Related Questions

બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કોણ છે?

હિંદુ ધર્મમાં લોકો એમ માને છે કે વિશ્વના ક્રિએટર બ્રહ્મા છે, એટલે કે બ્રહ્મા જગતનું નિર્માણ કરે છે. એડમિનિસ્ટ્રેટર વિષ્ણુ છે, એટલે કે દુનિયાનું પાલન ભગવાન વિષ્ણુ કરે છે. જ્યારે મહેશ ડિસ્ટ્રોયર છે, એટલે કે દુનિયાનો વિનાશ મહેશ કરે છે.

જો એવું હોય તો આપણને સ્વાભાવિક રીતે તાર્કિક પ્રશ્નો થાય કે બ્રહ્મા-વિષ્ણુ-મહેશ એ ત્રણના માતા-પિતા કોણ? માતા-પિતા હોય તો તેમને ત્રણ જ બાળકો કેમ થયા, પાંચ કેમ નહીં? જો જગત બ્રહ્મા, વિષ્ણુ અને મહેશથી ચાલતું હોય તો લોકો એમને પકડી પાડે અને ફરજ પાડે કે આ દુનિયા આ રીતે ચલાવો, અમારો દેશ આ રીતે ચલાવો.

વાસ્તવિકતામાં હિંદુ ધર્મ પ્રમાણે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ પ્રકૃતિના ગુણો, સત્ત્વ, રજ અને તમ એ ત્રણના રૂપકો છે. મનુષ્યનો દેહ પ્રકૃતિના આ ત્રણ ગુણોથી બનેલો છે. તેમાં બ્રહ્મા એ સત્ત્વગુણના, વિષ્ણુ એ રજોગુણના અને મહેશ એ તમોગુણના અધિષ્ઠાતા દેવ છે, રૂપક છે.

દરેક ગુણના લક્ષણો હોય છે. જેમ કે, તમોગુણી કે તામસી પ્રકૃતિવાળા મનુષ્યો ક્રોધી કે ગુસ્સાવાળા હોય. રજોગુણી એટલે આખો દિવસ કામ કર્યા જ કરે, નવરા પડે જ નહીં. સાત્ત્વિક ગુણોવાળા ચોખ્ખા અને શાંત હોય અને જીવનમાં કોઈને દુઃખ ન થાય તેવી રીતે લોકોના પરોપકારમાં જ જીવન વીત્યું હોય.

મનુષ્યની પ્રકૃતિ એટલે કે, મન-વચન-કાયામાં આ ત્રણે ગુણો જુદા જુદા પ્રમાણમાં હોય છે. દરેકમાં ૧૦૦% એક જ ગુણ ન હોય, પણ વત્તા-ઓછા અંશે ત્રણે ગુણોનું મિશ્રણ હોય છે. જ્યારે મનુષ્ય ૧૦૦% સત્ત્વગુણી થાય પછી તે આત્માની બહુ નજીક આવી જાય છે.

આ ગુણોને ઓળખવા પાછળ હેતુ એ હતો કે, દરેક મનુષ્યમાં અંદર આવા ગુણો છે અને દરેકે પોતપોતાના ગુણોને ઓળખીને એમાંથી છૂટવાનું છે. પરંતુ સીધી આ ગુણોની સમજ ના પડે, માટે એમના સ્થૂળમાં રૂપકો મૂક્યા. જેમ બાળકો બાલમંદિરમાં ભણવા જાય તો તેમને સીધી A B C D ન શીખવાડે. તેમને A ફોર એપલ, B ફોર બેટ, C ફોર કેટ, એ રીતે શીખવે. એપલ, બેટ અને કેટ વગેરે રૂપકો છે. પણ મોટા થાય તેમ એ રૂપકો ભુલાઈ જાય અને A B C D યાદ રહે. પણ આ ગુણોની બાબતમાં ઊલટું બન્યું. ત્રણ ગુણોની વાત ભુલાઈ ગઈ અને રૂપકો લોકોને યાદ રહ્યા!

પ્રાચીન સમયમાં ઋષિમુનિઓ આ ગૂઢ વિજ્ઞાનને સમજતા હતા. તેઓ આ ત્રણે ગુણોને અભ્યાસમાં લેતા હતા અને એક-એક રજોગુણ, તમોગુણ બધા ખલાસ કરતા કરતા સત્ત્વગુણમાં આવતા હતા. છેવટે, સત્ત્વગુણને પણ ખલાસ કરીને તેઓ આત્મામાં આવતા. આ ગુણો થકી તેઓ એમ કહેવા માગતા હતા કે, પ્રકૃતિના આ ત્રણ ગુણોને કાઢીને નિર્મળ થઈશ તો તું પોતે પરમાત્મા થઈશ!

પણ સમય જતાં, આવું પૃથ્થક્કરણ કરનારા લોકો રહ્યા નહીં. પાછળના લોકો સૂક્ષ્મ વિજ્ઞાનમાં ઊંડા ઊતરી શકતા નહોતા. એટલે એ લોકોને સમજાય તેવી ભાષામાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ સ્થૂળ રૂપકો મુકાયા અને તેમની મૂર્તિઓ સ્થપાઈ.

પછી શંકર ભગવાનને બીલીપત્ર ચડાવવાની, દૂધ ચડાવવાની ક્રિયાઓ શરૂ થઈ. હેતુ એવો હતો કે એમ કરતાં કરતાં કોઈ મનુષ્ય મૂળ ત્રણ ગુણો વિશે સમજશે. જેમ કે, તામસિક ગુણને શાંત કરવા બીલીપત્ર અને દૂધ ચડાવાય છે. પણ એ મૂળ હેતુ વિસરાઈ ગયો.

