Related Questions

શ્રી કૃષ્ણ ભગવાનના કહેવા મુજબ પ્રકૃતિના ત્રણ ગુણો એ શું છે? ભગવાન કૃષ્ણ સાથે અભેદ થવા, શા માટે અને કેવી રીતે ચાર વેદોથી ઉપર જવાનું છે?

પુરુષ અને પ્રકૃતિ

આખું જગત પ્રકૃતિને સમજવામાં ફસાયું છે.

પુરુષ અને પ્રકૃતિને તો અનાદિથી ખોળ ખોળ કરે છે. પણ એમ એ હાથમાં આવે તેમ નથી. ક્રમિક માર્ગમાં પ્રકૃતિ આખીને ઓળખે ત્યાર પછી પુરુષ ઓળખાય. તે અનંત અવતારેય ઉકેલ આવે તેમ નથી. જ્યારે અક્રમ માર્ગમાં જ્ઞાની પુરુષ માથે હાથ મૂકે તો પોતે પુરુષ થઈ આખી પ્રકૃતિને સમજી જાય. અને બન્નેય કાયમનાં છૂટાં ને છૂટાં જ રહે. પ્રકૃતિની ભૂલભૂલામણીમાં ભલભલા ફસાયા છે અને તે ય શું કરે? પ્રકૃતિથી જ પ્રકૃતિને ઓળખવા જાય છે ને, તે ક્યારે પાર આવે? પુરુષ થઈને પ્રકૃતિને ઓળખવાની છે, તો જ પ્રકૃતિના પરમાણુએ પરમાણુ ઓળખાય.

પ્રકૃતિ એટલે શું? પ્ર=વિશેષ અને કૃતિ=કરેલું. સ્વાભાવિક કરેલી વસ્તુ નહીં. પણ વિભાવમાં જઈને, વિશેષે કરીને કરેલી વસ્તુ તે પ્રકૃતિ.

પ્રકૃતિ એ તો સ્ત્રી છે, સ્ત્રીનું સ્વરૂપ છે ને 'પોતે' (સેલ્ફ) પુરુષ છે. કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું કે 'ત્રિગુણાત્મકથી વેગળો થા.' તે ત્રિગુણ! તે પ્રકૃતિના ત્રણ ગુણથી મુક્ત એવો 'તું' પુરુષ થા. કારણ કે પ્રકૃતિના ગુણમાં રહીશ તો 'તું' અબળા છે અને પુરુષના ગુણમાં રહે તો 'તું' પુરુષ છે.

'પ્રકૃતિ એ ભમરડા સ્વરૂપ છે.' ભમરડો એટલે શું? દોરી વીંટાય એ સર્જન, દોરી ઉકલે ત્યારે ફરે છે તે પ્રકૃતિ. દોરી વીંટાતી હોય ત્યારે કળામય જ વીંટાય અને ઉકલે ત્યારેય કળામય જ ઉકલે. બાળક હોય તોય ખાય તો કોળિયો મોંમાં નાખવાને બદલે કાનમાં નાખે? સાપણ મરી ગઈ હોય અને તેનાં ઇડાં ફૂટ્યા અને બચ્ચાં નીકળ્યા તેય ફેણ મારવા માંડે તરત જ. આની પાછળ શું છે? આ તો પ્રકૃતિની અજાયબી છે! પ્રકૃતિનું કળામય કાર્ય તે અજાયબી છે. પ્રકૃતિ આઘીપાછી ક્યાં સુધી થાય? તેની શરૂઆતથી વધુમાં વધુ આઘીપાછી થવાની લિમિટ છે. ભમરડો ફરે તેય એની લિમિટમાં જ ફરે. દા.ત. વિચાર આટલી જ લિમિટમાં આવે. મોહ થાય તો કે આટલી જ લિમિટમાં થાય. તે દરેક જીવને ડૂંટી એ સેન્ટર છે અને ત્યાં આત્મા આવરાયેલો નથી. શુધ્ધ જ્ઞાનપ્રકાશ ત્યાં રહેલો છે. જો પ્રકૃતિ લિમિટની બહાર જાય તો તે પ્રકાશ આવરાઈ જાય ને પથરો થઈ જાય, જડ થઈ જાય. પણ તેમ બને જ નહીં. લિમિટમાં જ રહે. આ મોહ થાય છે, તે તેનું આવરણ આવે. ગમે એટલો મોહ ટોપ સુધી પહોંચ્યો હોય પણ જ્યાં એની લિમિટ આવી કે પાછો ઊતરે છે. આ બધું નિયમથી જ થાય છે. નિયમની બહાર ના થાય.

