Related Questions

મૃત્યુ પછી તરત જ આત્મા ક્યાં જાય છે?

આત્મા જેવું શરીર છોડી દે છે, એવું તરત શરીરને મૃત જાહેર કરવામાં આવે છે. તો, મૃત્યુ પછી તરત આત્મા ક્યાં જાય છે? આત્મા સીધા તેના નવા ઘરમાં જ્યાં તેનો પુનર્જન્મ થવાનો હોય છે ત્યાં જતો રહે છે. આમ, જે આત્માના અસ્તિત્વને સમજે છે, તે માન્યતાના આધારે તે પુનર્જન્મને સ્વીકારે છે. જન્મ-મરણની અનંતભવની દરેક અવસ્થાઓમાં આત્મા હંમેશા તેના મૂળ સ્વભાવે રહેલો છે; તે અમર છે. તેમ છતાં, અજ્ઞાનતાના કારણે, દરેક જન્મમાં, આત્મા પાસે પુદ્ગલને સાથ આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

ચાલો, પરમ પૂજ્ય દાદા ભગવાનના શબ્દોમાં દેહ છોડ્યા પછી આત્મા ક્યાં જાય છે આ પ્રક્રિયાની વિગત સમજીએ.

પ્રશ્નકર્તા : શરીર નાશ પામે છે ત્યારે આત્મા ક્યાં જાય છે ? 

દાદાશ્રી : આત્મા જેવો દેહ છોડે છે, તે તરત જ તેના મૂળ સ્થાને પહોંચી જાય છે; તે તેના જન્મની જગ્યા, ગર્ભમાં જાય છે. 

પ્રશ્નકર્તા : મૃત્યુ વખતે એક દેહ છોડતો હોય અને એ બીજા દેહમાં જતા પહેલાં ક્યાં, કેટલો વખત અને કેવી રીતે રહે છે ? બીજા દેહમાં જતાં દરેક જીવને કેટલો વખત લાગે છે ? 

દાદાશ્રી : એનો સમય જ નથી લાગતો બિલકુલે ય. અહીં દેહમાં પણ હોય છે અને ત્યાં યોનિમાં શરૂ હોય છે. એટલે આમાં ટાઇમ જ નથી. 

પ્રશ્નકર્તા : દેહ છૂટે તે વખતે એક છેડો અહીંયા હોય ને બીજો છેડો પંજાબ હોય એવું કહે છે, એ કઈ રીતે ? એ સમજાવો. 

દાદાશ્રી : આત્મા સંકોચ-વિકાસનું ભાજન છે, એટલે ગમે એટલો લાંબો થાય. તે જ્યાં ઋણાનુબંધ હોય ને ત્યાં જવું પડે ને ? ત્યારે અહીંથી કંઈ ઓછો પગે ચાલીને જવાનો છે ? એને પગ ને આ સ્થૂળ શરીર છે જ નહિ ને ! 

પ્રશ્નકર્તા : તો બે જગ્યાએ રહી શકે ? 

દાદાશ્રી : હા. અહીંથી જ્યાં જવાનું હોય ત્યાં સુધી એટલો ખેંચાય. પછી ત્યાં મહીં પેસવાની શરૂઆત થઈ હોય અને અહીંથી બહાર નીકળતો જતો હોય. જેમ સાપ અહીં દરમાંથી નીકળતો હોય તો એક બાજુ બહારે ય હોય ને બીજો ભાગ અંદરે ય હોય, એના જેવી વાત છે આ ! 

દાદાશ્રી : કશો જ સમય નહીં. અહીંઆ પણ હોય, આ દેહમાંથી હજુ નીકળતો હોય અહીંથી અને ત્યાં યોનિમાં પણ હાજર હોય. કારણ કે આ ટાઇમિંગ છે, વીર્ય અને રજનો સંયોગ હોય તે ઘડીએ. અહીંથી દેહ છૂટવાનો હોય, ત્યાં પેલો સંયોગ હોય, એ બધું ભેગું થાય ત્યારે અહીંથી જાય. નહિ તો એ અહીંથી જાય જ નહિ, કારણ કે અહીંથી જાય તો એ ત્યાં ખાય શું ? ત્યાં યોનિમાં ગયો પણ ખોરાક ખાય શું ? પુરુષનું વીર્ય અને માતાનું રજ એ બેઉ જ હોય, એ આખું ય જતાંની સાથે જ ભૂખનો માર્યો ખાઈ જાય છે. અને ખાઈને પછી પીંડ બંધાય છે. બોલો હવે આ બધું સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે ને ! એટલે અહીંથી નીકળતાં ય વાર ના લાગે. હવે ત્યાં આગળ એવો ટાઇમ ના બેઠો હોય ને, ત્યાં સુધી અહીં આગળ આ દેહમાં ઉંઉંઉ કર્યા કરે. 'કેમ નીકળતા નથી? જલદી જાવ ને' કહીએ. ત્યારે કહેશે, 'ના હજુ તૈયારી નથી ત્યાં થયેલી !' એટલે છેલ્લી ઘડીએ ઉંઉંઉં કરે છે ને ? ત્યાં આગળ 'એડજસ્ટસ' થાય ત્યાર પછી અહીંથી નીકળે. પણ નીકળે ત્યારે ત્યાં આગળ પદ્ધતિસર જ હોય. 

