Related Questions

અનીતિનાં પૈસાની શું ઈફેક્ટ આવે છે?

મુંબઈમાં એક ઊંચા સંસ્કારી કુટુંબના બેનને મેં પૂછ્યું કે, 'ઘરમાં ક્લેશ તો નથી થતો ને?' ત્યારે એ બેન કહે, 'રોજ સવારમાં ક્લેશના નાસ્તા જ હોય છે!' મેં કહ્યું, 'ત્યારે તમારે નાસ્તાના પૈસા બચ્યા, નહીં?' બેન કહે, 'ના, તેય પાઉં પાછા કાઢવાના, પાઉંને માખણ ચોપડતા જવાનું.' તે ક્લેશેય ચાલુ ને નાસ્તાય ચાલુ! અલ્યા, કઈ જાતના જીવડાંઓ છે?

પ્રશ્નકર્તા: કેટલાકના ઘરમાં લક્ષ્મી જ એવા પ્રકારની હશે એટલે ક્લેશ થતો હશે?

money

દાદાશ્રી: આ લક્ષ્મીને લીધે જ આવું થાય છે. હંમેશાં જો લક્ષ્મી નિર્મળ હોય તો બધું સારું રહે, મન સારું રહે. આ લક્ષ્મી માઠી ઘરમાં પેઠી છે, તેનાથી ક્લેશ થાય છે. અમે નાનપણમાં નક્કી કરેલું કે બનતા સુધી ખોટી લક્ષ્મી પેસવા જ ના દેવી, છતાં સંજોગોવશાત્ પેસી જાય તો તેને ધંધામાં રહેવા દેવી, ઘરમાં ના પેસવા દેવી, તે આજે છાસઠ વરસ થયા પણ ખોટી લક્ષ્મી પેસવા દીધી નથી, ને ઘરમાં કોઈ દહાડો ક્લેશ ઊભો થયોય નથી. ઘરમાં નક્કી કરેલું કે આટલા પૈસાથી ઘર ચલાવવું. ધંધો લાખો રૂપિયા કમાય, પણ આ પટેલ સર્વિસ કરવા જાય તો શું પગાર મળે? બહુ ત્યારે છસો-સાતસો રૂપિયા મળે. ધંધો એ તો પુણ્યૈના ખેલ છે. મારે નોકરીમાં મળે એટલા જ પૈસા ઘેર વપરાય, બીજા તો ધંધામાં જ રહેવા દેવાય. ઈન્કમટેક્ષવાળાનો કાગળ આવે તે આપણે કહેવું કે 'પેલી રકમ હતી તે ભરી દો.' ક્યારે કયો 'એટેક' થાય તેનું કશું ઠેકાણું નહીં અને જો પેલા પૈસા વાપરી ખાય તો ત્યાં ઈન્કમટેક્ષવાળાનો 'એટેક' આવ્યો, તે આપણે અહીં પેલો 'એટેક' આવે! બધે 'એટેક' પેસી ગયા છે ને? આ જીવન કેમ કહેવાય? તમને કેમ લાગે છે? ભૂલ લાગે છે કે નથી લાગતી? તે આપણે ભૂલ ભાંગવાની છે.

×
Share on