Related Questions

નિષ્ફળતાના ભયમાંથી બહાર કઈ રીતે નીકળાય?

fear

જીવનના દરેક તબક્કે આપણને નિષ્ફળતાનો ભય સતાવતો હોય છે. સ્કૂલ અને કોલેજમાં હોઈએ ત્યારે પરીક્ષા, રમતગમત કે અન્ય પ્રવૃત્તિઓમાં નિષ્ફળતાનો ભય હોય છે. આગળ જઈને કારકિર્દીના ક્ષેત્રોમાં, નોકરી કે ધંધામાં નિષ્ફળતાનો ભય કે પછી સમાજમાં પ્રતિષ્ઠા કે મોભો જાળવવાની સ્પર્ધામાં નિષ્ફળતાનો ભય સતાવે છે.

પરીક્ષા પછી પરિણામનો ભય ના રાખવો

ખાસ કરીને બાળકો અને યુવાનોને પરીક્ષાના આગલા દિવસે ચિંતા અને ગભરામણ થઈ જાય, તો કેટલાકને તાવ આવી જાય! પેપર લખતી વખતે તણાવને કારણે વાંચેલું ભૂલી જવાય. ભલભલા હોશિયાર છોકરા-છોકરીઓ પણ પરીક્ષામાં નહીં આવડે એવા ભયથી ડિપ્રેશનમાં આવી જાય અને પરીક્ષા જ નથી આપવી એવું નક્કી કરી નાખે. કેટલાક વિદ્યાર્થીઓ ફેઈલ થવાના ડરમાં એટલા તો સપડાય છે કે હજુ પરિણામ આવે એ પહેલાં જીવન ટૂંકાવી દેવાનો વિચાર કરે છે.

એક વખત નિષ્ફળ થઈએ એમાં દુનિયાનો અંત નથી આવી જતો. પરીક્ષા આપતા પહેલાં વાંચતી વખતે પૂરેપૂરું એકાગ્રતાથી વાંચવું, જરૂરી મહેનત કરવી. પણ પછી પરીક્ષા આપતી વખતે કે પરીક્ષા આપ્યા પછી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કારણ કે ચિંતા કરવાથી પરિણામ બદલાશે નહીં, કે સુધરશે નહીં. ખરેખર તો કુદરતનો નિયમ શું છે કે આપણને ટેન્શન હોય તો કામ અવશ્ય બગડે, જ્યારે ચિંતા ના થાય તો કામ સારું જ થાય.

પરિણામ ખરાબ આવે તો દુઃખી થવાની જરૂર નથી. ફરીથી પરીક્ષા આપીએ. નક્કી કરીએ કે હજુ વધારે સારી રીતે વાંચીને દિલથી મહેનત કરીશું. પછી પરિણામ જે આવે એ આપણા હાથમાં નથી, એટલે એને સ્વીકારી લેવું.

નિષ્ફળતામાં નિર્ભય અને નીતિમય રહેવું

નોકરી-ધંધામાં કે કારકિર્દીના કોઈ પણ ક્ષેત્રમાં નિષ્ફળતાના ભયમાંથી ચિંતા જન્મે છે. એ ચિંતામાં ને ચિંતામાં રાતોની ઊંઘ હરામ થઈ જાય છે. કારકિર્દીમાં નિષ્ફળતા જુદી જુદી રીતે રૂપકમાં આવતી હોય છે. ધંધામાં ખોટ આવે કે નોકરીમાંથી કાઢી મૂકે એ તો દેખીતી નિષ્ફળતા છે. એ ઉપરાંત, નોકરીના ઈન્ટરવ્યુમાં સફળ ના થવાય, નોકરીમાં પ્રમોશન ના મળે કે પગાર વધારો ના થાય એને પણ લોકો નિષ્ફળતા માને છે.

