Related Questions

ઈંડાં શાકાહારી છે કે માંસાહારી?

સામાન્ય રીતે માંસાહાર ન કરતા લોકોને પણ ઈંડાં ખાવામાં જોખમ નથી લાગતું. ઘણી બેકરીની વાનગીઓ જેવા કે, કેક અને બિસ્કીટ, જેમાં ઈંડાં એક સામગ્રી તરીકે નાખવામાં આવે છે, તેને ખાવામાં ઘણા શાકાહારીઓને પણ કોઈ હરકત નથી આવતી. કેટલાક લોકો તો અજાણતાં જ એવા ચોકલેટ, આઈસ્ક્રીમ, નુડલ્સ કે બ્રેડ જેવા ખાદ્ય પદાર્થો ખુશીથી આરોગે છે, જેમાં ઈંડાંની સફેદી કે ઈંડાંનો ઉપયોગ થાય છે.

એટલું જ નહીં, આજકાલ અનફર્ટિલાઇઝ્ડ ઈંડાં શાકાહારી છે અને તેને ખાવામાં હિંસા નથી તેવી માન્યતા પ્રચલિત થઈ છે. આ બધી માન્યતાઓ સામે અહીં વાસ્તવિકતા ખુલ્લી થાય છે.

ઈંડાંમાં જીવ છે જ

ખરેખર પંચેન્દ્રિય જીવો જેમને કાન નથી હોતા, તેઓ ઈંડાં મૂકે છે. પંચેન્દ્રિય જીવના બાળક પણ પંચેન્દ્રિય જ હોય. એટલે ઈંડું ખાવામાં તો મોટી હિંસા છે, કારણ કે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જીવોમાં જેટલું જીવનું ડેવલપમેન્ટ વધુ તેટલો વધુ હિંસાનો ગુનો લાગુ પડે છે.

ઈંડાંને માંસાહાર કહેવાય છે. કારણ કે, ઈંડાંમાંથી મરઘી જન્મે છે. મરઘી એ પંચેન્દ્રિય જીવ છે અને ઈંડું તેનું ડોરમન્ટ રૂપ (સુષુપ્ત અવસ્થા) છે. ઈંડું એટલે મનુષ્યમાં માતાના ગર્ભમાં 3 મહિનાનું બાળક જેમ અલ્પવિકસિત મનુષ્યનો જીવ હોય, તેમ અલ્પવિકસિત મરઘી જ છે. જો 3 મહિનાના બાળકને મારી નાખીએ તો એ ઉછેરીને મોટા કરેલા ૨ વર્ષના મનુષ્યના બાળકને મારી નાખવા બરાબર જ છે. તેવી જ રીતે ઈંડાંનું સેવન પણ મરઘીના સેવન બરાબર છે. એટલે ઈંડું શાકાહારી છે, અથવા ઈંડું ખાવામાં હિંસા કે નુકસાન નથી, એ ઈંડાંના વેચાણ અને ઉપયોગ વધારવા માટેનો પ્રચાર છે, પણ વાસ્તવિકતા નથી.

આર્ટીફીશીયલ એગ્સમાં પણ જીવ

આજકાલ જે અહિંસક ઈંડાં, જેને બીજા શબ્દોમાં અનફર્ટિલાઇઝ્ડ ઈંડાં કે આર્ટીફીશીયલ ઈંડાં તરીકે વેચવામાં આવે છે, તે ખવાય એવી માન્યતા ખૂબ પ્રચલિત થઈ છે. એવું કહેવામાં આવે છે કે, મરઘાના સંપર્કમાં આવ્યા વિના મરઘી જે ઈંડાં મૂકે છે તેને અનફર્ટિલાઇઝ્ડ ઈંડાં કહેવામાં આવે છે. તેમાં જીવની હિંસા નથી થતી.

