Related Questions

ધ્યાન અને ધર્મ વચ્ચે શું તફાવત છે? અને ખરો ધર્મ એટલે શું?

ધર્મ-સ્વરૂપ

ધર્મ કોને કહેવાય ?

જે ધર્મ થઇને પરિણામ પામે તે ધર્મ. એટલે કે મહીં પરિણામ પામીને કષાય ભાવોને (ક્રોધ-માન-માયા-લોભ) ઓછા કરે.

કષાય ભાવ ઓછા થાય એવા નથી, વધે એવા છે. એ પોતાની મેળે ઓછા કરવાથી થાય નહીં, પણ ધર્મથી જ ઓછા થાય. ધર્મ કયાંથી પ્રાપ્ત થવો જોઇએ ? 'જ્ઞાની પુરુષ' પાસેથી; સહી-સિક્કાવાળો ધર્મ હોવો જોઇએ. 'જ્ઞાની પુરુષ'ના પછી બે શબ્દો ય વાપરવા માંડયા કે જે શબ્દો વચનબળવાળા હોય, મહીં બળ આપનારા હોય , જાગૃતિ રખાવનારા હોય; તે શબ્દો આવરણો ભેદીને મહીંની શક્તિઓ પ્રગટ કરે.

પરિણામ પામે તે ધર્મ અને પરિણામ ના પામે તે અધર્મ.

પરિણામ શું પામે ? તો કે કષાય ભાવોને હળવા કરે, ઓછા કરે, હલકા-પાતળા કરે અને જેમ તે કષાય ભાવો ઓછા થતા જાય તેમ પોતાની શક્તિ, આનંદ વધતાં જાય. પોતાની બધી શક્તિ માલૂમ પડે કે ઓહોહો ! મહીં પોતાની કેવી શક્તિ છે ! આટલી બધી પોતામાં શક્તિ કયાંથી આવી ? એટલે ધર્મ એનું નામ કહેવાય. નહીં તો આ ભમરડો તો એવો ને એવો જ હોય, નાનપણથી તે ઠેઠ નનામી કાઢે ત્યાં સુધી એવો ને એવો જ હોય. તો એને ધર્મ શી રીતે કહેવાય ?

ધર્મ થઇને પરિણામ પામે. ત્યારે, પરિણામ શું પામવાનું ? વ્રત, નિયમ, તપ કરતાં શીખે એ ? ના, એ ન હોય પરિણામ. ક્રોધ, માન, માયા, લોભનું-કષાયોનું નિવારણ કરે એનું નામ ધર્મ અને અધર્મ તો કષાયો વધારે. ત્યારે કેટલાક કહે છે ને કે રોજ સામાયિક, પ્રવચન, ધ્યાન કરે છે ને ? શું એ ધર્મ નથી? ભગવાન કહે છે કે ના, એ ધર્મ ન હોય. ભગવાન તો કહે છે કે તમે એમને જરા પૂછો કે આ બીજા જોડે, શિષ્યો જોડે કષાયો થાય છે કે નથી થતા ? અને આપણે પૂછીએ કે, ''મહારાજ શિષ્યો જોડે કશું થઇ જાય છે ?'' ત્યારે મહારાજ કહે કે, ''કોઇ એકુય સામાયિક નથી કરતો તે મને મહીં બહુ અકળામણ થઇ જાય છે ?'' ત્યારે તેં કર્યું તેને ધર્મ કેમ કહેવાય ? આ તો ઊલટા કષાયો વધારે છે.

ધર્મ સામાયિક વગેરેમાં નથી, ધર્મ તો પરિણામ પામે તેમાં છે. ધર્મ તો કષાય ભાવોનું નિવારણ કરે તે. કષાય ભાવો તો દાબ્યા દબાવાય નહીં, કે એમને છોલ છોલ કરે, રંધો માર માર કરે તો ય કશું વળે નહીં.

ધર્મ પૂરેપૂરો પરિણામ પામે ત્યારે 'પોતે' જ ધર્મસ્વરૂપ થઇ જાય!

