Related Questions

કોઈ દુઃખ આપે, અપમાન કરે ત્યારે કોનો વાંક?

દરેકને જીવનમાં આવો પ્રશ્ન થતો જ હોય છે કે, હું બીજા સાથે ગમે તેવું સારું વર્તન કરું તોય મારી સાથે ખરાબ વર્તન કેમ કરે છે? કે મારું અપમાન કરે છે? ઘરની નજીકની જ વ્યક્તિ કેમ દુઃખ આપે છે? લોકો મને સમજતા કેમ નથી?

પરમ પૂજ્ય દાદાશ્રી આધ્યાત્મિક સિદ્ધાંત આપતા કહે છે કે, “આ જગતમાં એવું કોઈ નથી કે જે આપણને સહેજ પણ દુઃખ આપે અને જો કોઈ દુઃખ આપનાર છે, તો તે આપણી જ ભૂલ છે.” આપણને સમજણવાળા લોકો કેમ ભેગા ન થયા? હકીકતમાં, આપણા જ કર્મનો હિસાબ નિમિત્ત મારફતે ચૂકવાય છે. તેમાં કોઈનો દોષ નથી.

નિમિત્ત એટલે શું? આપણા કર્મોનું ફળ આપવા ઊભું થયેલું માધ્યમ. જેમ આપણા સરનામે ટપાલી ટપાલ આપી જાય, જેમાં કોઈ સ્વજનના દુઃખદ મૃત્યુના સમાચાર હોય, તો ટપાલી આપણા દુઃખ માટે જવાબદાર ગણાય? ના ગણાય. ટપાલી તો ફક્ત માધ્યમ બને છે, સમાચારને આપણા સરનામે પહોંચાડનાર. તેવી જ રીતે જીવનમાં કોઈ વ્યક્તિ તરફથી દુઃખ આવે તો તે વ્યક્તિ કરનાર નથી, માત્ર માધ્યમ છે, નિમિત્ત જ છે. જેમ ટપાલીની ભૂલ નથી, તેમ નિમિત્તની પણ કોઈ ભૂલ નથી. પણ આખું જગત નિમિત્તની જ ભૂલ ગણે છે.

પણ કર્મનું આ વિજ્ઞાન સમજીને સ્વીકારવું જરૂરી છે. સમજ્યા વગર ખાલી એમ માનીએ કે “મને દુઃખ પડે છે, માટે મારી જ ભૂલ છે.” તો એનાથી મગજ ગાંડું થઈ જશે, અને ગૂંચવાડો ઉકલશે નહીં પણ વધશે. જો સમજીને ફિટ કરીએ કે કર્મનો હિસાબ છે, તો આનંદ રહેશે કે “હાશ! હિસાબ ચૂકતે થાય છે. આપણે કર્મમાંથી મુક્ત થયા.” પછી નિમિત્તનો ઉપકાર લાગશે કે તેણે આપણને કર્મમાંથી છોડાવ્યા. જો સાચી સમજણ યથાર્થ વાપરીએ તો અંતે આપણું દુઃખ ઓછું થશે. પણ એ જ સમજણ ઊંધી રીતે વપરાશે તો આપણું દુઃખ વધશે.

કોઈ વ્યક્તિ આપણને પથ્થર મારે ને આપણને ઈજા થાય તો આપણે તરત ગુસ્સે ભરાઈ જઈએ. પણ જો ડુંગર ઉપરથી ગબડતો ગબડતો પથ્થર આપણા માથામાં વાગે ને લોહી નીકળે તો કોઈ ઉપર ગુસ્સો નથી આવતો. કારણ કે, ત્યાં જાણી જોઈને કોઈ કરનાર નથી એમ સમજાય છે. એટલે કોઈ ગુનેગાર નથી દેખાતું. તેવી જ રીતે જ્યારે આપણા કર્મના ફળરૂપે આપણને દુઃખ આવી પડે ત્યારે નિમિત્ત ગુનેગાર નથી એમ સમજાય તો સમાધાન રહે.

દાખલા તરીકે, આપણે પોતે જ મશીનરી બનાવી હોય, જેમાં ગીઅર વ્હીલ હોય અને ચાલુ મશીનમાં આપણી આંગળી આવી જાય, તો ગીઅર વ્હીલ આંગળી છોડે? આપણે એને લાખ વખત કહીએ કે “ભાઈ! મારી આંગળી છે, મેં જ તને બનાવ્યું છે.” તો? ના છોડે. જો મશીન બોલતું હોત તો કહેત કે, “ચાલુ મશીનમાં આંગળી નાખી એ તમારી ભૂલ! હું કશું કરું?” જગતના તમામ લોકોના આપણી સાથેના વાણી-વર્તન આપણા કર્મના હિસાબે આપોઆપ ઉકલે છે. પછી એ પતિ-પત્નીના નજીકના સંબંધો હોય કે આપણા જ પોતાના બાળકો. એટલે એક રીતે તેઓ પણ મશીનરીની માફક વર્તે છે, પોતે ગુનેગાર નથી.

આપણે ચીકણી માટીમાં લીસા તળિયાવાળા બૂટ પહેરીને ચાલીએ તો લપસી જ પડીએ, એમાં કોનો દોષ? માટીનો, બૂટનો કે આપણો? એના બદલે ઉઘાડા પગે ગયા હોત તો કીચડમાં આંગળા ભરાવાથી પડાત નહીં. ચાર રસ્તા ઉપર કાંટો પડ્યો હોય અને હજારો માણસો પસાર થાય, એ કોઈને અડે નહીં. પણ આપણે પસાર થઈએ ને કાંટો વાંકો પડ્યો હોય તોય આપણા પગે વાગે. એમાં કોનો વાંક? કાંટાનો ને આપણો સંયોગ કોણે ભેગો કર્યો? 

આ બધા ઉદાહરણ એક જ સિદ્ધાંત તરફ અંગૂલીનિર્દેશ કરે છે કે, જે વ્યક્તિ ભોગવે છે તેની ભૂલ છે. આધ્યાત્મ વિજ્ઞાન મુજબ આપણી અંદર કારેલાના પરમાણું ભેગા થાય ત્યારે બહાર અનેક સંયોગો ભેગા થઈને થાળીમાં કારેલાનું શાક પીરસાય. તેમ આપણને જે કોઈ અપમાન કે દુઃખ ભેગું થાય છે, તે મૂળ આપણો જ હિસાબ છે. સામી વ્યક્તિ તો માત્ર માધ્યમ બની જાય છે. 

×
Share on