Related Questions

તમે તમારો આધ્યાત્મિક વિકાસ કેવી રીતે વધારી શકો?

એવું છેને, આ કાળના હિસાબે લોકોને શક્તિ નહીં. આ જેટલી શક્તિ છે એટલું જ આપ્યું છે. આટલી ભાવના ભાવશે, તેને આવતે ભવ મનુષ્યપણું જતું નહીં રહે એની ગેરેન્ટી આપું છું. નહીં તો આજે એંસી ટકા મનુષ્યપણું રહે નહીં એવું થઈ ગયું છે.

આપણે આ નવ કલમો છેને, એમાં મોટામાં મોટી ભાવનાઓ છે. બધો આખો સાર આવી જાય. આ નવ કલમો એ આખી જિંદગી અમે પાળતા આવેલા, તે આ મૂડી છે. એટલે આ મારો રોજિંદો માલ, તે બહાર મૂક્યો. મેં છેવટે પબ્લિકનું કલ્યાણ થાય એટલા સારું. નિરંતર કેટલાંય વર્ષોથી, ચાલીસ-ચાલીસ વર્ષથી આ નવ કલમો દરરોજેય મહીં ચાલ્યા જ કરે છે. એ પબ્લિક માટે મેં મૂક્યું.

પ્રશ્નકર્તા : અત્યારે તો અમે 'હે દાદા ભગવાન, મને શક્તિ આપો.' એમ કરીને બોલીએ છીએ. તો આ નવ કલમો આપ કોને કહેતા હતા ?

દાદાશ્રી : એ 'દાદા ભગવાન' નહીં હોય, તે બીજું નામ હશે. પણ નામ હશે જ. તેમને જ ઉદ્દેશીને કહેતા હતા. એ 'શુદ્ધાત્મા' કહો કે જે કહો તે. એ એમને જ ઉદ્દેશીને કહેતા હતા.

ક્રમિક માર્ગમાં આવડું મોટું શાસ્ત્ર વાંચે અને આ એકલી નવ કલમો બોલે, બહુ થઈ ગયું ! નવ કલમોમાં એટલી બધી શક્તિ મૂકી છે. એટલી બધી ગજબની શક્તિ છે, પણ એ સમજાય નહીંને ! એ તો અમે સમજણ પાડીએ ત્યારે સમજાય. ને આની કિંમત સમજાયેલી કોને કહું કે મને આવીને એ કહે કે, 'આ નવ કલમો, મને બહુ ગમી' અને સમજવા જેવી છે બધી આ નવ કલમો.

આ નવ કલમો એ શાસ્ત્રમાં નથી. પણ અમે જે પાળીએ છીએ ને કાયમ અમારા અમલમાં જ છે, એ તમને કરવા આપીએ છીએ. આ અમે જેવી રીતે વર્તીએ છીએ, તે રીતે આ કલમો લખી છે. આ નવ કલમો પ્રમાણે અમારું વર્તન હોય, છતાં અમે ભગવાન ના ગણાઈએ. ભગવાન તો, મહીં ભગવાન છે તે જ ! બાકી, માણસ આવું વર્તી ના શકે.

ચૌદ લોકનો સાર છે આટલામાં. આ નવ કલમો લખી છે, એ ચૌદ લોકનો સાર છે. આખા ચૌદ લોકનું જે દહીં હોય એને વલોવીએ અને તે માખણ કાઢીને આ મેં મૂક્યું છે. એટલે આ બધાં કેવા પુણ્યશાળી છે કે લિફ્ટમાં બેઠાં બેઠાં મોક્ષમાં જાય છે. હા, ફક્ત હાથ કાઢવાનો નહીં બહાર એટલી શરત !

આ નવ કલમો તો હોય જ નહીં કોઈ જગ્યાએ. નવ કલમો તો પૂર્ણ પુરુષ જ લખી શકે. એ હોય જ નહીંને, એ હોય તો લોકોનું કલ્યાણ થઈ જાય. 

×
Share on