રીયલ ધર્મ : રીલેટિવ ધર્મ

ધર્મ બે પ્રકારના છે : એક રીલેટિવ ધર્મ અને બીજો રીયલ ધર્મ.

રીલેટિવ ધર્મ એટલે મનો ધર્મ, દેહધર્મ, વાણીધર્મ અને એ બધા પરધર્મ છે. જપ કરતા હોય એ વાણીના ધર્મ, ધ્યાન કરવું એ બધા મનના ધર્મ અને દેહને નવડાવવું, ધોવડાવવું, પૂજાપાઠ કરવો, એ બધા દેહના ધર્મ છે.

દરેક વસ્તુ તેના ધર્મમાં જ રહે છે. મન મનના ધર્મમાં જ રહે છે, બુદ્ધિ બુદ્ધિના ધર્મમાં, ચિત્ત ચિત્તના ધર્મમાં અને અહંકાર અહંકારના ધર્મમાં જ રહે છે, કાન કાનના ધર્મમાં રહે છે. કાન છે તે સાંભળવાનું કામ કરે છે, એ ઓછું જોવાનું કામ કરે છે ! આંખ જોવાનું કામ કરે, સાંભળવાનું નહીં. નાક સૂંઘવાનો ધર્મ બજાવે, જીભ સ્વાદનો ધર્મ બજાવે અને સ્પર્શેન્દ્રિય સ્પર્શના ધર્મમાં જ રહે છે. દરેક ઇન્દ્રિય પોતપોતાના વિષયોના ધર્મમાં જ હોય છે.

મન મનના ધર્મમાં હોય ત્યારે અવળા વિચાર આવે અને સવળા વિચાર પણ આવે, પણ એ એના ધર્મમાં છે. પણ 'પોતે' સવળો વિચાર આવે ત્યારે કહે કે, મારા સારા વિચાર છે, એટલે 'પોતે' તેમાં ભ્રાંતિથી તન્મયાકાર થઇ જાય છે. અને અવળા વિચાર આવે એટલે 'પોતે' તેનાથી છૂટો રહે અને ત્યારે કહે કે મારી ઇચ્છા નથી છતાં એ આવા અવળા વિચાર આવે છે ! અંતઃકરણમાં બધાના ધર્મ જુદા છે. મનના ધર્મ જુદા, ચિત્તના ધર્મ જુદા, બુદ્ધિના ધર્મ જુદા અને અહંકારના ધર્મ જુદા. આમ, બધાના ધર્મ જુદા જુદા છે. પણ 'પોતે' મહીં ડખલ કરીને ડખો ઊભો કરે છે ને ! મહીં તન્મયાકાર થઇ જાય છે, એ જ ભ્રાંતિ છે. તન્મયાકાર કયારે ના થાય? કે જયારે 'જ્ઞાની પુરુષ' સ્વરૂપનું જ્ઞાન આપે ત્યારે તન્મયાકાર ના થાય. પોતે આત્મા થયા પછી નિષ્પક્ષપાતી થાય. પછી મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારનો, વાણીનો કે દેહનો પક્ષપાત ના રહે. આ તો આરોપિત ભાવથી અહંકારે કરીને તન્મયાકાર થાય છે. આત્મા થયા પછી એ બધાને 'પોતે' છૂટો રહીને જુએ અને જાણે.

જગત આખું રીલેટિવ ધર્મ પાળે છે. દેહના ધર્મ, વાણીના ધર્મ, મનના ધર્મ જ પાળે છે. દેહના ધર્મોને જ 'પોતાનો ધર્મ છે' એમ માને છે. એ રીલેટિવ ધર્મ છે અને 'આત્મા એ જ ધર્મ' માને છે, તે આત્મધર્મ કહેવાય છે. આત્મધર્મ એ જ રીયલ ધર્મ છે, એ જ સ્વધર્મ છે, એ જ મોક્ષ છે. પોતાનું સ્વરૂપ જાણી લેવાનું છે. આત્માનો ધર્મ એ જ સ્વધર્મ છે, બીજા બધા પરધર્મ છે.

×
Share on