Related Questions

શું ભગવાનનું અસ્તિત્વ છે? ભગવાન ક્યાં છે?

જે લોકો માને છે કે ભગવાનનું અસ્તિત્વ છે, તેમને પણ બે મોટા પ્રશ્નો ઊભા થાય છે. ભગવાન ક્યાં છે? અને ભગવાન શું કરે છે?

આપણે એમ કહીએ કે ભગવાન ઉપર રહે છે. તો પ્રશ્ન થાય કે ઉપર ક્યાં રહેતા હશે ભગવાન? ભારતની ઉપર, અમેરિકાની ઉપર કે પછી બીજા કોઈ દેશની ઉપર? શું ભગવાન હિમાલય ઉપર જતા રહેતા હશે? જો એવું હોય તો આપણને શંકા પડે કે ઉપરથી ભગવાન આપણી સાથે ટેલિ-કોમ્યુનિકેશન કઈ રીતે કરતા હશે? કોઈ વ્યક્તિ મુંબઈમાં રહેતી હોય, તો ભગવાન એને શોધી કાઢીને દંડ આપવા આવે એવું કઈ રીતે બનતું હશે?

વાસ્તવિકતામાં, ભગવાન ઉપર છે જ નહીં. ઉપર કોઈ એવું નથી જે આપણને આપણા કર્મોનો દંડ આપવા આવે. વસિષ્ઠ મુનિએ રામચંદ્રજીને જ્ઞાન આપ્યું ને ત્યારે ચોખ્ખું કહ્યું હતું કે ભગવાન ઉપર નથી. પણ રામાયણની કથાવાર્તા અને જીવનચરિત્રો પ્રચલિત થયા, જેમાં મૂળ વાત વિસરાઈ ગઈ. કોઈ શાસ્ત્રમાં પણ નથી કહ્યું કે ભગવાન ઉપર બેઠા છે અને ભગવાને દુનિયા બનાવી.

લોકો કહે છે કે ભગવાન ઉપર સ્વર્ગમાં રહે છે. ઉપર સ્વર્ગ છે એ વાત સાચી છે. પણ સ્વર્ગમાં તો દેવ-દેવીઓ હોય અને એમનામાં અને ભગવાનમાં બહુ ફરક છે. જેમ કે, મહાવીર ભગવાન, રામ ભગવાન, કૃષ્ણ ભગવાનને જેઓ મનુષ્ય દેહે ભગવાન પદને પામ્યા છે, તેમને ભગવાન કહેવાય. જ્યારે અંબા માતાજીને દેવી કહેવાય. મનુષ્યભવમાં બહુ પુણ્ય બાંધ્યું હોય તેઓ સ્વર્ગમાં દેવ-દેવી તરીકે જન્મ લે અને દેવગતિ પૂરી થાય ત્યારે ફરી મનુષ્યમાં આવે.

કેટલાક લોકો એમ માને છે, કે કણ કણમાં ભગવાન છે. જો એવું હોય તો હાલતા-ચાલતા ભગવાનની કેટલી અશાતના કે અનાદર થાય!

તો ભગવાનનું સાચું સરનામું શું?

“ગોડ ઈઝ ઈન એવરી ક્રિએચર, વેધર વિઝિબલ ઓર ઈન્વિઝિબલ.”

એટલે કે, ભગવાન દરેક નાના-મોટા જીવની મહીં બેઠા છે. પણ મનુષ્યના ક્રિએશનમાં ભગવાન નથી. માનવસર્જિત વસ્તુઓ જેમ કે ટીવી, મોબાઈલ, પંખા, એ.સી., ખુરશી, ટેબલ વગેરેમાં ભગવાન નથી. પણ દરેક જીવમાત્રમાં આત્મા એ જ ભગવાન છે. ઝાડ-પાન, પશુ-પક્ષી, જીવજંતુઓ, મનુષ્ય વગેરે જીવોમાં ભગવાન છે. જ્યાં લાગણી અનુભવાય છે અને જેની વૃદ્ધિ થાય છે, તેમાં ભગવાન છે.

યોગવાસિષ્ઠ રામાયણમાં વસિષ્ઠ મુનિએ ચોખ્ખું કહ્યું છે, કે “હે રામ, તમે રાજા રામ નથી, દશરથના પુત્ર નથી, ભરતના ભાઈ નથી, સીતાના પતિ નથી, તમે આત્મા છો, પરમાત્મા છો, બ્રહ્મ, પરબ્રહ્મ છો. તમારાથી ઉપરી બીજો કોઈ નથી, જગતનો કોઈ બનાવનારો નથી. જે છો એ તમે પોતે જ છો.” જૈન શાસ્ત્ર અને વેદાંત શાસ્ત્ર પણ આ વાતને સમર્થન આપે છે.

