ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી: અગિયાર ગણધરો અને ચતુર્વિધ સંઘ

શ્રી ભગવાન મહાવીર પોતાના કર્મો ખપાવવા કાયોત્સર્ગ મુદ્રામાં પોતાના આત્મધ્યાનમાં લીન હતા ત્યારે એક ગોવાળે ભગવાનના કાનમાં બરુ ઠોકીને ભયંકર ઉપસર્ગ કર્યો. એક વૈદ્ય અને એક વણિક શેઠના ઉત્તમ નિમિત્તથી ભગવાનના કાનમાં ખોસાયેલા બરુ નીકળ્યા અને અંતે ભગવાન રોગમુક્ત થયા. તીર્થંકર ભગવાન મહાવીરના કેવળજ્ઞાનની એ દિવ્ય ક્ષણો કેવી હશે! ત્યારે દેવો તથા માનવો દ્વારા કેવો આનંદોત્સવ થયો હશે એ વિશે તથા તેમના ગણધરો અને ચતુર્વિધ સંઘની સ્થાપના વિશે વાંચીએ.

શ્રી મહાવીર સ્વામી - કેવળજ્ઞાન

ભગવાન મહાવીર વિહાર કરતાં કરતાં ઋજુવાલિકા નદીને કિનારે પહોંચ્યા. ત્યાં જૃંભિક ગામના પાદરે, શાલના વૃક્ષની નીચે ભગવાન પોતાના આત્મધ્યાનમાં રહેતા રહેતા જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય અને અંતરાય - આ ચાર ઘાતીકર્મોનો સંપૂર્ણ ક્ષય કરીને કેવળજ્ઞાન પામ્યા. ભગવાનને કેવળજ્ઞાન થયું એ દિવસ વૈશાખ સુદ દશમનો હતો અને ત્યારે દેવોએ ખૂબ આનંદ અને હર્ષોલ્લાસમાં દુંદુભિઓનો નાદ કર્યો.

mahavira kevalgnan

જેની દેવો તથા ચંદનબાળા જેવા કેટલાંય લોકો રાહ જોઈને બેઠા હતા કે ક્યારે ભગવાન મહાવીરને કેવળજ્ઞાન થાય અને ક્યારે તેમને ભગવાનના શરણમાં જઈને, એમની પર્ષદામાં બેસીને નિરંતર દેશના સાંભળવા મળે! એમની દેશના માટે લોકો તડપી રહ્યાં હતાં. પ્રભુને કેવળજ્ઞાન થયું ત્યારે ત્રણેય લોકમાં શાંતિ શાંતિ શાંતિ થઈ ગઈ. ભગવાનની દેશનાની બહુ ઊંચી પળ હતી.

શ્રી મહાવીર સ્વામી - દેશના આશ્ચર્ય

ભગવાન મહાવીરને કેવળજ્ઞાન થયા બાદ દેવોએ સમોવસરણ રચ્યું અને બધે જ ઓહોહો આનંદ આનંદ કર્યો! આકાશવાણી થાય, દેવો ત્યાં દોડી દોડીને આવે એ જોઈને લોકોને પણ થાય કે ભગવાનની દેશના નજીકમાં છે અને લોકો દોડી દોડીને આવે. પણ, ભગવાન મહાવીરના વખતમાં એક મોટી બીના બની ગઈ કે એમને કેવળજ્ઞાન થયા બાદ, દેવો દ્વારા પહેલું સમોવસરણ રચાયું પણ એમની પ્રથમ દેશના સંપૂર્ણ નિષ્ફળ ગઈ. ભગવાનની દેશના સાંભળવા કોઈ આવ્યું જ નહીં.

પાંચમો આરો બેસવાનો નજીકનો કાળ હોવાથી લોકોના કેટલા બધા દુર્ભાગ્ય કે ભગવાનની દેશના સાંભળવા કોઈ ના આવ્યું! આ મોટું આશ્ચર્ય કહેવાય છે. અધ્યાત્મ જગતના દસ આશ્ચર્યોમાંનું આ એક આશ્ચર્ય ગણાય છે કે ભગવાન મહાવીરની દેશનામાં એક પણ વ્યક્તિ હાજર ન હતું. અલબત્ત, બધા દેવો હાજર હતા પણ દેવો જેમની માટે બધું કરી રહ્યા હતા એ મનુષ્યો આવ્યા ન હતા.

ભગવાનના શ્રીમુખેથી નીકળેલી વાતની તો ક્યાં વાત જ કરવી! ભગવાન મહાવીરની વાણીમાંથી અગિયાર અંગ અને બાર ઉપાંગ એવા સુંદર શાસ્ત્રો રચાયાં છે. એમાં ખાસ કરીને, ઉત્તરાધ્યયન સૂત્ર, ભગવતી સૂત્ર, આચારાંગ સૂત્ર, સ્થાનાંગ સૂત્ર (ઠાણાંગ સૂત્ર) અને સૂયગડાંગ સૂત્ર વગેરે કેટલાંય શાસ્ત્રો ભગવાનની વાણીના આધારે રચાયાં છે.

આ સૂત્રો આપણી પાસે અત્યારે હાજર છે, પણ એની માટે આપણે ઘણી બધી વસ્તુઓ ગુમાવવી પડે છે. કારણ કે ભગવાનની સામે બેસીને આપણે પ્રત્યક્ષ દેશના સાંભળીએ અને ૨૫૦૦ વર્ષો પહેલાંની નીકળેલી વાણી. પહેલાં તો કોઈ લખતું નહોતું પણ ગણધરો ઝીલતા હતા, અંદર ધારણ કરતા હતા અને આગળ પ્રદાન કરતા હતા અને કેવળીઓ એ વાણી અક્ષરેઅક્ષર, કાનો-માત્રાના ફેરફાર વગર આગળ પ્રદાન કરી શકતા હતા. પણ એની પછી આગળ પ્રદાન કરવામાં ફેરફાર થઈ જ જાય.

જે લોકોને તીર્થંકર ભગવાનની વાણી પ્રત્યક્ષ સાંભળવા મળી તેઓ કેટલા નસીબવાન હશે! એમના જબરજસ્ત પુણ્યાનુબંધી પુણ્યની તો વાત જ જુદી કહેવાય! આપણે પણ એ કાળમાં ક્યાંક ને ક્યાંક કોઈક રૂપે હોઈશું તો ખરા જ! પણ આપણને આવરણો એટલા હશે કે આપણને ભગવાનની વાણી સાંભળવાની ઈચ્છા જ નહોતી થતી; ભગવાન પાસે જવાની ઈચ્છા જ નહોતી થતી.

ભગવાન મહાવીરની બીજી દેશના પાવાપુરીમાં થઈ અને ત્યાં બધા દેવો દ્વારા સમોવસરણ રચાયું. ભગવાને એમની દેશનામાં પાંચ મહાવ્રતો પર સરસ વાત કરી હતી. હજુ ભગવાન મહાવીરનો ચતુર્વિધ સંઘ સ્થપાયો ન હતો અને પછી એમની બીજી દેશના થવાની હતી પણ લોકો ભગવાનની દેશના સાંભળવા પ્રત્યક્ષ આવ્યા હતા; એ બધા માટે આ પ્રથમ દેશના હતી.

તે વખતે લોકોમાં બ્રાહ્મણોનો બહુ જ પ્રભાવ હતો. તેઓ પ્રખર શાસ્ત્રવેત્તા ગણાતા હતા; તેઓ યજ્ઞો પણ ખૂબ કરતા હતા. ગૌતમકુળમાં ત્રણ બ્રાહ્મણો બહુ જ પ્રખર હતા; ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ. આ ત્રણે ભાઈઓ જબરજસ્ત શાસ્ત્રાભ્યાસ કરીને બધા વેદ-વેદાંતો અને ઉપનિષદો મુખપાઠ કરીને બહુ યજ્ઞો કરતા અને એ કાળમાં તેઓ બહુ પ્રખ્યાત હતા.

ત્રણે ભાઈઓ પોતાની જાતને સર્વજ્ઞ જ માનતા હતા. અન્ય બ્રાહ્મણપુત્રો - વ્યક્ત, સુધર્મા, મંડિત, મૌર્યપુત્ર, અકંપિત, અચલભ્રાતા, મૈતાર્ય અને પ્રભાસ વગેરે મળીને અગિયાર બ્રાહ્મણપુત્રો હતા. પ્રત્યેક બ્રાહ્મણપુત્ર પાસે સેંકડો શિષ્યો હતા. જેમ કે, ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ બ્રાહ્મણપુત્રો પાસે પાંચસો પાંચસો શિષ્યો હતા. અન્ય બ્રાહ્મણપુત્રોને કોઈના ત્રણસો તો કોઈના ચારસો શિષ્યો હતા.

એ વખતે એક બાજુ પાવાપુરીમાં ભગવાન મહાવીરનું સમોવસરણ રચાયું અને બીજી બાજુ એ જ ગામમાં અગિયારે અગિયાર બ્રાહ્મણપુત્રોએ મોટા યજ્ઞનું આયોજન કર્યું હતું. યજ્ઞમાં જબરજસ્ત આહુતિ અને વેદોચ્ચારના મંત્રોથી સુંદર વાતાવરણ થયું હતું. સંસ્કૃતમાં વેદોનું ઉચ્ચારણ કરીએ તો વાતાવરણ પવિત્ર થાય છે; યજ્ઞ કરનારાઓમાં પણ એક શક્તિ હોય છે.

જ્યાં સુધી તીર્થંકર ભગવાન મહાવીરને કેવળજ્ઞાન થયું ન હતું અને દેશના આપતા ન હતા, ત્યાં સુધી આ જ બધા ધર્મના માર્ગે લઈ જનારા હતા. એ જ લોકોએ ભગવાન પાસે આવીને પોતાનું આગળનું સોપાન સર કર્યું. પછી જેવી ભગવાન મહાવીરના સમોવસરણની રચના થઈ ત્યારે ઓહોહો! કોટિ-કોટિ દેવતાઓ ભગવાનની દેશના સાંભળવા પાવાપુરીમાં પધાર્યા.

શ્રી મહાવીર સ્વામી - અગિયાર ગણધરો

શ્રી મહાવીર સ્વામીના અગિયાર ગણધરોનો વધુ પરિચય મેળવીએ.

ઇન્દ્રભૂતિ, વાયુભૂતિ અને અગ્નિભૂતિ સહિત અગિયારે બ્રાહ્મણપુત્રોએ જબરજસ્ત મોટો યજ્ઞ કર્યો. જ્યારે યજ્ઞમાં આહુતિઓ આપતા હતા ત્યારે એમને એવી અપેક્ષા હતી કે દેવો એમના યજ્ઞમા આવશે. તે વખતે એટલી બધી સંખ્યામાં દેવો આવ્યા કે આખું આકાશ કોટિ દેવતાઓથી આચ્છાદિત થયું હતું. ત્યારે ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ બ્રાહ્મણપુત્રોને થયું કે આ દેવો તો આપણા જ યજ્ઞમાં હાજરી આપવા પધારે છે. દેવોને દૂરથી જોતાં લોકોને પણ ખૂબ આનંદ થયો. પણ જોતજોતામાં તો દેવો યજ્ઞનો આખો ભાગ ઓળંગીને આગળ દૂર નીકળી ગયા! જ્યાં ભગવાન મહાવીરનું સમોવસરણ રચાયું હતું એ દિશામાં દેવો ગયા.

એટલે યજ્ઞ કરતા બ્રાહ્મણપુત્રો એકદમ નિરાશ થઈ ગયા કે આ શું થયું? દેવો બધા ક્યાં જતા રહ્યા? પછી લોકોએ કહ્યું, “પેલી બાજુ ગામના પાદરે ઉદ્યાનમાં સર્વજ્ઞ તીર્થંકર ભગવાન મહાવીર પધાર્યા છે. ત્યાં દેવોએ મોટું સમોવસરણ રચ્યું છે અને ત્યાં ભગવાન જબરજસ્ત દેશના આપી રહ્યા છે. આ બધા દેવો ત્યાં જઈ રહ્યા છે.” આ સાંભળીને ઇન્દ્રભૂતિ ગૌતમને અંદર જબરજસ્ત તાપ થઈ ગયો. તેઓ ક્રોધથી લાલ-પીળા થઈ ગયા, ”હેં સર્વજ્ઞ! હું જ સર્વજ્ઞ છું! આ જગતમાં બીજો સર્વજ્ઞ કેવી રીતે હોઈ શકે? મારા જેટલું જ્ઞાન કોને હોઈ શકે? આ તો કોઈ નક્કી પાખંડી હશે જે લોકોને છેતરે છે અને પોતાની જાતને ખોટા સર્વજ્ઞ કહેવડાવે છે! હવે હું ત્યાં જઉં અને આ કોણ સર્વજ્ઞ છે, આ મહાવીર કોણ છે એને હરાવી દઉં; બધાની વચ્ચે ઉતારી પાડું અને બતાડી દઉં કે હું સર્વજ્ઞ છું કે તું છે?! એનો બધો જ ગર્વ હરી લઉં!” એમ કરીને ગુસ્સામાં ને ગુસ્સામાં ભગવાનની પાસે ગયા.

વાસ્તવમાં જે સર્વજ્ઞ હોય એને ક્રોધ હોય? સર્વજ્ઞ હોય એને કોઈને હરાવવાની વૃત્તિ હોય? જે આખી દુનિયાથી હારેલો છે તે જ ખરો જીતેલો કહેવાય! આ સંસારમાં, જે ખરેખર સર્વજ્ઞ હોય એમને લૌકિક હારજીતનું મહત્ત્વ ન હોય. પણ ઇન્દ્રભૂતિ ગૌતમને શાસ્ત્રનું જ્ઞાન બહુ હતું અને એ વાતનો એમને અહંકાર હતો. શાસ્ત્રનું બહુ જ્ઞાન હોય એનો અહંકાર બહુ જ ચગી જાય અને એમ થાય, “હું બધું જાણું છું.” પણ ખરું જાણ્યું તો એને કહેવાય કે ઠોકર ના વાગે. જો ક્રોધ-માન-માયા-લોભ, રાગ-દ્વેષ જેવા કષાયો થતા હોય તો એને જાણ્યું કઈ રીતે કહેવાય? અંધારામાં ઠોકર લાગે પણ અજવાળામાં લાગે? જો જ્ઞાનરૂપી અજવાળું થયું હોય તો ઠોકર કેવી રીતે લાગે?

