Related Questions

શું ભગવાને આ જગત બનાવ્યું છે?

આ દુનિયા કોણે બનાવી? જગતને કોણ ચલાવે છે? તે કયા આધારે ચાલે છે? કોઈ તો હશે ને? કોણ હશે? એવા પ્રશ્નો ઘણીવાર આપણને ઊભા થાય છે.

દુનિયામાં ડગલે ને પગલે આપણે કહીએ છીએ કે, “રામ રાખે તેને કોણ ચાખે?” અથવા “જીવ તું શીદને શોચના કરે, કૃષ્ણને કરવું હોય તે કરે!” અથવા “ભગવાનની મરજી વિના પાંદડું પણ ન હલે.” તો શું ખરેખર ભગવાન જ બધું કરતા હશે?

જો ભગવાને દુનિયા બનાવી તો...

ધાર્મિક માન્યતા અનુસાર આ દુનિયા એ ઈશ્વરની લીલા છે, તેને સર્વશક્તિમાન ઈશ્વરે બનાવી છે. તો આપણને પ્રશ્ન થાય કે કયા ભગવાને દુનિયા બનાવી? રામ ભગવાને, શ્રીકૃષ્ણ ભગવાને, મહાવીર ભગવાને કે બીજા કોઈએ?

જો ભગવાને જ દુનિયા બનાવી હોય તો ભગવાન રામચંદ્રજીને પોતાના જ જીવનમાં આટલાં દુઃખો કેમ આવ્યાં? તેમણે પોતાની પત્નીનું હરણ કેમ થવા દીધું? કૃષ્ણ ભગવાન મહાભારતનું યુદ્ધ કેમ ના અટકાવી શક્યા? પારધીનું ઝેરી તીર વાગતાં તેમનું મૃત્યુ કેમ થયું? મહાવીર ભગવાનને જીવનમાં આટલાં દુઃખો અને ઉપસર્ગો કેમ આવ્યા? જો ભગવાન બધું કરતા હોય તો આવો વિરોધાભાસ કેમ? એવો પ્રશ્ન આપણને ઊભો થાય.

આપણે માતા-પિતા હોઈએ તો આપણાં સંતાનોને સુખી કરીએ કે દુઃખી? જો મા-બાપ તરીકે આપણે બાળકોના સુખ માટે જીવતાં હોઈએ, તો ભગવાન તો આખી દુનિયાના મા-બાપ છે. એ આપણને દુઃખી કેમ કરે? કેમ દુનિયામાં ચિંતા વગરનો એક માણસ નથી જોવા મળતો? આપણાં સંતાનની નોકરી જતી રહી હોય અને આપણે સમર્થ હોઈએ તો એમને મદદ કરીએ જ. તો પછી જે ભગવાનની આપણે રોજ દિવસ-રાત આરતી, ભક્તિ, પૂજા કરીએ છીએ, તે આપણી સામે પણ ન જુએ એવું કેમ? જેમણે આખી જિંદગી ભગવાનની ભક્તિમાં ગાળી હોય, કોઈ દિવસ કશું ખરાબ ન કર્યું હોય, તોય એમને દુઃખ કેમ પડે છે?

આપણે એમ કહીએ કે ભગવાન એટલે જગતની સુપ્રિમ ઓથોરિટી, સર્વોચ્ચ સત્તા. જો ભગવાન આખી દુનિયાના સંચાલક કે ગવર્નર હોય તો પૃથ્વી ઉપર પાર્લામેન્ટની જરૂર જ શી હોત? અને ભગવાન સંચાલક હોય તો બધા સાથે સરખું કેમ નથી કરતા? કોઈને ગરીબ બનાવે તો કોઈને ત્યાં પૈસાના ઢગલા આવે, એવું ઓછુંવત્તું શા માટે કરે? જો ભગવાન દુનિયા ચલાવતા હોય તો અત્યાચાર, દુરાચાર, બળાત્કાર, ગર્ભપાત આ બધું કેમ થવા દે? જન્મથી મંદબુદ્ધિ બાળક કેમ જન્મે? દુનિયામાં હોસ્પિટલો કેમ દર્દીઓથી ઊભરાય?

ભગવાન કહે કે, “તું મારી ભક્તિ કર ને મારી પાસે આવ.” જો ભગવાને જ આપણને જન્મ આપ્યો, આપણે એમની સાથે જ હતા અને છેવટે આપણે ભગવાનની પાસે જ પહોંચવાનું હતું, તો અહીં પૃથ્વી પર આપણને મોકલ્યા જ શું કામ? આવી દુનિયામાં જ્યાં એક-એક માણસને ચિંતા, ઉપાધિ ને દુઃખ છે. ભગવાને એમની પાસે જ કેમ ન રાખ્યા? કોઈ હેતુ તો હોવો જોઈએ ને? ભગવાનની લીલા, એમની મજા આપણા માટે સજા? અને ચાલો, ભગવાનની બધી વાત આપણે માનીએ, ચોર્યાશી લાખ યોનિઓમાં ફરવા તૈયાર થઈએ. પણ બદલામાં ભગવાન પાસે એટલું તો માંગી શકીએ કે, “મને એવી રીતે ફેરવો કે જીવનમાં એક પણ દુઃખ ના આવે.”