કબીરજીએ સુંદર કહ્યું છે કે,

સબ ઘટ મેરા સાંઈયા, ખાલી ઘટ ના કોઈ।
બલિહારી ઉસ ઘટ કી, જો ઘટ પ્રગટ હોઈ॥

ઘટ એટલે શરીર. સબ ઘટ એટલે શરીરમાં આત્મા છે અને જે આત્મા પ્રગટ થયો તેની બલિહારી છે.

દરેક જીવ પોતે જ આત્મા છે અને આત્મા એ જ પરમાત્મા છે. પણ આત્મા ઉપર કર્મના આવરણ હોવાથી તે જીવાત્મા કહેવાય છે. એ આવરણો તૂટે ત્યારે તે જ આત્માને પૂર્ણ પરમાત્મા કે ભગવાન તરીકે જગત નમસ્કાર કરે છે.

હવે દરેક જીવમાં ભગવાન છે તેની ખાતરી કઈ રીતે થાય? જેમ આપણને વાંચવું હોય તો લાઈટ વગર વંચાય? ન વંચાય. તેવી જ રીતે આપણા દેહમાં આત્મારૂપી તત્ત્વ, એટલે કે ભગવાન ન હોય તો આપણે જોઈ ન શકીએ, સાંભળી ન શકીએ, સૂંઘી ન શકીએ, ચાલી ન શકીએ, સમજી ન શકીએ. ટૂંકમાં મન-વાણી-દેહથી કે પાંચ ઇન્દ્રિયથી જે કાંઈ ક્રિયાઓ થાય છે તે ભગવાનની હાજરીથી જ થાય છે. દરેક જીવમાં ભગવાનની હાજરી છે. બીજમાંથી અંકુર ફૂટે છે એ પણ ભગવાનની હાજરી વગર ન થાય. જીવમાત્રમાં, પછી તે જોઈ શકાય કે ન જોઈ શકાય, એ દરેકમાં ભગવાન રહેલા છે.

ભગવાન ઉપર નથી, પણ લોકોને ધર્મમાં એવું કહેવાનો આશય એટલો જ છે, જેથી લોકો નીડર કે બેફામ થઈને ચોરી, લૂંટ જેવા ખોટા કામો ના કરે. નહીં તો દુનિયામાં કોઈ સજ્જન જોવા ના મળે. જેમ પોલીસ જોતી હોય તો લોકો ગુના કરતા અટકે, તેમ ઉપર ભગવાન બેઠા છે અને ખોટું કરવાથી પાપ લાગશે એવો ભય હોય, તો લોકો જીવનમાં ખોટા કામો કરવાથી અટકે.

Related Questions
  1. ભગવાન શું છે?
  2. ભગવાન કોણ છે?
  3. શું ભગવાનનું અસ્તિત્વ છે? ભગવાન ક્યાં છે?
  4. ભગવાનને કોણે બનાવ્યા? ભગવાન ક્યાંથી આવ્યા હતા ?
  5. શું ભગવાને આ જગત બનાવ્યું છે?
  6. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કોણ છે?
  7. વર્તમાને શું કોઈ જીવંત ભગવાન હાજર છે? તેઓ ક્યાં છે? તેઓ આપણને કેવી રીતે મદદ કરી શકે?
  8. ભગવાનને પ્રાર્થના-ભક્તિ કેવી રીતે કરવી?
  9. શું મારા ખરાબ કર્મ માટે ભગવાન મને માફ કરશે કે સજા આપશે?
  10. ભગવાન, જ્યારે મને તમારી જરૂર હોય છે ત્યારે તમે કયા હોવ છો? ભગવાન કૃપા કરીને મને મદદ કરો!
  11. ભગવાનનો પ્રેમ કેવી રીતે પ્રાપ્ત કરવો.
  12. ભગવાન પર ધ્યાન એકાગ્ર કેવી રીતે કરવું?
  13. મૂર્તિપૂજાનું મહત્વ શું છે?
  14. ભગવદ્ ગુણો કયા છે?
  15. ભગવાનનો ખરો અનુભવ કરવા માટેની ચાવી કઈ છે?
  16. ભગવાન કેવી રીતે થઈ શકાય?
  17. અંબામા અને દુર્ગામાતા કોણ છે?
  18. સરસ્વતી માતાને કઈ રીતે રીઝવવા?
  19. દેવી લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
×
Share on