૧) ગણધર ગૌતમ સ્વામી

ઇન્દ્રભૂતિ ગૌતમ મહાવીર ભગવાનના સમોવસરણમાં ગયા અને ત્યાં સમોવસરણની જાહોજલાલી અને કોટિ સંખ્યામાં હાજર દેવોને જોઈને આશ્ચર્ય પામ્યા. એમને થયું કે મારા યજ્ઞમાં તો ક્યારેય એકેય દેવ દેખાયા નથી અને અહીં તો ખૂબ બધા દેવો આવ્યા છે. એક વખત માટે તો તેઓ અંજાઈ ગયા પણ પછી એમને અહંકાર આવ્યો કે, “આમને તો હું પાંસરા કરી જ નાખું.”

એટલામાં ભગવાન મહાવીરે ખૂબ જ કરુણા અને પ્રેમથી ભવોભવથી વિખૂટા પડેલા પોતાના પરમ સ્નેહી એવા પરમ મિત્રને કરુણાભાવથી કહ્યું, “હે ઇન્દ્રભૂતિ ગૌતમ! તમારું સ્વાગત છે.” ભગવાનની કરુણા અને પ્રેમમય વાણી સાંભળતાં જ ઇન્દ્રભૂતિ ગૌતમનું હૃદય એક સમય માટે સ્થિર થઈ ગયું, એમનો ક્રોધ એકદમ ઠંડો પડી ગયો. એમને અંદર થયું કે, “ઓહો! આ તો મારું નામ અને ગોત્ર પણ જાણે છે! માટે કંઈક છે તો ખરું!” પણ છતાં ફરી પાછો એમનો અહંકાર ફરી વળ્યો કે, “આ તો, હું જગતમાં પ્રખ્યાત છું એટલે મને ઓળખી ગયા હશે.” ભગવાન તો ભગવાન હતા! ઇન્દ્રભૂતિ ગૌતમનો લાખ અહંકાર ઊભો થાય અથવા તો આખી દુનિયાના તમામ લોકોના લાખોવાર અહંકાર ઊભા થાય તોય ભગવાનને અહંકાર હતો જ નહીં તો ક્યાંથી ઊભો થવાનો હતો!

જે ઇન્દ્રભૂતિ ગૌતમ ભગવાન મહાવીરને ઉતારી પાડવા, એમને હરાવવા માટે અંદર સંશય લઈને આવ્યા હતા એ સંશય કાઢવા માટે ભગવાન મહાવીરે સામેથી પ્રેમપૂર્વક ઇન્દ્રભૂતિ ગૌતમને બોલાવ્યા. કારણ કે ભગવાનને મનઃપર્યવજ્ઞાન હતું. એટલે ભગવાને સામેથી જ ઇન્દ્રભૂતિ ગૌતમનાં મનનો સંશય જાણીને કહ્યું, “હે ઇન્દ્રભૂતિ ગૌતમ! તારા મનમાં સંશય છે કે જીવ છે કે નહીં?”

પછી ભગવાને જવાબ આપ્યો, “જીવ છે, આત્મા છે, ચિત્ત અને ચૈતન્ય આત્માને વિજ્ઞાન દ્વારા સંજ્ઞાથી અનુભવી શકાય એવું છે. જ્ઞાન, દર્શન અને પરમાનંદ એ આત્માના ગુણો છે; એ ગુણો અનુભવી શકાય એવા છે. આત્માની ઓળખાણ થવાથી આ અનુભવ થાય છે. આ અનુભવથી જ સિદ્ધ થયેલી વસ્તુ છે કે આત્મા છે જ અને એમાં કોઈ શંકા નથી! માટે હે ઇન્દ્રભૂતિ! તું તારા આત્માને ઓળખ, તારા ખરા સ્વરૂપને ઓળખ! જે સ્વરૂપમાં તું અત્યારે છું, એ સ્વરૂપ વિનાશી છે, એ અનાત્મ વિભાગ છે, એ ક્ષણભંગુર છે અને તું આત્મસ્વરૂપે છું, એ શાશ્વત છે; માટે એ તારું સ્વરૂપ છે. એ સ્વરૂપને તું ઓળખ! તો તારા તમામ સંશયો, તમામ દુઃખો, તમામ કષાયો છૂટી જશે. અહીંયાં જ તને મોક્ષનો અનુભવ થશે.”

ભગવાન મહાવીરની આવી સુંદર વાતો સાંભળીને ઇન્દ્રભૂતિ બ્રાહ્મણપુત્ર ભગવાનની આગળ ઝૂકી ગયા. એમના હૃદયના તમામ સંશયો દૂર થયા અને એમણે ભગવાન મહાવીર પાસે પોતાના પાંચસોએ પાંચસો શિષ્યો સાથે દીક્ષા લીધી.

ગૌતમ ગણધર કેટલા મહાન અને સરળ હૃદયી હતા કે ભગવાનના જરાક જ સમજાવતાં જ, એમનો સંશય ટળતાં, ભગવાનની વાતનો એમને અંદરથી તરત જ સ્વીકાર થઈ ગયો. ઇન્દ્રભૂતિ ગૌતમે ભગવાન મહાવીર પાસે પોતે તો દીક્ષા લીધી પણ પોતાના પાંચસો શિષ્યો પાસે પણ દીક્ષા લેવડાવી. અત્યારના કાળમાં આપણને ક્યાંક સાચું લાગે તો પણ ત્યાં ઝૂકવા માટે આપણો અહંકાર ના પાડી દેતો હોય છે.

કોઈક ગુરુને એવું પણ થાય કે, “મારા આટલા બધા શિષ્યો છે; હું ગાદીપતિ છું. તો હું આ બધું છોડી દઈશ તો મારી ગાદી ચાલી જશે અને મારા શિષ્યો પણ બધા જતા રહેશે! એટલે હું કેવી રીતે મારી ગાદી છોડીને બીજાના શરણમાં જઈ શકું?” અહંકારના માર્યે પોતાનું તો બગાડે છે અને પોતાના શિષ્યોનું પણ બગાડે છે. આગળ પ્રગતિ કરવા નથી દેતા. ગૌતમ ગણધરનું આવું નહોતું. એમની પાસેથી સરળતા શીખવા જેવી છે.

ભગવાન મહાવીર પાસેથી દીક્ષા લીધી અને કુબેરદેવે ગૌતમ સ્વામીને ચારિત્રધર્મની બધી વિધિઓ પૂરી કરી આપી, એમને બધા ઉપકરણો લાવી આપ્યા. પછી ગૌતમ સ્વામી ભગવાન મહાવીરના ચરણોમાં આવીને બેસી ગયા. ગૌતમ સ્વામી ભગવાન મહાવીરના પ્રથમ દીક્ષિત થયા.

૨) ગણધર અગ્નિભૂતિ સ્વામી

અગ્નિભૂતિ બ્રાહ્મણપુત્ર, કે જેમનો યજ્ઞ ચાલતો હતો, એમણે પોતાના મોટાભાઈ ઇન્દ્રભૂતિ ગૌતમની ખૂબ રાહ જોઈ પણ બહુ મોડું થતાં તેઓ અંદર ધૂઆંપૂઆં થયા કે, “જરૂર ઇન્દ્રભૂતિને છેતરીને મૂર્ખ બનાવ્યા લાગે છે. હવે, હું જઉં અને ભગવાન મહાવીરને હરાવીને મારા ભાઈને પાછા લઈ આવું.” આમ કરીને અગ્નિભૂતિ સમોવસરણમાં ગયા.

ત્યાં ઇન્દ્રભૂતિ ગૌતમને ભગવાન મહાવીરની પાસે દીક્ષા લઈને બેઠેલા જોતાં તેઓ ધૂઆંપૂઆં થતાં આવ્યા અને પછી તરત જ ભગવાન મહાવીરે એમને બહુ પ્રેમથી કહ્યું, “હે ગૌતમ અગ્નિભૂતિ, પધારો! તમારું અમે સ્વાગત કરીએ છીએ.” આ સાંભળીને તરત જ અગ્નિભૂતિને થયું કે આ મારું નામ જાણે છે!

પછી આગળ ભગવાને કહ્યું, “તમારા મનમાં સંશય છે કે કર્મ છે કે નહીં?” ભગવાને જવાબ આપ્યો, “કર્મ છે જ. બે વસ્તુ છે: એક આપણો આત્મા છે અને બીજું વળગેલા કર્મો છે. જો કર્મો ન હોય તો આપણને જીવનમાં સુખ કે દુઃખ ભોગવવાનું ક્યાંથી આવે? ઘણી વાર આપણે અનુભવીએ છીએ કે કશું કર્યું ન હોવા છતાં દુઃખ આવે છે અને ઘણી વાર આપણે થોડું કર્યું હોય તો પણ ઢગલેબંધ સુખ આવે છે. એ શા આધારે આવે છે? અમુક વસ્તુઓ આપણને ભેગી થાય છે, કેટલાકને નથી થતી; તો એ બધાનો આધાર શું? એ પૂર્વભવે બાંધેલા કર્મનું પરિણામ છે. આપણો જન્મ શા આધારે થાય છે? કંઈક એની પાછળ કૉઝ તો હોવું જોઈએ ને! કૉઝ હોય તો એની ઈફેક્ટ આવે. પૂર્વભવમાં જે બંધાયેલું એ કૉઝ છે અને આ ભવમાં એ કર્મનું પરિણામ આવે છે તે ઈફેક્ટ છે. ઈફેક્ટ આપણે જોઈ શકીએ છીએ પણ કૉઝ જોઈ શકતા નથી. કારણ-કાર્યની આ શૃંખલા છે. ગયા ભવમાં અજ્ઞાનતાથી બાંધેલા કર્મોને આ ભવમાં આપણે ભોગવતાં જઈએ છીએ. ભોગવીએ છીએ એ પરિણામ છે, ઈફેક્ટ છે અને એના બીજ એટલે કે કૉઝ પૂર્વભવમાં નંખાઈ ગયેલાં છે.”

આવી રીતે કર્મની વાત ભગવાને અગ્નિભૂતિ ગૌતમને સમજાવી અને એમને સંતોષ થયો. અગ્નિભૂતિ ગૌતમે પણ તમામ સંશયો છોડીને પોતાના પાંચસોએ પાંચસો શિષ્યોની સાથે ભગવાન મહાવીર પાસેથી દીક્ષા લીધી.

૩) ગણધર વાયુભૂતિ સ્વામી

વાયુભૂતિ બ્રાહ્મણપુત્રને અંદર થયું કે, “મારા બે ભાઈઓ ગયા અને હજુ આવતા એમને આટલી વાર કેમ લાગી? બધા ભગવાન મહાવીર પાસે બેસી ગયા લાગે છે અને જરૂર ભગવાને બધાને ભરમાવીને એમના પર કોઈ માયાજાળ નાખી લાગે છે. હું હમણાં જ જઈને એમને હરાવી દઉં અને જીતી જઉં!” એમ કરીને તેઓ પણ ક્રોધિત થઈને ભગવાન મહાવીરના સમોવસરણમાં ગયા, પણ ભગવાનને જોતાં જ તેઓ ઠરી ગયા.

ભગવાને કહ્યું, “આવો, વાયુભૂતિ ગૌતમ! પધારો!” ભગવાનની વાણી સાંભળતા જ એમને અંદર એકદમ ઠંડક થઈ ગઈ. પછી ભગવાને કહ્યું, “તમારી અંદર સંશય છે કે જીવ અને શરીર એક છે કે બે?“

ભગવાને સમજાવ્યું, “જીવ અને શરીર બે વસ્તુ છે. આત્મા એ આપણું સ્વરૂપ છે અને શરીર એ આપણાથી નોખું છે. જ્યારે માણસનું મૃત્યુ થાય છે શરીર અહીંનું અહીં રહે છે, જેને લોકો બાળી મૂકે છે. પણ, જે વસ્તુ નીકળી જાય છે, તે જ આત્મા છે. આત્મા હોય તો જ આ શરીર ચેતનવંતું છે, ક્રિયાશીલ છે. આપણને બધી જ વસ્તુઓની ઈફેક્ટ આત્માના આધારે મળે છે. જો આત્મા ન હોય તો આ શરીર એ એક મડદું કહેવાય છે. આત્મા બધી ઇન્દ્રિયોથી જુદો જ છે; જેમ કે કાનથી સંભળાય છે, આંખથી દેખાય છે. આ બધી ઇન્દ્રિયો એ શરીરનો એક ભાગ છે અને આત્મા એનાથી જુદો છે. ઘડપણમાં અથવા તો કોઈ બીમારીમાં જો આપણને આંખે દેખાવાનું બંધ થઈ જાય, છતાં પણ પૂર્વે જોયેલું આપણને બધું યાદ રહે છે. પૂર્વેનું બધું આપણે અંદરના ચક્ષુથી જોઈ શકીએ છીએ. જો ઇન્દ્રિય એકલી જ હોય તો ઇન્દ્રિયના ગયા બાદ શેના આધારે આપણે જોઈ શકીએ છીએ? કાનમાં બહેરાશ આવી ગઈ હોય છતાં પણ પૂર્વે સાંભળેલા શબ્દો વ્યક્તિને ગુંજતા હોય. કારણ કે મહીં અંદર આત્મા રહેલો છે અને તેના આધારે બધું જેમ છે એમ અનુભવાય છે. જો અંદર આત્મતત્ત્વ ન હોત તો ઇન્દ્રિયોના જવાથી બધું પૂરું થઈ જાત. આ બધી અંદર નોંધ રાખનારું કોણ છે? આત્મતત્ત્વ.”

એમ ભગવાનની વાતથી વાયુભૂતિ બ્રાહ્મણપુત્રનો સંશય જતો રહ્યો. એમણે પણ પોતાના પાંચસો શિષ્યો સાથે ભગવાન પાસેથી દીક્ષા લીધી.

