્થાનક છે. કષાય અને ગુણસ્થાનક વચ્ચે સીધો સહસંબંધ છે.

ચૌદ ગુણસ્થાનકોની ઝાંખી:

  1. મિથ્યાત્વ: આ ગુણસ્થાનક, એટલે જીવ અજ્ઞાન દશામાં છે, તે ફક્ત એટલું જાણે છે કે તીર્થંકરો મોક્ષને પામવાના માર્ગમાં છે અને મને મોક્ષ પ્રાપ્ત કરવા તીર્થંકરોને જ ભજવા પડશે. જો આટલી સમજણ પણ ના હોય, તો જીવ સંપૂર્ણ અજ્ઞાન અવસ્થામાં, સંપૂર્ણ અંધકારમાં છે. અહીંથી જીવ સીધો ચોથા ગુણસ્થાનકે પહોંચે છે.
  2. સાસ્વાદન : આ ગુણસ્થાનક પહેલા ગુણસ્થાનકથી ચડતા ક્રમે નહીં પરંતુ ૧૧મા ગુણસ્થાનકેથી પડતા ક્રમે આવે છે. આ એક પસાર થવાનું ગુણસ્થાનક છે.
  3. મિશ્ર મોહનીય: આ ગુણસ્થાનક પણ ચડતા ક્રમે નહીં પરંતુ ૧૧મા ગુણસ્થાનકથી પડતા ક્રમે આવે છે. આ ગુણસ્થાનકમાં જીવ સમ્યક્ દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિ વચ્ચે ઝઝૂમે છે.
  4. અવિરતિ સમ્યક્ દ્રષ્ટિ: જીવ પહેલા ગુણસ્થાનકેથી સીધો આ ગુણસ્થાનક પર આવે છે. અહીંથી સમકિત શરૂ થાય છે અને અનંતાનુંબંધી કષાયો સંપૂર્ણ રીતે જાય છે.
  5. દેશવિરતિ: આ ગુણસ્થાનક અપ્રત્યાખ્યાની કષાયોની હાજરી જણાવે છે. જો જીવ કષાયોના પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરે તો અનંતાનુંબંધીમાંથી અપ્રત્યાખ્યાનીમાં આવે છે અને અહીંથી આગળના ગુણસ્થાનકે પહોંચે છે.
  6. સર્વવિરતિ અથવા પ્રમત્ત: આ ગુણસ્થાનક પ્રત્યાખ્યાની કષાયોની હાજરી સૂચવે છે, એટલે કે ક્રોધ, માન, માયા, લોભના દોષો કે જેના માટે પ્રત્યાખ્યાન ચાલુ છે. પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન કરવા છતાં પણ આ દોષો થયા કરે છે, જેને પ્રત્યાખ્યાન આવરણ કષાય કહેવાય છે. આવું એટલા માટે થાય છે, કેમ કે આ કષાયોના લાખ લાખ પડ હોય છે. પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન કર્યું હોય તો પણ પડ રહ્યાં હોય એટલે ફરી ફરી દોષ થયા કરે. પ્રતિક્રમણ કર્યું છે પણ એ વ્યવસ્થિત પદ્ધતિસર નથી કર્યું. પછી એક એક પડનું જ્ઞાનથી જોઈને ચોક્કસ પ્રતિક્રમણ થાય ત્યારે પ્રત્યાખ્યાન આવરણ દૂર થાય છે. પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન થાય એટલાં પડો જતાં જાય છે. એકવાર પ્રત્યાખ્યાન આવરણો દૂર થઈ જાય પછી માત્ર સંજ્વલન કષાય જ રહે છે.
  7. અપ્રમત્ત: આ ગુણસ્થાનકમાં જીવ ફક્ત એક કલાક અથવા વધારેમાં વધારે પંદર દિવસમાં પોતાના કષાયો દૂર કરી શકે છે.
