Related Questions

નકારાત્મક લાગણીઓ (ફીલીંગને) કેવી રીતે બંધ કરવી?

મન-વચન-કાયાના તમામ લેપાયમાન ભાવો, એ શું હોય ? એ ચેતન ભાવો નથી. એ બધા પ્રાકૃતિક ભાવો, જડ ભાવો છે. લેપાયમાન ભાવો એટલે આપણે લેપાવું ના હોય તો ય એ લેપાયમાન કરી દે.     એથી અમે કહીએ છીએ ને, કે 'મન-વચન-કાયાના તમામ લેપાયમાન ભાવોથી હું સર્વથા નિર્લેપ જ છું.' એ લેપાયમાન ભાવોએ જગત આખાને લેપાયમાન કર્યું છે અને એ લેપાયમાન ભાવો એ ખાલી પડઘા જ છે. અને તે નિર્જીવ છે પાછાં. એટલે તમારે એનું સાંભળવાનું નહીં.

પણ તે એમ ને એમ જાય એવાં ય નથી. એ બૂમો પાડ્યા જ કરશે. તો ઉપાય શો કરશો ? આપણે શું કરવું પડે ? પેલા અધ્યવસન બંધ કરવા માટે ? 'એ તો મારા ઉપકારી છે' એવું તેવું બોલવું પડે. હવે તમે એવું બોલશો ત્યારે એ અવળા ભાવો બધા બંધ થઈ જાય, કે આ તો નવી જાતનું 'ઉપકારી' કહે છે પાછા. એટલે પાછા ટાઢા પડી જશે. !

તમે કહોને, કે 'આ ખોટ જાય એવું છે.' એટલે તરત જ લેપાયમાન ભાવો જાતજાતની બૂમો પાડે, 'આમ થઈ જાય ને તેમ થઈ જાય.' 'અલ્યા ભાઈ, તમે બેસોને બહાર હમણે, મેં તો કહેતાં કહી દીધું, પણ તમે શું કરવા ભસ ભસ કરો છો ?' એટલે આપણે કહીએ કે, 'ના, ના. એ તો લાભદાયી છે.' ત્યાર પછી એ બધા ભાવો બેસી જાય પાછાં.

આ ટેપરેકર્ડ ને ટ્રાન્સમીટર એવાં એવાં કેટલાંય સાધનો અત્યારે થયાં છે. તે મોટા મોટા માણસોને ભય લાગ્યા જ કરે કે કોઈ કંઈ ઉતારી લેશે તો ? હવે આમાં (ટેપ મશીનમાં) તો શબ્દો ટેપ થયા એટલું જ છે. પણ આ મનુષ્યનું બોડી-મન બધું જ ટેપ થાય એવું છે. એનો લોકો જરા ય ભય રાખતા નથી. જો સામો ઊંઘમાં હોય ને તમે કહો કે 'આ નાલાયક છે' તો તે પેલાને મહીં ટેપ થઈ ગયું. એ પછી પેલાને ફળ આપે. એટલે ઊંઘતાનું ય ના બોલાય, અક્ષરે ય ના બોલાય. કારણ કે બધું ટેપ થઈ જાય, એવી આ મશીનરી છે. બોલવું હોય તો સારું બોલજો કે 'સાહેબ, તમે બહુ સારા માણસ છો.' સારો ભાવ રાખજો, તો એનું ફળ તમને સુખ મળશે. પણ ઊંધું સહેજ પણ બોલ્યા, અંધારામાં પણ બોલ્યા કે એકલા બોલ્યા, તો એનું ફળ કડવું ઝેર જેવું આવશે. આ બધું ટેપ જ થઈ જવાનું. માટે આ ટેપ સારું કરાવો.

×
Share on