૪) ગણધર વ્યક્ત સ્વામી

ભગવાન મહાવીર પાસે ચોથા બ્રાહ્મણપુત્ર વ્યક્ત આવ્યા. વ્યક્ત પોતાની અંદર જે પ્રશ્ન લઈને આવ્યા, એ ભગવાને એમનું નામ લઈને સામેથી કહ્યું, ”તારો પ્રશ્ન છે કે પંચભૂતો છે જ નહીં; બધું બ્રહ્મ છે, બધું શૂન્ય છે.” તેઓ પંચમહાભૂતોને સ્વીકારતા ન હતા.

પછી ભગવાને સમજાવ્યું, “આ તો દેખીતી વસ્તુ છે. પાંચ મહાભૂતો તો દેખાય એવા છે. જેમ કે, પૃથ્વી, અગ્નિ, પાણી, વાયુ અને આકાશ. આકાશ કદાચ ના દેખાય પણ શૂન્યાવકાશ જેવી વસ્તુ તો છે જ ને. જેમાં બધી વસ્તુઓ રહે છે, સ્થાન પામે છે એ આકાશ તત્ત્વ છે. આ પાંચ મહાભૂતો દેખાય એવા છે એટલે કોઈ ન સ્વીકારે એવું છે જ નહીં. નાના છોકરાંને પણ સમજાય એવી વાત છે.”

ભગવાનના આ રીતે સમજાવતાં વ્યક્તનો સંશય દૂર થયો. પછી વ્યક્ત બ્રાહ્મણપુત્ર પણ પોતાના પાંચસો શિષ્યો સાથે દીક્ષા લઈને ભગવાનની પર્ષદામાં બેસી ગયા.

૫) ગણધર સુધર્મા સ્વામી

ભગવાન મહાવીરને હરાવવાના આશયથી બ્રાહ્મણપુત્ર સુધર્મા સમોવસરણમાં ગયા. ભગવાને સુધર્મા બ્રાહ્મણપુત્રને જોતાં જ એમનું નામ લઈને આવકાર્યા અને એમના મનનો સંશય હતો એ સામેથી ભગવાને કહ્યું, “જીવ આ ભવમાં છે તેવો જ પરભવમાં થાય છે? સંસારમાં કારણ મળતું જ નથી કે કાર્ય થાય.” એટલે પરભવ છે કે નહીં એની સુધર્મા બ્રાહ્મણપુત્રને શંકા હતી. મનુષ્યમાંથી મનુષ્ય જ જન્મે, પશુમાંથી પશુ જ જન્મે; એમાં કંઈ ફેરફાર થાય નહીં. એવી શંકા સંબધી પ્રશ્ન એમણે પૂછ્યો.

ભગવાને બહુ સુંદર ઉત્તર આપ્યો અને તાર્કિક રીતે પણ સમજી શકાય કે, “ઘઉંમાંથી ઘઉં જ થાય એવું કઈ રીતે થઈ શકે? આ ભવમાં ઘઉંનો છોડ છે અને જીવ તો એમાં રહેલો જ છે. પછી એના જે દાણા થાય છે એ ઘઉંના જ થાય તે બીજા ન થાય, પણ એ ઘઉંના દાણા જે થાય છે એમાં તો બીજા જીવો છે. ધારો કે, એક ઘઉંના છોડમાં પચીસ હજાર દાણા થયા. તો એ દાણામાં જુદો જુદો જીવ આવે છે. આ છોડનો જીવ એમાં નથી જતો. દાણા વવાય છે એમાંથી બીજા છોડ ઊગે છે, તોય આ છોડ તો જીવતો ને જીવતો જ રહેલો છે. તો આનો જીવ પેલામાં ક્યાં ગયો કહેવાય? એટલે એકવાર આમાંથી આમાં ફરી આનો આ જ થાય એવું નથી. એ તો એના કર્મ પ્રમાણે અને ઉત્ક્રાંતિવાદ પ્રમાણે થતું જાય છે. મનુષ્યમાંથી મનુષ્ય જ થાય. આપણે ધારો કે મેટરનિટી વોર્ડમાં જઈએ તો મનુષ્યમાં સ્ત્રીના પેટે મનુષ્ય જ જન્મે; કંઈ કૂતરાં-બિલાડાં ના જન્મે. પણ આ જીવ થોડી એના છોકરામાં જતો રહે છે! મા તો જીવતી જ છે. એટલે આ જે સિમિલી છે એવું નથી. આ મા મર્યા પછી ક્યાં જશે એ ના ખબર પડે. મનુષ્યને એના કર્મ પ્રમાણે મૃત્યુ પછી કઈ ગતિ મળશે એ માત્ર કેવળીઓ તથા જ્ઞાનીઓને જ ખબર પડે; બીજાને ખબર ના પડે.”

આ બધી વાતો ભગવાન મહાવીરે સમજાવી અને બ્રાહ્મણપુત્ર સુધર્માને સમજાયું કે ચાર ગતિનો આધાર શું? જો માનવતા હોય તો માનવતામાંથી માનવ જ થાય, પાશવીપણું કર્યું હોય તો આવતા ભવે એને તિર્યંચગતિ મળે, સુપરહ્યુમન હોય તો દેવગતિમાં જાય અને ભયંકર દુરાચારી, રાક્ષસી હોય, પોતાની મોજમજા માટે અનર્થ કરીને લોકોને મારી નાખે એવો રાક્ષસી જીવ આવતા ભવે નર્કગતિમાં જાય છે.

એટલે આ સિદ્ધાંત છે જ કે કર્મની ગતિ બદલાય છે. અત્યારે જેવા કર્મો કરે, બાંધે છે તેના આધારે એને ગતિ થાય છે. ચતુર્ગતિ છે અને એના સિવાય પંચમ મોક્ષગતિ પણ છે. મનુષ્ય જેવા કર્મ કરે એ પ્રમાણે એને ગતિ મળે છે. ભગવાન મહાવીરના આ પ્રમાણે સમજાવાતાં સુધર્મા બ્રાહ્મણપુત્રને જે શંકા હતી તે શંકાનું સમાધાન થયું અને તેમણે પણ ભગવાન પાસેથી પાંચસો શિષ્યો સાથે દીક્ષા લીધી.

૬) ગણધર મંડિત સ્વામી

મંડિત બ્રાહ્મણપુત્રને પણ અન્યની જેમ ભગવાન મહાવીરને હરાવી પાડવાની વૃત્તિ થઈ અને જેવા તેઓ સમોવસરણમાં આવ્યા ત્યાં ભગવાન મહાવીરે એમને નામ દઈને આવકાર્યા અને કહ્યું, “તારા મનમાં પ્રશ્ન છે કે બંધ અને મોક્ષ શું છે? મિથ્યાત્વથી કર્મ બંધાય?”

ભગવાને જવાબ આપતાં કહ્યું કે મિથ્યાત્વથી કર્મ બંધાય અને એ બંધને છોડતાં છોડતાં બધાં કર્મો ખપાવે ત્યારે મોક્ષ થાય. પછી એના માટે આપણે શંકા કરવાની જરૂર નથી. આમ, સુંદર રીતે ભગવાન મહાવીર દ્વારા જબરજસ્ત સમાધાન પામીને મંડિત બ્રાહ્મણપુત્રએ પોતાના સાડા ત્રણસો શિષ્યો સાથે ભગવાન પાસે દીક્ષા લીધી.

ભગવાને જબરજસ્ત મોક્ષ તત્ત્વની વાત કરી છે. ઘણાંને એવો પ્રશ્ન થતો હશે કે મોક્ષ જેવી વસ્તુ કંઈ છે જ નહીં. આપણે શા માટે મોક્ષે જવાની જરૂર છે? અહીંયાં મજા કરો ને! ત્યાં જઈને બેસી રહેવાનું, કશું કરવાનું નહીં, એવું તે શું કામ છે! પણ એ બધું કરી કરીને આપણે કેટલા સુખી થયા? દરરોજ પાર વગરના ઢગલેબંધ દુઃખો હોય જ છે અને સહન થતા નથી. કહેવાય નહીં, સહેવાય નહીં અને મરાય પણ નહીં એવી સ્થિતિમાં જીવાય છે!

તો એ બધાથી છૂટીને ભલેને સિદ્ધક્ષેત્રમાં ના જવું હોય પણ અહીં એટલું તો પ્રાપ્ત કરીએ કે કોઈ પણ પ્રકારનું દુઃખ આપણને અડે જ નહીં; આપણા સુખમાં આવીએ. કાયમી સુખની પ્રાપ્તિ એ જ મોક્ષ છે. જે સુખ આવ્યા પછી ક્યારેય દુઃખ ના આવે એને જ મોક્ષ કહેવાય છે. આપણે બધાએ પણ એ જ પ્રાપ્ત કરવાનું છે અને એ પ્રાપ્ત કરવાની પાછળ જ આપણે પડીએ અને આપણે એના માટે જ જીવીએ એવો ધ્યેય નક્કી કરીએ.

૭) ગણધર મૌર્યપુત્ર સ્વામી

મૌર્ય બ્રાહ્મણપુત્રને પ્રશ્ન થયો, “આ વળી કોણ તીર્થંકર? અને શું છે આ બધું? મારા કરતાં કંઈ વધી જાય એવું હોઈ શકે જ નહીં!” એ પોતાના મદના માર્યા ભગવાન મહાવીરને હરાવવા એમની પાસે ગયા. ભગવાને એમને બધા ગણધરોની જેમ નામથી બોલાવ્યા, “આવો પધારો મૌર્ય! તમારું સ્વાગત છે!”

એમના મનના સંશયો ભગવાને સામેથી પોતાના મનઃપર્યવજ્ઞાનથી જોઈને પૂછ્યું, ”તને અંદર પ્રશ્ન છે કે દેવતાઓ કેમ પૃથ્વી ઉપર આવતા નથી? આ શંકા તને છે ને?”

ભગવાને જવાબ આપ્યો, “એનું કારણ એ છે કે દેવો ખૂબ જ ભોગવિલાસમાં, સુગંધી, સુંદરવન, પુષ્પો બધું હોય એમાં જ રહેતા હોય છે. એમને જરા પણ દુર્ગંધ સહન ના થાય. એટલે દેવો દુર્ગંધવાળી પૃથ્વી ઉપર આવતા નથી. તીર્થંકરોનો જન્મ થાય, કેવળજ્ઞાન કે નિર્વાણ થાય; એમના પંચકલ્યાણ વખતે બધા દેવો પધારે. બાકી, સામાન્ય રીતે દેવો પૃથ્વી પર આવે નહીં. જો કોઈએ બહુ સાધના કરી હોય તો પરાણે દેવો આવે પણ એમને પૃથ્વી પર રહેવું બહુ ગમતું નથી.”

મૌર્ય બ્રાહ્મણપુત્રને તરત જ સંશયનું તરત જ સમાધાન થઈ ગયું અને ભગવાનના ચરણમાં ઝૂકી ગયા. તેમણે પણ પોતાના સાડા ત્રણસો શિષ્યો સાથે ભગવાન મહાવીર પાસેથી દીક્ષા લીધી.

૮) ગણધર અકંપિત સ્વામી

અકંપિત નામના બ્રાહ્મણપુત્ર પણ ભગવાન મહાવીરની પરીક્ષા લેવા આવ્યા. એમને પણ બધાની જેમ જ ભગવાને નામથી બોલાવ્યા અને એમના મનનો સંશય કહ્યો, “તારા મનમાં સંશય છે કે નારકી જીવો છે કે નહીં? જો નારકી જીવો હોય તો આપણને દેખાતા કેમ નથી? શું એ નારકી જીવો અહીં આવી શકે કે નહીં?”

એમની શંકાનું સમાધાન આપતા ભગવાને કહ્યું, “નારકી જીવો કેવળીઓ જ જોઈ શકે, બીજું કોઈ નહીં. અમે પોતે જ કેવળી છીએ, પૂર્ણ જ્ઞાની છીએ; અમે જોઈને કહીએ છીએ કે આ જીવો છે. અહીંયાં તેઓ આવી પણ ના શકે અને આપણાથી ત્યાં જઈ પણ ના શકાય. કર્મના હિસાબ હોય તે જ જઈ શકે, બાકી બીજાનું તો કામ જ નહીં.”

અકંપિત બ્રાહ્મણપુત્રને પણ સમાધાન થયું અને તેમને પોતાના આશરે ત્રણસો શિષ્યો સાથે ભગવાન મહાવીર પાસેથી દીક્ષા લીધી.

૯) ગણધર અચલભ્રાતા સ્વામી

અચલભ્રાતા નામના બ્રાહ્મણપુત્રને મહીં શંકા હતી કે ભગવાન મહાવીર, જે પોતાને ભગવાન કહેવડાવે છે, એ ખરા છે કે ખોટા? એ પોતાનો સંશય લઈને ગયા. ભગવાને પોતાના મનઃપર્યવજ્ઞાનથી જાણીને એમને આવકાર્યા અને કહ્યું, આવો અચલભ્રાતા! તમારું સ્વાગત હો! તારા મનમાં પ્રશ્ન છે કે પાપ અને પુણ્ય છે કે નહીં? એનું ફળ શું છે? આ શંકાનું સમાધાન કરું છું કે પાપ અને પુણ્ય છે જ. એના વગર આપણા જીવનમાં સુખ અને દુઃખનો અનુભવ થઈ શકે એમ નથી. કેટલાક જન્મથી જ ભૂખમરામાં, ગરીબીમાં દુઃખી, કેટલાક હેન્ડિકેપ હોય છે. આ બધું કયા આધારે થાય છે? કંઈક તો કૉઝ હશે જ ને કે જેની આ ઈફેક્ટ આવી. પાપ હશે તેને લીધે આ દુઃખ ભોગવવાનું આવે છે અને પુણ્યને લીધે સુખ મળે છે. જબરજસ્ત વૈભવ-વિલાસ, સુખ, માન-કીર્તિ આ બધું પુણ્યનું ફળ એને મળે છે.