પણ આર્ટીફીશીયલ ઈંડાં સંપૂર્ણપણે માનવનિર્મિત તો નથી જ. મરઘી જે ઈંડાં મૂકે છે તેમાંથી મરઘીનું બચ્ચું જન્મ લઈ શકે છે, પણ એવા સંજોગો ઊભા કરવામાં આવે છે, જેથી એ બચ્ચું જન્મે નહીં. પણ એમાં જીવ તો છે જ પણ તે જીવ આવરણમાં છે, બેભાન સ્થિતિમાં છે. જેમ મનુષ્યની માતાના ગર્ભમાં બે મહિનાનું બચ્ચું હોય, તો એ હજુ જન્મ્યું નથી. પણ અંદર એને સોંય ભોંકીએ તો એને દુઃખ તો થાય જ. મનુષ્ય જીવના ગર્ભપાતમાં એક મનુષ્યની હત્યા કરવા જેટલો જ ગુનો લાગે છે. તેવી જ રીતે ઈંડાંને ખાવામાં મરઘીને ખાવા જેટલો જ ગુનો લાગે છે, પછી એ અનફર્ટિલાઇઝ્ડ ઈંડાં હોય કે ફર્ટિલાઇઝ્ડ ઈંડાં, બેમાં કોઈ ફેર નથી પડતો.

વાસ્તવિકતા એ છે કે કોઈ પણ ખોરાક જીવંત હોય તો જ તે ખવાય અને તેમાંથી આપણને પોષણ મળે. શાકભાજી પણ એકેન્દ્રિય જીવ છે અને તે જીવંત છે, પણ તેને ખાવામાં ઈંડાં કે માંસાહાર જેટલો ગુનો નથી તેથી તે ખાવામાં હિંસા નથી. એ હિસાબે અનફર્ટિલાઇઝ્ડ ઈંડાં પણ જીવંત જ છે. જો જીવંત ના હોય તો એનાથી શરીરને શક્તિ ના મળે. એટલે અનફર્ટિલાઇઝ્ડ ઈંડાં ખાવામાં પંચેન્દ્રિય જીવોની હિંસા થાય છે.

પરમ પૂજ્ય દાદા ભગવાન સાથે પણ વિદેશમાં વસતા લોકોએ આ જ પ્રકારનો સવાલ કર્યો હતો તેનો વિસ્તૃત જવાબ આપણને અહીં મળે છે.

પ્રશ્નકર્તા: કેટલાંક લોકો તો એવી દલીલ કરે છે કે ઈંડાં બે પ્રકારનાં હોય છે, એક જીવવાળા અને બીજાં નિર્જીવવાળા. તો એ ખવાય કે નહીં?

દાદાશ્રી: ફોરેનમાં એ લોકો દલીલ કરતા હતા કે અહિંસક ઈંડાં! એટલે મેં કહ્યું, આ જગતમાં જીવ વગર કશું ખવાય જ નહીં. અજીવ વસ્તુ છેને, એ ખવાય જ નહીં. ઈંડાંમાં જો જીવ ના હોય તો ઈંડું ખવાય નહીં, એ જડ વસ્તુ થઈ ગઈ. કારણ કે જીવ ના હોય એ જડ વસ્તુ થઈ ગઈ. આપણે જીવને ખાવું હોયને તો એને આમ કાપી અને બે-ત્રણ દહાડા સુધી ઊતરી ના જાય ત્યાં સુધી જ ખવાય. આ શાકભાજીય તોડ્યા પછી અમુક ટાઈમ સુધી જ ખવાય, પછી એ ખલાસ થઈ જાય. એટલે જીવતી વસ્તુને ખવાય. એટલે ઈંડું જો નિર્જીવ હોય તો ખવાય નહીં, સજીવ હોય તો જ ખવાય. એટલે આ લોકો જો ઈંડાંને સજીવ ના કહેતા હોય તો એ વાતો બધી હમ્બગ છે. તો શા માટે લોકોને ફસાવો છો આવું?

એ બીજી જાતનાં ઈંડાંવાળાએ આ જગતમાં એ ઈંડાંને ક્યા રૂપમાં મૂક્યું છે તે જ અજાયબી છે. બીજી જાતના ઈંડાંવાળાને પૂછયું કે આ બીજી જાતવાળો જીવ નિર્જીવ છે કે સજીવ છે એ મને કહે. નિર્જીવ હોય તો ખવાય નહીં. આખી દુનિયાને મૂરખ બનાવી, તમે લોકો કઈ જાતનાં છો તે? જીવ ના હોય એ ખવાય નહીં આપણાથી, એ અખાદ્ય ગણાય છે.

