Related Questions

શું તમને તમારા ખરા સ્વરૂપ પર ક્યારેય શંકા પડી છે? ઓળખો તમારા સાચા સ્વરૂપને !

'પોતે કોણ છે' એના પર કોઈને શંકા પડતી જ નથી ને. જો કે, પ્રથમ સ્થાને એ શંકા જ ઉભી જ નથી થતી ને ! ઊલટાં આ ક્રોધ-માન-માયા-લોભ બધાં જ એને સજ્જડ કરે છે. આ અસત્યની પકડ પકડી છે, તે સત્યરૂપે એનું ભાન થયું છે કે આ સત્ય જ છે. અસત્યની બહુ વખત પકડ પકડવામાં આવે, ત્યાર પછી એ એને માટે સત્ય થઈ જાય. ગાઢરૂપે અસત્ય કરવામાં આવે તો પછી સત્ય થઈ જાય. પછી એને અસત્ય છે એવું ભાન જ ના થાય, સત્ય જ છે એવું રહે.

એટલે અહીં (પોતાની સાચી ઓળખ પર) જો શંકા પડે તો ક્રોધ-માન-માયા-લોભ બધું જતું રહે, પણ આ શંકા પડે નહીં ને ! કેવી રીતે પડે ? કોણ પાડી આપે આ ? ભવોભવથી નિઃશંક થયેલો એ બાબતમાં પોતાને શંકા પડે એવું કોણ કરી આપે ? જે ભવમાં ગયો ત્યાં આગળ જે નામ પડ્યું, ત્યાં એને જ સત્ય માન્યું. શંકા જ પડતી નથી ને ! કેટલી બધી મુશ્કેલી છે?! અને તેને લઈને આ ક્રોધ-માન-માયા-લોભ ઊભાં રહ્યાં છે ને ! જો તમારે ક્રોધ-માન-માયા-લોભથી મુક્ત થવું હોય તો તમારે આત્માનુભવ કરવાની જરૂર છે. આખા શાસ્ત્રોનું 'સોલ્યુશન' અહીં આગળ આ એકલું જ જાણવામાં થઈ જાય ! પણ તે આત્મજ્ઞાન જાણવું કેવી રીતે ? અને આત્મજ્ઞાન જાણ્યા પછી કશું જાણવાનું બાકી નથી રહેતું.

શંકા કરવાની ત્યાં જગ નિઃશંક

શંકા કરવાની એક જ જગ્યા છે કે હું ખરેખર *'ચંદુભાઈ' (ચંદુભાઈ ની જગ્યાએ વાચકે પોતાનું નામ સમજવું) છું ? એટલી જ શંકા કર કર કર્યા કરવાની છે આત્મજ્ઞાન પામવા માટે (તમે પોતે કોણ છો તે શોધવા માટે.

ચાલો આપણે પોતાના સાચા સ્વરૂપને કેવી રીતે ઓળખવું? અંગેનો પરમ પૂજ્ય દાદાશ્રીનો મુમુક્ષુઓ સાથેનો સત્સંગ નિહાળીએ :

પ્રશ્નકર્તા : 'હું *ચંદુભાઈ છું', (વાચકે પોતાનું નામ સમજવું)એ વાત ઉપર જ શંકા પડે.....

દાદાશ્રી : તો તો કામ જ થઈ જાય ! એ શંકા તો કોઈને પડતી જ નથી ને ! હું પૂછ પૂછ કરું છું તો યે શંકા નથી પડતી. 'હું *ચંદુ જ છું, હું ચંદુ જ છું' (વાચકે પોતાનું નામ સમજવું) કહેશે. એ શંકા પડતી જ નથી, નહીં ?!

પછી હું હલાવ, હલાવ કરું ત્યારે વળી શંકા પડે, ને પછી વિચાર કરે કે 'આ દાદા કહે છે એ ય ખરું છે, વાતમાં કંઈ તથ્ય છે.' બાકી, એની મેળે, પોતાની મેળે શંકા કોઈને ય ના પડે.

પ્રશ્નકર્તા : એ શંકા પડે તો આગળ જાય ?

