ચાર પ્રકારનાં ધ્યાન હોય, તેમાંથી એક ધ્યાનમાં મનુષ્યો નિરંતર હોય. તમારે અહીં કયું ધ્યાન રહે છે ?
પ્રશ્નકર્તા: 'હું શુદ્ધાત્મા છું' એ ધ્યાન.
દાદાશ્રી: એ તો લક્ષ કહેવાય. પણ ધ્યાન કયારે કહેવાય કે ધ્યાતા થાય તો. પણ આપણે તો ધ્યાન, ધ્યાતા, ધ્યેય પૂરું થયું ને યોગનાં આઠે ય અંગ પૂરાં કરીને લક્ષમાં આવ્યા. અત્યારે કહે તમને કે, 'ચાલો, ઊઠો, જમવા ચાલો', તો ત્યારે ય તમે જ્ઞાતાદ્રષ્ટા ને પરમાનંદી રહો ને પછી કહે કે, 'તમારે અહીં જમવાનું નથી.' તો ય જ્ઞાતાદ્રષ્ટા ને પરમાનંદી રહેવાય તો એને શુકલધ્યાન કહ્યું. દુકાનમાં ઘાલમેલ કરે, કપડું ખેંચીને આપે એ રૌદ્રધ્યાન કહ્યું. આ ભેળસેળ કરે તે રૌદ્રધ્યાનમાં જાય. આ દુકાને બેઠો બેઠો ઘરાકની રાહ જુએ તો એને ભગવાને આર્તધ્યાન કહ્યું !
એક બાજુ ભગવાન મહાવીરે ૪૫ આગમો કહ્યા અને એક બાજુ ચાર શબ્દો કહ્યા. આ બન્નેના તોલ સરખા કહ્યા. ચાર શબ્દ જેણે સાચવ્યા એણે આ બધા આગમો સાચવ્યા. એ ચાર શબ્દો કયા ? રૌદ્રધ્યાન, આર્તધ્યાન, ધર્મધ્યાન અને શુકલધ્યાન.
જગત કેવું છે ? તારો ઘરાક હોય, તો તું સોળના સાડાસોળ કહું તો ય જતો રહેવાનો નથી અને તારો ઘરાક નહીં હોય, તો તું પંદર કહું તો ય જતો રહેવાનો છે. એ ભરોસો તો રાખ !
પોતે પોતાની ચિંતા કરે તે આર્તધ્યાન. છોડી નાની છે, પૈસા છે નહીં, તો હું શું કરીશ ? કેવી રીતે તેને પૈણાવીશ ? એ આર્તધ્યાન. આ તો છોડી નાની છે ને ભવિષ્ય ઊલેચે છે તે આર્તધ્યાન.
આ તો ઘેર ના ગમતો માણસ આવે ને ચાર દિવસ રહેવાનો હોય, તો મહીં થાય કે, 'જાય તો સારું. મારે ત્યાં કયાંથી આવી પડયો ?' એ બધું આર્તધ્યાન ને પાછું 'આ નાલાયક છે' એવી ગાળો ભાંડે તે રૌદ્રધ્યાન. આર્તધ્યાન ને રૌદ્રધ્યાન કરે !
દૂધ ચોખ્ખું હોય ને એનો દૂધપાક કરવાનો હોય તો તેમાં ય મીઠું ના નાખવું પણ ખાંડ નાખવી. ચોખ્ખા દૂધમાં ખાંડ નાખવી તે ધર્મધ્યાન. આ તો મારા જ કર્મના દોષે મારી જ ભૂલથી આ દુઃખો આવી પડે છે. એ બધું ધર્મધ્યાનમાં સમાય.
ભગવાન મહાવીરના ચાર શબ્દ શીખી ગયો તો પેલી બાજુ ૪૫ આગમો ભણી ગયો !
વીતરાગોનું સાચું ધર્મધ્યાન હોય તો કલેશ ભાંગે.
