સંભવનાથ ભગવાન વર્તમાન કાળચક્રના ત્રીજા તીર્થંકર હતા. તેમનો વર્ણ સુવર્ણ હતો અને તેમના દેહની ઊંચાઇ ૪૦૦ ધનુષ પ્રમાણની હતી. તેમના માતા સેનાદેવી અને પિતા શ્રાવસ્તીના રાજા જિતારી હતા. તેમના શાસન દેવ ત્રિમુખ યક્ષ દેવ અને શાસન દેવી દુરિતારી યક્ષિણિ દેવી હતા. ભગવાનનું લાંછન ઘોડાનું હતું.
ચાલો હવે ભગવાનના, તીર્થંકર તરીકે થવાના જન્મ પૂર્વેના બે ભવોની જીવનકથાઓ જોઇએ. અંતમાં, આપણે સંભવનાથ ભગવાનની કથા પણ જોઇશું.
તેમના પૂર્વ ભવમાં, તેઓ ઘાતકીખંડ દ્વીપના ઐરાવત ક્ષેત્રમાં આવેલા ક્ષેમપુરી શહેરમાં જન્મ્યા હતા. તેમનું નામ રાજા વિપુલવાહન હતું.
તેઓ દયાળુ હ્રદયના અને કરૂણામય શાસક હતા, જેઓ પ્રજાને ખૂબ પ્રેમ કરતા અને કાળજી રાખતા. તેમના રાજ્યમાં રહેતા લોકોની મદદ માટે તેઓ કાયમ કાર્યરત હતા. લોકો તેમને ખુબ જ સન્માનપૂર્વક જોતા હતા. રાજા એટલી કાળજી રાખતા હતાં કે, તેમની પ્રજા સુખપૂર્વક જીવન જીવી શકે. તેઓ લોકોને સારા કાર્યો માટે સન્માન આપતા અને જેઓ ખોટું કાર્ય કરતા તેઓને સજા કરતા. તેઓ અત્યંત વિનમ્ર રાજા હતા. જેમણે ક્યારેય પોતાના અહંકારનું કે પોતાની સત્તાનું પ્રદર્શન કર્યું ન હતું.
રાજા ખૂબ આધ્યાત્મિક હતા અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં ખૂબ રુચિ ધરાવતા હતા. ફૂરસદનો સમય તેઓ ધ્યાન, તીર્થંકરોની આરાધના અને આધ્યાત્મિક અભ્યાસમાં વીતાવતા હતા. તેઓ શ્રાવક ધર્મના ૧૨ વ્રતોનું પાલન કરતાં હતા. તેમના રાજ્યમાંથી કોઇ પણ વ્યક્તિ ખાલી હાથે પાછું જતું નહિ. તેઓ શુધ્ધ હ્રદયથી દાન કરતા હતા. અહંકાર રહિત ઉદારતા સભર કાર્યો માટે તેઓ ખુબ પ્રખ્યાત થયા હતા.
એક વખત, ત્યાં અત્યંત દુકાળ પડ્યો અને લોકો અન્ન અને પાણી વિના ટળવળી રહ્યા હતા. ખોરાકની અછતને કારણે, લોકો ઝાડના પાંદડા ખાવા લાગ્યા હતા. લોકો ખોરાકનો એક કટકો મેળવવા માટે પણ ખૂબ ભટકતા. કુટુંબના સભ્યો પણ ખોરાક માટે અંદરોઅંદર ઝઘડતા હતા. બેરોજગારીને કારણે પ્રજાએ ચોરી કરવાનું શરૂ કરી દીધું હતું. લોકો ધર્મનું પાલન કરતાં બંધ થઇ ગયા હતા.
જ્યારે રાજાને લોકોની આવી પરિસ્થિતિની અને વ્યવહારની જાણ થઈ, ત્યારે તેમણે અનુભવ્યું કે, પ્રજાનું રક્ષણ કરવું તે તેમની જવાબદારી છે. તેમણે રાજ દરબાર બોલાવ્યો અને જાહેર કર્યું કે તેમનું સઘળું ધન, ખોરાક અને પાણી ચતુર્વિધ સંઘ, એટલે કે, સાધુઓ અને સાધ્વીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓને વાપરવા માટે છુટ રહેશે. તેઓએ આગળ કહ્યું કે, “ચતુર્વિધ સંઘના વપરાશ પછી, જો કંઇ વધે તો જ મને આપવું, બાકી, હું ઉપવાસ કરીશ.” દુકાળ દરમ્યાન, ઘણા પ્રસંગે રાજાને ભૂખ્યા-તરસ્યા રહેવું પડ્યું. પરંતુ તેમણે આ બધું જ કોઈપણ પ્રકારની અપેક્ષા વિના કર્યું.
