Related Questions

દુઃખોનો અંત કઈ રીતે લાવવો?

દુઃખ ના ભોગવવું પડે એ માટે ઉપાય શું? આપણને જે દુઃખ આવી પડે, તેને આપણે જમા કરી લઈએ અને નવેસરથી કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ના આપીએ. જેથી જૂના હિસાબના ચોપડા ચોખ્ખા થઈ જાય, અને નવા કર્મ ન બંધાય. વ્યવહારિક જે ઉપાય થતા હોય તે કરીએ, સામસામે સમાધાન થાય એમ વાતોચીતો કરીએ. પણ માનસિક રીતે વ્યક્તિ પ્રત્યે દ્વેષ, અભાવ કે તિરસ્કાર ન થવા જોઈએ અને સામો ગુનેગાર ન લાગવો જોઈએ.

જેમ ઉંદર ઢેબરાના ટૂકડાની લાલચે પાંજરામાં પેસે ને પછી પૂરાઈ જાય, તેમ આપણે પૈસાની, માન-કીર્તિની, વિષયની લાલચે કેટલાક સંજોગોમાં ફસાઈ જઈએ છીએ. આપણે જ લાલચથી પેઠા હોઈએ, અને પછી ત્યાં છેતરપીંડી થાય તો દુઃખી થઈ જઈએ. એમાં કોનો દોષ?

સાચી સમજણ હાજર રહે તો સમાધાન રહે. પણ મોટેભાગે લોકો દુઃખ આવે ત્યારે અજંપો કરે કે, “આ માણસ નાલાયક છે, આમ છે તેમ છે.” ને અવળા કર્મો બાંધે છે. પછી જ્યારે આ કર્મોનું ફળ આવે છે, ત્યારે પોતાને જ દુઃખદાયી થાય છે. આમ દુઃખ પડે ત્યારે ભાવો બગાડીને ફરીથી અવળા કર્મો બાંધીએ, જેનાથી ફરી દુઃખ પડે, આ સાઈકલ ચાલ્યા જ કરે છે. પછી મનુષ્ય બૂમાબૂમ કરે કે, મારી સાથે જ કેમ આમ થાય છે? મને જ કેમ આટલું દુઃખ પડે છે? લોકો કેમ મને નથી સમજતા? પણ એ ફરિયાદો નકામી જાય છે.

આ અદ્ભુત આધ્યાત્મિક શોધખોળ છે જે જીવનની દરેક બાબતમાં સમાધાન આપે છે. નફો કે નુકસાન થાય, ઝઘડો થાય, કોઈ દુ:ખ આપે કે અપમાન કરે, કોઈ આક્ષેપો આવે, એ દરેક બાબત આપણા કારણોના પરિણામ રૂપે છે. તે જીવનમાં ત્યારે જ બને, જો એની પાછળ કોઈ કારણ હોય. જો પરિણામો દુઃખદાયી હોય તો આપણે અવળા કારણો સેવવાના બંધ કરવા, પછી પરિણામ પણ ધીમેધીમે બંધ થઈ જશે.

કુદરતના ન્યાય પ્રમાણે, આપણને જે ભોગવવાનું છે એ આપણું પોતાનું જ પ્રોજેક્શન છે. આપણે પોતે જ જવાબદાર છીએ, એ સમજણ ફિટ થાય પછી આપણું દરેક પગલું જાગૃતિવાળું હોય. “હું કોઈને દુઃખ આપીશ તો મારી જોખમદારી છે, કોઈ માટે ભાવ બગાડીશ તો મારી જોખમદારી છે.” એમ સમજાય તો નવા ગુના બંધાવાના બંધ થઈ જશે. કુદરતના ન્યાયને કોમ્પ્યુટર સાથે સરખાવી શકાય. જેમ કોમ્પ્યુટરમાં જેવું ફીડ કર્યું હોય, તેવું બહાર પ્રિન્ટ થાય. તેવી રીતે આપણા જેવા ભાવ હોય તે પ્રમાણે બીજા અવતારમાં એનું પરિણામ આવે છે. 

નિમિત્તને ગુનેગાર જોવાથી આપણને જ નુકસાન થાય છે. એક તો મનમાં અસર રહી જાય કે આ વ્યક્તિ મને દુઃખ આપે છે. પછી રાત-દિવસ એ યાદ આવ્યા કરે, પરિણામે શરીર ઉપર પણ તેની અસર થાય. પણ જો સાચી સમજણ ફિટ થાય, વ્યક્તિ કે સંજોગો પ્રત્યે નેગેટિવ ભાવ ઉત્પન્ન થવાનો બંધ થઈ જાય, તો પરિસ્થિતિ કે વ્યક્તિમાં કોઈ પ્રકારનો ફેરફાર કર્યા વિના આપણું દુઃખ મટી શકે. વ્યવહારના ગૂંચવાડા ઉકેલાતા જાય.

પણ એનો અર્થ એમ નથી કે આપણને દુઃખ પડે તો આપણે સહન કર્યા કરીએ. સહનશક્તિ લિમિટવાળી છે. આપણે ત્રણ વખત સહન કરીને દબાવી દઈશું, તો ચોથી વખત બમણા ફોર્સથી રિએક્શન નીકળશે, કારણ કે સહન કરવામાં આપણે દુઃખને દબાવી દઈએ છીએ, સમાધાન નથી લાવતા.

“આ જગતમાં કોઈ જીવ કોઈ જીવને તકલીફ આપી શકે નહીં, એવું સ્વતંત્ર છે અને તકલીફ આપે છે તે પૂર્વે ડખલ કરેલી તેથી. તે ભૂલ ભાંગી નાખો પછી હિસાબ રહે નહીં.”

જો આપણે કોઈને ગુનેગાર જોયા વગર, ફરિયાદ કર્યા વગર પ્રતિકૂળ પરિસ્થિતિને સ્વીકારી લઈશું, તો હિસાબ પૂરો થશે. કડવી દવા પીવાથી રોગ મટે, તેમ કડવા સંયોગો હિતકારી છે. માટે તે તમામ સંજોગો કે વ્યક્તિઓને ઉપકારી માનવા. કોઈ આપણને દુઃખ આપે તો એ આપણા કર્મના ઉદયે છે. એટલે આપણે મનમાં ભાવ બગાડવો નહીં પણ કહેવું, “એનું સારું થજો કે આ કર્મમાંથી મને મુક્ત કર્યો.” છતાં ભાવ બગડે તો તરત ને તરત સુધારી લેવો. મનથી, વાણીથી કે દેહથી પ્રતિકાર થઈ જાય તો મનોમન માફી માંગી લેવી કે “મારા કર્મના હિસાબે ભોગવવાનું આવ્યું છે, કોઈનો દોષ નથી. એમને ગુનેગાર જોવા બદલ માફી માંગું છું.” અને જે ઈશ્વરમાં શ્રદ્ધા હોય તેમને યાદ કરીને ફરી આવી ભૂલ ના થાય તે માટે શક્તિ માંગવી. 

×
Share on