ધર્મધ્યાન કોને કહેવાય ? કોઇક માણસે પોતાનું ખરાબ કર્યું તો એના તરફ કિંચિત્ માત્ર ભાવ બગડે નહીં અને એના તરફ શો ભાવ રહે, જ્ઞાનનું કેવું અવલંબન લે કે 'મારાં જ કર્મના ઉદયે આ ભાઇ ભેગા થયા છે', અને તો એ ધર્મધ્યાનમાં ખપે. આ તો કોઇએ ભરી સભામાં, ભયંકર અપમાન કર્યું હોય તો એ આશીર્વાદ આપીને ભૂલી જાય. અપમાનને ઉપેક્ષા ભાવે ભૂલે એને ભગવાને ધર્મધ્યાન કહ્યું. આ તો અપમાનને મરતાં સુધી ના ભૂલે એવા લોક છે !
ધર્મધ્યાનવાળો શ્રેષ્ઠી પુરુષ કહેવાય. આખો દહાડો સવારથી ઊઠે ત્યારથી લોકોને ઓબ્લાઇઝ કર્યા કરે. ઓબ્લાઇઝિંગ નેચરનો હોય. પોતે સહન કરીને ય સામાને સુખ આપે. દુઃખ તો જમા જ કરે. એક પણ આર્તધ્યાન ને રૌદ્રધ્યાન ના હોય. એના મોઢા પર દિવેલ ચોપડેલું ના હોય. મુખ ઉપર નૂર દેખાય. આખા ગામની વઢવાડોનો એ નિકાલ કરી આપે. એને કોઇની પ્રત્યે પક્ષપાત ના હોય. જૈન તો કેવો હોવો જોઇએ? જૈન તો શ્રેષ્ઠી પુરુષ ગણાય, શ્રેષ્ઠ પુરુષ કહેવાય. પચાસ-પચાસ માઇલની રેડિયસમાં એની સુગંધ આવે !
અત્યારે તો શ્રેષ્ઠીના શેઠ થઇ ગયા અને તેમના ડ્રાઇવરને પૂછીએ તો કહે કે જવા દોને એની વાત. શેઠનો તો માત્રા કાઢી નાખવા જેવો છે ! શેઠનો માત્રા કાઢી નાખીએ તો શું બાકી રહે ?
પ્રશ્નકર્તા: શઠ !
દાદાશ્રી: અત્યારે તો શ્રેષ્ઠી કેવા થઇ ગયા છે ? બે વર્ષ પહેલાં નવા સોફા લાવ્યો હોય તો ય પાડોશીનું જોઇને બીજા નવા લાવે. આ તો હરીફાઇમાં પડયા છે. એક ગાદી ને તકિયો હોય તો ય ચાલે. પણ આ તો દેખાદેખી ને હરીફાઇ ચાલી છે. તેને શેઠ કેમ કહેવાય ? આ ગાદી-તકિયાની ભારતીય બેઠક તો બહુ ઉંચી છે. પણ લોકો તેને સમજતા નથી ને સોફાસેટની પાછળ પડયા છે. ફલાણાએ આવો આણ્યો તો મારે ય એવો જોઇએ. ને તે પછી જે કજિયા થાય ! ડ્રાઇવરને ઘેરે ય સોફા ને શેઠને ઘેરે ય સોફા ! આ તો બધું નકલી પેસી ગયું છે. કો'કે આવાં કપડાં પહેર્યાં તે તેવાં કપડાં પહેરવાની વૃત્તિ થાય ! આ તો કો'કે ગૅસ પર રોટલી કરતાં જોયાં તે પોતે ગૅસ લાવ્યો. અલ્યા, કોલસાની અને ગૅસ પરની રોટલીમાં ય ફેર સમજતો નથી ? ગમે તે વસાવો તેનો વાંધો નથી પણ હરીફાઈ શેને માટે? આ હરીફાઈથી તો માણસાઇ પણ ગુમાવી બેઠા છે. આ પાશવતા તારામાં દેખા દેશે તો તું પશુમાં જઇશ ! બાકી શ્રેષ્ઠી તો પોતે પૂરો સુખી હોય ને પોળમાં બધાંને સુખી કરવાની ભાવનામાં હોય. પોતે સુખી હોય તો જ બીજાને સુખ આપી શકે. પોતે જ જો દુઃખીઓ હોય તો તે બીજાને શું સુખ આપે ? દુઃખીઓ તો ભક્તિ કરે અને સુખી થવાના પ્રયત્નમાં જ રહે !