અહંકાર રહિત અને કરુણાભાવપૂર્વક દાનના પરિણામે, રાજા વિપુલવાહન તીર્થંકર નામ-ગોત્ર બાંધે છે. દુકાળ પછી, સામાન્ય સમય ફરી પાછો આવ્યો. એક દિવસ, રાજા મહેલની અગાસીમાં બેઠા હતા, ત્યારે તેમણે વરસાદી મેઘ જોયા અને ખુશ થઈને વિચાર્યું કે વરસાદ આવશે પરંતુ થોડી ક્ષણોમાં, પવન સાથે વાયુવેગે તે મેઘ આગળ પસાર થઇ ગયું. આ સાથે, તેમણે વિચાર્યું કે કશા પર વિશ્વાસ ન કરવો જોઇએ. બધું ક્ષણિક જ છે. આમ, તીવ્ર વૈરાગ્યની લાગણી તેઓમાં ઉદ્ભવી. તેમનો મોહ નાશ પામ્યો અને તમામ સાંસારિક બંધનોમાંથી મુક્ત થયા.
તેઓએ દીક્ષા લઇને મોક્ષમાર્ગે પ્રગતિ કરવાનો નિશ્ચય કર્યો. વિપુલવાહન રાજાએ તેમના પુત્રને રાજગાદી સંભાળવાનું કહ્યું. જો કે, તે શરૂઆતમાં જવાબદારી લેવા માટે તૈયાર ન થયો, પરંતુ રાજાના અત્યંત આગ્રહથી તેણે જવાબદારી સ્વીકારી અને તેણે રાજ્ય સંભાળ્યું. ત્યારપછી વિપુલવાહન રાજાએ એ કાળના મોટા આચાર્ય શ્રી સ્વયંપ્રભ સૂરિ પાસેથી દીક્ષા લીધી.
તેઓ અત્યંત કઠિન તપ અને પ્રતિક્રમણ કરીને કષાયોમાંથી મુક્ત થઇ શુધ્ધ થયા અને ત્યારબાદ આત્મજ્ઞાન પ્રાપ્ત થયું. મૃત્યુ પછી, તેમનો જીવ આણત નામનાં નવમાં દેવલોકને પામ્યો.
આણત દેવલોકમાંથી, રાજા વિપુલવાહનનો આત્મા રાણી સેનાદેવી, જે ભરતક્ષેત્રમાં શ્રાવસ્તી નગરીના રાજા જિતારીના પત્ની હતા, તેમના ગર્ભમાં પ્રવેશે છે.
માગશર સુદ ચૌદશના દિવસે, ભગવાનનો જન્મ થાય છે. જ્યારે ભગવાન સંભવનાથ, રાણી સેનાદેવીના ગર્ભમાં હતા, તે વર્ષે, રાજ્યમાં મગફળીનો પાક ખૂબ જ ઊગ્યો. તે કાળમાં, મગફળીને સંભા કહેતા હતા, આના પરથી, ભગવાનનું નામ સંભવનાથ રાખવામાં આવ્યું. ભગવાનને અશ્વનું લાંછન હતું. જન્મથી જ, તેઓ શ્રુત, મતિ અને અવધિ આ ત્રણ પ્રકારના જ્ઞાન સહિત હતાં. બાલ્યકાળ અને કુમાર અવસ્થામાં રાજકુમાર રાજવી વૈભવો સહીત મોટા થયા પરંતુ વૈભવી જીવનશૈલીમાં તેઓને જરા પણ રસ આવ્યો ન હતો. યોગ્ય ઉંમરે, સંભવ કુમારના લગ્ન થયા અને રાજગાદી સંભાળી. ખૂબ લાંબો સમય અને શાંતિપૂર્વક રાજ્ય ચલાવ્યા પછી, દેવલોકોની વિનંતિથી, તેઓએ દીક્ષા લેવાનું નક્કી કર્યું. પછી, એક વર્ષ સુધી, ભગવાને વર્ષીદાન કર્યું.
વર્ષ પછી, દીક્ષા સમારોહ ઉજવાયો. બધા દેવલોકોએ સમારોહની પૂરતી કાળજી લીધી. ૨૦,૦૦૦ અન્ય રાજાઓએ ભગવાન સંભવનાથ સાથે દીક્ષા લીધી. દીક્ષાના ૧૪ વર્ષ પછી, ભગવાનને કાર્તિક વદ પાંચમે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.
