Related Questions

સરસ્વતી માતાને કઈ રીતે રીઝવવા?

સરસ્વતી માતા વાણીના અધિષ્ઠાત્રી દેવી છે. તેમને "શારદા", "વીણાવાદિની" અને "વાગ્દેવી" જેવા વિવિધ નામોથી પણ ઓળખવામાં આવે છે. વિદ્યા, જ્ઞાન અને કળાના ક્ષેત્રોમાં સરસ્વતી દેવીની આરાધના કરવામાં આવે છે.

સરસ્વતી માતાને રીઝવવા હોય, પ્રસન્ન કરવા હોય તો તેમના કાયદા પાળવા પડે. સરસ્વતી માતાના કાયદા શું છે?

વાણીના જે જે નિયમો કે કાયદા લાગુ પડે, તે પાળીએ તો સરસ્વતી માતા ખુશ રહે. વાણીનો દુરુપયોગ કરીએ, જૂઠું બોલીએ, પ્રપંચ કરીએ તો પછી સરસ્વતી દેવી કેમ રાજી થાય?

વાણીથી કોઈપણ જીવને કિંચિત્‌માત્ર દુઃખ ન થાય. જો કોઈને દુઃખ થયું તો સમજવું કે માતાનો કાયદો ભંગ થયો. વાણીથી કોઈને દુઃખ થાય તો સરસ્વતી માતા રાજી ન થાય.

ઉપરાંત, અવળી વાણી બોલવી, કોઈની નિંદા-કૂથલી કરવી એ બધું સરસ્વતી માતાના કાયદા તોડે છે. કોઈ પણ સંત પુરુષ કે સત્‌પુરુષનો અવર્ણવાદ ન કરાય. મહાન પુરુષોનું અવળું ન બોલાય અને એમ કરીએ તો બહુ દોષ લાગે. તેમાંય જ્ઞાનીઓ વિશે અવળું બોલીએ તો મોક્ષમાર્ગે મોટા અંતરાય પડે.

સરસ્વતી માતાની આરાધના એટલે શું? વાણીનો કોઈપણ પ્રકારનો અપવ્યય ના થાય. અપવ્યય એટલે બધી જ રીતે વાણીનો દુરુપયોગ કરવો.

જૂઠું બોલવું, પ્રપંચ કરવા એ બધો વાણીનો અપવ્યય કહેવાય. થોડાક પૈસાનો નફો થતો હોય તેના માટે થઈને જૂઠું બોલીએ તો તે વાણીનો અપવ્યય કહેવાય. વાણીથી કોઈનો લાભ ઉઠાવીએ, કોઈનું નુકસાન થાય તો પણ વાણીનો દુરુપયોગ થયો કહેવાય, તેનાથી સરસ્વતી માતા રાજી ન થાય.

આ કાળમાં કોઈ મનુષ્યનું વચનબળ નથી રહ્યું તેનું શું કારણ? કારણ કે, વાણીના કાયદા નથી પાળ્યા. વાણીથી બીજાને ડરાવ્યા, ધમકાવ્યા હોય તો પણ વાણીનો દુરુપયોગ કર્યો કહેવાય. તેનાથી વચનબળ તૂટી જાય. જૂઠું બોલીને પોતાનો સ્વબચાવ કરે તેથી તો મન, વાણી બધું ફ્રેક્ચર થઈ જાય.

અત્યારે વચનબળ લુપ્ત થઈ ગયું છે. આજના વચનબળ કેવાં હોય? બાપ દીકરાને કહે કે, “ભાઈ, ઊભો થા તો?” ત્યારે દીકરો આડો થઈને સૂઈ જાય! પોતાનો જ દીકરો પોતાની વાત ના માને, એવું નબળું વચનબળ થઈ ગયું છે. કારણ કે વાણીનો ખોટો, અવળો ઉપયોગ થયો છે.

પહેલાના સમયમાં તો કહેતા કે ક્ષત્રિયોનું વચન એવું હોય કે બોલ્યા એટલે બોલ્યા, પછી પાળવું જ રહ્યું. આજકાલ કળિયુગમાં વચન તો દૂર રહ્યું, પણ આખો દસ્તાવેજ લખેલો હોય ને નીચે પોતે સહી કરી હોય તોય ફરી જાય કે, “સહી મારી ન હોય.” એ બધું પણ વાણીનો અપવ્યય કહેવાય.

જ્યારે વાણીનો કોઈ પણ જાતનો અપવ્યય ના થાય તો વચનબળ ઉત્પન્ન થાય. સત્ય બોલીએ અને પાછો સત્યનો આગ્રહ ના પકડી રાખીએ તો વચનબળ પાછું ઉત્પન્ન થાય.

સરસ્વતી માતાની આરાધના કરીને આપણે માંગવું કે મારી વાણી મધુરી હો, કોઈને દુઃખદાયી ન હો. ચારણ જાતિના લોકો સરસ્વતી માતાની મૂર્તિ કે ફોટાની ભજના કરે છે, તો તેમની વાણી કેટલી મીઠી હોય છે!

જ્ઞાની પુરુષની વાણી પ્રત્યક્ષ સરસ્વતી કહેવાય છે. ફોટામાં કે પુસ્તકોમાં જે સરસ્વતી છે, એ પરોક્ષ સરસ્વતી છે. આગળ વધીને, જેમની અંદર પરમાત્મા પ્રગટ થયા છે તેમની વાણી આત્માને સ્પર્શીને નીકળે છે અને તે સાક્ષાત્ સરસ્વતી કહેવાય છે. આવી વાણી તમામ દુઃખોથી મુક્ત કરે છે અને આત્માને જગાડે છે.

Related Questions
  1. ભગવાન શું છે?
  2. ભગવાન કોણ છે?
  3. શું ભગવાનનું અસ્તિત્વ છે? ભગવાન ક્યાં છે?
  4. ભગવાનને કોણે બનાવ્યા? ભગવાન ક્યાંથી આવ્યા હતા ?
  5. શું ભગવાને આ જગત બનાવ્યું છે?
  6. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કોણ છે?
  7. વર્તમાને શું કોઈ જીવંત ભગવાન હાજર છે? તેઓ ક્યાં છે? તેઓ આપણને કેવી રીતે મદદ કરી શકે?
  8. ભગવાનને પ્રાર્થના-ભક્તિ કેવી રીતે કરવી?
  9. શું મારા ખરાબ કર્મ માટે ભગવાન મને માફ કરશે કે સજા આપશે?
  10. ભગવાન, જ્યારે મને તમારી જરૂર હોય છે ત્યારે તમે કયા હોવ છો? ભગવાન કૃપા કરીને મને મદદ કરો!
  11. ભગવાનનો પ્રેમ કેવી રીતે પ્રાપ્ત કરવો.
  12. ભગવાન પર ધ્યાન એકાગ્ર કેવી રીતે કરવું?
  13. મૂર્તિપૂજાનું મહત્વ શું છે?
  14. ભગવદ્ ગુણો કયા છે?
  15. ભગવાનનો ખરો અનુભવ કરવા માટેની ચાવી કઈ છે?
  16. ભગવાન કેવી રીતે થઈ શકાય?
  17. અંબામા અને દુર્ગામાતા કોણ છે?
  18. સરસ્વતી માતાને કઈ રીતે રીઝવવા?
  19. દેવી લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
×
Share on