Related Questions

તપ વખતે પાર્શ્વનાથ ભગવાનની ધ્યાનની સ્થિતિ કેવી હતી?

આમને કયાં પહોંચી વળાય ? આમને ત્યાં તો બંદૂકો મારીએ તો ગોળીઓ નકામી જાય એવું છે ! ને ઉપરથી વેર બંધાય. એક માણસ જોડે વેર બંધાય તો સાત ભવ બગાડે. એ તો એમ કહેશે કે, 'મારે તો મોક્ષે જવું નથી, પણ તને ય હું મોક્ષે જવા નહીં દઉં !' આ પાર્શ્વનાથ ભગવાનને કમઠ જોડે આઠ ભવથી કેવું વેર હતું ? તે વેર, ભગવાન વીતરાગ થયા ત્યારે છૂટયું ! કમઠેથી કરાયેલા ઉપસર્ગ તો ભગવાન જ સહન કરી શકે ! આજના મનુષ્યનું તો ગજું જ નહીં. એ પાર્શ્વનાથ ભગવાન ઉપર કમઠે અગ્નિ વરસાવ્યો, મોટા મોટા પથ્થરો નાખ્યા, ધોધમાર વરસાદ વરસાવ્યો; છતાં, ભગવાને બધું સમતાભાવે સહન કર્યું ને ઉપરથી આશીર્વાદ આપ્યા ને વેર ધોઇ નાખ્યું.

બિલાડીને ઉંદરની સુગંધ આવે તેમ વેરવીને એકબીજાની સુગંધ આવે, તેમને ઉપયોગ દેવો ના પડે. તેમ પાર્શ્વનાથ ભગવાન નીચે ધ્યાનમાં હતા ને કમઠ દેવ થયેલા તે ઉપરથી જતા હતા. તેમને નીચે દ્રષ્ટિ નહોતી નાખવી તો ય તે નીચે પડી અને પછી તો ભગવાન ઉપર ઉપસર્ગ કર્યા, મોટા મોટા પથ્થરો નાખ્યા, અગ્નિ વરસાવ્યો, ધોધમાર વરસાદ વરસાવ્યો, બધું જ કર્યું. ત્યારે ધરણેન્દ્ર દેવ કે જેમના ઉપર ભગવાનનો પૂર્વભવમાં ઉપકાર હતો તેમણે અવધિજ્ઞાનમાં આ જોયું ને આવીને ભગવાનના માથે છત્ર બની રક્ષણ કર્યું ! ને દેવીઓએ પદ્મકમળ રચીને ભગવાનને ઊંચકી લીધા ! અને ભગવાન તો આટલું બધું બન્યું છતાં ય ધ્યાનમાં જ રહ્યા ! તેમને ઘોર ઉપસર્ગ કરનાર કમઠ, વેરવી જોડે કિંચિત્ માત્ર દ્વેષ નથી થતો અને ઉપકારી ધરણેન્દ્ર દેવ અને દેવીઓ પર કિંચિત્ માત્ર રાગ નથી થતો એવા વીતરાગ પાર્શ્વનાથ ભગવાન ઉઘાડી વીતરાગ મુદ્રામાં સ્થિત દેખાય છે ! એમની વીતરાગતા ખુલ્લી દેખાય છે ! ગજબની વીતરાગતામાં રહે છે. ચોવીસેય તીર્થકરોની મૂર્તિઓમાં વીતરાગનાં દર્શન માટે પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ ગજબની છે !

આજે તો આ લોકને સહન કરવાનું જરા ય છે નહીં, છતાં રોજ ગા ગા કરે ! આખી જિંદગીનું સરવૈયું કાઢે તો ય મહાન પુરુષનું એક દહાડાનું ય દુઃખ ના હોય, છતાં ય ગા ગા કરે !

×
Share on