તીર્થંકર ભગવાનને કેવળજ્ઞાન થયા પછી જ દેવો સમવોસરણની રચના કરે છે. તીર્થંકર ભગવાન કેવળજ્ઞાન થયા પછી જ દેશના આપે, એના પહેલા મૌન જ હોય.
તીર્થંકરની વાણીનો પ્રભાવ એવો હોય કે તે બધા કર્મોના આવરણોથી મુક્ત કરી શકે, લોકો દેશના સાંભળે તો તેઓને પણ કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ શકે. તીર્થંકરની વાણીનો આવો પ્રભાવ હોય છે. તે વાણી તમામ અજ્ઞાનના આવરણોથી સંપૂર્ણપણે મુક્ત હોય છે. તેથી, મોક્ષ પમાડવા માટે તીર્થંકર ગૌત્ર બંધાયેલું હોય છે. તેઓ પોતે મોક્ષ પ્રાપ્ત કરે છે અને બીજા અનેકોને, પણ, તેમની સાથે મોક્ષે લઈ જાય છે.
અનેક લોકો તીર્થકરની વાણીનો લાભ લઇ શકે, એ હેતુથી દેવો સમોવસરણની રચના કરે છે. તીર્થકર ભગવાનની દેશના અને સમોવસણમાં પધારવા દેવો મનુષ્યને ઘેર ઘેર સંદેશો પાઠવીને બોલાવે છે. સંભવનાથ ભગવાને “અનિત્ય ભાવના” પર દેશના આપી જે વિનાશી જગતની ક્ષણભંગુરતા તરફ નિર્દેશ કરે છે, સંસારની કઈ વસ્તુઓ વિનાશી છે અને કઈ વસ્તુઓ શાશ્વત છે, તે દર્શાવે છે. માત્ર શુદ્ધાત્મા જ શાશ્વત છે; બીજી બધી વસ્તુઓ ક્ષણિક છે. માત્ર શબ્દોમાં જ નહિ પરંતુ આપણે હંમેશા એવી જાગૃતિમાં રહેવું જોઇએ કે શું વિનાશી છે.
બધા ગણધરો (તીર્થંકરોના મુખ્ય શિષ્યો) ભગવાનની પર્શદામાં બિરાજમાન હોય છે. તેમના ગણધરો પૈકી, તેમના મુખ્ય ગણધર ચારૂ હતા. ગણધર ચારૂ, સંભવનાથ ભગવાન પાસેથી બધુ જ્ઞાન ગ્રહણ કરતા અને લોકોમાં મોક્ષનું બીજ વાવવા જ્ઞાનરૂપી ઉપદેશ લોકોને આપતા. ઘણા લોકોને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું અને માત્ર ભગવાનની કૃપાદ્રષ્ટિથી જ બધા દુ:ખોથી મુક્તિ મેળવી.
તેમની પહેલી દેશનામાં, ભગવાન સંભવનાથે ‘અનિત્ય ભાવના’ વિષે સમજાવ્યું હતું. તેઓએ અસરકારક રીતે સમજાવ્યું કે આ સંસારમાં શું ‘અનિત્ય’ છે અને શું ‘નિત્ય’ છે. અનિત્ય એટલે વિનાશી અને નિત્ય એટલે શાશ્વત. માત્ર શબ્દોમાં નહિ, પરંતુ જે બધું અનિત્ય અથવા વિનાશી છે તે વિષે સતત જાગૃત રહેવું જોઇએ. નાશવંતતાનો નિયમ જે સંસારને ચલાવે છે તે આપણા જીવનમાં દરેક ક્ષણે ખ્યાલમાં રહેવો જોઇએ; થોડી વાર માટે અનિત્ય ભાવના વિશે વિચારવું એ પૂરતું નથી. શું અનિત્ય છે અને શું નિત્ય છે તેની ભેદરેખા સ્પષ્ટ હોવી જોઇએ.
આપણી પાંચ ઇન્દ્રિયો દ્વારા આ જગતમાં આપણે જે કંઇ જોઇએ છીએ અને અનુભવીએ છીએ તે વિનાશી છે. ચાલો કઈ રીતે તે જોઇએ!
આપણે માનીએ છીએ કે ઉપરની બધી સાંસારિક ચીજોમાં સુખ છે. આપણે એવું પણ વિચારીએ છીએ કે આ સુખ કાયમ રહેશે. જો કે, વિનાશી ચીજોમાંથી મેળવેલ સુખ પણ વિનાશી હોય છે, અનિત્ય, ખરૂ ને? તે આપણો મોહ છે કે આપણે વિનાશી ચીજોને અવિનાશી માની લઈએ છીએ.