પાપ અને પુણ્ય કેવી રીતે બંધાય છે? બીજાને સુખ આપવાથી પુણ્ય અને દુઃખ આપવાથી પાપ બંધાય છે. આપણાથી અજાણતામાં આ દુઃખ અને સુખ બીજાને આપવાની ક્રિયા થઈ જ જાય છે, એની પાછળ આ કંઈ જાગૃતિ નથી હોતી એટલે કર્મ બંધાઈ જ જાય છે. એકવાર એક્શન થઈ એનું રિએક્શન આવ્યા વગર રહે જ નહીં. એક્શનનું રિએક્શન સમાન અને વિરુદ્ધ હોય જ; એ છોડે નહીં. આ બધું કુદરતી છે, કોઈના હાથમાં નથી. પાપ કે પુણ્યનું ફળ આપનાર કોઈ ઉપર ગવર્નર નથી કે ભગવાન નથી. ભગવાન આપણી અંદર જ છે, આપણું સ્વરૂપ છે. આત્મા કહો, પરમાત્મા કહો, ઈશ્વર કહો કે પરમેશ્વર, જે કંઈ કહો, એ આપણો પોતાનો આત્મા એ જ છે; દરેક જીવમાત્રની અંદર છે તે જ સર્વસ્વ છે. એ કોઈને દુઃખ આપતો નથી, સુખ આપતો નથી. અહંકાર અને બુદ્ધિના આધારે આ થાય છે. પુણ્ય અને પાપથી જ્યારે સંપૂર્ણ મુક્ત થવાય, એક પણ પરમાણુ પુણ્યનું કે પાપનું ના રહે, ત્યારે મોક્ષ થાય છે.

લોકો માત્ર પુણ્યને જ મહત્ત્વ આપે છે. જ્યારે મોક્ષની અપેક્ષાએ પુણ્ય અને પાપ બેય સરખાં અને નિકાલી છે; બંનેમાંથી છૂટવાનું છે. ગયા ભવમાં આપણે બુદ્ધિના આશયમાં જેવું નક્કી કર્યું હોય એવું આપણને આ ભવમાં મળે છે, પણ વાટખર્ચીમાં આપણી પાસે પુણ્યનું ભાથું હોવું જોઈએ. જો એ સિલકમાં ના હોય તો વસ્તુ માટે લાખ ભાવના કરી હોય તોય અત્યારે એ ભેગી ના થાય, પુણ્ય આમાં વપરાય છે.

પોતે નક્કી કરીને લાવે છે કે મારે મોટર-બંગલા-ગાડી આ બધું જોઈએ છે, તો પુણ્યનું ભાથું હોય તો એમાં વપરાય અને એ બધું મળે. કોઈ કીર્તિ માટે માંગે, કોઈ સારો પરિવાર માંગે, એમાં એનું પુણ્ય વાપરી કાઢે. ધર્મ માટે તો માંડ એક-બે ટકા પણ કોઈ રાખતું નથી; બધું ભૌતિક સુખોમાં નાખી દે છે.

જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાન કાયમ કહેતા કે અમે અમારા બુદ્ધિના આશયમાં ખાલી પાંચ ટકા ભૌતિક માટે રાખ્યા છે; પંચાણું ટકા અમારા આત્મા અને જગત કલ્યાણ માટે રાખ્યા છે. જ્ઞાનીઓ સંસારમાં વિરક્ત હોય; તેઓ પોતાનું પુણ્ય સંસારના વૈભવ, ભોગ-વિલાસમાં ના વાપરે. ભગવાન મહાવીરની આ વાત સાંભળીને અચલભ્રાતાને સમાધાન થયું અને તેઓ પ્રભુને ઝૂકી પડ્યા. તેમણે પોતાના ત્રણસો શિષ્યો સાથે ભગવાનના ચરણોમાં દીક્ષા લીધી.

૧૦) ગણધર મેતાર્ય સ્વામી

ભગવાન મહાવીર પાસે મેતાર્ય બ્રાહ્મણપુત્ર આવ્યા; એમને પણ ભગવાન માટે જબરજસ્ત અભાવ હતો. એમને થતું હતું, “આવા તો વળી કોણ છે? બધા ત્યાં જઈને ચોંટી જાય છે; પાછા આવતા જ નથી. લાવ હું જઈને બધાને ખખડાવી નાખું. જે મહાવીર મહાવીર કરે છે એ બધાને ઉતારી પાડું.” એમ કરીને એ ગયા પણ ભગવાન તો કેવળજ્ઞાનમાં બધું જાણતા જ હતા.

જેવા મેતાર્ય બ્રાહ્મણપુત્ર સમોવસરણમાં આવ્યા, ત્યાં જ ભગવાને કહ્યું, “આવો મેતાર્ય! પધારો! તમારા મનમાં શંકા છે કે પરભવ છે કે નહીં?” પછી ભગવાને એનો જવાબ આપતાં કહ્યું, “પરભવ છે જ. આ ભવ જેવો છે એવો જ પરભવ છે. આવતો ભવ નિશ્ચિત છે કારણ કે, કર્મનું ફળ ત્યાંથી જ છૂટવાનું છે. આ બાંધેલા કર્મોને છોડવા માટે કંઈક તો જોઈએ કે નહીં! મરતા સુધી માણસ કેટલી બધી હિંસા કરતો હોય છે, દુઃખ દેતો હોય છે. આ બધું ક્યાં જાય? ક્યાં જઈને છોડે? તો એની માટે બીજો ભવ તો જોઈએ જ ને! માટે પરભવ છે એ નક્કી છે, નિશ્ચિત છે.”

આપણે આ ભવમાંથી છૂટવાનું કરીએ તો પરભવ છૂટી જાય એવું છે. આ ભવમાં આપણે આત્મજ્ઞાન લઈએ અને દેહભાવથી છૂટી જઈએ તો પરભવ છૂટી જાય એવો છે અને મોક્ષ પ્રાપ્ત થાય એવો છે. જાતિસ્મરણ જ્ઞાન પામેલાઓ પાસેથી પરભવની વાતો સંભાળીએ છીએ ત્યારે ખરેખર એનો તાળો મળે છે કે ચોક્કસ આમ જ હતું. અત્યારે પણ આ કાળમાં કેટલાય કિસ્સાઓ એવા છે કે જેમાં પાછલા ભવનું ખબર પડે છે અને એ પ્રમાણે બધું સાચું નીકળે છે. શ્રીમદ્ રાજચંદ્રને પણ પોતાના પાછલા નવસો ભવો દેખાયા હતા. માટે, આ વસ્તુ ખોટી છે જ નહીં. પરભવ છે જ. ભગવાન મહાવીરની વાતોથી સમાધાન પામીને મેતાર્ય બ્રાહ્મણપુત્રએ પણ પોતાના ત્રણસો શિષ્યો સાથે દીક્ષા લીધી અને પ્રભુની પર્ષદામાં જઈને બેઠા.

૧૧) ગણધર પ્રભાસ સ્વામી

પ્રભાસ નામના બ્રાહ્મણપુત્ર પણ અન્ય બ્રાહ્મણપુત્રની જેમ જ ભગવાન મહાવીરના સમોવસરણમાં એમને હરાવવાના આશયથી આવ્યા હતા. ભગવાન તો સંપૂર્ણ વીતરાગ હતા; એમનો આશય તો બધાને બોધ પમાડીને મોક્ષે લઈ જવાનો હતો. એમના જ્ઞાનમાં તો હતું જ કે આ બધા બ્રાહ્મણપુત્રો ગણધર થઈને મોક્ષે જવાના છે.

એટલે ભગવાન મહાવીરે એમને બહુ પ્રેમથી આવકાર્યા, “આવો પ્રભાસ! પધારો! તમારું અમે સ્વાગત કરીએ છીએ.” અને પછી ભગવાને કહ્યું, “તમને અંદર પ્રશ્ન થાય છે કે શું બંધન છે કે નથી? મોક્ષ શું છે અને બંધન શું છે? તમારે આ બધું જાણવું છે.” પછી ભગવાને એના જવાબમાં આગળ કહ્યું, “શું અત્યારે તમને બંધનનો અનુભવ થાય છે? જો, ના થતો હોય તો તમે જુઓ, તપાસ કરો કે તમને પરવશતા કેટલી બધી લાગે છે!”

સવારે ઊઠ્યા ત્યારથી લઈને રાત્રે સૂતા સુધી પરવશતા પરવશતા પરવશતા! આપણને આરામથી સૂઈ જવું હોય છતાં સમય થાય ત્યારે ઊઠી જ જવું પડે. આપણે ના ઊઠીએ તો બીજું કોઈ આવીને ઉઠાડી જ જાય. છતાંય ખબર નથી પડતી એટલે મોહના માર્યે બધું મીઠું લાગે છે.

પરવશતા તો ઊઠવામાં, નોકરી-ધંધા કરવામાં બધે છે જ. જો સાધુ થયા હોય તો એમને ભિક્ષા લેવા જવાનું, સરખું મળ્યું ના મળ્યું, વરસાદ પડે તો ચાલવું ના ચાલવું અને જો ગુરુ-મહારાજ પોતાના શિષ્યને ભૂલ થાય એટલે દબડાવે તો શિષ્યને પરવશતા લાગે. સંસારમાં નોકરી કરવી હોય તો બોસની પરવશતા લાગે, ઘરમાં પતિને પત્નીથી અને પત્નીને પતિથી પરવશતા લાગે, છોકરાંઓને માતા-પિતાને આધીન રહેવાનું પરવશ લાગે. ક્યાં પરવશતા નથી? આપણા માટે પરવશતા એ જ બંધન છે. જો આટલું ભાન થાય તો આગળ મોક્ષની વાત આપણને સૂઝે, મોક્ષે જવાનું નક્કી થાય.

બંધન અને મોક્ષનું મોટું રહસ્ય ભગવાન મહાવીરે પ્રભાસ બ્રાહ્મણપુત્રને સમજાવ્યું. ચાર પ્રકારની ગતિઓમાંથી છૂટવા માટે કોઈ પણ ક્રિયા, તપ-જપ, ધ્યાન, ઉપવાસ, નિયમ કશું જ કામ લાગતું નથી. મોક્ષે જવા માટે તો સમ્યક્ જ્ઞાન, સમ્યક્ દર્શન, સમ્યક્ ચારિત્ર અને સમ્યક્ તપ - આ ચાર મોક્ષના પાયા કહ્યા છે. આત્માનું ભાન થાય, આત્માનું દર્શન, આત્માનું જ્ઞાન, એ ખરેખર સમ્યક્ જ્ઞાન-દર્શન છે. પછી જ્ઞાન-દર્શનમાં રહે, જોવા-જાણવામાં આવે ત્યારે અંદર કષાયો ખલાસ થાય. ખરું ચારિત્ર એને કહેવાય છે. તપ બે પ્રકારના છે: બાહ્ય તપ અને અભ્યંતર તપ. એમાં અભ્યંતર તપ મોક્ષ માટેનું છે, જેને અદીઠ તપ પણ કહેવામાં આવે છે.

અભ્યંતર તપ વિશે પરમ પૂજ્ય દાદા ભગવાને કહ્યું છે કે જો મોક્ષે જવું હોય તો કોઈ ગમે તેટલું અપમાન કરે, અપશબ્દો કહે પણ અંદર સમતા રહે અને હૃદય લાલચોળ થતું હોય તો એને આત્મભાવમાં રહીને જુદા જુએ કે આ પુદ્‌ગલ પરમાણુઓ બળી રહ્યાં છે, ખાખ થઈ રહ્યાં છે, ખરી રહ્યાં છે. એવું એને જ્ઞાનમાં હાજર રહે ત્યારે મોક્ષ માટેની પ્રગતિ થઈ કહેવાય.

અંતર તપથી બધાં કર્મો બળીને ભસ્મીભૂત થાય છે, એમનેમ નહીં. એટલે ખરું મોક્ષનું તપ તો અભ્યંતર તપ છે. આ કર્મબંધન અનાદિ છે. આત્માનું જ્ઞાન થાય ત્યારથી કર્મબંધનમાંથી છૂટવાની શરૂઆત થાય છે અને બધાં કર્મો ખપે પછી મોક્ષ થાય છે. પછી મોક્ષમાં આત્મા અનંતકાળ સુધી પોતાના સ્વાભાવિક સુખમાં નિરંતર રાચતો હોય છે.

આ પ્રકારે ભગવાને સુંદર વાતો સમજાવી. ભગવાન મહાવીરની આ વાત સાંભળીને પ્રભાસ બ્રાહ્મણપુત્ર પણ સમાધાન પામીને પ્રભુને ઝૂક્યા અને પોતાના શિષ્યો સાથે ભગવાન મહાવીરના ચરણોમાં દીક્ષા લીધી.

શ્રી મહાવીર સ્વામી - ચતુર્વિધ સંઘ

ભગવાન મહાવીરે બહુ સુંદર દેશના આપી અને અગિયારે અગિયાર ગણધરોને પોતાના જ્ઞાનથી એવા તરબોળ કરી દીધા કે એમને ભગવાનની વાત સિવાય બીજી કોઈ વાત અંદર ના રહી. તેઓ ભગવાનને સમર્પિત થયા અને પછી ભગવાન મહાવીરે એમને સુંદર બોધ આપીને ગણધર પદે સ્થાપ્યા. અગિયાર ગણધરોમાં સુધર્મા સ્વામીને સૌથી મોટા વડીલ બનાવ્યા, સાધુઓના આચાર્ય બનાવ્યા. કારણ કે એમનું આયુષ્ય સૌથી વધારે હતું.

11-gandhar

આ બાજુ, ચંદના કે જેમણે સૂપડામાં બાકળા વહોરાવીને ભગવાન મહાવીરનો કડક અભિગ્રહ પૂરો કર્યો હતો, એમને અંદરથી એવી તીવ્ર ભાવના હતી કે ભગવાન જ્યારે કેવળજ્ઞાન પામશે ત્યારે હું એમની પાસેથી દીક્ષા લઈશ. ભગવાનના સમોસરણમાં જઈ રહેલા દેવોને જબરજસ્ત આનંદ-પ્રમોદ, નાચગાન અને દુંદુભિનો નાદ કરતાં તથા આકાશમાં આટલો બધો કોલાહલ જોઈને, ચંદનાએ બહાર નીકળીને જોયું અને એમને થયું, “ઓહોહો! આ તો કંઈક જબરજસ્ત થઈ રહ્યું છે! કદાચ ભગવાન મહાવીરને કેવળજ્ઞાન થઈ ગયું ના હોય!” એટલામાં એક દેવે આવીને ચંદનાને એમણે સમાચાર આપ્યા, “હા! ભગવાનને કેવળજ્ઞાન થયું છે.” તેઓ ચંદનાજીને પોતાની સાથે પાવાપુરીમાં કે જ્યાં દેશના ચાલુ હતી, ત્યાં ઉપાડીને લઈ ગયા.

