Related Questions

અંબામા અને દુર્ગામાતા કોણ છે?

ગુજરાતમાં ઠેરઠેર અંબામાની ખૂબ ભક્તિ અને આરાધના થતી હોય છે. બંગાળમાં અંબામાની દુર્ગામાતાના સ્વરૂપમાં ભક્તિ અને મહારાષ્ટ્રમાં તુળજા ભવાનીમાના સ્વરૂપમાં આરાધના થાય છે. નેમિનાથ ભગવાન જે ગત ચોવીસીમાં બાવીસમા તીર્થંકર થઈ ગયા, તેમના શાસન દેવી તરીકે જૈન ધર્મના લોકો અંબામાને આરાધે છે. આમ, સર્વ ધર્મોએ અંબામાને પોતાના આરાધ્ય દેવી તરીકે સ્વીકાર્યા છે.

ગુજરાતમાં અને બંગાળમાં નવરાત્રિનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. ઘણા લોકો નવરાત્રિના બધા દિવસો ઉપવાસ કરે છે, માળાઓ કરે છે અને ગરબા કરીને માતાજી પ્રત્યેની ભક્તિને વ્યક્ત કરે છે.

ભારત દેશમાં અધ્યાત્મ વિજ્ઞાન એટલું વિશાળ છે કે જુદી જુદી શક્તિને ઓળખવા લોકોએ માતાજીના જુદા જુદા નામ પાડ્યા હતા. ખૂબ શોધખોળ કરીને અંબામા, સરસ્વતીદેવી, લક્ષ્મીદેવી જેવા માતાજીની શોધ થઈ હતી! પણ અત્યારે એની પાછળનું વિજ્ઞાન વિસરાઈ રહ્યું છે! માતાજીની સાચા સ્વરૂપની ભક્તિ કરવાથી ચોક્કસ ફળ મળે છે.

અહીં આપણે અંબામાને ખરા સ્વરૂપે ઓળખવાની સમજણ મેળવીશું.

અંબામા, દુર્ગામા એ આદ્યશક્તિ

બધાં માતાજી દૈવી શક્તિ છે, તેઓ આદ્યશક્તિનું સ્વરૂપ છે. આદ્યશક્તિ એટલે પ્રાકૃતિક શક્તિ.

મનુષ્યની અંદર બે ભાગ પડે છે, એક છે પુરુષ અને બીજો ભાગ છે પ્રકૃતિ. આત્મા એ પુરુષ છે અને પ્રકૃતિ એ શક્તિ સ્વરૂપ છે.

શાસ્ત્રોમાં નારાયણ અને નારાયણી, શિવ અને પાર્વતી, અર્ધનારીશ્વર વગેરેનું વર્ણન આવે છે, તેમાં પણ આ બે ભાગ જોવા મળે છે. એક છે પ્રકૃતિ. આપણા મન-વચન-કાયા, અંદર મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર તેમજ ક્રોધ-માન-માયા-લોભરૂપી કષાયો આ બધું પ્રકૃતિમાં જાય છે. જ્યારે બીજી બાજુ આત્મા એ જ પરમાત્મા છે, જેને પુરુષ કહેવાય છે.

પ્રકૃતિદશામાં ઊંચું સ્વરૂપ એ આદ્યશક્તિ સ્વરૂપ કહેવાય છે. એક બાજુ આત્મા શિવસ્વરૂપ થયો, તો પ્રકૃતિ આદ્યસ્વરૂપ થઈ. એટલે કે, મનુષ્ય પોતે જેટલું આત્માસ્વરૂપ થાય, બીજી બાજુ પ્રકૃતિ એટલી ઊંચી આવે, જેને આદ્યશક્તિ કહેવાય છે. લક્ષ્મીજી પણ પ્રકૃતિ સ્વરૂપ કહેવાય અને નારાયણ એ ભગવાન સ્વરૂપ કહેવાય.

પુરુષ અને પ્રકૃતિ સાથે ને સાથે જ છે. જડ અને ચેતન બેના મિશ્રણથી જે ઊભું થયેલું છે તે આદ્યશક્તિ, પ્રકૃતિ. પ્રકૃતિના સાત્ત્વિક, તામસી, રાજસી એમ ગુણો પ્રમાણે વિભાજન કર્યા છે. પ્રકૃતિ જ્યારે સંપૂર્ણ સત્ત્વગુણી થાય ત્યારે તે સહજ થાય છે.

