Related Questions

મંત્ર ધ્યાનનાં શા ફાયદા છે?

બોલો પહાડી અવાજે...

આ મહીં મનમાં 'નમો અરિહંતાણં' ને બધું બોલે પણ ગોળ ગોળ બધું, મહીં મનમાં ચાલતું હોય. આમાં કશું વળે નહીં. એટલા માટે કહેલું એકાંતમાં જઈને, મોટેથી પહાડી અવાજથી બોલો. મારે તો હું મોટેથી ના બોલું તો ચાલે પણ તમારે તો મોટેથી બોલવું જોઈએ. અમારું તો મન જ જુદી જાતનું હોય ને!

હવે એવી એકાંત જગ્યાએ જ્યાં જઉં, તો ત્યાં આગળ આ નવકાર મંત્ર બોલવો જોશથી. ત્યાં નદી-નાળા પાસે જઉં તો ત્યાં જોશથી બોલવું, મગજમાં ધમધમાટ થાય એવું!

પ્રશ્નકર્તા: મોટેથી બોલવાથી જે વિસ્ફોટ થાય છે એની અસર બધે પહોંચે છે. એટલે આ ખ્યાલ આવે છે કે મોટેથી બોલવાનું શું પ્રયોજન છે!

દાદાશ્રી: મોટેથી બોલવાથી ફાયદો ઘણો જ છે. કારણ કે મોટેથી જ્યાં સુધી ના બોલે ત્યાં સુધી માણસની અંદર બધી મશીનરી બંધ થતી નથી. છતાં દરેક માણસને માટે આ વાત છે. અમને તો મશીનરી બંધ જ હોય. પણ આ બીજા લોકોને તો મોટેથી ના બોલેને, તો મશીનરી બંધ થાય નહીં. ત્યાં સુધી એકત્વને પામે નહીં. ત્યાં સુધી પેલું ફળ આપે નહીં. એટલે અમે કહીએ છીએ કે અલ્યા ભઈ, મોટેથી બોલજો. કારણ કે મોટેથી બોલે એટલે પછી મન બંધ થઈ ગયું, બુદ્ધિ ખલાસ થઈ ગઈ અને જો ધીમેથી બોલોને, તો મન મહીં ચૂન ચૂન કર્યા કરતું હોય, એવું બને કે ના બને?

પ્રશ્નકર્તા: બને.

દાદાશ્રી: બુદ્ધિ હઉ મહીં આમ ડખા કર્યા કરે. માટે અમે કહીએ છીએ કે મોટેથી બોલો. પણ એકાંતમાં જાવને, તો એવું મોટેથી બોલો કે જાણે આકાશ ઊડાડી મેલવાનું હોય એવું બોલો. કારણ કે બોલે કે મહીં બધું સ્ટોપ.

મંત્રથી ન થાય સર આત્મજ્ઞાન!

પ્રશ્નકર્તા: મંત્ર ગણવાથી આત્માનું જ્ઞાન જલ્દી થાય ખરું? મંત્ર ગુરુએ આપેલો હોય તો?

દાદાશ્રી: ના. સંસારમાં અડચણો ઓછી થાય, પણ આ ત્રણ મંત્રો ભેગા બોલશો તો.

પ્રશ્નકર્તા: તો આ મંત્રો અજ્ઞાનતા દૂર કરવા માટે જ છેને?

દાદાશ્રી: ના. ત્રિમંત્રો તો તમારા સંસારની અડચણો દૂર કરવા હારુ છે. અજ્ઞાનતા દૂર કરવા માટે મેં જે જ્ઞાન આપ્યું હતું તે.

ત્રિમંત્રથી, શૂળીનો ઘા સોયે સરે!

જ્ઞાની પુરુષો વગર કામની મહેનતમાં ઉતારે નહીં. ઓછામાં ઓછી મહેનત કરાવડાવે. એટલાં માટે તમને આ ત્રિમંત્રો પાંચ-પાંચ વખત સવાર-સાંજ બોલવાનું કહ્યું.