ત્યાં ભગવાન મહાવીરે ચંદનાને દીક્ષા આપીને પોતાની પ્રથમ સ્ત્રી શિષ્યા બનાવ્યા. પછી આચાર્યા ચંદનાજી તરીકે લોકો એમને ઓળખે છે. રાજકુમારીઓ અને અન્ય સ્ત્રીઓએ એ જ વખતે ભગવાન મહાવીર પાસેથી દીક્ષા લીધી અને ભગવાને ચંદનાજીને બધાના ઉપરી બનાવ્યા. પોતાના જબરજસ્ત પ્રભાવથી મહાસતીજી ચંદનાએ બધા બહેનોની જવાબદારી લીધી અને મોક્ષમાર્ગ ખપાવવા માટે આગળનું બધું જ માર્ગદર્શન એમને આપતા રહ્યાં.

આવી રીતે ઘણા બધા શ્રાવકો અને શ્રાવિકાઓએ ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધી અને ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ. આ રીતે ભગવાન મહાવીરનો સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા તેમ જ અગિયાર ગણધરોનો ચતુર્વિધ સંઘ રચાઈ ગયો.

શ્રી મહાવીર સ્વામી - ઉત્પાદ, વ્યય અને ધ્રુવ પર દેશના

ભગવાન મહાવીરે એમની દેશનામાં ઉત્પાદ, વ્યય અને ધ્રુવ એ સનાતન દ્રવ્યના સિદ્ધાંતો વિશે સમજાવ્યું. આખા બ્રહ્માંડમાં છ શાશ્વત દ્રવ્યો છે. દરેક દ્રવ્ય જેમ કે, આત્મા, જડ તત્ત્વ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાળ તત્ત્વ અને આકાશ તત્ત્વ, આ છ પ્રકારના દ્રવ્યો છે. એ દ્રવ્યના પોતાના સ્વાભાવિક ગુણધર્મો છે. દરેકના પોતપોતાના ગુણધર્મો છે; એ ગુણધર્મો અન્વય ગુણો છે જેમાં ક્યારેય ફેરફાર થતો નથી. બીજા વ્યતિરેક ગુણો છે જે એકબીજાના સમન્યવયથી ઊભા થાય છે અને પાછા ખલાસ થાય છે.

દરેક દ્રવ્યને પોતાના સ્વાભાવિક દ્રવ્ય, ગુણ અને પર્યાય આ ત્રણ વસ્તુ હોય જ છે. દ્રવ્યનું દ્રવ્ય એટલે કોઈ શાશ્વત તત્ત્વ હોય એનું મેટર તો હોય જ - એ મેટર એ દ્રવ્ય કહેવાય છે અને એના ગુણધર્મ પણ હોય. એ ગુણધર્મ એનો ગુણ કહેવાય છે. પર્યાય એટલે જે અવસ્થાઓ છે એ બદલાતી જાય છે, જે ઊભી થાય છે અને શમાઈ જાય છે.

એટલે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ, આ ત્રણ, પર્યાયને લાગુ પડે છે. દ્રવ્ય અને ગુણ તો સ્થિર છે. ઘણાંને પ્રશ્ન થાય છે કે દ્રવ્ય અને ગુણ તો શુદ્ધ જ છે પણ પર્યાય શુદ્ધ છે કે અશુદ્ધ? અમુક લોકો માને છે કે પર્યાય અશુદ્ધ થઈ જાય છે અને અમુક લોકો માને છે કે પર્યાય અશુદ્ધ થતા નથી, એ પણ શુદ્ધ જ રહે છે. જો પર્યાય અશુદ્ધ થઈ જાય તો પછી એ પરિશુદ્ધ કઈ રીતે થાય? પછી મોક્ષમાં પણ અશુદ્ધ પર્યાયથી સંસાર તો ચાલુ જ રહે.

ખરેખર, વાસ્તવિકતામાં સૈદ્ધાંતિક રીતે, તત્ત્વરૂપે નિશ્ચયનયથી પર્યાય પણ શુદ્ધ જ છે પણ વ્યવહારનયથી જોવાથી આપણને અશુદ્ધ ભાસે છે. પોતે જ્યારે આત્મામાં સંપૂર્ણ આવી જાય ત્યારે એને ખુલ્લું થઈ જાય છે કે પર્યાય ક્યારેય બગડતા નથી; એ પણ શુદ્ધ જ છે. આત્મા કોઈમાં ભેળસેળ થતો જ નથી. દરેક દ્રવ્યનો મોટામાં મોટો ગુણ છે ટંકોત્કીર્ણવત્.

પરમ પૂજ્ય દાદા ભગવાને પણ ખૂબ સુંદર સમજાવ્યું છે કે ટંકોત્કીર્ણવત્ એટલે શું - કે જેમાં બે દ્રવ્ય ભેગા થાય અને ગમે તેટલા પાસે ને પાસે રહે તો પણ એનું મિક્ષ્ચર થાય પણ કમ્પાઉન્ડ ના થાય. જેમ કે તેલ અને પાણીને ગમે તેટલું હલાવીને એકાકાર કરવા જઈએ પણ એ એકાકાર ના જ થાય. એના પાર્ટિકલ જુદાં જ રહે એટલે કે એનું સોલ્યુશન ક્યારેય ના થાય, એનું ઈમલ્શન થાય. એ હેટ્રોજીનીયસ જ રહે, હોમોજીનીયસ ના થઈ શકે, એટલે પાર્ટિકલ જુદાં જ રહે.

એવા છ એ દ્રવ્યો અનંતકાળથી પાસે ને પાસે હોય તો પણ એ એકબીજાથી નોખાં જ છે. એ ગુણને ટંકોત્કીર્ણ કહ્યું છે અને એવો આપણો આત્મા ટંકોત્કીર્ણવત્ છે. આપણો આત્મા અનંત અવતારથી અનંત દેહમાં ગયો છે, પણ એ દ્રવ્યથી, ગુણથી, પર્યાયથી અને નિશ્ચયનયથી શુદ્ધ જ છે. એ ક્યારેય અશુદ્ધ થયો જ નથી; ભ્રાંતિથી એવું લાગે છે કે અશુદ્ધ થઈ ગયું છે પણ એ શુદ્ધ જ છે.

અનંતકાળથી અનંતજ્ઞેયોમાં આત્માએ પરિવર્તન કર્યું છે જેનું જ્ઞાન દરેક જ્ઞેયમાં ગયું છે પણ એનું જ્ઞાન જ્ઞાનસ્વરૂપે જ રહ્યું છે; સંપૂર્ણ શુદ્ધ છે, સર્વાંગ શુદ્ધ છે. એ ક્યારેય અશુદ્ધિને પામ્યું નથી કે અંશમાં પણ પરિણમ્યું નથી, સર્વાંગ જ રહ્યું છે.

તીર્થંકરોની આ જબરજસ્ત તત્ત્વની વાતો છે. અનંતકાળથી ભટકતો આપણો આત્મા છે, તે કોઈ પણ કાળે કે એક સમય માટે પણ કોઈ પણ પર્યાયમાં પેઠો નથી, અશુદ્ધ થયો નથી. આત્મા ત્રણેય કાળ શુદ્ધ હતો, છે અને રહેવાનો છે. મોક્ષમાં પણ એ સ્થિતિમાં આત્મા અનંતકાળ સુધી રહે છે.

પાંચ મહાવ્રતો

મહાવીર સ્વામીએ પાંચ મહાવ્રતો આપ્યા જે દરેક આધ્યાત્મિક વ્યક્તિએ પાળવા જરૂરી છે. તેમણે આ પાંચ મહાવ્રતોની સંપૂર્ણપણે સ્થાપના કરી. આ વ્રતો આ મુજબ છે:

૧. અહિંસા, તેનો અર્થ છે કે હિંસા ન કરવી.

૨. સત્ય, ‘સત’ એટલે શાશ્વત સત્ય. આ બ્રહ્માંડમાં છ શાશ્વત તત્વો આવેલા છે. જો કે, આત્મા એ આપણું પોતાનું ખરું સ્વરૂપ છે. માટે, તે સૌથી મહત્વનું તત્વ છે, અને તેથી, ‘આત્મા’ એ જ માત્ર ‘સત’ તત્વ છે. જે બીજા પર આધારિત હોય છે, તે બધા સાપેક્ષ સત્ય છે. આપણા માતાપિતાના આધારે ‘હું બાળક છું’, એ સાપેક્ષ સત્ય છે. પત્નીના આધારે, ‘હું બાળક છું’ એ સત્ય નથી, ખરું ને? સાપેક્ષ સત્ય હિત, પ્રિય, મીત અને સામી વ્યક્તિ માટે હિતકારી હોવું જોઇએ. આપણે હંમેશા એવું લક્ષમાં રાખવું જોઇએ કે સાપેક્ષ સત્ય હંમેશા બદલાયા કરે છે. માટે, કોઇ પણ વ્યવહારિક સત્ય માટે કોઇ આગ્રહ રાખવો જોઇએ નહિ.

૩. અચૌર્ય, એટેલે એવું વ્રત કે જેમાં વિચાર, ભાવ, ક્રિયા અને વાણીથી જરા પણ ચોરી ન કરવી.

૪. અપરિગ્રહ, જેનો અર્થ કશાનો માલીકીભાવ ન રાખવો.આપણું શરીર, મન અને વાણી એ આપણો પ્રાથમિક પરિગ્રહ છે. ત્યારપછી, આપણી પત્ની, બાળકો, કુટુંબ, ઘર, ફર્નિચર, સંબંધો, નામ, પ્રતિષ્ઠા, અપમાન, વગેરે બધા આપણા પરિગ્રહો છે. પરિગ્રહ એટલે એવું કંઇ કે, જેના પર આપણું ખેંચાઈ જાય છે. આપણે જયારે આ વ્રતનું સાચા અર્થમાં પાલન કરશું ત્યારે દેહાધ્યાસ, એટલે કે, ‘હું , પોતે જ, શરીર છું’, એની માન્યતા જતી રહેશે. આધ્યાત્મિકતામાં, બાહ્ય પરિગ્રહોનો ત્યાગ કરવો, એનું કોઇ મહત્વ હોતું નથી, પરંતુ આ બાહ્ય પરિગ્રહોમાં રહેલ રાગ (મોહ)ને કાઢી નાખવો એ જ લક્ષમાં રાખવામાં આવે છે. જ્યારે આપણને કોઇ ચિંતા ન થાય ત્યારે જ, ‘અપરિગ્રહ’ની સ્થિતિ ગણાય!

૫. બ્રહ્મચર્ય, ભગવાન પાર્શ્વનાથે માત્ર ચાર મહાવ્રતો જ (બ્રહ્મચર્ય સિવાયના) આપ્યા હતા કારણ કે બ્રહ્મચર્ય તો અપરિગ્રહમાં સમાવિષ્ટ જ છે. જો કે, ભગવાન મહાવીરે પાંચમું વ્રત બ્રહ્મચર્યનું ઉમેર્યું. આ એટલા માટે કે તેઓ જાણતા હતા કે, આવનારા સમયના સામાન્ય માણસો અપરિગ્રહ અને બ્રહ્મચર્ય વચ્ચેના તફાવતને સમજી શકશે નહિ. માટે, તેઓ એવું કહીને ગેરમાર્ગે દોરવાશે કે ભગવાને બ્રહ્મચર્યના સંદર્ભમાં તો કશું કહ્યું નથી. આ ગેરઉપયોગને રોકવા માટે, ભગવાને પાંચમું વ્રત ઉમેર્યું.

રોહિણીયા ચોર

રાજગૃહી નજીક, લોહખુર નામનો ખૂબ જ ચાલાક અને ભયંકર ઘાતકી ચોર રહેતો હતો. તે અને તેની પત્નીને રોહિણીયા નામનો પુત્ર હતો. રોહિણીયા, તેના પિતાના પગલાને અનુસરીને, મોટો થઈને તેના પિતા કરતાં પણ વધુ હોશિયાર અને બુધ્ધિશાળી ચોર બન્યો. જેમ જેમ વર્ષો પસાર થતા ગયા, તેમ એક દિવસ વૃધ્ધ લોહખુર મરણ પથારી પર હતો. તેણે રોહિણીયાને બોલાવ્યો અને ક્યારેય પણ મહાવીરનો ઉપદેશ ન સાંભળવાની સલાહ આપી, કારણ કે તેમનો ઉપદેશ તેના વ્યવસાયને અનુરૂપ નથી હોતો. રોહિણીયાએ તેના પિતાને વચન આપ્યું કે તે તેમની સલાહનું હંમેશા અનુસરણ કરશે.

Rohineya-thief story

હવે, એક દિવસ, એવું બન્યું કે જ્યારે રોહિણીયા એક જગ્યાએથી પસાર થઈ રહ્યો હતો, ત્યાં જ તેણે ભગવાનનો અવાજ સાંભળ્યો. ભગવાન શ્રાવસ્તી લોકોને દેશના આપી રહ્યા હતા. રોહિણીયાએ તરત જ તેના હાથથી કાન બંધ કરી દીધા. પરંતુ એટલામાં જ, એક તીક્ષ્ણ કાંટો તેના પગમાં ખૂંચી ગયો અને તેને ખૂબ જ દર્દ થવા લાગ્યું. પરિસ્થિતિ એવી બની કે તેને ફરજિયાત પણે કાંટાને કાઢવા માટે એક હાથ કાન પરથી લેવો જ પડે. જેવું તેણે આવું કર્યું કે, તરત જ ભગવાન મહાવીરના આ શબ્દો તેના કાનમાં પડ્યા, “એવી વ્યક્તિ કે જેના પગ જમીનને ન અડતા હોય, જેની આંખ પલકતી ન હોય, જેના શરીરને પરસેવો ન વળતો હોય અને જેમના ગળામાં રહેલ હાર કદી મૂરઝાયેલ ન હોય તો, તે દેવલોકમાંથી આવેલ હોય છે. “ રોહિણીયાએ તરત જ કાંટો તેના પગમાંથી કાઢ્યો અને આગળ વધ્યો.

