Related Questions

સાધુ કોને કહેવાય?

પ્રશ્નકર્તા : 'નમો લોએ સવ્વસાહૂણં.'

દાદાશ્રી : લોએ એટલે લોક, તે આ લોકમાં જેટલા સાધુઓ છે એ બધા સાધુઓને હું નમસ્કાર કરું છું. સાધુઓ કોને કહેવા ? ધોળાં કપડાં પહેરે, ભગવાં કપડાં પહેરે, એનું નામ સાધુ નહીં. આત્મદશા સાધે એ સાધુ. એટલે સંસારદશા-ભૌતિકદશા નહીં, પણ આત્મદશા સાધે એ સાધુઓને હું નમસ્કાર કરું છું. એટલે દેહાધ્યાસ નહીં, બિલકુલ દેહાધ્યાસ નહીં એવાં સાધુઓને હું નમસ્કાર કરું છું. હવે એવાં સાધુ તો જડે નહીંને ! અત્યારે ક્યાંથી લાવે ? એવાં સાધુ હોય ? પણ આ બ્રહ્માંડમાં જ્યાં જ્યાં એવાં સાધુઓ છે એમને નમસ્કાર કરું છું.

સંસારદશામાંથી મુક્ત થઈને આત્મદશા માટે પ્રયત્ન કરે છે અને આત્મદશા સાધે છે એ બધાને નમસ્કાર કરું છું. બાકી યોગ ને બધું કરે છે એ બધી સંસારદશા છે. આત્મદશા એ જુદી વસ્તુ છે. કયા કયા યોગ સંસારદશા છે ? ત્યારે કહે, એક તો દેહયોગ, જેમાં આસનો બધાં કરવાનાં હોય તે બધાં દેહયોગ કહેવાય. પછી બીજો મનોયોગ, અહીં ચક્રો ઉપર સ્થિરતા કરવી એ મનોયોગ કહેવાય. અને જપયોગ કરવો એ વાણીનો યોગ કહેવાય. આ ત્રણેવ સ્થૂળ શબ્દ છે અને એનું ફળ છે તે સંસારફળ આવે. એટલે અહીં મોટરો મળે, ગાડીઓ મળે. અને આત્મયોગ હોય તો મુક્તિ મળે, સર્વ પ્રકારનાં સુખ મળે. એ છેલ્લો, મોટો યોગ કહેવાય. સવ્વસાહૂણં એટલે જે આત્મયોગ સાધીને બેઠા છે, એવાં સર્વ સાધુઓને નમસ્કાર કરું છું.

sadhu

એટલે સાધુ કોણ ? એમને આત્માની પ્રતીતિ બેઠેલી છે એટલે એને સાધુઓ ગણ્યા આપણે. એટલે આ સાહૂણંને પહેલી પ્રતીતિ અને ઉપાધ્યાયને પ્રતીતિ, પણ વિશેષ પ્રતીતિ અને આચાર્યને આત્મજ્ઞાન. અને અરિહંત ભગવાન એ પૂર્ણ ભગવાન. આ રીતે નમસ્કાર કરેલા છે. 

×
Share on