Related Questions

મન એ શું છે? મનની વ્યાખ્યા શું છે?

...એને કહેવાય વિજ્ઞાની!

હવે મન શાથી ઊભું થયું છે, એ જો શોધી આપે તો હું એને વિજ્ઞાની કહું. સહુ કોઈ કહે કે મન મારું છે, મન મારું છે. પણ મન શું છે? શાથી ઊભું થયું છે અને શેનું બનેલું છે? એટલે ક્રિયેશન (ઉત્પન્ન) કેવી રીતે થયેલું છે? એને એ ના જડે. નિરંતર ક્રિયેશન બદલાયા કરે છે મનનું. માટે શી રીતે થયેલું છે, એ કોઈ ના કહી શકે.

પ્રશ્નકર્તા: મન શું છે?

man shu chhe

દાદાશ્રી: હા, આવું પહેલું તમે પૂછ્યું આ. મન આપણો સ્ટોક (જથ્થો) છે. આ દુકાનદારો બધા છે તે બાર મહિનાના સ્ટોક કાઢે છે ને, એવું આ મન આખી લાઈફનો સ્ટોક છે. દુકાનદારો શું કાઢે છે, બાર મહિને? એવું આ ગઈ લાઈફનો સ્ટોક, એ આ ભવમાં તમને ઉદય આવે, ને આગળ તમને ઇન્સ્ટ્રકશન (સૂચના) આપે. અત્યારે આ જૂનું મન છે ને, તે ડિસ્ચાર્જ થયા કરે છે અને નવું બંધાઈ રહ્યું છે. મન તો ડિસ્ચાર્જ થતું હોય છે. તે જેટલી બૂમો પાડવી હોય તે પાડ્યા જ કરવાનું એ તો. ડિસ્ચાર્જ એટલે બીજા શબ્દોમાં એક્ઝોસ્ટ (ખાલી) થવું. એક્ઝોસ્ટ શબ્દ સમજી ગયાં ને, એ મન એક્ઝોસ્ટ થયા કરે છે.

મનનો સ્વભાવ કેવો? બસ, વિચારવું. વિચારવાનું કાર્ય થતું હોય એટલે જાણવું કે અત્યારે મન ચાલી રહ્યું છે. વિચારવા સિવાય બીજું કોઈ કામ મનનું નથી. પશ્ચાત્તાપેય એનું કામ નથી. પસ્તાવો કરવાનું કામ એનું નથી, ખાલી વિચારવાનું. અત્યારે વિચારની ભૂમિકામાં હોય, વિચારનું ગૂંચળું એનું નામ મન. અને મન તો બિચારું ભોળું, મહીં એકલું ગૂંચાળા વાળ્યા કરે, એટલું જ છે. આ ફોડ નથી પડે એવો. તેથી જ જગત આખું ગૂંચાયું છે.

પ્રશ્નકર્તા: પણ આ ફોડ પડે એવો જ નથી.

દાદાશ્રી: ભાન જ નથી ને આનું કંઈ!

Reference: Book Name: આપ્તવાણી 10 (P) (Page #130 – Paragraph #3 to #5, Page #131 – Paragraph #1 to #3)

મનનું સ્વરૂપ!

પ્રશ્નકર્તા: પણ આ તો આપે સ્થૂળ બતાવ્યું, અંદરથી ઊઠતા વિચારોમાં ડિસ્ટીંગ્વીશ (જુદું) કરવાનું છે.

દાદાશ્રી: તેનું જ હું કહું છું ને આ. હવે આ તેની જ વાત કરું! આપણા અંતઃકરણના ચાર ભાગ છે. અંતઃકરણ તો એક જ છે, પણ તે ઘડીએ જે કામ કરતું હોય તેનું જ આખું અંતઃકરણ ગણાય. જે વખતે વિચારણામાં ચઢે, તે ઘડીએ મનનું સામ્રાજ્ય હોય. એટલે આ મન કામ કરતું હોય તે ઘડીએ બસ વિચાર ઉપર વિચાર, વિચાર ઉપર વિચાર, વિચારોના નર્યા ગૂંચળા જ વાળ વાળ કરે. વિચાર સિવાય બીજું કંઈ નહીં, એનું નામ મન. મન બહારગામ જાય નહીં. આપણા લોક કહે છે ને, મારું મન મુંબઈ જાય છે, આમ ભટકે છે ને તેમ ભટકે છે. મન આવું ભટકે નહીં. ભટકે નહીં એનું નામ મન કહેવાય. એટલી ભૂલ છે લોકોની. આપણા લોક નથી કહેતા કે ઓફિસમાં હોઉં છું તોય મન ઘેર જતું રહે? એ શું છે? તને સમજણ પડી, મન કોને કહેવું તે?