પરમ પૂજ્ય દાદાશ્રી પોતે વ્યવસાયે કોન્ટ્રાક્ટનો ધંધો કરતા હતા. એક વખત તેઓશ્રીને પણ ધંધામાં ખોટ આવી હતી. પરિણામે રાત્રે ચિંતા શરૂ થઈ અને ઊંઘ નહોતી આવતી. પણ તેઓશ્રી વિચક્ષણ હતા એટલે વિચારણા શરૂ થઈ કે ખોટ મારી ગઈ કે ધંધાની? અને આ ધંધાના નફામાં ઘરનાં બધા ભાગીદાર હોય છે અને ખોટ ગઈ તો મારા એકલાના માથે જ કેમ? જો આ ખોટ પણ ઘરની વ્યક્તિઓ અને ભાગીદારોમાં વહેંચી નાખીએ તો પોતાના ભાગે કેટલું આવે? બસ એટલી જ ચિંતા કરવાની.

ધંધામાં નિષ્ફળ જવાના ભયથી અનીતિ, અપ્રમાણિકતા કે ભ્રષ્ટાચાર શરૂ ના કરવા. ખાસ કરીને મનુષ્યોને ખાવાની વસ્તુઓમાં કે દવામાં ભેળસેળ કરવાથી ભયંકર ગુના બંધાય છે. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “તમારે ધંધો કરવો હોય તો હવે નિર્ભયતાથી કર્યા કરજો, કોઈ ભય રાખશો નહીં અને ધંધો ન્યાયસર કરજો. જેટલું બને એટલું પોસિબલ હોય એટલો ન્યાય કરજો. નીતિના ધોરણ ઉપર રહીને પોસિબલ હોય એટલું કરજો, જે ઈમ્પોસિબલ હોય તે નહીં કરતા. જે મનોવ્યાપાર નિર્ભય બનાવે, તે વ્યાપાર કરેલો કામનો.”

પાછલા અનુભવનું તારણ કાઢવું

નિષ્ફળતાનો ખોટો ભય ઊભો થાય તો આગલા વર્ષોમાં મળેલી સફળતા યાદ કરવી. જો પહેલાં આવી જ રીતે કોઈ બાબતમાં ચિંતા અને ભય ઊભા થયા હતા, તો પણ પરિણામ તો સારું જ આવ્યું હતું. તો એમાંથી અનુભવ લેવો, કે પહેલા સફળ થયા હતા તો હવે પણ થવાશે.

નિષ્ફળતાના ભયથી પ્રયત્નો ન છોડવા

ઘણી વખત પરિણામમાં નિષ્ફળતા મળશે એ ભયથી કેટલાક લોકો પ્રયત્ન કરવાનું જ છોડી દે છે. જેમ કે, પરીક્ષામાં એક વખત ફેઈલ થયા તો ફરીથી પરીક્ષા જ નથી આપવી એવું નક્કી કરે છે. અથવા બીજી પરીક્ષાની તૈયારી કરવાને બદલે આડાઅવળા રસ્તે ફંટાઈને સમય વેડફી નાખે છે. એમ કરવાને બદલે એકાદ નિષ્ફળતા પછી પણ સિન્સિયરલી ફરીથી પ્રયત્નો કરવા.

જીવનમાં ચડ-ઊતર તો આવ્યા કરવાની પણ એમાં આપણે ડિસ્ટર્બ ન થવું. જેમ કે, મુંબઈથી અમદાવાદ ગાડી ચલાવીને જવાનું હોય, એના માટે ઘરમાંથી બહાર નીકળ્યા અને હજુ તો થોડે દૂર જઈને ટ્રાફિક નડ્યો તો ઘરે પાછા આવીએ કે “બહુ ટ્રાફિક નડે છે, એના કરતા જવું જ નથી!” થોડો વખત ધીરજ રાખીએ તો ટ્રાફિક ક્લિયર થઈ જશે. કોઈ પણ બાબતમાં નિષ્ફળતા મળે, અથવા આપણી ધારણા પ્રમાણે પરિણામ ના આવે તો એ એક પરિણામને બાજુએ મૂકીને નવેસરથી પાછી મહેનત કરવી. જે ઈશ્વરમાં શ્રદ્ધા હોય એમને પ્રાર્થના કરવી અને શક્તિઓ માંગવી. પછી ક્યાં કચાશ રહી ગઈ હતી, તે શોધી કાઢવું અને ત્યાં સુધારો કરીને એકડે એકથી શરૂઆત કરવી.