પ્રશ્નકર્તા: પણ આ વેજીટેરિયન ઈંડું ફળતું નથી.

દાદાશ્રી: એ ફળતું નથી એ ડીફરન્ટ મેટર. પણ આ જીવતું છે.

એટલે આવું બધું ઠસાવી દીધું, તે આ જૈનોનાં છોકરાંને કેટલી મુશ્કેલી! એની પર તો બધા છોકરાઓ મારી જોડે બાઝયા હતા. પછી મેં એમને સમજાવ્યું કે, ‘ભઈ, આમ જરા વિચાર તો કરો. અજીવ હોય તો વાંધો જ નથી પણ અજીવ તો ખવાય જ નહીં.’ પછી મેં કહ્યું, ‘નહીં તો પછી બહુ જો ડાહ્યા થશો તો તમારે અનાજ કશું ખવાય નહીં. તમે નિર્જીવ ચીજ ખાવ.’ ત્યારે નિર્જીવ ચીજ તો આ શરીરને કામ લાગે નહીં. એમાં વિટામીન ના હોય. નિર્જીવ જે ચીજો છે એ શરીરને ભૂખ મટાડે ખરી, પણ એમાં વિટામીન ના હોય. એટલે શરીર જીવે નહીં. જોઈતું વિટામીન ના મળે ને! એટલે નિર્જીવ વસ્તુ તો ચાલે નહીં. ત્યારે એ છોકરાઓએ સ્વીકાર કર્યો કે આજથી એ ઈંડાં અમે નહીં ખાઈએ. સમજાવે તો લોક સમજવા તૈયાર છે અને નહીં તો આ લોકો તો એવું ઠસાવી દે છે કે બુદ્ધિ ફરી જાય. આ બધા ઘઉં ને ચોખા ને આ બધું ખાઈએ છીએ, આવડા આવડા દૂધીયાં ખાઈ જઈએ છીએ, એ બધાં જીવો જ છે ને! નથી જીવો? પણ ભગવાને ખાવાની બાઉન્ડ્રી આપી છે કે આ જીવો છે તે ખાજો. પણ જે જીવ તમારાથી ત્રાસ પામતો હોય તેને મારો નહીં, એને ખાવ નહીં, એને કશું જ ના કરો.

ઈંડાં ખાવાના જોખમો

ઈંડાંમાંથી નીકળેલું મરઘીનું બચ્ચું અડવા જાઓ તો એ ભાગે. એને ત્રાસ લાગે છે. જે જીવોને નુકસાન પહોંચે ત્યારે તેને ત્રાસ લાગે, દુઃખ થાય એ ત્રસકાય જીવો છે. માનવતાની રીતે જોઈએ તો, ત્રાસ પામનાર જીવને રક્ષણ આપવાનું હોય કે મારીને ખાઈ જવાનું હોય? ઈંડાં ખાનારને જીવહિંસાનો ગુનો લાગે છે.

બીજું, ત્રાસ પામતા જીવોને ખાવાથી ખાનારના શરીરમાં ભયના પરમાણુ, વેદનાના પરમાણુ પ્રવેશે છે. તેનાથી પોતે જ લાંબા ગાળે તણાવ, ભય, સ્ટ્રેસ અને ડિપ્રેશનનો ભોગ બને છે. સતત ઈંડાં અને માંસાહાર કરતા મનુષ્યો પોતાની સલામતી માટે ગમે તેટલા ઉપાયો ગોઠવ્યા પછી પણ આખો દિવસ ભયભીત થઈને જીવતા હોય, સહેજ પણ નિર્ભય ન રહી શકે.