પ્રશ્નકર્તા: પણ વિચારો અંદરથી ઊઠતા હોય એમાં એટલા બધા ગૂંચવાડા હોય એ વિચારમાં બહાર જતો વિચાર છે કે અંદર જતો વિચાર છે અથવા ભટકતો વિચાર છે કે નથી ભટકતો વિચાર, એ જ સમજાતું નથી.

દાદાશ્રી: બહાર વિચાર હોતો જ નથી, અંદર જ વિચાર હોય છે. મન એવી વસ્તુ છે કે શરીરની બહાર નીકળે નહીં. અને નીકળે તો કેટલાક લોકો, સાયંટિસ્ટો ને યોગીઓ એનું બારણું બંધ કરી દે, ફરી પેસવા ના દે. પણ મન આ શરીરની બહાર નીકળે જ નહીં ને! એટલે અંદર વિચાર જ કર્યા કરે. આમથી આમ, તેમથી તેમ વિચાર જ કર્યા કરે, નિરંતર. આ એની બાઉન્ડ્રી (હદ). બીજો કંઈ એનો ધંધો નહીં. વિચાર રૂપી ધર્મ એ મનનો ધર્મ છે, સહજ સ્વભાવી ધર્મ છે.

મનનો ધર્મ વિચારવાનો એકલો જ છે અને તે એક્ઝોસ્ટ (ગલન) થાય તે વખતે વિચારોના ગૂંચળા હોય. અને મૂળ સ્થિતિમાં પડી રહ્યું હોય મન, ત્યારે ગ્રંથિઓ, ગાંઠો તરીકે હોય. એ જાતજાતની ગ્રંથિઓ હોય. વિચાર જ કર્યા કરે એટલે આપણે જાણીએ કે આ કોણ વિચાર કરતું હશે આમાં? એટલે એનું નામ મન પાડવું. વિચાર એકલા જ કર્યા કરતા હોય, બીજું કંઈ ન થતું હોય ત્યારે અંતઃકરણમાં મન એકલું જ કામ કરી રહ્યું છે. ત્યારે આખું અંતઃકરણ મનનું કામ કરે છે. તમને સમજ પડી, આ ડિમાર્કેશન લાઈન (ભેદરેખા)?

Reference: Book Name: આપ્તવાણી 10 (P) (Page #3 – Paragraph #2 to #5, Page #4 – Paragraph #1 & #2)

Related Questions
  1. મન એ શું છે? મનની વ્યાખ્યા શું છે?
  2. મન અને જીવન, તથા મન અને આત્મા વચ્ચે શું સંબંધ છે?
  3. શું જપ અથવા મંત્રો દ્વારા હું મનની શાંતિ પ્રાપ્ત કરી શકુ?
  4. શું એકાંતિક જીવન જીવીને હું મનને સ્થિર કરી શકું?
  5. તમે મનને કેવી રીતે સ્થિર કરો છો? આધ્યાત્મિકતા અને મનની સ્થિરતા વચ્ચે શું સંબંધ છે?
  6. મન કેટલું મજબૂત છે? શા માટે મનને મારવું નહીં?
  7. શા માટે આટલા બધા વિચારો ઉત્પન્ન થાય છે? શું વિચારોને કાબુમાં રાખવા શક્ય છે? શા માટે આપણે વિચારોને દબાવવા ન જોઈએ?
  8. મન કેવી રીતે કાર્ય કરે છે?
  9. શું મન અને મગજ બંને સરખી વસ્તુ છે? મન અને આત્મા વચ્ચે શું તફાવત છે?
  10. શું મનનું નિયંત્રણ એ અંતરશાંતિ કે સમાધિનો પાયો છે?શું મન કાબુમાં છે તે જાણવાની કોઈ કસોટી છે?
×
Share on