Related Questions

શુદ્ધ પ્રેમ કેવી રીતે ઉત્પન્ન થાય?

એટલે જ્યાં પ્રેમ ના દેખાય ત્યાં મોક્ષનો માર્ગ જ નથી. આપણને ના આવડે, બોલતાંય ના આવડે તોય એ પ્રેમ રાખે તો જ સાચું.

એટલે એક પ્રમાણિકપણું અને બીજું પ્રેમ કે જે પ્રેમ વધઘટ ના થાય. આ બે જગ્યાએ ભગવાન રહે છે. કારણ કે જ્યાં પ્રેમ છે, નિષ્ઠા છે, પવિત્રતા છે, ત્યાં જ ભગવાન છે.

આખું 'રિલેટિવ ડિપાર્ટેમેન્ટ' ઓળંગી જાય ત્યારે નિરાલંબ થાય, ત્યારે પ્રેમ ઉત્પન્ન થાય. 'જ્ઞાન' ક્યાં સાચું હોય ? જ્યાં પ્રેમથી કામ લેવામાં આવતું હોય ત્યાં અને પ્રેમ હોય ત્યાં લેવડદેવડ ના હોય. પ્રેમ હોય ત્યાં એકતા હોય. જ્યાં ફી હોય ત્યાં પ્રેમ ના હોય. લોક ફી રાખે છેને, પાંચ-દસ રૂપિયા ? કે 'આવજો, તમારે સાંભળવું હોય તો, અહીં નવ રૂપિયા ફી છે' કહેશે. એટલે ધંધો થઈ ગયો ! ત્યાં પ્રેમ ના હોય. રૂપિયા હોય ત્યાં પ્રેમ ના હોય. બીજું, જ્યાં પ્રેમ ત્યાં ટ્રિક ના હોય ને જ્યાં ટ્રિક ત્યાં પ્રેમ ના હોય.

જ્યાં સૂઈ ગયા ત્યાંનો જ આગ્રહ થઈ જાય. ચટાઈમાં સૂતો હોય તો તેનો આગ્રહ થઈ જાય ને ડનલોપના ગાદલામાં સૂતો હોય તો તેનો આગ્રહ થાય. ચટાઈ પર સૂવાના આગ્રહવાળાને ગાદલામાં સૂવાડો તો તેને ઊંઘ ના આવે. આગ્રહ તે જ વિષ છે અને નિરાગ્રહતા એ જ અમૃત છે. નિરાગ્રહીપણું જ્યાં સુધી ઉત્પન્ન ના થાય ત્યાં સુધી જગતનો પ્રેમ સંપાદન ના થાય. શુદ્ધ પ્રેમ નિરાગ્રહતાથી પ્રગટે છે અને શુદ્ધ પ્રેમ તે જ પરમેશ્વર છે.

એટલે પ્રેમસ્વરૂપ ક્યારે થવાય ? કાયદા-બાયદા ના ખોળો ત્યારે. જો કાયદા ખોળશો તો પ્રેમસ્વરૂપ થવાય નહીં ! 'કેમ મોડા આવ્યા ?' કહે એ પ્રેમસ્વરૂપ ના કહેવાય અને પ્રેમસ્વરૂપ થશો ત્યારે લોકો તમારું સાંભળશે. હા, તમે આસક્તિવાળા તો તમારું કોણ સાંભળે ? તમને પૈસા જોઈએ છે, તમારે બીજી સ્ત્રીઓ જોઈએ છે, એ આસક્તિ કહેવાય ને ? શિષ્યો ભેળા કરવા એય આસક્તિ કહેવાય ને !

×
Share on