ઈંડાં ખાવા એ પાશવતા કહેવાય છે. જેમ જંગલી પ્રાણીઓ પોતાની ભૂખ સંતોષવા બીજા પ્રાણીઓને મારીને ખાઈ જાય છે, તેમ મનુષ્યો ઈંડાંને ખાઈ જાય છે. માનવતાના હૃદયવાળી વ્યક્તિ તો તે કહેવાય, જેને વિચાર આવે કે મને કોઈ સહેજ ટાંકણી મારે છે તે સહન નથી થતું, તો કોઈ જીવને કાપીને કેવી રીતે ખવાય?

ઈંડાંને કાપીએ તો એ ખસી જતું નથી, તો એ ત્રસકાય જીવ કહેવાય કે નહીં? તેનો જવાબ આપણને પરમ પૂજ્ય દાદાશ્રી પાસેથી મળે છે.

પ્રશ્નકર્તા: આ ઈંડાં એ ત્રાસ પામતા નથી, તો એ ખાવા સારા કે નહીં?

દાદાશ્રી: ઈંડાં ત્રાસ પામતા નથી. પણ ઈંડાંમાં અંદર જે જીવ રહ્યો છે ને, તે બેભાન અવસ્થામાં છે. પણ એ ફૂટે ત્યારે આપણને ખબર પડે કે નહીં?

પ્રશ્નકર્તા: તરત ખબર પડે. પણ ઈંડું આઘુપાછું ના થાય ને! તો?

દાદાશ્રી: એ તો ના થાય. કારણ કે બેભાનપણામાં છે. એટલે થાય નહીં. એ તો મનુષ્યનોય ગર્ભ ચાર-પાંચ મહિનાનો હોય, તે ઈંડાંની પેઠ જ હોય છે. માટે કંઈ એને મરાય નહીં. એમાંથી ફૂટે છે તો શું થાય છે, એ આપણે માણસ સમજી શકીએ છીએ.

સ્વાસ્થ્ય માટે ઈંડાંના વિકલ્પો

આજકાલ તો ઘણા ડોકટરો પણ શાકાહારી કુટુંબના બાળકોને પ્રોટીન મેળવવા અને સ્વાસ્થ્યના હેતુથી ઈંડાં ખાવાની સલાહ આપે છે.

પ્રોટીન મેળવવા માટે ઈંડાં ખાવા જ જોઈએ તે માન્યતા સાવ ખોટી છે. શાકાહારી વાનગીઓ જેમ કે, ફણગાવેલા મગ કે સોયાબીનમાં ખૂબ પ્રોટીન હોય છે. અન્ય ખાદ્ય પદાર્થો જેમ કે, પનીર, ચણા, કઠોળ વગેરેમાં પણ ભરપૂર માત્રામાં પ્રોટીન મળે છે. શક્તિશાળી ઘોડા શાકાહારી છે અને તેઓ ચણામાંથી પ્રોટીન અને શક્તિ મેળવે છે. ઉપરાંત, હાથી, હિપોપોટેમસ જેવા શક્તિશાળી પ્રાણીઓ પણ સંપૂર્ણ શાકાહારી છે. તેઓ ભૂખ્યા રહે તો પણ માંસાહારને અડતા નથી. જો શાકાહારમાં શક્તિ ન હોત તો આ જીવોમાં શક્તિ આવે છે ક્યાંથી?

એટલે પ્રોટીન માટે ઈંડાં ખાવા આવશ્યક નથી. પણ મનુષ્યો પોતાના જીભના સ્વાદ માટે કે શોખ માટે ઈંડાં ખાવા પર ભાર મૂકે છે. હવે એવો સમય નથી કે શાકાહારી ભોજન ઉપલબ્ધ નથી. ઠેર ઠેર શાકાહારી જ નહીં, જૈન અને વિગન ખોરાકના વિકલ્પો પણ સરળતાથી ઉપલબ્ધ છે. વિગન એટલે કે, જેમાં પ્રાણીઓમાંથી ઉત્પાદન થતા કોઈ પણ પ્રકારના ખાદ્યપદાર્થો જેમ કે, દૂધ, મધ વગેરે વપરાતા નથી. એટલે આ કાળમાં ઈંડાં કે માંસાહાર નથી જ કરવો, એવું કોઈ નક્કી કરે તેને ભૂખ્યા રહેવાનો વારો નહીં આવે.

×
Share on