Related Questions

બુદ્ધિથી કેવી રીતે છૂટી શકાય?

પ્રશ્નકર્તા : બુદ્ધિ કાઢવી જ છે. કારણ કે બહુ માર ખવડાવે છે.

દાદાશ્રી : તે બુદ્ધિ કાઢવી હોય તો બુદ્ધિ કંઈ (એમ ને એમ) જતી ના રહે. બુદ્ધિ તો આપણે એનાં કારણોને કાઢીએ તો આ કાર્ય જતું રહે. બુદ્ધિ એ કાર્ય છે. એનાં કારણો શું ? વાસ્તવિકતામાં જે બન્યું, એને ન્યાય કહેવામાં આવે, ત્યારે એ જતી રહે. જગત શું કહે ? વાસ્તવિકતાનું બનેલું ચલાવી લેવું પડે. અને ન્યાય ખોળ ખોળ કરે ને તેમાં ઝઘડાં ચાલુ રહે.

એટલે એમ ને એમ બુદ્ધિ ના જતી રહે. બુદ્ધિ જવાનો માર્ગ, એનાં કારણો ના સેવીએ તો બુદ્ધિ, એ કાર્ય ના થાય.

પ્રશ્નકર્તા : આપે કહ્યું ને કે બુદ્ધિ એ કાર્ય છે અને એનાં કારણો શોધો તો એ કાર્ય બંધ થઈ જાય.

દાદાશ્રી : એનાં કારણોમાં, આપણે છે તે ન્યાય ખોળવા નીકળ્યા, એ એનું કારણ. ન્યાય ખોળવાનું બંધ કરી દઈએ તો બુદ્ધિ જતી રહે. ન્યાય શેના માટે ખોળો છો ? ત્યારે પેલી વહુ શું કહે ? 'પણ તું મારી સાસુને ઓળખતી નથી. હું આવી ત્યારથી એ દુઃખ દે છે. એમાં મારો શો ગુનો ?'

કોઈ ઓળખ્યા વગર દુઃખ દેતું હશે ? એ ચોપડે જમે હશે તો તને આપ આપ કરે છે. ત્યારે કહે, 'પણ મેં તો એનું મોઢું જ જોયું નહોતું.' 'અરે, પણ તે આ ભવમાં નથી જોયું પણ આગલા ભવના ચોપડા શું કહે છે ?' માટે જે બને એ જ ન્યાય.

ઘેર છોકરો દાદાગીરી કરે છે, એ દાદાગીરી એ જ ન્યાય. આ તો બુદ્ધિ દેખાડે છે, છોકરો થઈને બાપની સામે દાદાગીરી ? જે બન્યું એ જ ન્યાય !

એટલે આ 'અક્રમ વિજ્ઞાન' શું કહે છે ? જુઓ આ ન્યાય ! લોક મને કહે છે, 'તમે બુદ્ધિ શી રીતે કાઢી નાખી ?' ન્યાય ખોળ્યો નહીં એટલે બુદ્ધિ જતી રહે. બુદ્ધિ ક્યાં સુધી ઊભી રહે ? ન્યાય ખોળીએ અને ન્યાયને આધાર આપીએ તો બુદ્ધિ ઊભી રહે, તો બુદ્ધિ કહેશે, 'આપણા પક્ષમાં છે ભાઈ.' એ કહેશે, 'આટલી સરસ નોકરી કરી અને આ ડાયરેક્ટરો શા આધારે વાંકું બોલે છે ?' આ આધાર આપો છો ? ન્યાય ખોળો છો ? એ બોલે છે તે જ કરેક્ટ છે. અત્યાર સુધી કેમ નહોતાં બોલતા ? કયા આધારે નહોતા બોલતા ? અત્યારે કયા ન્યાયના આધારે એ બોલે છે ? વિચારતાં ના લાગે કે એ બોલી રહ્યા છે, તે સપ્રમાણ છે ? અલ્યા, પગારવધારો નથી આપતો એ જ ન્યાય છે. આપણાથી એને અન્યાય શી રીતે કહેવાય ?

×
Share on