Related Questions

આત્મજ્ઞાન પછી ભૂલોને કેવી રીતે ભાંગવી?

મન-વચન-કાયાથી પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ ક્ષમા માંગ માંગ કરવાની. ડગલે ને પગલે જાગૃતિ રહેવી જોઈએ. આપણામાં ક્રોધ-માન-માયા-લોભના કષાયો તો ભૂલો કરાવી ઉધાર કરાવે એવો માલ છે. તે ભૂલો કરાવે જ અને ઉધારી ઊભી કરે પણ તેની સામે આપણે તરત જ તત્ક્ષણ માફી માંગીને જમા કરીને ચોખ્ખું કરી લેવું. આ વેપાર પેન્ડિંગ ના રખાય. આ તો દરઅસલ રોકડિયો વ્યાપાર કહેવાય.

પ્રશ્નકર્તા : અત્યારે ભૂલ થાય છે એ ગયા અવતારની ખરીને ?

દાદાશ્રી : ગયા અવતારના પાપને લઈને જ આ ભૂલો છે. પણ આ અવતારમાં ફરી ભૂલ ભાંગે જ નહીં ને વધારતા જાય. ભૂલને ભાંગવા માટે ભૂલને ભૂલ કહેવી પડે. તેનું ઉપરાણું ના લેવાય. આ જ્ઞાની પુરુષોની કૂંચી કહેવાય. તેનાથી ગમે તેવાં તાળાં ઊઘડી જાય.

જ્ઞાની પુરુષ તમારી ભૂલ માટે શું કરી શકે ? એ તો માત્ર તમારી ભૂલ બતાવે, પ્રકાશ પાડે, રસ્તો બતાવે કે ભૂલનું ઉપરાણું ના લેશો. પણ પછી જો ભૂલોનું ઉપરાણું લે કે 'આપણે તો આ દુનિયામાં રહેવું છે, તે આમ શી રીતે કરાય ?' અલ્યા, આ તો ભૂલને પોષી ઉપરાણું ના લઈશ. એક તો મૂઓ ભૂલ કરે અને ઉપરથી કલ્પાંત કરે, તો 'કલ્પ' (કાળચક્ર)ના અંત સુધી રહેવું પડશે !

ભૂલને ઓળખતો થયો એટલે ભૂલ ભાંગે. કેટલાંક કાપડ ખેંચી ખેંચીને આપે છે અને ઉપરથી કહે છે કે આજે તો પા વાર કપડું ઓછું આપ્યું. આ તો આવડું મોટું રૌદ્રધ્યાન અને પાછું એનું ઉપરાણું ? ભૂલનું ઉપરાણું લેવાનું ના હોય. ઘીવાળો ઘીમાં કોઈને ખબર ના પડે એ રીતે ભેળસેળ કરીને પાંચસો રૂપિયા કમાય. એ તો મૂળ સાથે વૃક્ષ રોપી દે છે. અનંત અવતાર પોતે જ પોતાના બગાડી દે છે. 

 

×
Share on