Related Questions

ભગવાનનો ખરો અનુભવ કરવા માટેની ચાવી કઈ છે?

ભગવાનનો અનુભવ કઈ રીતે થાય? ભગવાનનું સાચું સરનામું શું છે? ભગવાન તો દરેક જીવમાત્રની અંદર બિરાજેલા છે. આપણી અંદરનો "આત્મા" એ જ પરમાત્મા છે. એ ચામડાની આંખથી ના દેખાય. આત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય, દિવ્ય દૃષ્ટિ મળે, "આત્મવત્ સર્વભૂતેષુ" એટલે દરેક જીવમાં આત્મા જોવાની દૃષ્ટિ ખૂલે પછી એ પરમાત્માનો અનુભવ થાય.

સામાન્ય માણસ ભગવાનને પોતાની કલ્પનાથી ઓળખે છે. ભગવાન ઉપર આકાશમાં રહે છે તેમ માને છે. ભગવાનને મંદિરમાં, તીર્થસ્થાનોમાં ખોળે છે, પણ ભગવાન મળતા નથી.

સંત કબીર પણ ભગવાનને શોધવા નીકળી પડ્યા હતા. લોકોએ કહ્યું કે કાશી વિશ્વનાથમાં ભગવાન છે, ત્યાં જાઓ. તો તેઓ ત્યાં ગયા અને ભગવાનની સામે બેસી રહ્યા. પણ તેમને થયું કે ભગવાન બોલ્યા નહીં, કે હસ્યા પણ નહીં. એટલે અહીં ભગવાન જેવું લાગતું નથી, એમ કરીને પાછા ફર્યા. પાછું કોઈને પૂછ્યું કે ભગવાન ક્યાં છે તો કોઈ કહે, રામેશ્વરમાં. પણ ત્યાંયે ભગવાન મળ્યા નહીં. એમ કરતા કરતા તેઓ દ્વારકા, જગન્નાથપુરી બધે ગયા અને ફરી ફરીને થાકી ગયા. છેવટે સંત કબીરને ગુરુ રામદાસ મળ્યા, જેમણે સમજણ પાડી કે, “ભગવાન તારી મહીં જ છે!”. ત્યારે સંત કબીર તરત જ ત્યાં બોલી ઊઠ્યા;

“મૈં જાનૂં હરિ દૂર હૈ, હરિ બસે હૃદય માહિં।
આડી ત્રાટી કપટકી, તાસે દિસત નાહી।।”

ભગવાન ઉપર બેઠા છે, મંદિરમાં મૂર્તિમાં બેઠા છે કે ફોટામાં બેઠા છે, એ બધી અજ્ઞાન માન્યતા છે. જ્ઞાનથી ભગવાનની નિકટ જવાય અને અજ્ઞાનથી ભગવાનથી દૂર જવાય. હું દેહધારી છું, નામધારી છું, એ જ મોટું અજ્ઞાનનું આવરણ છે, જેનાથી ભગવાનનો સાક્ષાત્કાર નથી થતો.

અખા ભગતે પણ કહ્યું છે કે,

“તિલક કરતાં ત્રેપન વહ્યાં, જપમાળાનાં નાકાં ગયાં;
તીરથ ફરી ફરી થાક્યાં ચર્ણ, તોય ન પહોંચ્યા હરિને શર્ણ;
કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.”

ભગવાન આપણું જ સ્વરૂપ છે, આપણાથી જુદા નથી. જ્યાં સુધી “તું” ભગવાન ને “હું” તારો ભક્ત એવી જુદાઈ છે, ત્યાં સુધી ભગવાન ભેગા ના થાય. જ્યારે જુદાઈ મટી જાય, ભગવાન સાથે એકતા થાય, અભેદતા થાય, ત્યારે ભગવાનનો અનુભવ થાય.

ભક્તિકવિ નરસિંહ મહેતાએ કહ્યું છે,

“જ્યાં લગી આતમ તત્વ ચિન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી.”

મીરાંબાઈએ પણ કહ્યું છે કે,

“આત્માને ઓળખ્યા વિના રે, લખ ચોરાશીના ફેરા કેમ રે ટળશે?”

ઈશ્વર અને આત્મા બંને એક જ વસ્તુ છે. આપણો આત્મા એ પરમાત્મા. તે પૂર્ણ ભગવાન છે. ભગવાન અંશ સ્વરૂપ પણ નથી, તેમના ટુકડા ના થાય. આત્મા પૂર્ણ સ્વરૂપે છે. દરેક જીવમાત્રની અંદર આત્મા જુદો છે, સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે.

આત્માનો અનુભવ કરવો હોય તો અનુભવી જ્ઞાનીની પાસે જવું પડે. જ્ઞાની આપણને “સંજોગોથી પર એવો હું આત્મા છું” એવી રાઈટ બિલીફ બેસાડી દે. પછી એ આપણી જાગૃતિમાં રહ્યા જ કરે.

Related Questions
  1. ભગવાન શું છે?
  2. ભગવાન કોણ છે?
  3. શું ભગવાનનું અસ્તિત્વ છે? ભગવાન ક્યાં છે?
  4. ભગવાનને કોણે બનાવ્યા? ભગવાન ક્યાંથી આવ્યા હતા ?
  5. શું ભગવાને આ જગત બનાવ્યું છે?
  6. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કોણ છે?
  7. વર્તમાને શું કોઈ જીવંત ભગવાન હાજર છે? તેઓ ક્યાં છે? તેઓ આપણને કેવી રીતે મદદ કરી શકે?
  8. ભગવાનને પ્રાર્થના-ભક્તિ કેવી રીતે કરવી?
  9. શું મારા ખરાબ કર્મ માટે ભગવાન મને માફ કરશે કે સજા આપશે?
  10. ભગવાન, જ્યારે મને તમારી જરૂર હોય છે ત્યારે તમે કયા હોવ છો? ભગવાન કૃપા કરીને મને મદદ કરો!
  11. ભગવાનનો પ્રેમ કેવી રીતે પ્રાપ્ત કરવો.
  12. ભગવાન પર ધ્યાન એકાગ્ર કેવી રીતે કરવું?
  13. મૂર્તિપૂજાનું મહત્વ શું છે?
  14. ભગવદ્ ગુણો કયા છે?
  15. ભગવાનનો ખરો અનુભવ કરવા માટેની ચાવી કઈ છે?
  16. ભગવાન કેવી રીતે થઈ શકાય?
  17. અંબામા અને દુર્ગામાતા કોણ છે?
  18. સરસ્વતી માતાને કઈ રીતે રીઝવવા?
  19. દેવી લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
×
Share on