  8. અપૂર્વકરણ: અપૂર્વકરણ એટલે પહેલાં ક્યારેય ના જોયેલું હોય એવું. અહીં જબરજસ્ત આનંદની અનુભૂતિ થાય છે. આ ગુણસ્થાનકે, જીવ સૂક્ષ્મ વિષયની ગાંઠ તોડે છે. છઠ્ઠા ગુણસ્થાનકે સ્થૂળ વિષયની ગાંઠ છેદાયેલી હોય છે પરંતુ સૂક્ષ્મ વિષયની ગાંઠ રહેલી હોય છે. જ્યારે વિષયની ગાંઠ સંપૂર્ણપણે છેદાઈ જાય, ત્યારે જીવ નવમું ગુણસ્થાનક એટલે કે અનિવૃત્તિ બાદર ઓળંગીને સીધો દસમા ગુણસ્થાનકમાં પ્રવેશ કરે છે.
  9. અનિવૃત્તિ બાદર: અહીં જીવ વિષયથી સંપૂર્ણ રીતે મુક્ત છે; વિષયનું એક પણ પરમાણુ નથી, વિષયનો એક પણ વિચાર આવતો નથી કે આકર્ષણ થતું નથી.
  10. નિવૃત્તિ બાદર: આ ગુણસ્થાનકમાં સૂક્ષ્મ લોભ રહેલો છે.
  11. ઉપશાંત મોહ: આ ગુણસ્થાનકમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ લોભ રહેલો છે. એવું દેખાય, કે લોભ જતો રહ્યો છે પરંતુ લોભ ઉપશાંત થયેલો હોય છે. દબાયેલા લોભને લીધે એવું જ લાગે છે કે, પોતે ભગવાન સ્વરૂપ થઈ ગયેલો છે, એટલે તે પછડાય છે. અહીંથી પછડાઈને તે સીધો પહેલા ગુણસ્થાનકે પડે છે. આ ગુણસ્થાનકેથી લગભગ દરેક પડે જ. માટે જ જ્ઞાનીઓ દસમા ગુણસ્થાનકેથી સીધા બારમા ગુણસ્થાનકે કૂદી જાય, આ ગુણસ્થાનકને અડે જ નહીં.
  12. ક્ષીણમોહ: આ ગુણસ્થાનકમાં બધા જ કષાયો ક્ષીણ થઈ ગયેલા હોય છે. ફક્ત સંજ્વલન જેવું રહે છે. જ્યારે સંજ્વલન ખાલી થઈ જાય, ત્યારે જીવ આગલા ગુણસ્થાનકે પહોંચે છે.
  13. સયોગી કેવળી: આ એ ગુણસ્થાનક છે, કે જ્યાં કેવળજ્ઞાન થાય છે.
  14. અયોગી કેવળી: કેવળજ્ઞાન થઈને મોક્ષે જવા માટે ફક્ત એક સમય જેટલો જ ભાગ જીવ આ ગુણસ્થાનકે રહે છે. શૈલેષીકરણ ક્રિયા કરીને એક સમયમાં જ આત્મા મોક્ષે જતો રહે છે, તે આ જગતમાંથી હંમેશ માટે મુક્ત થાય છે અને સિદ્ધશિલામાં તેની શુદ્ધ અવસ્થામાં બિરાજે છે. સિદ્ધશિલા આ બ્રહ્માંડની ટોચ પર આવેલી છે.

નિર્વાણ

અંતે, ધર્મનાથ ભગવાનની કથા પર પાછા આવીએ તો, તેમને ૪૩ ગણધરો હતા. પ્રભુને લાખો સાધુઓ, સાધ્વીઓ, શ્રાવક અને શ્રાવિકાઓ હતા, જે એમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે જાય છે. ૧૦૮ મુનિઓની સાથે ધર્મનાથ પ્રભુ સમ્મેત શિખરજીથી નિર્વાણ પામે છે.

આ રીતે તીર્થંકર કરોડો લોકોને મુક્ત કરવા માટે એક મોટું નિમિત્ત બને છે.

×
Share on