આ આખી પ્રક્રિયા દરમિયાન કર્મની પ્રવૃત્તિ 

જ્યારે છેલ્લા શ્વાસ ચાલતા હોય છે, ત્યારે કારણ શરીર અને તેજસ શરીર સાથે આત્મા જૂનો દેહ છોડે છે (આ ઘટનાને મૃત્યુ કહે છે). તે જ ક્ષણે, તે નવું શરીર ધારણ કરે છે (આ ક્રિયાને જન્મ કહે છે). ત્રણેય (આત્મા, કારણ શરીર અને તેજસ શરીર) એકસાથે નીકળી જાય છે.  

જ્યારે આત્મા દેહ છોડે છે, ત્યારે તેની સાથે કર્મો કારણ શરીરના રૂપમાં જાય છે. કારણ શરીરના આધારે, આત્મા તેના યોગ્ય સ્થળ પર પહોંચે છે અને માતાને ગર્ભને શોધીને તે ત્યાં રહે છે. કારણ શરીરમાંથી કર્મોનું એક પછી એક ડિસ્ચાર્જ જેમ જેમ શરૂ થાય છે, તેમ ગર્ભમાં શરીરનો વિકાસ થાય છે. આખરે બાળકનો જન્મ થાય છે અને આખું જીવન ગયા જન્મમાં કરેલા કારણો (કર્મો) અનુસાર ઉદયમાં આવે છે. મૃત્યુ પછી આત્મા ક્યાં જાય છે, તેનો આ વૈજ્ઞાનિક જવાબ છે. 

જ્યારે જૂના કર્મો ડિસ્ચાર્જ થતાં હોય છે, તે વખતે સાથે સાથે નવા કર્મો ચાર્જ થતાં હોય છે. આ કર્મોથી નવું કારણ શરીર બને છે, મૃત્યુ સમયે આત્મા અને તેજસ શરીર સાથે તે આ ભવના સ્થૂળ શરીરમાંથી નીકળી જાય છે. આમ, ફરી એકવાર, મૃત્યુ સમયે ઉપર વર્ણવ્યા મુજબ તે જ ચક્રનું પુનરાવર્તન થાય છે. 

આ પ્રક્રિયામાં તેજસ શરીરની ભૂમિકા 

જ્યાં સુધી આ સંસાર છે ત્યાં સુધી દરેક જીવમાં આ ઈલેક્ટ્રિકલ બોડી હોય જ! દરેક જીવમાત્રમાં, ઝાડમાં, બધાંમાં તેજસ શરીર હોય છે, કારણ શરીર બંધાયું કે ઈલેક્ટ્રિકલ બોડી જોડે જ હોય. 

ઈલેક્ટ્રિકલ બોડી દરેક જીવમાં સામાન્ય ભાવે હોય જ અને તેના આધારે આપણું ચાલે છે. ખોરાક ખાઈએ છીએ તે પચાવવાનું કામ એ ઈલેક્ટ્રિકલ બોડી કરે છે. એ લોહી બધું થાય છે, લોહી શરીરમાં ઉપર ચઢાવે, નીચે ઉતારે, એ બધું અંદર કામ કરે. આંખે દેખાય છે, તે લાઈટ બધું આ ઈલેક્ટ્રિકલ બોડીના લીધે હોય છે. અને આ ક્રોધ-માન-માયા-લોભ, એ ય આ ‘ઈલેક્ટ્રિકલ બોડી’ને લીધે થાય છે. આત્મામાં ક્રોધ-માન-માયા-લોભ છે જ નહીં. 

'ઈલેક્ટ્રિકલ બોડી' હોય તો જ 'ચાર્જ' થાય, નહીં તો આ 'ઈલેક્ટ્રિકલ બોડી' ના હોય તો આ કશું ચાલે જ નહીં. 'ઈલેક્ટ્રિસિટી' વગર તો આ ઘરમાં ચાલે એવું જ નથી ને આંખે દેખાય જ નહિ. 'ઈલેક્ટ્રિકલ બોડી' હોય ને આત્મા, હોય ના તો ય કશું ના ચાલે. કર્મની સિલક ખલાસ થઈ ગઈ કે તૈજસ શરીર ના આવે. એટલે એ આખા ભવપર્યંત ઠેઠ સુધી રહે છે. 

જ્યારે જીવ મૃત્યુ પામે છે, ઈન્દ્રિયો તો બધી એક્ઝોસ્ટ થઈને ખલાસ થઈ ગઈ. એટલે આત્માની જોડે ઈન્દ્રિયો એવું કંઈ જ જવાનું નહીં. ફક્ત આ ક્રોધ-માન-માયા-લોભ જવાનાં. એ કારણ શરીરમાં ક્રોધ-માન-માયા-લોભ બધું ય આવી ગયું. જ્યાં સુધી મોક્ષે ના જાય ત્યાં સુધી સૂક્ષ્મ શરીર આત્મા સાથે જ હોય. 

×
Share on