Related Questions

શું વ્યવહારમાં સાચો પ્રેમ હોય છે?

જગત આસક્તિ ને પ્રેમ ગણીને મૂંઝાય છે. સ્ત્રીને ધણી જોડે કામ ને ધણીને સ્ત્રી જોડે કામ, આ બધું કામથી જ ઊભું થયું છે. કામ ના થાય તો મહીં બધા બૂમો પાડે, હલ્લો કરે. સંસારમાં એક મિનિટ પણ પોતાનું કોઈ થયું જ નથી. પોતાનું કોઈ થાય નહીં. એ તો જ્યારે અટકે ત્યારે ખબર પડે. એક કલાક છોકરાને આપણે ટૈડકાવીએને ત્યારે ખબર પડે કે છોકરો આપણો છે કે પારકો છે. દાવો માંડવા હઉ તૈયાર થઈ જાય. ત્યારે બાપેય શું કહે ? 'મારી જાત કમાણી છે. તને એક પાઈ નહીં આપું' કહેશે. ત્યારે છોકરો કહેશે, 'હું તમને મારી ઠોકીને લઈશ' આમાં પોતાપણું હોતું હશે ? એક જ્ઞાની પુરુષ જ પોતાના થાય.

બાકી, આમાં પ્રેમ જેવી વસ્તુ જ નથી. આ સંસારમાં પ્રેમ ખોળશો નહીં. કોઈ જગ્યાએ પ્રેમ હોય નહીં. પ્રેમ તો 'જ્ઞાની પુરુષ' પાસે હોય. બીજે બધે તો પ્રેમ ઊતરી જાય ને પછી વઢવાડ થાય પાછી. વઢવાડ થાય કે ના થાય ? એ પ્રેમ ના કહેવાય. એ આસક્તિ બધી. એને આપણાં જગતના લોકો પ્રેમ કહે છે. ઊંધું જ બોલવું એ ધંધો ! પ્રેમનું પરિણામ, ઝઘડો ના થાય. પ્રેમ એનું નામ કે કોઈનો દોષ ના દેખાય.

પ્રેમમાં કોઈ દહાડો ય આખી જિંદગીમાં છોકરાનો દોષ ના દેખાય, બૈરીનો દોષ ના દેખાય, એનું નામ પ્રેમ કહેવાય. પ્રેમમાં દોષ દેખાય જ નહીં એને અને આ તો લોકોને કેટલા દોષ દેખાય ? 'તું આવી ને તું એમ !' અલ્યા, પ્રેમ કહેતો હતો ને ? ક્યાં ગયો પ્રેમ ? એટલે ન્હોય પ્રેમ. જગતમાં વળી પ્રેમ હોતો હશે ? પ્રેમનો એક વાળ જગતે જોયો નથી. આ તો આસક્તિ છે.

અને જ્યાં આસક્તિ હોય ત્યાં આક્ષેપો થયા વગર રહે જ નહીં. એ આસક્તિનો સ્વભાવ છે. આસક્તિ થાય એટલે આક્ષેપો થયા જ કરેને કે, 'તમે આવા છો ને તમે તેવા છો.' 'તમે આવા ને તું આવી' એવું ના બોલો, નહીં ? તમારા ગામમાં ત્યાં ના બોલે કે બોલે ? બોલે ! એ આસક્તિને લીધે. પણ જ્યાં પ્રેમ છે ત્યાં દોષ જ ના દેખાય.

સંસારમાં આ ઝઘડાને લીધે જ આસક્તિ થાય છે. આ સંસારમાં ઝઘડો તો આસક્તિનું વિટામિન છે. ઝઘડો ના હોય તો તો વીતરાગ થવાય.  

×
Share on
Copy