ખૂબ મહેનત કરી હોય છતાં નિષ્ફળતા આવે તો પણ નાસીપાસ થઈને બેસી ના રહેવું, પણ બીજી વખત “ના કેમ થાય? પ્રયત્ન તો કરીએ!” એવો સકારાત્મક અભિગમ રાખીને પ્રયત્નો ચાલુ રાખવા.

નિષ્ફળતા માટે તૈયાર રહેવું

પૂરેપૂરી સફળતા મળે એવી ધારણા રાખી હોય તો નાનકડી નિષ્ફળતા સહન જ ના થાય. પણ જો પૂરેપૂરી નિષ્ફળતાની તૈયારી હોય તો નાનકડી સફળતામાં પણ સ્વસ્થ રહી શકાય.

ધારો કે, નોકરી માટે કોઈ ઇન્ટરવ્યુ આપવા જવાનું છે, અને આપણે બધી રીતે પૂરેપૂરી તૈયારીઓ કરીને તૈયાર છીએ. પણ અંદરખાને એવો અભિગમ રાખીએ કે “હું મારા તરફથી શ્રેષ્ઠ પ્રયત્ન કરીશ. પછી નોકરી મળે કે ના પણ મળે, બંને માટે મારી તૈયારી છે.” અને પછી જો નોકરી મળી જાય તો બહુ આનંદ થાય. પણ આપણે અંદર એવું ધારીને બેઠા હોઈએ કે, “આ નોકરી તો મને મળીને જ રહેશે.” અને જો નોકરી ના મળે તો નાસીપાસ થઈ જઈશું.

એટલે દરેક કાર્યમાં નિષ્ફળતા માટે તૈયાર રહેવું. એનો અર્થ એમ નથી કે આપણે સફળતા માટે કોઈ પ્રયત્ન ન કરીએ. આપણા પ્રયત્નો પૂરેપૂરી નિષ્ઠાથી કરવા. પણ સાથે આવું આંતરિક એડજસ્ટમેન્ટ લેવાથી આપણે અવળા પરિણામ માટે તૈયાર રહીએ છીએ અને નિષ્ફળતામાં હારીને બેસી નથી જતા.

Related Questions
  1. પોલીસનો અને કોર્ટ-કેચેરીમાં જવાનો ભય લાગે ત્યારે શું કરવું?
  2. બાળકો ભયથી સુધરે કે પ્રેમથી?
  3. શું માતા-પિતાએ બાળકોને ભય બતાડીને કામ કરાવવું જોઈએ?
  4. જગત ભયથી સુધરે કે પ્રેમથી?
  5. ભયના કારણો શું છે?
  6. અપમાનના ભયમાંથી કેવી રીતે મુક્ત થવાય?
  7. નિષ્ફળતાના ભયમાંથી બહાર કઈ રીતે નીકળાય?
  8. વધારાની બુદ્ધિ શંકાને કેવી રીતે ઉપજાવે છે?
  9. ભૂત, પ્રેત, પિશાચ, ડાકણ, મેલીવિદ્યા વગેરેનો ભય લાગે ત્યારે શું કરવું?
  10. ભય અને શંકા વચ્ચેનો સંબંધ શું છે?
  11. ભય અને શંકાને દૂર રાખવમાં મજબૂત મન કેવી રીતે મદદ કરે છે?
  12. શું નિર્ભયતા એ પૂર્ણ નિઃશંકતાનું પરિણામ છે?
  13. મારી શંકા ક્યારે જશે?
  14. કોઈ નિ:શંક કેવી રીતે બની શકે?
  15. કેવા ભય હિતકારી છે?
  16. જીવજંતુ અને પ્રાણીઓનો ભય કેવી રીતે દૂર થાય?
  17. આત્માના અસ્તિત્વ સંબંધી શંકા કોને છે?
×
Share on