દાદાશ્રી : ના, એમ નહીં. એ શંકા એને માટે જ શબ્દ છે. 'હું *ચંદુભાઈ છું' (વાચકે પોતાનું નામ સમજવું) એ શંકા 'હેલ્પ' કરે છે. બીજી બધી શંકા તો આપઘાત કરાવડાવે. 'હું ખરેખર ચંદુભાઈ હોઈશ? અને આ બધાં કહે છે કે આમનો છોકરો છું, એ ખરેખર હોઈશ ?' એ શંકા પડી તો કામનું !!

એટલે શંકા રાખવા જેવી કઈ છે ? આત્મા સંબંધી શંકા રાખવાની છે કે 'આત્મા આ હશે કે તે હશે !' ખરો આત્મા જ્યાં સુધી જણાય નહીં, ત્યાં સુધી આખા જગતને શંકા હોય જ.

'ચંદુભાઈ તે હું નિશ્ચયથી છું, ખરેખર જ આ ચંદુભાઈ હું જ છું' એવું માને છે તેથી આરોપ બધા ઘડાયા. પણ હવે એની પર શંકા પડી ગઈને ? વહેમ પેસી ગયો ને ? ખરો વહેમ પેસી ગયો ! એ વહેમ તો કામ કાઢી નાખે. એવો વહેમ તો કોઈને પેસતો જ નથીને ! આપણે વહેમ પાડીએ તો ય ના પડે ને !

એ શંકા પડે જ શી રીતે ? અરે, સરકાર હઉ 'એલાવ' કરે ! સરકાર 'એલાવ' નથી કરતા ? 'ચંદુલાલ હાજર હૈ?' કહેતાંની સાથે ચંદુલાલ જાય તો સરકાર 'એલાવ' કરી દે ! પણ પોતાને શંકા પડે નહીં કોઈ દહાડો ય, કે હું ચંદુલાલ નથી ને હું આ બીજી રીતે ક્યાં ઝાલી પડ્યો છું, એવું.

પોતાની જાત પર શંકા પડે એવું બહાર છે નહીં ને ? દસ્તાવેજમાં ય લખે કે વકીલસાહેબે સહી કરી, કે તરત 'એક્સેપ્ટ'! આટલા બધા લોક કબૂલ કરે છે, પછી એને શંકા જ શી રીતે પડે ?!

*ચંદુલાલ (વાચકે પોતાનું નામ સમજવું)= જ્યારે દાદાશ્રી ‘ચંદુલાલ’ વાપરે અથવા જે વ્યકિતનું નામ લઈને દાદાશ્રી સંબોધે, ત્યારે વાચકે એક્ઝેક્ટ સમજણ માટે પોતાનું નામ વાપરવું.

પોતાના સ્વરૂપની શંકા કેવી રીતે જાય? તમે પોતાના સ્વરૂપને કેવી રીતે શોધશો?

અક્રમ વિજ્ઞાનની અજાયબ બલિહારી છે કે એક કલાકના અદભૂત ભેદજ્ઞાનપ્રયોગથી (જ્ઞાનવિધિ) (એક કલાકનો આત્માનુભવ માટેની આધ્યાત્મિક વિધિ) પોતે આત્માસંબંધી કાયમનો નિઃશંક બની જાય છે.

પુસ્તક વાંચી આત્માસંબંધી શંકા ના જાય. ત્યાં તો પ્રત્યક્ષ જ્ઞાની જ જોઈએ. જેમ કે શાસ્ત્રોમાંથી જેમ વધુ ને વધુ જાણતો જાય છે તેમ જેટલું વધારે જાણ્યું તેટલી વધારે શંકા. એકવાર ‘હું કંઈ જ જાણતો નથી’ એ તબ્બકામાં પહોંચતા જ, એ ખરા જ્ઞાનને જાણવા માટે તૈયાર થઇ જાય છે. જેનાથી કષાય (ક્રોધ-માન-માયા-લોભ) જાય તે જાણેલું સાચું! જ્યાં શંકા ત્યાં સંતાપ. નિરંતર નિઃશંકતા એ આત્મા જાણ્યાની નિશાની છે.

આત્માસંબંધી નિઃશંક થાય, તેને નિરંતર મોક્ષ જ છે ને!

×
Share on