Related Questions

શું પુનર્જન્મ સત્ય છે?

પ્રશ્નકર્તા : જીવાત્મા મરે પછી પાછો આવે છેને ?

દાદાશ્રી : એવું છેને, ફોરેનવાળાને પાછો આવતો નથી, મુસ્લિમોને પાછો આવતો નથી પણ તમારો પાછો આવે છે. તમારા ભગવાનની એટલી કૃપા છે કે તમારો પાછો આવે છે. અહીંથી મર્યો કે ત્યાં બીજી યોનિમાં પેસી ગયો હોય અને પેલાને તો પાછા નથી આવતા.

હવે ખરેખર પાછા નથી આવતા એવું નથી. એમની માન્યતા એવી છે તે અહીંથી મર્યો એટલે મર્યો, પણ ખરેખર પાછો જ આવે છે, પણ એમને સમજણ પડતી નથી. પુનર્જન્મ જ સમજતા નથી. તમને પુનર્જન્મ સમજાય છેને !

શરીર મૃત્યુ પામે એટલે આ જડ થઈ જાય એનાં પરથી સાબિત થાય કે આમાં જીવ હતો એ નીકળીને બીજે ગયો. ફોરેનવાળા તો કહે છે કે આ તે જ જીવ હતો ને તે જ જીવ મરી ગયો. આપણે એ કબૂલ કરતા નથી. આપણે લોકો પુનર્જન્મને માનીએ છીએ. આપણે ડેવલપ (વિકસિત) થયા છીએ. આપણે વીતરાગ વિજ્ઞાનને જાણીએ છીએ. વીતરાગ વિજ્ઞાન કહે છે પુનર્જન્મના આધારથી આપણે ભેગા થયા છીએ, એવું હિન્દુસ્તાનમાં સમજીએ છીએ. તેના આધારે આપણે આત્માને માનતા થયા છીએ. નહીં તો જો પુનર્જન્મનો આધાર ના હોય તો આત્મા માની શકાય જ કેવી રીતે ?

તો પુનર્જન્મ કોનો થાય છે ? ત્યારે કહે, આત્મા છે તો પુનર્જન્મ થાય છે કારણ કે દેહ તો મરી ગયો, આપણે બાળી મૂકેલા દેખીએ છીએ.

એટલે આત્માની સમજ બેસતી હોય તો ઉકેલ જ આવી જાયને ! પણ એ સમજ બેસે એવી નથીને ! તેથી તમામ શાસ્ત્રોએ કહ્યું કે, 'આત્મા જાણો !' હવે એ જાણ્યા સિવાય બધું જે કંઈ કરવામાં આવે છે, એ બધું જ એને ફાયદાકારક નથી, હેલ્પિંગ નથી. પહેલું આત્મા જાણો તો બધું સોલ્યુશન (ઉકેલ) આવી જશે !

પુનર્જન્મ કોનો ?

પ્રશ્નકર્તા : પુનર્જન્મ કોણ લે છે ? જીવ લે છે કે આત્મા લે છે ?

દાદાશ્રી : ના, કોઈને લેવો પડતો નથી, થઈ જાય છે. આ આખું જગત 'ઈટ હેપન્સ' (એની મેળે ચાલી રહ્યું) જ છે !

પ્રશ્નકર્તા : હા, પણ એ કોનાથી થઈ જાય છે ? જીવથી થઈ જાય છે કે આત્માથી ?

દાદાશ્રી : ના, આત્માને કશી લેવા-દેવા જ નથી, બધું જીવથી જ છે. જેને ભૌતિક સુખો જોઈએ છે, તેને યોનિમાં પ્રવેશ કરવાનો 'રાઈટ' (અધિકાર) છે. ભૌતિક સુખો ના જોઈતાં હોય, તેને યોનિમાં પ્રવેશ કરવાનો 'રાઈટ' જતો રહે છે.  

×
Share on
Copy