રોહિણીયાએ પહેલા ક્યારેય ન કરી હોય તેવી લૂંટ ચલાવી. જેના પરિણામે, શહેરના લોકોને ખૂબ હેરાનગતિ થવા લાગી. તેઓએ રાજા શ્રેણિકને વિનંતિ કરી કે રોહિણીયા સામે કોઇ પગલા લેવામાં આવે. રાજાએ તેમના અત્યંત બુધ્ધિશાળી અને વિશ્વાસુ મુખ્ય પ્રધાન, અભયકુમારને બોલાવ્યા અને રોહિણીયાની ધરપકડ કરવા માટેની કામગીરી સોંપી.

અભયકુમારે તેમના સૈનિકોને મહત્વના સ્થળોએ ગોઠવી દીધા અને રોહિણીયાને પકડવામાં સફળ રહ્યા. જો કે, ચોરે વેશપલટો કર્યો. તેથી, જ્યારે તેને લાવવામાં આવ્યો, ત્યારે તેણે પોતે બાજુના ગામનો ખેડૂત છે તેવો પરિચય આપ્યો. રાજાએ તે ગામમાંથી તેની ઓળખ ચકાસવા માટે બોલાવ્યા.. રોહિણીયા હંમેશા બે ડગલાં આગળ જ ચાલતોઅને માટે, તેણે પહેલેથી જ આ બાબતની ગોઠવણી કરી લીધી હતી. પરિણામે, સૈનિકો એવી ખાતરી સાથે પાછા આવ્યા કે આ ઓળખ સાચી છે. અભયકુમાર સારી રીતે જાણતા હતા કે આ વ્યક્તિ રોહિણીયા જ છે, પરંતુ ઓળખના પુરાવા વિના તે કશું કરી શક્યા નહિ. તેથી તેમણે યુક્તિપૂર્વકની યોજના ઘડી.

તેણે ચોરને એટલું બધું મદ્યપાન કરવા માટે મજબૂર કરી દીધો કે તે બેભાન થઇ ગયો. જ્યારે તે ભાનમાં આવ્યો, ત્યારે તેણે જોયું કે તેની આસપાસ દેવલોક જેવું વાતાવરણ રચાયેલું હતું. તે ક્યાં હતો તેની તેને ખબર પડી શકી નહિ. તેથી, તેણે એક અપ્સરાને આના વિશે પૂછ્યું. અપ્સરાએ જવાબ આપ્યો કે તે દેવલોકમાં છે અને તે આ બધા સુખોને ભોગવી શકે છે; પરંતુ તે પહેલા તેણે પોતાના ગતભવના કર્મોનું વર્ણન કરવું પડશે. રોહિણીયા શંકાશીલ હતો. ત્યારે બરાબર, તેને દેવલોક વિશેનો મહાવીરનો ઉપદેશ યાદ આવ્યો. તે આસપાસ જોવા લાગ્યો અને જોયું કે દરેક લોકોના પગ જમીનને સ્પર્શતા હતા, તેઓની આંખો મનુષ્યની જેમ પલકતી હતી, તેઓના શરીરને પરસેવો વળતો હતો અને હારમાંના કેટલાક ફૂલો કરમાયેલા પણ હતા. આ બધી બાબતોની મદદથી તેણે તારણ કાઢ્યું કે, તે ખરેખર દેવલોકમાં નથી. તેને ફસામણરૂપી યોજનાનો ખ્યાલ આવી ગયો અને ત્યાંથી નાસી છુટ્યો.

હવે તે મુક્ત હતો, તો પણ તેને ભગવાનના વચનો જ સતત યાદ આવતા હતા. તેણે વિચાર્યું, “ભગવાનના શબ્દો કેટલા બધા શક્તિશાળી અને અદ્ભૂત હતા!!! મેં ફક્ત એક જ વાક્ય સાંભળ્યું અને કોઇ જાતની ઇચ્છા વિના, તો પણ એ વાક્ય સાંભળવાથી મારો જીવ બચી ગયો. જો હું તેઓને વારંવાર સાંભળું તો, તો મને તેમની પાસેથી ઘણું પ્રાપ્ત થશે. કોણ જાણે, તે મને કદાચ આ જન્મ-મરણના દુષ્ચક્રમાંથી પણ મુક્ત કરી નાખે?!” ઘણા બધા વર્ષો સુધી આવી દૈવીવાણી સાંભળવાની તક ગુમાવી દીધી આ વાતથી તેનું હૃદય પશ્ચાતાપથી દ્રવિત થઇ ગયું. તે મહાવીર સ્વામી પાસે દોડ્યો અને અત્યંત નમ્રતાથી તેઓને પૂછ્યું, “હે ભગવાન, શું હું તમારા શરણોમાં આવવાની પાત્રતા ધરાવું છું? શું તમે મને તમારા શિષ્ય તરીકે સ્વીકાર કરશો?”ભગવાને તેને આ બાબતે સંમતિ આપી.

તે તરત જ રાજા શ્રેણિકની સભામાં ગયો, અને દરેકની હાજરીમાં, તેના ગુનાઓની કબૂલાત કરી. તેણે અભયકુમારને એવા બધા સ્થળો દર્શાવી દીધા જ્યાં તેણે ચોરેલી સંપત્તિ છૂપાવીને રાખી હતી અને એવું જાહેર કર્યું કે તે હવે દીક્ષા લેશે અને ભગવાનના ચરણોમાં બાકીનું જીવન વ્યતીત કરશે. તે ભગવાન પાસે આવ્યો અને તેઓની પાસે હ્રદયપૂર્વક તેણે કરેલા તમામ દુષ્કર્મોની કબૂલાત કરી. તેણે તેના ગુનાઓ બદલ પસ્તાવો કર્યો, અત્યંત કઠિન તપશ્ચર્યા કરી અને પોતાની જાતને તેણે બાંધેલા તમામ ખરાબ કર્મોમાંથી મુક્ત કરી. અંતે, તેણે દીક્ષા લીધી અને તેનું જીવન ભગવાનની ભક્તિમાં અને સેવામાં પસાર થયું. મૃત્યુ પછી, તે દેવગતિમાં ગયો અને દેવ બન્યો. આ કથા આધ્યાત્મિક શક્તિની મહત્વત્તા દર્શાવે છે કે તીર્થંકરની દૈવી વાણીમાં કેટલી બધી શક્તિ હોય છે. જે કુદરતી રીતે જ લોકોના કલ્યાણ કાજે વહેતી હોય અને સાથોસાથ દરેકને માટે અવશ્યપણે લાભદાયી પણ નીવડે છે.

મહાવીર સ્વામીના પ્રથમ માતાપિતા

એક દિવસ, વર્ધમાન મહાવીર ઋષભદત્ત ગામમાં આવ્યા અને માતા દેવાનંદા મળ્યા જેમણે પહેલા ભગવાન મહાવીરનો ગર્ભ ધારણ કર્યો હતો. સમોસરણની રચના થઈ અને તેઓ સજોડે ભગવાનનો ઉપદેશ સાંભળવા માટે ત્યાં આવે છે. તેઓ જાણતા ન હતા કે અગાઉ ગર્ભધારણ વખતે ભગવાન તેમના પુત્રરૂપે હતા, આ વાતની જાણ થયા બાદ તેઓ ખૂબ જ પ્રસન્ન થયા. ભગવાને દેશના આપી જેમાં તેમણે કહ્યું, “આ સંસારમાં, સુખ અને દુ:ખ બન્ને નાશવંત છે. શાશ્વત સુખ માત્ર આપણા આત્મામાં જ પ્રાપ્ત થાય છે. માટે, આપણા જીવનનો મુખ્ય ઉદ્દેશ આત્મજ્ઞાન પ્રાપ્તિનો હોવો જોઇએ.” આ દેશના સાંભળીને, તેમના માતા પિતાને સમકિત (સમ્યક દર્શન)ની પ્રાપ્તિ થઇ!

તેમના જમાઇ,જમાલી અને તેમની દીકરી, પ્રિયદર્શના

મહાવીર સ્વામી ભગવાન વિહાર કરતાં કરતાં એક વખત તેમના જન્મસ્થાન, ક્ષત્રિયકુંડમાં પધાર્યા. તેમના ભાઇ નંદીવર્ધને ભગવાનની દીકરી પ્રિયદર્શના અને જમાઇ જમાલી સાથે ભગવાનની મુલાકાત લીધી. તેમનો ઉપદેશ શ્રાવકોને સંસારનો ત્યાગ કરવા પ્રેરણા આપતો અને ત્યારબાદ તેઓ ભગવાન પાસેથી દીક્ષા લેતા હતાં. થોડાક વર્ષો પછી, જમાલી આવ્યો અને ભગવાનને પૂછ્યું કે શું તે પણ તેના શિષ્યોની સાથે, જુદાજુદા સ્થળોએ વિહાર કરી શકે અને સાધના કરી શકે. જો કે, ભગવાન શાંત રહ્યા. તેમના મૌનને સંમતિરૂપે સમજીને, જમાલી તેના સંઘ સાથે નીકળી પડ્યો.

એક વખત જમાલીને મેલેરિયા થઈ ગયો. તેને ખૂબ જ નબળાઇ લાગી રહી હતી. તેથી, તેણે તેના શિષ્યોને પથારી તૈયાર કરવાની સૂચના આપી. થોડાક સમય પછી, તે તેના શિષ્યોની તપાસ કરવા ગયો કે પથારી તૈયાર છે કે નહિ. શિષ્યોએ કહ્યું, “હા, પથારી તૈયાર છે.” જ્યારે જમાલી ગયો અને જોયું તો પથારી હજુ તૈયાર થઈ રહી હતી. તેથી, તેણે શિષ્યોને પૂછ્યું કે શા માટે તેઓ જૂઠું બોલ્યા. શિષ્યોએ કહ્યું કે ભગવાન મહાવીરે એવું શીખવ્યું છે કે કોઇ કાર્ય થઈ રહ્યું હોય, એને થઈ ગયેલું જ કહેવાય.

જમાલી ભગવાન પાસે ગયો અને આ બાબત અંગે સ્પષ્ટતા પૂછી. ભગવાને સ્પષ્ટતા કરી કે ‘કાર્ય-કારણ’ના સિધ્ધાંત મુજબ, કંઇ પણ થઈ રહ્યું હોય, તો તેને થયેલું જ માનવામાં આવે છે; તે જૂઠું કહી શકાય નહિ. દાખલા તરીકે, જો કોઈ મુંબઈથી ટેક્સીમાં બેસીને અમદાવાદના જઈ રહ્યો હોય અને અન્ય કોઇ વ્યક્તિ એના વિશે પૂછે, તો તેની પત્ની કહેશે, “અરે, એ તો અમદાવાદ ગયા છે”, ખરૂ ને! તે અમદાવાદ ન પહોંચ્યા હોવા છતાં, એવું કહેવાય કે તે અમદાવાદ ગયા છે કારણ કે અમદાવાદ જવાની ક્રિયા જ્યારથી નિશ્ચય કર્યો ત્યારથી શરૂ થઈ ચૂકી હોય છે.

જો કે, જમાલી ભગવાનના જવાબથી સંતુષ્ટ ન થયો. તેણે એવો આગ્રહ રાખ્યો કે ભગવાનનો દ્રષ્ટિકોણ ખોટો છે અને તેનો સાચો છે. માટે, તેણે ભગવાનની અવજ્ઞા કરી અને તેમને છોડીને જતો રહ્યો. કોઇ પણ વ્યક્તિએ ક્યારેય પણ ભગવાનના શબ્દો ઉપર શંકા કરવી જોઇએ નહિ. આ પ્રસંગ એનું સુંદર ઉદાહરણ છે કે કઈ રીતે વ્યક્તિ મોક્ષના માર્ગથી ચલિત થઈ જતી હોય છે. ભલેને ગમે તેટલી સારી ક્રિયાઓ કરી હોય અને ખૂબ તપશ્ચર્યા કરી હોય, તો પણ જો તે ભગવાન ઉપર વિશ્વાસ રાખી શકે નહિતો પછી મોક્ષ માટે તે બધું વ્યર્થ છે.

તેથી, પરમ પૂજ્ય દાદા ભગવાન હંમેશા કહે છે, “જે સીડીઓ દ્વારા, તમે ઉપર ચઢ્યા છો તે સીઢીને ક્યારેય કાપવી ન જોઇએ. “ જે વ્યક્તિ પાસેથી આપણને સાચું જ્ઞાન મળ્યું છે અને વિકાસ થયો છે (તે આપણા ગુરૂ, જ્ઞાની કે તીર્થંકર ભગવાન હોય શકે), આપણે તેમના ક્યારેય પણ દોષ ન જોવા જોઇએ. આપણે જેની પાસેથી જ્ઞાન મેળવ્યું તેમના પણ દોષ જોવા લાગીએ, તો આપણે એવા અજ્ઞાનતા ઘોર અંધકારમાં ફસાઇ જઈશું કે આપણે સમ્યક દર્શન ગુમાવી દઈશું. જે વ્યક્તિ મોક્ષે જવા ઇચ્છતી હોય અને બધા કર્મોમાંથી તો છુટવું હોય તો કોઇના પણ, પછી ભલે બહારની કોઇ અજાણી વ્યક્તિના પણ, ક્યારેય દોષ ન જોવા જોઇએ. જેના થકી આપણા જીવનમાં પ્રગતિ થઈ હોય અને ખરેખર અમૂલ્ય વસ્તુ પ્રાપ્ત થઈ હોય તો તેના દોષ તો કઈ રીતે જોઇ શકાય?”હા, આપણને પ્રશ્ન પૂછવાનો અને આપણા સંશયોને દૂર કરવાનો પૂરેપૂરો અધિકાર છે અને એવું પણ બને કે આપણને કોઇ વસ્તુ સમજવામાં વધુ સમય લાગે. પરંતુ જ્ઞાનીની અવજ્ઞા કરીને આપણી પોતાની સમજ પર ચાલવું તે ખરેખર, તો સ્વચ્છંદ છે. જ્યાં સ્વચ્છંદ છે, ત્યાં કોઇ મોક્ષે જઈ જ ન શકે. આજ્ઞા સાચી રીતે અને નિષ્ઠાપૂર્વક પાળવાથી સ્વચ્છંદ જતો રહે છે.

