Related Questions

ભાવ હિંસા કેવી રીતે અટકાવવી? ભાવ મરણ નો અર્થ શું છે?

આખા જગતનાં લોકોને રૌદ્રધ્યાન ને આર્તધ્યાન તો એની મેળે થયા જ કરે. એના માટે કશું કરવાનું જ નહીં. એટલે આ જગતમાં મોટામાં મોટી હિંસા કઈ ? આર્તધ્યાન ને રૌદ્રધ્યાન ! કારણ કે એ આત્મહિંસા કહેવાય છે. પેલી જીવડાંની હિંસા એ પુદ્ગલહિંસા કહેવાય છે ને આ આત્મહિંસા કહેવાય છે. તો કઈ હિંસા સારી ?

પ્રશ્નકર્તા : હિંસા તો એકેય સારી નહીં. પણ આત્મહિંસા એ મોટી કહેવાય.

દાદાશ્રી : તે આ લોક બધા પુદ્ગલહિંસા તો બહુ પાળે છે. પણ આત્મહિંસા તો થયા જ કરે છે. આત્મહિંસાને શાસ્ત્રકારોએ ભાવહિંસા લખી છે. હવે ભાવહિંસા આ જ્ઞાન પછી તમને બંધ થાય છે. તો અંદર કેવી શાંતિ રહે છે ને !

પ્રશ્નકર્તા : કૃપાળુદેવે આ ભાવહિંસાને ભાવમરણ કીધું છે ને ? કૃપાળુદેવનું વાક્ય છે ને, ‘ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહ્યો.’ એમાં સમય સમયનું ભાવમરણ હોય ?

દાદાશ્રી : હા, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણ એટલે શું કહેવા માગે છે ? જો કે ક્ષણે ક્ષણે ભાવમરણ નથી થતું, સમયે સમયે ભયંકર ભાવમરણ થાય છે. પણ આ તો જાડું લખેલું છે. બાકી સમયે સમયે ભાવમરણ જ થઈ રહ્યું છે. ભાવમરણ એટલે શું ? કે ‘હું ચંદુલાલ છું’ એ જ ભાવમરણ છે. જે અવસ્થા ઉત્પન્ન થઈ, તે અવસ્થા ‘મને’ થઈ એમ માનવું એટલે ભાવમરણ થયું. આ બધા લોકોની રમણતા ભાવમરણમાં છે કે ‘આ સામાયિક મેં કર્યું, આ મેં કર્યું.’

પ્રશ્નકર્તા : તો પછી ભાવ સજીવન કેવી રીતના થઈ શકે ?

દાદાશ્રી : એવું ભાવ સજીવન નથી. ભાવનું મરણ થઈ ગયું. ભાવમરણ એને નિંદ્રા કહેવાય. ભાવનિદ્રા અને ભાવમરણ એ બે એક જ છે. આ ‘અક્રમ વિજ્ઞાન’માં ભાવ વસ્તુ જ નથી રાખતા એટલે પછી ભાવમરણ હોતું નથી અને ક્રમિકમાં તો ક્ષણે ક્ષણે ભાવમરણમાં જ બધાં હોય. કૃપાળુદેવ તો જ્ઞાની પુરુષને, એટલે એમને એકલાને જ સમજાય. એમને એમ લાગે કે, ‘આ તો ભાવમરણ થયું. આ ભાવમરણ થયું.’ એટલે પોતે નિરંતર ચેતતા રહેતા હોય. બીજા લોકો તો ભાવમરણમાં જ ચાલ્યા કરે છે.

ભાવમરણનો અર્થ શો ? કે સ્વભાવનું મરણ થયું અને વિભાવનો જન્મ થયો. અવસ્થામાં ‘હું’ એ વિભાવનો જન્મ થયો અને ‘આપણે’ અવસ્થાને જોઈએ એટલે સ્વભાવનો જન્મ થયો.

એટલે આ પુદ્ગલહિંસા હશેને, તો એનો કંઈક ઉકેલ આવશે. પણ આત્મહિંસાવાળાનો ઉકેલ નહીં આવે. આવું ઝીણવટથી લોક સમજણ નથી પાડતા ને ! તે જાડુ કાંતી આપે !

×
Share on
Copy