ભલે, મોક્ષની વાત બાજુએ રહી, પણ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ઉપર તો અંકુશ હોવો જોઇએ ને ? એની છૂટ શી રીતે અપાય ? છૂટ શેની હોય ? ધર્મધ્યાનની હોય. આ તો છુટ્ટે હાથે દુર્ધ્યાનો વાપરે છે ! કેટલું શોભે ને કેટલું ના શોભે એટલું તો હોવું જ જોઇએ ને ?
Q. શું ધ્યાન કરતી વખતે કર્મ બંધાય છે?
A. આચાર્ય મહારાજ પ્રતિક્રમણ કરે, સામાયિક કરે, વ્યાખ્યાન આપે, પ્રવચન કરે, પણ એ તો એમનો આચાર છે, એ... Read More
Q. કર્મ અને પૂર્વજન્મના કર્મ ધ્યાન (અંદરનાં ભાવ) પર કેવી રીતે આધાર રાખે છે?
A. પ્રશ્નકર્તા: હાલમાં જે ભોગવાય છે એમાં આપે કહ્યું કે આયોજન છે. એમાં ક્રિયમાણ પણ હોય ને સંચિત પણ હોય... Read More
Q. તપ વખતે પાર્શ્વનાથ ભગવાનની ધ્યાનની સ્થિતિ કેવી હતી?
A. આમને કયાં પહોંચી વળાય ? આમને ત્યાં તો બંદૂકો મારીએ તો ગોળીઓ નકામી જાય એવું છે ! ને ઉપરથી વેર બંધાય.... Read More
Q. ધ્યાન અને ધર્મ વચ્ચે શું તફાવત છે? અને ખરો ધર્મ એટલે શું?
A. ધર્મ કોને કહેવાય ? જે ધર્મ થઇને પરિણામ પામે તે ધર્મ. એટલે કે મહીં પરિણામ પામીને કષાય ભાવોને... Read More
Q. શું કુંડલીની જાગરણથી આત્માનો અનુભવ કરી શકાય?
A. બધું રિલેટિવ છે. રિલેટિવ (લૌકિક) એટલે ઓર્નામેન્ટલ (ચળકાટવાળું) હોય. મનને સ્થિર કરે. મહીં પ્રગતિ ના... Read More
Q. અનાહત નાદનાં ધ્યાનથી શું પ્રાપ્ત થાય?
A. પ્રશ્નકર્તા: અનાહત નાદ એટલે શું ? દાદાશ્રી: શરીરના કોઇપણ ભાગનો નાદ પકડી લે છે તે હાર્ટ પાસે, કોણી... Read More
Q. સાચા ગુરુ અને સદગુરુ કયા પ્રકારનું ધ્યાન કરાવે છે?
A. આ તો લોક ગુરુને સમજ્યા જ નથી. હિન્દુસ્તાનના લોકો ગુરુને સમજ્યા જ નથી કે ગુરુ કોને કહેવાય તે ! જે... Read More
Q. સમાધિ એટલે શું? નિર્વિકલ્પ સમાધિ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય?
A. પ્રશ્નકર્તા: દાદા,મને ચાર-ચાર કલાક સમાધિ રહે છે. દાદાશ્રી: સમાધિ રહે છે ત્યારે તો રહે છે એ બરાબર... Read More
subscribe your email for our latest news and events