સૃષ્ટિનો સાચો સર્જનહાર

વાસ્તવિકતામાં સૃષ્ટિનો સર્જનહાર કોઈ છે જ નહીં. આ દુનિયા અનાદિકાળથી હતી, છે અને રહેશે. વેદાંતમાં અને યોગવાસિષ્ઠ રામાયણમાં સ્પષ્ટ કહ્યું છે કે, જગતનિયંતા કોઈ છે જ નહીં, જે છો એ તમે પોતે જ છો.

વાસ્તવિકતામાં, આપણી પોતાની અંદર બેઠેલો આત્મા એ જ પરમાત્મા છે. જેઓ નિરંતર સ્વસ્વરૂપમાં, આત્મસ્વરૂપમાં રહેતા હોય, તેમને જગતના લોકો ભગવાન તરીકે સ્વીકારે છે.

તમામ તીર્થંકરોએ પણ કહ્યું છે કે જગતનો કોઈ ચલાવનારો, બનાવનારો કે એનો સંહાર કરનારો નથી. મહાવીર ભગવાનના નિર્વાણ સમયે દેવોએ વિનંતી કરી કે પ્રભુ તેમનું આયુષ્ય થોડું લંબાવી દે, ત્યારે મહાવીર ભગવાને પણ કહ્યું છે કે “રાઈ માત્ર વધઘટ નહીં, દેખ્યાં કેવળજ્ઞાન!” એટલે કે આયુષ્યમાં રાઈમાત્ર વધ-ઘટ શક્ય નથી.

આપણે એમ જ માનીશું કે “ભગવાન કરે છે.” તો જગતનો સાચો કર્તા કોણ છે, ભગવાન કોણ છે, એ રહસ્ય કદી જડશે નહીં. ભગવાનની ભક્તિ પૂરતું એમ માનવું બરાબર છે. પણ જેમને અધ્યાત્મમાં આગળ વધવું છે, આત્મા-પરમાત્માની વાતો, જગતની વાસ્તવિકતાની વાતો સમજવાની અને પામવાની ઝંખના છે, તેમને તત્ત્વજ્ઞાનની વાત સમજવી પડશે.

ભગવાન એ કુદરત નથી અને કુદરત એ ભગવાન નથી. ભગવાન તો દરેક જીવમાત્રમાં છે. આત્મા એ જ પરમાત્મા છે. જ્યારે કુદરત એટલે આત્મા સિવાયની જડ વસ્તુ છે. ભૌતિક વિજ્ઞાનમાં વૈજ્ઞાનિકોએ શોધ્યું કે હિલિયમ, બેરિયમ, હાઈડ્રોજન, ઓક્સિજન બધા મૂળભૂત તત્ત્વો છે, જેમને ઉત્પન્ન કે વિનાશ ન કરી શકાય. તેમ અધ્યાત્મની દૃષ્ટિએ આ જગત શાશ્વત એવા છ અવિનાશી દ્રવ્યોથી બનેલું છે. આ જગતનો આદિ પણ નથી અને અંત પણ નથી.

જેમ પાણીનો સ્વભાવ છે કે ઢાળ ઉપરથી નીચે વહેવું, જેમાં કોઈ સંચાલકની જરૂર નથી! જેમ પાણીની વરાળ નીચેથી ઉપર જાય, વાદળા બંધાય ને વરસાદમાં પાણી નીચે આવે છે. તેમ સંજોગો અને સ્વભાવથી જ જગત ચાલે છે, કોઈને ચલાવવું નથી પડતું. એ સંજોગોને જાણનાર આત્મા એ ભગવાન છે.

Related Questions
  1. ભગવાન શું છે?
  2. ભગવાન કોણ છે?
  3. શું ભગવાનનું અસ્તિત્વ છે? ભગવાન ક્યાં છે?
  4. ભગવાનને કોણે બનાવ્યા? ભગવાન ક્યાંથી આવ્યા હતા ?
  5. શું ભગવાને આ જગત બનાવ્યું છે?
  6. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કોણ છે?
  7. વર્તમાને શું કોઈ જીવંત ભગવાન હાજર છે? તેઓ ક્યાં છે? તેઓ આપણને કેવી રીતે મદદ કરી શકે?
  8. ભગવાનને પ્રાર્થના-ભક્તિ કેવી રીતે કરવી?
  9. શું મારા ખરાબ કર્મ માટે ભગવાન મને માફ કરશે કે સજા આપશે?
  10. ભગવાન, જ્યારે મને તમારી જરૂર હોય છે ત્યારે તમે કયા હોવ છો? ભગવાન કૃપા કરીને મને મદદ કરો!
  11. ભગવાનનો પ્રેમ કેવી રીતે પ્રાપ્ત કરવો.
  12. ભગવાન પર ધ્યાન એકાગ્ર કેવી રીતે કરવું?
  13. મૂર્તિપૂજાનું મહત્વ શું છે?
  14. ભગવદ્ ગુણો કયા છે?
  15. ભગવાનનો ખરો અનુભવ કરવા માટેની ચાવી કઈ છે?
  16. ભગવાન કેવી રીતે થઈ શકાય?
  17. અંબામા અને દુર્ગામાતા કોણ છે?
  18. સરસ્વતી માતાને કઈ રીતે રીઝવવા?
  19. દેવી લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
×
Share on