આત્મા પોતે પરમાત્મા જ છે, સ્વભાવે સહજ છે, પણ પોતાને તેનું ભાન થયું નથી. જ્યાં સુધી આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી હું પુરુષ છું, પરમાત્મારૂપી છું અને બીજું બધું પ્રકૃતિ છે એ ભેદ ના પડે. જ્યારે આપણી પોતાની પ્રકૃતિ સંપૂર્ણ સહજ થશે, ત્યારે માતાજીના આદ્યશક્તિ સ્વરૂપ સાથે આપણી સાચા અર્થમાં એકતા સધાશે.

માતાજીની ભક્તિનું મહત્ત્વ

અંબામા, દુર્ગામાતા, પાર્વતી માતા, ભદ્રકાળીમાતા, એ બધા માતાજી એ આદ્યશક્તિ છે. માતાજીની ભક્તિ કરવાથી પ્રકૃતિ સરળ થાય અને ભગવાનની ભક્તિ કરવાથી મોક્ષ થાય.

માતાજીની ભક્તિ કરવાથી આપણી પ્રકૃતિ સહજ થાય. પ્રકૃતિના તામસી અને રાજસી ગુણ ઘટે અને સત્ત્વ ગુણ પ્રગટે. જેમ જેમ પ્રકૃતિ સહજ થતી જાય તેમ તેમ રાગ-દ્વેષ, કષાયો બધા ઘટતા જાય અને અંતરશાંતિ વધતી જાય. જેમની પ્રકૃતિ સહજ થાય તેમની આભા જુદી જ હોય. તેમની હાજરી જ બધાને મધુર લાગે. એવી દશા પ્રાપ્ત થાય ત્યારે ખરા અર્થમાં માતાજી પ્રસન્ન થયા કહેવાય.

માતાજી એ આદ્યશક્તિ છે! તેમની ભક્તિ કરવાથી પ્રાકૃત શક્તિ ઉત્પન્ન થાય. ચાર માતાઓ હાજરાહજૂર છે - અંબામા, બહુચરામા, કાળિકામા અને ભદ્રકાળીમા. માતાજી પાપ ધોઈ ના આપે, પણ પ્રાકૃત શક્તિ આપે.

અંબામા તો સંસારનાં વિઘ્નો દૂર કરી આપે, પણ સંસારથી મુક્તિ તો આત્મજ્ઞાન દ્વારા જ પ્રાપ્ત થાય. અંબામાની ભક્તિ કરવાથી અભ્યુદય અને આનુશંગિક ફળ મળે. એટલે કે, આત્માની પણ ઉન્નતિ થાય અને સંસારમાં પણ પ્રગતિ સધાય.

ઉપરાંત, દરેક દેવીઓના કાયદા હોય છે. તે કાયદા પાળીએ તો માતાજી ખુશ રહે. આપણે અંબામાતાની ભક્તિ કરીએ છીએ, પણ તેમના શું કાયદા છે એ આપણે જાણતા નથી.

અંબાજી દેવી એ પ્રકૃતિની સહજતા સૂચવે છે. જો આપણી પ્રાકૃતિક સહજતા તૂટે તો અંબાજી આપણા ઉપર રાજી કઈ રીતે થાય? જેટલી પ્રકૃતિ ઈમોશનલ ના થાય, તેટલી તે સહજ રહે. ગમે તેવા સંજોગોમાં અંદર ઊંચું-નીચું ના થાય, ક્રોધ-માન-માયા-લોભના કષાયો આપણા પર સવાર ન થઈ જાય, તો સમજવું કે માતાજી આપણાથી પ્રસન્ન થયા છે.