છેવટે તો બધું જ વિનાશી છે! માત્ર આત્મા એક જ, જે આપણુ ખરૂ સ્વરૂપ છે,તે જ કાયમનો છે. તેથી, અનિત્ય ભાવનાના સારનું અનુસરણ કરવાથી અને તેની જાગૃતિમાં રહેવાથી આપણે ખરાબ કર્મો કરવામાંથી બચી જઈએ અને આપણા મોહમાંથી મુક્ત થઈ શકીએ.
સંભવનાથ ભગવાન વધુમાં ત્રિપદી ના સિધ્ધાંતનો ઉપદેશ આપે છે જેમાં ઉત્પાદ, ધ્રુવ અને વ્યયનો સમાવેશ થાય છે. આ બ્રહ્માંડમાં ૬ શાશ્વત તત્વો છે, જે આત્મા (ચેતન), જેનો નાશ ન થઈ શકે- ભાગ ન પડી શકે તેવા પરમાણુઓનો સમૂહ (જડ), આકાશ, કાળ, ગતિ સહાયક, અને સ્થિતિ સહાયક. દરેકને પોતાના દ્રવ્ય, ગુણ અને પર્યાયો છે. તેમાંથી દ્ર્રવ્ય અને ગુણ અવિનાશી છે, જ્યારે પર્યાય એ વિનાશી છે. ત્રિપદીનો સિધ્ધાંત પર્યાયને લાગુ પડે છે, એટલે કે, દરેક પર્યાય ઊભા થાય છે, થોડો સમય રહે છે, અને પછી જતા રહે છે. આમ, વ્યક્તિને ખ્યાલ આવે છે કે કઈ રીતે દરેક પર્યાય અનિત્ય અથવા વિનાશી છે!
આ તત્વજ્ઞાન દ્વારા, વ્યક્તિ આત્મ તત્વ શું છે તેનો ચોક્કસ અનુભવ કરી શકે. કેવળજ્ઞાન માં, સૂક્ષ્મતમ બાબતો સરસ રીતે ખુલ્લી થતી હોય છે.
દીર્ઘ કાળ સુધી, સંભવનાથ ભગવાને લોકોને દેશના આપી. તેઓને ૨,૦૦,૦૦૦ સાધુઓ, ૩,૩૬,૦૦૦ સાધ્વીઓ, ૧૫,૦૦૦ કેવળ જ્ઞાનીઓ, ૨,૯૩,૦૦૦ શ્રાવકો અને ૬,૩૬,૦૦૦ શ્રાવિકાઓ હતા. તેમનું અનુસરણ કરનારો વિશાળ સમૂહ હતો, જેઓ બધા મોક્ષ માટે પાત્રતા ધરાવતા હતા. તેઓ સમેદ શિખરજી પરથી ૧,૦૦૦ સાધુઓ સાથે નિર્વાણ પ્રાપ્ત કરે છે.
સમેદ શિખરજી, અત્યંત પવિત્ર તીર્થસ્થળ, એ પવિત્ર પર્વત છે, જ્યાંથી આ કાળચક્રના ૨૦ તીર્થંકરોએ મોક્ષ પ્રાપ્ત કર્યો છે. તે આ સંસારની અત્યંત શુધ્ધ જગ્યા છે. સંભવનાથ ભગવાન તે ૨૦ તીર્થંકરોમાંના એક હતા જેઓ ત્યાં પહોંચ્યા અને કેવળજ્ઞાન પછીનો મોક્ષ મેળવ્યા પહેલાનો બધો જ સમ્ય ત્યાં જ પસાર કર્યો.
તેમના નિર્વાણના સમયે, શૈલેષીકરણની ઘટના બની, જેમાં આત્મા આખા શરીરમાંથી આત્માને સંકોચીને બ્રહ્મરંધ્રમાંથી સિધ્ધ ક્ષેત્રમાં પ્રયાણ કરે છે. આ નિર્વાણ કહેવાય છે. બધા દેવોએ બધી અંતિમ વિધિઓ કરી અને તેમના અસ્થિઓ ભેગા કરી બધા વચ્ચે વહેંચી દીધા. આવું એટલા માટે કરાય છે કે ભગવાનના અસ્થિઓ પવિત્ર મનાય છે.
તીર્થંકરના તત્વજ્ઞાન સહીતની વાણી કે જે સંભવનાથ ભગવાનની કથામાં વર્ણવેલ છે, તેને ગ્રહણ કરવાથી અને તેમની પૂજા કરવાથી પણ, આપણે મોક્ષના માર્ગ પર પ્રગતિ કરી શકીએ છીએ.
subscribe your email for our latest news and events