જમાલીની પત્ની અને ભગવાન મહાવીરની પુત્રી પ્રિયદર્શના પણ તેના પતિના પંથે ચાલવા લાગી. જો કે, થોડા વર્ષ પછી, એકવાર એવું બન્યું કે પ્રિયદર્શના એક કુંભારને ત્યાં ગઈ, જે જાણતો હતો કે કઈ રીતે તેણે પિતાને છોડી દીધા, કુંભારે તેની આંખ ખોલવાનો પ્રયાસ કર્યો કે, જેથી તે મહાવીર સ્વામીની શરણમાં ફરીથી જતી રહે. તેણે ધીરેથી એક સળગતો કોલસો તેની સાડી ઉપર મૂકી દીધો. થોડી ક્ષણોમાં, જ્યારે પ્રિયદર્શનાએ જોયું કે તેના કપડા સળગી રહ્યા છે, તે બૂમો પાડવા લાગી કે, “અરે, હું સળગી રહી છું, હું સળગી રહી છું.” ત્યાં રહેલા લોકોએ તે આગને બુઝાવી દીધી. પછી, કુંભારે પ્રિયદર્શનાને પૂછ્યું, “તમે અને તમારા પતિ એવું માની રહ્યા છો કે જ્યારે કાર્ય સંપૂર્ણપણે પૂર્ણ થાય ત્યારે જ તે થયેલું કહેવાય છે. તો પછી તમે અગાઉથી કેમ ચીસો નાખી કે, “હું સળગી ગઈ, હું દાઝી ગઈ.?”તમે જ્યારે સંપૂર્ણપણે સળગી જાવ ત્યારે જ તમારે એવું કહેવું જોઇએ. જે કંઇ બની રહ્યું છે, તેને તમે કઈ રીતે કહી શકો કે આ થઈ ગયું છે – આ તારો સિધ્ધાંત છે, ખરું ને?”

પ્રિયદર્શનાને તેની ભૂલનો ખ્યાલ આવ્યો, તે ભગવાનના ચરણોમાં સમર્પિત થાય છે અને પોતાની ભૂલોની કબૂલાત કરે છે. આ બધાના પરિણામે, આવતા ભવમાં તેને દેવગતિ પ્રાપ્ત થાય છે.

તેજોલેશ્યા

એક દિવસ, ભગવાન મહાવીર શ્રાવસ્તીનગરીમાં પહોંચ્યા. તેમના શિષ્ય, આનંદ મુનિ, ભગવાનને મળવા જવાના રસ્તામાં, હલાહલ નામના કુંભારની દુકાન નજીકથી પસાર થયા, જ્યાં ગોશાળો (જેનો ઉલ્લેખ અગાઉ પણ આવ્યો હતો) રહેતો હતો. અહંકારી ગોશાળાએ અત્યારે પણ પોતાની જાતને ૨૪મા તીર્થંકર તરીકે ઘોષિત કરવાનું શરૂ કરી દીધું. આનંદ મુનિ સામે તેણે એવી બડાઇ મારવાનું શરૂ કરી દીધુ કે, તેની પાસે એવી મહાન શક્તિ છે કે જેના દ્વારા ક્ષણમાં જ કોઇને પણ ભસ્મીભૂત કરી શકે છે.

આનંદ મુનિએ આ વાત ભગવાનને કહી અને ગોશાળો જે કહી રહ્યો હતો તે સાચું છે કે કેમ તેની પૂછપરછ કરી. ભગવાને એવું કહ્યું કે તેની પાસે તેજોલેશ્યાનું જ્ઞાન છે જેના દ્વારા તે કોઇને પણ ભસ્મ કરી શકે છે. જો કે, તે તીર્થંકરને નષ્ટ ન કરી શકે, એટલે કે; ભગવાન મહાવીરને! ભગવાને આનંદ મુનિ અને તેમના અન્ય શિષ્યોને ચેતવ્યા કે ગોશાળાથી દૂર રહેવું કારણ કે તે તેની શક્તિનો દુરૂપયોગ ગમે તે સમયે કરી શકે છે. તેમણે તેઓને સલાહ આપી કે તેની સાથે કોઇ પણ પ્રકારની દલીલોમાં પડવું નહિ.

બીજી તરફ, શ્રાવસ્તી નગરીમાં, બે વ્યક્તિ પોતાની જાતને તીર્થંકર ઘોષિત કરી રહ્યા છે તે ચર્ચાનો વિષય બની ગયો. આ બન્નેમાંથી જે લોકો જે ગુરૂને સ્વીકારતા હોય તે લોકો સામાન્યપણે જ પોતપોતાના ગુરૂની પક્ષમાં જ હોય. તેથી, જે લોકો મહાવીર ભગવાનને માનતા હતા તેમને ખાતરી હતી કે, તેઓ જ સાચા તીર્થંકર છે. જો કે, ઘણા જિજ્ઞાસુ લોકો ગોશાળા દ્વારા દર્શાવાતા ચમત્કારિક શક્તિ પ્રયોગોથી પ્રભાવિત થઈ ગયા અને તેને તીર્થંકર તરીકે માની બેઠા.

એક દિવસ, ગોશાળો આવ્યો અને ભગવાનને બધી જ રીતે અપશબ્દો બોલી હેરાન કરવાનું શરૂ કરી દીધું! ભગવાન સ્થિર જ રહ્યા અને ગોશાળો જે કંઇ કહી રહ્યો હતો તેને ધીરજપૂર્વક સાંભળવા લાગ્યા. જો કે, તેમના શિષ્યો, જે લોકો ભગવાન તરફ પૂજ્યભાવ ધરાવતા હતા અને હ્રદયપૂર્વક ભગવાનની ભજતા હતા, તેઓ ભગવાન માટેના આ ખરાબ શબ્દો સહન કરી શક્યા નહિ. તેઓ વળતો પ્રહાર કરતા હતા જેના કારણે ગોશાળો ખૂબ જ ક્રોધિત થયો. તેણે તરત જ તેલોલેશ્યાનો પ્રયોગ કર્યો અને બે શિષ્યોને બાળી નાખ્યા. તે બન્ને ભગવાન મહાવીરના ચરણ કમળમાં સમર્પિત થયા અને મૃત્યુ પછી, દેવલોક પામ્યા.

આ દ્રશ્યના સાક્ષી બનેલા અન્ય શિષ્યો, ગોશાળાની ક્રૂરતા જોઇને આઘાત પામ્યા, ભગવાનને તે બે શિષ્યોનો જીવ પાછો આવી જાય તે માટે વિનંતિ કરવા લાગ્યા. ભગવાને તેમને સમજાવ્યું કે આ શક્ય નથી, કારણ કે તેઓ મોક્ષદાતા છે, જીવનદાતા નથી.

જન્મ અને મૃત્યુ એ આપણા કર્મોનું જ પરિણામ છે. ભગવાન ક્યારેય આમાં વચ્ચે પડતા નથી. વધુમાં, આપણે દરેક અસંખ્ય જન્મો અન મૃત્યુમાંથી પસાર થયા છીએ. મોક્ષનમાર્ગે પ્રગતિ કરવા માટે આની શી કિંમત છે? બે શિષ્યો જેને આપણે મૃત્યુ પામેલા કહીએ છીએ તે હકીકતમાં તો ભગવાનનું શરણ પામ્યા છે અને મોક્ષ પંથેપામ્યા છે. તે જ ખરેખર મહત્વનું છે!

tejoleshya

ગોશાળો, જો કે, આટલું બનવા છતાં પણ જરા પણ સંતુષ્ટ થયો ન હતો. તેણે તેજોલેશ્યા ભગવાન ઉપર પણ ફેંકી. પરંતુ આ વખતે, તેજોલેશ્યા ભગવાનની ત્રણ પ્રદક્ષિણા કરીને પાછી ગોશાળાને જ વાગી, કારણ કે વર્ધમાન મહાવીર તીર્થંકર અને ચરમ શરીરી હતા. તીર્થંકર ભગવાનનું કોઈ દિવસ અકાળે મરણ થાય નહિ. ગોશાળાનું આખું શરીર સળગવા લાગ્યું. ભગવાને તેને કહ્યું, “સાવચેત રહેજે, સાતમા દિવસે, તારું મ્રુત્યુ થશે.” આ સાંભળીને, ગોશાળાને તેના ખોટા કર્મોનો ખ્યાલ આવ્યો અને તેના પર તે નિષ્ઠાપૂર્વક પસ્તાવો કરવા લાગ્યો. તે પીડામાં રડવા લાગ્યો, “આ ભયંકર પીડા એ મારા પાપ કર્મનું જ ફળ છે.” તેણે તેના બધા શિષ્યોને એકઠા કર્યા અને સ્વીકાર્યું કે: “હું ખોટો હતો અને ભગવાન મહાવીર સાચા હતા. તમે બધા તેમની પાસે જાઓ. તેઓને ભગવાન તરીકે સ્વીકારો! હું મોટો પાપી છું. મહેરબાની કરીને મને માફ કરો.” તેણે અત્યંત પસ્તાવો કર્યો. તેનું શું પરિણામ આવ્યું? તેના મૃત્યુ પછી, ભગવાને જાહેર કર્યું કે, “ગોશાળો, તેના પ્રતિક્રમણને કારણે, દેવગતિને પામ્યો છે. છેલ્લા દિવસે, તેણે ખૂબ જ પસ્તાવો કર્યો જેના કારણે તેણે તેની જાતને પાપોથી મુક્ત કરી દીધી. તેથી, તે ચોક્કસપણે મોક્ષ પ્રાપ્ત કરશે. “તેથી, તમે જુઓ, સાચી આલોચના અને પશ્ચાતાપમાં અત્યંત શક્તિ રહેલી છે. જો હ્રદયપૂર્વક કરવામાં આવે, તો ખરાબમાં ખરાબ પાપો પણ બળી શકે છે!

તેજોલેશ્યા મહાવીરને તાકીને ફેંકવામાં આવી હોવા છતાં પણ ભગવાનને મારી શકી નહિ, પરંતુ તેનાથી ભગવાનને ખરાબ અસરો જરૂરથી થઈ. તેનાથી ભગવાનને મરડો થઈ ગયો, જેના કારણે, ભગવાનનું ઘણું બધું વજન ઘટી ગયું. જો કે, ભગવાનને અંદર શાંતિ જ હતી. તેમના શિષ્યો ખૂબ જ ચિંતિત થઇ ગયા; ખાસ કરીને, સિંહ નામનો એક શિષ્ય ભગવાનની પીડા જોઇને ખૂબ રડવા લાગ્યો. ભગવાને તેને શાંત કર્યો અને કહ્યું, “ચિંતા ન કર. મને કશું થવાનું નથી. હું હજુ બીજા ચૌદ વર્ષ જીવવાનો છું.” સિંહે આગ્રહ કર્યો કે ભગવાને કેટલીક દવા લેવી જોઇએ, જેમાં ભગવાન સંમત થયા. ભગવાને તેને રેવતી પાસે જવા માટે સૂચન કર્યું, જે ભગવાન માટે અત્યંત ભક્તિથી, ભગવાન માટે કેટલીક વાનગીઓ બનાવી રહી હતી. ભગવાન મહાવીરે સ્પષ્ટપણે એવી સુચના આપી કે તે અમુક વાનગી ન લઈ આવે, પરંતુ તેના બદલે તે બીજી વાનગી બીજોરાની કે જે રેવતીએ ઘેર બનાવી હોય તે લઈ આવે.

Revati-mahasati

સિંહ રેવતી પાસે ગયો. તેણી ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ઊઠી અને વધુમાં તેણીએ સાંભળ્યું કે ભગવાને તેને ખાસ કરીને અમુક વાનગી બનાવવાનું કહ્યું છે તો તેણી ખૂબ જ રોમાંચિત અને આનંદિત થઇ ઊઠી. તેણે ખૂબ જ આનંદ સાથે બીજોરાની વાનગી સિંહને આપી, જે પ્રમાણે ભગવાને સૂચના આપી હતી! મહાવીર સ્વામીએ તે ખાધી અને તેમનો ઇલાજ થઇ ગયો. આમ, રેવતી તીર્થંકર તરીકેનું ગોત્ર બાંધે છે. આવતી ચોવીસીમાં રેવતી ૧૭મા તીર્થંકર તરીકે થશે.

ગૌતમ સ્વામીનો પરમ વિનય

ભગવાન મહાવીરના શરણમાં આવીને, ગૌતમ સ્વામીનું મિથ્યા અભિમાન નષ્ટ થઈ ગયું. તેઓ ભગવાનના અતિનમ્ર શિષ્ય બની ગયા. જેમ જેમ દિવસો પસાર થતા ગયા, તેમને ભગવાન તરફ અત્યંત પ્રશસ્ત રાગ ઉત્પન્ન થયો. ગૌતમ સ્વામીનો તેમના પ્રત્યેનો પ્રેમ અપાર હતો. આ જ કારણ હતું કે તેઓ શા માટે કેવળજ્ઞાન પ્રાપ્ત ન કરી શક્યા અને બીજી તરફ હજારો લોકો માત્ર એક વખત ભગવાનના શબ્દો સાંભળીને જ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકતા હતા.

gautam-swami

ગૌતમ સ્વામી અસાધારણ બુધ્ધિમતા ધરાવતા હતા. તેથી, તેઓ કોઇને પણ ધર્મનો ઉપદેશ આપે, તેમના ઉપદેશ થકી કોઈપણ વ્યક્તિને કેવળજ્ઞાન થઇ જાય, એવી ક્ષમતા તેઓ ધરાવતા હતા.