મોટે ભાગે લોકો સંસારી લાભની અપેક્ષાએ માતાજીની ભક્તિ કરતા હોય છે. તેઓ બાધા-આખડી રાખે કે “મારે દીકરો થાય તો માતાનો નૈવેદ્ય કરીશ” અથવા “ધંધો સારો ચાલે તેની માનતા માનીશ” અને કેટલાક તે અર્થે ઉપવાસ પણ કરે. શ્રદ્ધાથી માનતા માને તેમાં ખોટું નથી. પણ વાસ્તવિકતામાં બધા માતાજી બહુ ઊંચા સ્ટેજમાં છે. આપણે સંસારના લાભ માટે નહીં, પણ પોતાની પ્રકૃતિ ખપાવીને મોક્ષના પુરુષાર્થમાં આગળ વધવા માટે, દિલથી અને ભાવથી માતાજીની ભક્તિ કરવી જોઈએ.

માતાજી આવવા, ધૂણવું

લોકોમાં એવી અંધશ્રદ્ધા પ્રવર્તે છે કે નવરાત્રિ જેવા પ્રસંગોમાં માતાજી કોઈ વ્યક્તિના શરીરમાં પ્રવેશે છે અને પછી તે વ્યક્તિ ધૂણે છે. શું ખરેખર માતાજી કોઈના શરીરમાં આવે? અને આવે તો કયા સ્વરૂપે આવે?

આપણે જોઈએ કે એક બાજુ કોઈ સ્ત્રી માતાજી આવ્યા એમ કરીને ધૂણતી હોય અને પછી તપાસ કરીએ તો એ સ્ત્રી એના પતિ સાથે ઝઘડો કરતી હોય. તો શું આવા ઊંચા દરજ્જાના માતાજી આવી ઝઘડા કરતી સ્ત્રીના શરીરમાં આવે?

વાસ્તવિકતામાં, અંબામા કે બીજા કોઈ માતાજી કોઈના શરીરમાં આવતા નથી. અંબામા તો ઘણી ઊંચી દેવગતિમાં રહે છે. તેઓ આ કળિયુગમાં સ્થૂળરૂપે કોઈ શરીરમાં આવતા નથી. આ તો ખાલી સાયકોલોજિકલ ઈફેક્ટ (માનસિક અસર) થાય એટલે વ્યક્તિ ધૂણવા માંડે. ખાસ કરીને સ્ત્રીઓ વધારે ધૂણે. પછી એમને જોઈને આસપાસના લોકો તેમને પગે લાગવા માંડે, એટલે વધુ ધૂણે. આમ સમાજના લોકો જ આ અંધશ્રદ્ધાને વધુ દૃઢ કરે છે. જો વ્યક્તિ ધૂણતી હોય અને તેને લોકો કોઈ પ્રતિભાવ ન આપે તો એ થોડા વખતમાં ધૂણવાનું બંધ કરી દે અને કશું ના થાય.

Related Questions
  1. ભગવાન શું છે?
  2. ભગવાન કોણ છે?
  3. શું ભગવાનનું અસ્તિત્વ છે? ભગવાન ક્યાં છે?
  4. ભગવાનને કોણે બનાવ્યા? ભગવાન ક્યાંથી આવ્યા હતા ?
  5. શું ભગવાને આ જગત બનાવ્યું છે?
  6. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કોણ છે?
  7. વર્તમાને શું કોઈ જીવંત ભગવાન હાજર છે? તેઓ ક્યાં છે? તેઓ આપણને કેવી રીતે મદદ કરી શકે?
  8. ભગવાનને પ્રાર્થના-ભક્તિ કેવી રીતે કરવી?
  9. શું મારા ખરાબ કર્મ માટે ભગવાન મને માફ કરશે કે સજા આપશે?
  10. ભગવાન, જ્યારે મને તમારી જરૂર હોય છે ત્યારે તમે કયા હોવ છો? ભગવાન કૃપા કરીને મને મદદ કરો!
  11. ભગવાનનો પ્રેમ કેવી રીતે પ્રાપ્ત કરવો.
  12. ભગવાન પર ધ્યાન એકાગ્ર કેવી રીતે કરવું?
  13. મૂર્તિપૂજાનું મહત્વ શું છે?
  14. ભગવદ્ ગુણો કયા છે?
  15. ભગવાનનો ખરો અનુભવ કરવા માટેની ચાવી કઈ છે?
  16. ભગવાન કેવી રીતે થઈ શકાય?
  17. અંબામા અને દુર્ગામાતા કોણ છે?
  18. સરસ્વતી માતાને કઈ રીતે રીઝવવા?
  19. દેવી લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
×
Share on