આ ત્રિમંત્ર શાથી બોલવા જેવાં કે આ જ્ઞાન પછી તમે તો શુધ્ધાત્મા થયા પણ પાડોશી કોણ રહ્યું ? ચંદુભાઈ. હવે ચંદુભાઈને કંઈ અડચણ આવેને એટલે આપણે કહેવું કે 'ચંદુભાઈ, એકાદ ફેરો કંઈ આ ત્રણ મંત્ર બોલોને, કંઈ અડચણ આવતી હોય તો ઉપાધિ ઓછી થાયને!' કારણ કે એ વ્યવહારમાં છે, સંસાર વ્યવહારમાં છે. લક્ષ્મી, લેવા-દેવા બધું છે, દરેક પ્રકારના વ્યવહારમાં છે. એટલે આ ત્રણ મંત્રો બોલવાથી આવતી ઉપાધિ ઓછી થાય. છતાં ઉપાધિ એનો નિમિત્તરૂપે ભાગ ભજવી જાય, પણ આવડો મોટો પથરો વાગવાનો હોયને, તે આવી કાંકરી જેવી વાગે. એટલે આ ત્રિમંત્ર અહીં મૂકેલાં છે.

દુકાન પર જરા વિઘ્ન આવવાનું હોયને તો અડધો અડધો કલાક, કલાક-કલાક સુધી બોલવું. આખું ગુંઠાણું પૂરું કરી નાખવું. નહીં તો રોજ થોડુંક આ પાંચ વખત બોલી નાખવું. પણ બધા મંત્રો ભેગા બોલવા ને સચ્ચિદાનંદ હઉ જોડે બોલવું. સચ્ચિદાનંદમાં બધા લોકોના, મિયાંભાઈના ય મંત્રો આવી ગયા!

આ ત્રિમંત્રનું રહસ્ય તો એ છે કે તમારા સંસારની બધી અડચણો નાશ થશે. તમે રોજ સવારમાં બોલશો તો સંસારની બધી અડચણો નાશ થશે. તમારે બોલવા માટે પુસ્તક જોઈતું હોય તો હું અકેકુ પુસ્તક આપું. એની મહીં લખેલું છે. એ પુસ્તક અહીંથી લઈ જજો.

પ્રશ્નકર્તા: આ ત્રિમંત્રોથી ચક્ર જલ્દી ચાલતા થાય?

દાદાશ્રી: આ ત્રિમંત્રો બોલવાથી બીજા નવા પાપ ને એવું તેવું ઊંધે રસ્તે ના જાય, બસ એટલું જ. અને જૂનાં કર્મો હોય તો જરાક શમી જાય.

એટલે અડચણ આવે તો જ વધારે બોલવાનું. નહીં તો રોજ તો બોલવાનું જ, સવાર-સાંજ પાંચ-પાંચ વાર!

આ ત્રણે મંત્રો એવાં છે કે અણસમજણવાળો બોલે તોય ફાયદો થાય અને સમજણવાળોબોલે તોય ફાયદો થાય. પણ સમજણવાળાને વધુ ફાયદો થાય અને અણસમજણવાળાને મોઢે બોલ્યો તે બદલનો જ ફાયદો થાય. એક ફક્ત આ રેકર્ડ બોલે છેને, તેને ફાયદો ના થાય. પણ જેમાં આત્મા છેને, એ બોલ્યો તો એને ફાયદો કરે જ!

આ જગતનું એવું છે કે શબ્દથી જ આ જગત ઊભું થયું છે. અને ઊંચા માણસનો શબ્દ બોલો તો તમારું કલ્યાણ થઈ જાય અને ખોટા માણસના શબ્દ બોલો તો અવળું થાય. એટલા માટે આ બધું સમજવાનું છે.

* ચંદુભાઈની જગ્યાએ વાચકે પોતાનું નામ સમજવું.

×
Share on