Related Questions

શું જ્ઞાન પછીની સનાતન શાંતિ આ જન્મ પૂરતી જ થાય?

પ્રશ્નકર્તા : એકલી આ સનાતન શાંતિ ઊભી કરે તો એ આ જનમ પૂરતી જ થાય કે જનમ જનમની થાય ?

દાદાશ્રી : ના. એ તો પરમેનન્ટ થઈ ગઈ એ તો. પછી કર્તા જ ના રહ્યો એટલે કર્મ બંધાય નહીં. એકાદ અવતારમાં કે બે અવતારમાં મોક્ષ જ થવો પડે. છૂટકો જ નહીં, ચાલે જ નહીં. જેને મોક્ષે ના જવું હોય, તેને આ ધંધો જ કરવો નહીં. આ લાઈનમાં પડવું જ નહીં. જેને મોક્ષ ના ગમતો હોય તો આ લાઈનમાં પડવું નહીં.

પ્રશ્નકર્તા : આ બધું 'જ્ઞાન' છે એ બીજા જનમમાં જાય તો યાદ હોય ખરું ?

દાદાશ્રી : બધું તે જ રૂપ હોય. ફેરફાર જ ના થાય. કારણ કે કર્મ બંધાય નહીંને એટલે ફરી ગૂંચવાડો જ ઊભો ના થાયને !

પ્રશ્નકર્તા : તો એનો અર્થ એવો થાય કે આપણા ગયા જનમમાં એવાં કર્મો હોય એને લઈને ગૂંચવાડો-ગૂંચવાડો જ ચાલ્યા કરે છે ?

દાદાશ્રી : ગયા અવતારે અજ્ઞાનતાથી કર્મો બંધાયાં, એ કર્મોની આ ઇફેક્ટ છે હવે. ઇફેક્ટ ભોગવવી પડે છે. ઇફેક્ટ ભોગવતાં ભોગવતાં ફરી જો કદી જ્ઞાની મળે નહીં તો ફરી નવાં કૉઝિઝ અને એટલે નવી ઇફેક્ટ ઊભી થયા કરવાની. ઇફેક્ટમાંથી પાછાં કૉઝિઝ ઉત્પન્ન થયા જ કરવાનાં અને એ કૉઝિઝ પાછાં આવતા ભવમાં ઇફેક્ટ થશે. કૉઝિઝ એન્ડ ઇફેક્ટ, ઇફેક્ટ એન્ડ કૉઝિઝ, કૉઝિઝ એન્ડ ઇફેક્ટ, ઇફેક્ટ એન્ડ કૉઝિઝ, કૉઝિઝ એન્ડ ઇફેક્ટ એ ચાલ્યા જ કરે છે. એટલે જ્ઞાનીપુરુષ જ્યારે કૉઝિઝ બંધ કરી આપે એટલે ઇફેક્ટ એકલી જ ભોગવવાની રહી. એટલે કર્મ બંધાતા બંધ થઈ ગયા.

એટલે બધું 'જ્ઞાન' યાદ રહે જ એટલું નહીં, પણ પોતે તે સ્વરૂપ જ થઈ જાય. પછી તો મરવાનોય ભો ના લાગેને ! કશાનો ભો ના લાગે, નિર્ભયતા હોય.  

×
Share on
Copy