એક વખત મહાવીર ભગવાને એમની દેશનામાં કહ્યું કે, “જે અષ્ટાપદ પર્વત પર ચોવીસ તીર્થંકરોના જીનાયલો છે, તેના દર્શન કરે અને એક રાત્રી ત્યાં વાસ કરે, તે જરૂર એ જ ભવમાં મોક્ષ પદને પામશે.” આ સાંભળીને ગૌતમસ્વામી અષ્ટાપદ જવાનો નિશ્ચય કરે છે અને તે માટેની બધી જ તૈયારીઓ કરે છે. અષ્ટાપદ પર ચડવું કઠીન હતું પરંતુ આખરે ગૌતમસ્વામી તો પ્રથમ ગણધર હતા અને એમનું નિશ્ચય બળ જબરદસ્ત હતું. અષ્ટાપદ પર્વત પર ચઢતી વખતે ત્રણ પડાવ આવે છે. પ્રથમ પડાવ પાસે ૫૦૦ તાપસોને ગૌતમ સ્વામીએ બોધ આપ્યો અને તેઓ બધા મહાવીર ભગવાનને સમર્પણ થઈ ગયા. બીજા પડાવ પાસે અન્ય ૫૦૦ તાપસો તપ કરી રહ્યા હતા અને તેમને પણ ગૌતમ સ્વામીએ સુંદર બોધ આપ્યો અને તેઓ બધા પણ મહાવીર ભગવાનને સમર્પણ થઈ ગયા. ત્રીજા પડાવ પાસે પણ ૫૦૦ તાપસોને બોધ પમાડી તેઓ ભગવાનને સમર્પિત થયા.આ રીતે ૧૫૦૦ તાપસો ગૌતમ સ્વામીના શિષ્યો થઈ ગયા. ત્યારબાદ ગૌતમ સ્વામી અષ્ટાપદ પર્વતના શિખરે પહોંચ્યા અને ત્યાં અત્યંત ભક્તિપૂર્વ ચોવીસ તીર્થંકરોને વંદના કરી. ત્યાં ગૌતમ સ્વામી એક રાત્રી વાસ કરીને બીજા દિવસે પર્વત પરથી ઉતરે છે અને ૧૫૦૦ તાપસો મહાવીર ભગવાનનું શરણું સ્વીકારીને ગૌતમ સ્વામી પાસે દીક્ષા અંગીકાર કરે છે. ત્યારબાદ બધા ખુબ જ આનંદિત થઈને ગૌતમ સ્વામી સાથે વિહાર કરે છે. ગૌતમ સ્વામી ૧૫૦૦ તાપસોમાં કોઈ ને છઠ તો કોઈને અઠ્ઠમના પારણા કરાવે છે. ત્યારબાદ ગૌતમ સ્વામી સહિત ૧૫૦૦ તાપસો ભગવાનના સમવોસરણમાં જવા માટે વિહાર કરે છે. ત્યારે, જેઓએ અઠ્ઠમના પારણા કર્યા હોય છે એવા ૫૦૦ તાપસોને ભગવાનના સમવોસરણને દૂરથી જ જોઇને અને તેના દર્શન કરીને, બધાને ત્યાં જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. બીજા ૫૦૦ તાપસો જેઓએ છઠના પારણા કર્યા હોય છે તેમને સમવોસરણને નજીકથી જોતા જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને બાકી રહેલા ૫૦૦ શિષ્યોને ભગવાનના મુખારવિંદને જોતા જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ત્યારબાદ ૧૫૦૦ તાપસો ભગવાનને વંદન કરી કેવળીઓની પર્શદામાં બેસે છે ત્યારે ગૌતમ સ્વામી એમને રોકે છે કારણ કે, તેઓ એ વાતથી અજાણ હતા કે, ૧૫૦૦ તાપસોએ કેવળજ્ઞાન થયું છે. એ જ સમયે, મહાવીર ભગવાને ગૌતમ સ્વામીને કહ્યું કે, “હે ગૌતમ, આ ૧૫૦૦ કેવળીઓની અશાતના થઈ રહી છે તમારાથી, તેઓને કેવળજ્ઞાન થયું છે”. આ સાંભળીને ગૌતમ સ્વામીએ હૃદયપૂર્વક પશ્ચાતાપ કરીને બધાની માફી માંગી. આવા પ્રકારનો તેમનો અસાધારણ પરમ વિનય હતો! સાથોસાથ તેમનો પ્રેમ અને પરમ વિનય ભગવાન પ્રત્યે એટલો જ દ્રઢ હતો!!!

હાથ જોડીને આપણા વડીલોને નમવું એ વિનય દર્શાવે છે. ભગવાનના ચરણોમાં નમવું એ વધારે વિનય દર્શાવે છે. પરમ વિનય એટલે ગુરૂ અથવા જ્ઞાની જેની પાસેથી આપણને સાચું જ્ઞાન મળ્યું હોય, તેમની સાથે અભેદતા અને ક્યારેય પણ તેમના માટે એક પણ નેગેટીવ વિચાર ન આવવો જોઈએ. આપણો ઉધ્ધાર તેમના થકી જ થવાનો છે. પરમ વિનય એટલે સામી વ્યક્તિ માટે એકતા જ હોય અને ક્યારે પણ જુદાઈ ન લાગે. આપણા શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, “વિનય એ ધર્મનું મૂળ છે”.વીતરાગ માર્ગમાં વિનયનું ખુબ મહત્વ છે. શરૂઆત વિનયથી અને અંત પણ પરમ વિનયથી જ થાય છે.

સુલસા શ્રાવિકા

તીર્થંકર મહાવીર કે રાજગૃહી નગરીતરફ વિહાર કરી રહ્યા હોય છે ત્યારે તેમને એક અંબડ નામનો શ્રાવક મળે છે. ભગવાન તે શ્રાવક દ્વારા તેમના ખાસ આશીર્વાદ સુલસા શ્રાવિકા માટે મોકલે છે. શ્રાવક વીતરાગ ભગવાન તરફથી આવેલા આ શબ્દો જોઇને આશ્ચર્યચકિત થઇ ઊઠ્યો. તે વિચારવા લાગ્યો કે ભગવાને આવું શા માટે કર્યું હશે? તેથી, તેણે સુલસાની ભગવાન પ્રત્યે ભક્તિની પરીક્ષા કરવાનું નક્કી કર્યું. અંબડ શ્રાવક પાસે કેટલીક એવી શક્તિઓ હતી જેના દ્વારા તે બનાવટી સમોવસરણ રચી શકે. પછી, તેણે શહેરમાં એવી અફવા ફેલાવી કે મહાવીર સ્વામી આવે છે ત્યાં તો બધા સ્થાનિક લોકો સમોસરણ તરફ દોટ મૂકે છે.

જો કે, સુલસા તેના ઘરમાંથી બહાર આવી નહિ. અંબડે તેમને પૂછ્યું, “શું તમે ભગવાનના દર્શન માટે જશો નહિ?”તેમણે સ્પષ્ટતા કરી કે, “જો ખરેખરમાં ભગવાન મહાવીર આવ્યા હોય, તો મને તરત જ સ્પંદનો અનુભવ થાત. મારૂ સમગ્ર શરીર આનંદથી થનગની ઉઠયું હોય. જો કે, જો આવી લાગણીઓ મારી અંદર આવી નથી રહી, તો તે દર્શાવે છે કે આ સમોવસરણ બનાવટી છે, અને વાસ્તવિક નથી. “ શ્રાવકને ખ્યાલ આવ્યો કે તેમની ભક્તિની નિષ્ઠા ઉપર શંકા કરવામાં પોતે ખોટો હતો. સુલસાએ આ જન્મમાં તીર્થંકર ગોત્ર બાંધ્યું અને તેના પરિણામે, આવતી ૨૪મી તેઓ તીર્થંકર બનશે.

Sulsa Shravika

જીવતા તીર્થંકર

એક દિવસ, વર્ધમાન મહાવીર મલ્લિનાથ ભગવાનના દેરાસર પાસેના ઉદ્યાનમાં ધ્યાનસ્થ મુદ્રામાં બિરાજમાન હતા. એક યુગલ તેમના દરરોજના નિત્યક્રમ મુજબ મંદિરમાં પૂજા કરવા માટે આવે છે. બન્ને ભગવાન પાસેથી પસાર થાય છે અને ભગવાન મલ્લિનાથની પૂજા કરવા મંદિરમાં પ્રવેશે છે. આ જોઇને, ઇન્‍દ્રદેવ તે યુગલ સમક્ષ પ્રગટ થાય છે અને તેઓને જણાવે છે કે તેમણે બગીચામાં ધ્યાનમાં રહેલા જેમને જોયા તે ભગવાન મહાવીર, વર્તમાન હાજર તીર્થંકર છે. ઇન્‍દ્રદેવે તેઓને જીવતા તીર્થંકરની પૂજાનું મહત્વ અને તેમના થકી કઇ રીતે મોક્ષ થઇ શકે તે સમજાવ્યું.

simandhar-swami

એ જ રીતે, આપણા માટે, મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજમાન એવા ૨૦ તીર્થંકરો વર્તમાને હાજર છે; શ્રી સીમંધર સ્વામી આપણી પૃથ્વીથી સૌથી નજીક છે. તેથી, આપણે હ્રદયપૂર્વક ભગવાન સીમંધર સ્વામીની આરાધના કરવી જોઇએ. તેઓ જ એકમાત્ર આપણા સહુના કેવળજ્ઞાન અને મોક્ષ પ્રાપ્તિના ઉત્તમ નિમિત્ત છે. અત્યારે, મહાવીર પછી, આપણી પૃથ્વી ઉપર કોઇ તીર્થંકર નથી. મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજેલ સીમંધર સ્વામી પાસે પહોંચવા માટે, આપણને તેમના પ્રતિનિધિ કે, જે જીવતા જ્ઞાની છે તેમની જરૂર પડશે, જ્ઞાની પુરૂષ જેમનો આત્મા જાગૃત હોય અને જે બીજાના આત્માને પણ જાગૃત કરી શકે અને આપણે આવતા ભવમાં સીમંધર સ્વામી પાસે જઈ શકીએ એવા તૈયાર કરી આપવાની ક્ષમતા ધરાવતા હોય છે.

મહાવીર નિર્વાણ

મહાવીર સ્વામી, વિહાર વખતે, રાજગીરી નજીક પાવાપુરી (બિહાર) પહોંચ્યા. તેમની અંતિમ દેશના ૭૨ કલાક અવિરત ચાલી! આ કાળચક્રના લોકો માટે મુક્તિ પામવાની આ છેલ્લી તક હતી. તેથી, ઘણા રાજાઓએ દીક્ષા લીધી અને અસંખ્ય લોકોએ શ્રાવક અને શ્રાવિકા ધર્મ અંગિકાર કર્યો. આ જ સમયમાં, ભગવાને ગૌતમ સ્વામીને પડોશના શહેરમાં જવાનું અને બ્રાહ્મણને સાક્ષાત્કાર કરાવી દેવાનું કામ સોંપ્યું.

અંતે, ભગવાને શૈલેષીકરણ ક્રિયા કરી અને ૭૨ વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધો. ભગવાનનું નિર્વાણ થયું અને સિધ્ધક્ષેત્રમાં ગયા! દેવ ભગવંતો અંતિમ ક્રિયાઓ કરવા આવ્યા અને ભગવાન મહાવીરના નિર્વાણ કલ્યાણકની ઉજવણી કરી.

nirvan

આ સમાચાર સાંભળીને, આખા વિશ્વમાં અંધકાર છવાઇ ગયો. માટે, લોકોએ તેમના ભગવાનની ઝાંખી મેળવવા માટે દીવાઓ પ્રગટાવ્યા! આ ક્રિયા આજે પણ આ યુગના છેલ્લા તીર્થંકરની – મહાવીર સ્વામી, આપણા તારણહાર, જેમના શાસનમાં આપણો જન્મ થયો તેમની યાદમાં કરવામાં આવે છે. આપણે આ પ્રસંગને ‘દિવાળી’ તરીકે ઉજવીએ છીએ!

પાછા ફરતી વખતે, ગૌતમ સ્વામીએ જાણ્યું કે તેમના વ્હાલા ભગવાનને નિર્વાણ પ્રાપ્ત થયું છે. ગૌતમ સ્વામી, જેમને ભગવાન પ્રત્યે અત્યંત રાગ હતો, તેઓ આ સમાચાર સાંભળીને ચોંકી ગયા. તેઓ આ વાત માની શકતા જ ન હતા. તેઓ એ સમજવામાં નિષ્ફળ ગયા કે, “આવું બનવાનું હશે તેની ભગવાનને ક્યારે ખબર પડી હશે, શા માટે તેઓએ મને દૂર મોકલી દીધો?” તેમને ભારે આઘાત લાગ્યો. જો કે, તે જ વખતે, તેઓને ભાન થયું અને તેમના રાગનું બંધન અને મૂર્ખતા તૂટી ગઇ અને તેઓને પણ, કેવળજ્ઞાન થઈ ગયું! તેમણે ભગવાન દ્વારા અપાયેલ જગત કલ્યાણનું કામ બીજા ૧૨ વર્ષ શરૂ જ રાખ્યું અને અંતે મોક્ષે ગયા.

gautam-swami

આજના સમયમાં, મહાવીર સ્વામીની જીવન કથા આપણા બધા માટે ખૂબ જ મહત્વ ધરાવે છે! આ કથાઆપણને તેમના જેવા, અહિંસક અને બધા બંધનોમાંથી સંપૂર્ણપણે મુક્ત થવાનો ધ્યેય નક્કી કરવા માટે પ્રેરણા આપે છે. તેમની કથાનું વર્ણન કરવા માટેનો મુખ્ય ઉદ્દેશ એ જ છે. આ કુદરતી નિયમ છે : જે ગુણોની આપણે ભજના કરીએ તે આપણામાં પણ ખીલી ઊઠે છે. મહાપુરૂષોની કથા વાંચવા પાછળનો હેતુ જ આ છે. ભગવાન મહાવીરની કથા એ તીર્થંકરની કથા છે, જે આ વિશ્વમાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે!

Related Topic

×
Share on