Reference: આપ્તવાણી 1 (Page #53 - Paragraph #5, Entire Page #54, Page #55 - Paragraph #1)

વેદો, ત્રણ ગુણોમાં જ છે!

કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું કે, 'વેદો ત્રણ ગુણથી બહાર નથી, વેદો ત્રણ ગુણને જ પ્રકાશ કરે છે.' કૃષ્ણ ભગવાન 'નેમીનાથ'ને મળ્યા પછી તેમણે ગીતા કહી, ત્યાર પહેલાં એ વેદાંતી હતા. એમણે ગીતામાં કહ્યું, 'ત્રૈગુણ્ય વિષયો વેદો નિસ્ત્રૈય ગુણ્યો ભવાર્જુન', આ ગજબનું વાક્ય કૃષ્ણે કહી નાખ્યું છે! આત્મા જાણવા વેદાંતથી પર જવા કહ્યું છે! એમણે એમ કહ્યું કે, 'હે અર્જુન! આત્મા જાણવા તું ત્રિગુણાત્મકથી પર થા.' ત્રિગુણાત્મક કયા કયા? સત્વ, રજ અને તમ. વેદો આ ત્રણ ગુણને ધરાવનાર છે, માટે તું એમનાથી પાર નીકળીશ તો જ તારું કામ થશે. આ ત્રણ ગુણો પાછાં દ્વંદ્વ છે, માટે તું ત્રિગુણાત્મકથી પર થા અને આત્મા સમજ! આત્મા જાણવા કૃષ્ણે વેદાંતની બહાર જવા કહ્યું છે, પણ લોકો સમજતા નથી. ચારે ય વેદ પૂરા થાય ત્યારે વેદ ઇટસેલ્ફ શું બોલે છે? ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ, તું જે આત્મા ખોળે છે તે આમાં નથી, 'ન ઇતિ ન ઇતિ', માટે તારે જો આત્મા જાણવો હોય તો ગો ટુ જ્ઞાની.

કૃષ્ણ ભગવાને કહ્યું છે કે, 'આ જગત ભગવાને બનાવ્યું નથી, પણ સ્વાભાવિક થયું છે!'

 Reference: Book Name: આપ્તવાણી 2  (Page #369 - Paragraph #4, Page #370 - Paragraph #1 & #2)

Related Questions
  1. ભગવદ્ ગીતાનું રહસ્ય શું છે? ભગવદ્ ગીતાનો સાર શું છે?
  2. વિરાટ કૃષ્ણ દર્શન કે વિશ્વ દર્શન સમયે, અર્જુનને શું અનુભવ થયો હતો? અને વિરાટ સ્વરુપ એ શું છે?
  3. ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને, નિષ્કામ કર્મનો અર્થ શું સમજાવ્યો છે?
  4. બ્રહ્મસંબંધ અને અગિયારસનો ખરો મતલબ શું છે? સાચી ભક્તિની વ્યાખ્યા શું છે?
  5. ભગવદ્ ગીતા પ્રમાણે સ્થિતપ્રજ્ઞ એટલે શું?
  6. શ્રી કૃષ્ણ ભગવાનના કહેવા મુજબ પ્રકૃતિના ત્રણ ગુણો એ શું છે? ભગવાન કૃષ્ણ સાથે અભેદ થવા, શા માટે અને કેવી રીતે ચાર વેદોથી ઉપર જવાનું છે?
  7. ઓમ નમો ભગવતે વાસુદેવાયનો અર્થ શું છે? વાસુદેવના ગુણો શું હોય? ભગવાન કૃષ્ણને શા માટે વાસુદેવ કહેવાય છે?
  8. ગોવર્ધન પર્વતને ટચલી આંગળીએ ઉંચકવાની વાત- સત્ય કે દંતકથા?
  9. ઠાકોરજીની પૂજા (ભકિત) કેવી રીતે કરવી?
  10. પુષ્ટિ માર્ગનો હેતુ શું હતો? શ્રી કૃષ્ણ ભગવાન શા માટે નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાયા?
  11. કૃષ્ણ ભગવાનનો સાચો ભક્ત કોણ છે? ખરા કૃષ્ણ કે યોગેશ્વર કૃષ્ણ કોણ છે?
  12. ભગવદ્ ગીતા પ્રમાણે જગત કોણ ચલાવે છે?
  13. સ્વધર્મ અને પરધર્મ કોને કહેવાય?
  14. ભગવદ્ ગીતાનો સાર શું છે?
  15. ભગવાન કૃષ્ણ વિષેની હકીકત અને દંતકથાઓ.
×
Share on