જૈન શાસ્ત્રમાં પણ ઉત્પન્નેવા એટલે કે ઉત્પન્ન થવું, વિઘ્નેવા એટલે વિનાશ થવું અને ધ્રુવેવા એટલે સ્થિર રહેવું એ અવસ્થાને લાગુ પડે છે. આત્મા અવિનાશી દ્રવ્ય છે. તે જ્યારે બીજા તત્ત્વોના સંપર્કમાં આવે છે, ત્યારે અવસ્થા ઉત્પન્ન થાય છે. અવસ્થા ઉત્પન્ન થાય, અમુક સમય ટકે એટલે ધ્રુવ રહે અને વિઘ્ન એટલે કે વિનાશ પામે.

ઉત્પન્નેવા, ધ્રુવેવા અને વિઘ્નેવા સૂક્ષ્મતમ વસ્તુ હોવાથી લોકોને સમજાય તે માટે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના રૂપકથી આ વાત ગોઠવી, ઉત્પન્નેવા (બ્રહ્મા), વિઘ્નેવા (મહેશ) અને ધ્રુવેવા (વિષ્ણુ). ખરેખર, અવસ્થા માત્ર કુદરતી રચના છે. તેનું ઉત્પન્ન થવું, ટકવું, વિનાશ થવું એ પણ કુદરતી રચના છે. સંજોગો ભેગા થાય એટલે અવસ્થા બને. જેમ સૂર્ય-ચંદ્ર અને પૃથ્વી અમુક ગતિમાં ફરે તો ચંદ્રગ્રહણની અવસ્થા ઉત્પન્ન થાય.

શ્રીકૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં સ્પષ્ટ કહ્યું છે કે, “ત્રૈગુણ્યવિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન!” અર્થાત્ “હે અર્જુન! આત્મા જાણવા તું ત્રિગુણાત્મકથી પર થા.”

ત્રિગુણાત્મક એટલે સત્ત્વ, રજ અને તમ એ ત્રણ ગુણો. શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને સમજાવ્યું હતું કે વેદો આ ત્રણ ગુણને ધરાવનાર છે, માટે તું એમનાથી પાર નીકળીશ તો જ તારું કામ થશે. આ ત્રણ ગુણો પાછા દ્વંદ્વ છે, માટે તું ત્રિગુણાત્મકથી પર થા અને આત્મા સમજ! અર્જુનની જેમ જેમને મોક્ષ મેળવવો છે, આત્માલક્ષી થવું છે, તેમણે આ ત્રણે ગુણોને ઓળખીને તેમનાથી છૂટવાનું છે.

કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું છે કે, “આ જગત ભગવાને બનાવ્યું નથી, પણ સ્વાભાવિક થયું છે!” કુદરતમાં એવું કોઈ એકલું અસ્તિત્વ છે જ નહીં કે જે જગતને ચલાવી શકે. સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ – એટલે કે વૈજ્ઞાનિક સાંયોગિક પુરાવાથી જગત ચાલે છે.

દરેક ધર્મમાં શરૂઆતના તબક્કામાં લોકોને સમજાવવા માટે કથા-વાર્તાઓ, કર્મકાંડ, ભક્તિ અને પૂજાપાઠ વગેરે કરવામાં આવે છે. જેથી મનુષ્ય અશુભમાંથી શુભમાં આવે, પાપકર્મ છોડી પુણ્યકર્મ બાંધે. પણ જ્યારે મનુષ્યની સમજણ વધે અને તત્ત્વજ્ઞાન અને અધ્યાત્મમાં પ્રગતિ કરવા ઈચ્છે, ત્યારે મૂળ વાત સમજવી જરૂરી બને છે.

Related Questions
  1. ભગવાન શું છે?
  2. ભગવાન કોણ છે?
  3. શું ભગવાનનું અસ્તિત્વ છે? ભગવાન ક્યાં છે?
  4. ભગવાનને કોણે બનાવ્યા? ભગવાન ક્યાંથી આવ્યા હતા ?
  5. શું ભગવાને આ જગત બનાવ્યું છે?
  6. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કોણ છે?
  7. વર્તમાને શું કોઈ જીવંત ભગવાન હાજર છે? તેઓ ક્યાં છે? તેઓ આપણને કેવી રીતે મદદ કરી શકે?
  8. ભગવાનને પ્રાર્થના-ભક્તિ કેવી રીતે કરવી?
  9. શું મારા ખરાબ કર્મ માટે ભગવાન મને માફ કરશે કે સજા આપશે?
  10. ભગવાન, જ્યારે મને તમારી જરૂર હોય છે ત્યારે તમે કયા હોવ છો? ભગવાન કૃપા કરીને મને મદદ કરો!
  11. ભગવાનનો પ્રેમ કેવી રીતે પ્રાપ્ત કરવો.
  12. ભગવાન પર ધ્યાન એકાગ્ર કેવી રીતે કરવું?
  13. મૂર્તિપૂજાનું મહત્વ શું છે?
  14. ભગવદ્ ગુણો કયા છે?
  15. ભગવાનનો ખરો અનુભવ કરવા માટેની ચાવી કઈ છે?
  16. ભગવાન કેવી રીતે થઈ શકાય?
  17. અંબામા અને દુર્ગામાતા કોણ છે?
  18. સરસ્વતી માતાને કઈ રીતે રીઝવવા?
  19. દેવી લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
×
Share on