Related Questions

સંબંધિક સમસ્યાઓને ભૂંસવાનું રબ્બર

આપણે ઘણી વખત આપણા પતિ/પત્ની સાથેના વર્તનમાં તેમને જાણ્યે-અજાણ્યે દુઃખ આપી દેતા હોઈએ છીએ. આપણી ઈચ્છા ના હોય તો પણ આપણા વાણી-વિચાર વ્યવહારથી આપણે  તેમને દુઃખ આપતા હોઈએ છીએ. ધીરે ધીરે તેમને વ્યવહાર પણ બદલતો જાય અને લગ્ન જીવન પર આની નકારાત્મક અસર પડે છે. આનું કારણ છે કે તેમને કોઈ પણ રીતે દુઃખ પહોંચ્યું છે. આવા સંજોગોમાં લગ્નજીવનને સાચવી રાખવાનું ઉપાય શું તમે જાણો છો? શું તમારે પતિ/પત્ની ને પહોંચતી પીડાને ભૂંસવાની કોઈ રીત છે? હા! હૃદયપૂર્વક ક્ષમા માંગવાથી, પ્રતિક્રમણ કરવાથી રસ્તો મળી શકે!

પરમ પૂજ્ય દાદા ભગવાને પ્રતિક્રમણનું વિજ્ઞાન ખુલ્લું કર્યું છે. તેમની જોડે થયેલા સત્સંગનો અમુક અંશ નીચે દર્શાવેલ છે.

પ્રતિક્રમણ શું છે?

પ્રતિક્રમણ એક એવું સાધન છે જેનાથી કોઇને અપાયેલા દુઃખ માટે, કે લગ્નજીવનમાં બનેલા પ્રસંગોમાં પણ, ક્ષમા માંગી શકાય. તમે તમારું વર્તન અથવા વ્યવહાર તાત્કાલિક તો બદલી ના શકો, પણ પ્રતિક્રમણ કરવાથી, માફી માંગવાથી, બદલાવ આવવાનો માર્ગ ખુલી જાય. આ વૈજ્ઞાનિક રસ્તો છે કારણ કે માફી માગવાથી તમે તમારા વ્યવહારનું રક્ષણ નથી કરી રહ્યા, માટે તેનો ક્યારેક તો અંત આવશે. ધીરે ધીરે તમે સંબંધો સુમેળ થતા અનુભવશો.

પ્રતિક્રમણ કેવી રીતે કરવું?

પ્રશ્નકર્તા: એ પસ્તાવો કેવી રીતે કરું? બધાને દેખતા કરું કે મનમાં કરું?

દાદાશ્રી: મનમાં! મનમાં દાદાજીને યાદ કરીને કે આ મારી ભૂલ થઈ છે હવે ફરી નહિ કરું - એવું મનમાં યાદ કરીને કરવાનું એટલે ફરી એમ કરતાં કરતાં એ બધું દુઃખ ભુલાઈ જાય. એ ભૂલ તૂટી જાય છે.પણ એવું ના કરીએ તો પછી ભૂલો વધતી જાય. આ મેં તમને હથિયાર આપ્યું છે, આ પ્રતિક્રમણ એ મોટું હથિયાર આપ્યું છે. કારણ કે આખું જગત કાપવાનું મોટામાં મોટું હથિયાર જ આ છે. અતિક્રમણથી જગત ઉભું થયું છે ને પ્રતિક્રમણથી જગતનો વિલય થાય છે. બસ છે. અતિક્રમણ થયું એ દોષ થયો. એ તમને ખબર પડી એટલે દોષશૂટ ઍટ સાઈટકરવો જોઈએ તમારે. દોષ દેખાયો કે શૂટ કરો.

આ એક જ માર્ગ એવો છે કે પોતાના દોષ દેખાતા જાય અને શૂટ થતા જાય, એમ કરતા કરતા દોષ ખલાસ થતા જાય

પ્રતિક્રમણ ક્યારે કરવું?

મન-વચન-કાયાથી કોઈ ને દુઃખ અપાયું હોય તો તે ભૂલ માટે પ્રતિક્રમણ કરવું. જો ભૂલ ના થઈ હોય તો પ્રતિક્રમણ કરવાની જરૂર નથી. તે હિસાબ ચોખ્ખો છે. અને કઈ બન્યું જ ના હોય તો તો કંઈ વાંધો જ નાથી. જેમ જેમ પ્રતિક્રમણ થશે તેમ સામી વ્યક્તિ જોડેનો વ્યવહાર સરળ થતો જશે. પછી તેમની સાથેનો સંબંધ સાવ ચોખ્ખો થઈ જશે. પ્રતિક્રમણ કરવા યોગ્ય અમુક પ્રસંગો નીચે દર્શાવેલા છે:

  • ખરાબ વિચારો

કોઈના માટે સહેજ પણ અવળો સવળો વિચાર આવે કે, તરત તેને ધોઈ નાખવો. એ વિચાર જો, થોડીક જ વાર જો રહેને તો એ સામાને પહોંચી જાય અને પછી ઊગે. ચાર કલાકે, બાર કલાકે કે બે દહાડે ય એને ઊગે, માટે સ્પંદનનું વહેણ એ બાજુ ના જતું રહેવું જોઈએ.

  • જ્યાં ઘર્ષણ થાય છે

આ ભીંતને માટે અવળા વિચાર આવે તો વાંધો નથી, કારણ એકપક્ષી ખોટ છે. જ્યારે જીવતા માટે એક અવળો વિચાર આવ્યો કે જોખમ છે. બન્ને પક્ષી ખોટ જાય. પણ આપણે એની પાછળ પ્રતિક્રમણ કરીએ તો બધા દોષો જાય. એટલે જ્યાં જ્યાં ઘર્ષણ થાય છે, ત્યાં આગળ પ્રતિક્રમણ કરો એટલે ઘર્ષણ ખલાસ થઈ જાય.

  • જયારે વિરોધાભાસ ઉભો થાય ત્યારે

જયારે તમારો, તમારા પતિ/પત્ની સાથે કલેશ થાય છે, ત્યારે તમે એમની સાથે વાત કરવા માંગતા નથી અથવા એમનો ચહેરો પણ નથી જોવા માંગતા. આવી પરિસ્થિતિમાં દાદાશ્રી કહે છે, એનું પ્રતિક્રમણ કરવાનું ને એના તરફ ભાવ રાખવાનાં ! ફરી પાછું એવું થાય તો ફરી પાછું પ્રતિક્રમણ કરવાનું. કારણ કે એક પડ જતું જ રહે, પછી બીજું પડ જતું રહે. એમ પડવાળાને? પ્રતિક્રમણ કરી લીધા પછી પણ તમે જોશો કે તમે સમસ્યાથી ઘેરાયેલા જ છો તો એનો અર્થ એવો નથી કે તમારું પ્રતિક્રમણ નકામું ગયું છે. દરેક પ્રતિક્રમણ સાથે કર્મનું એક પડ જાય છે, છતાં દરેક જણ ઘણાં કર્મો લાવેલા હોવાથી તમારે પ્રતિક્રમણ ચાલુ રાખવા જ પડશે.

શું પ્રતિક્રમણથી સંબંધો સંધાય જશે?

તમારે જો કોઈ એક વ્યક્તિ જોડે ના બનતું હોય, તો ઘણા દિવસો સુધી તેમના ખુબ પ્રતિક્રમણ કરવાથી તમને એમની જોડે બનવા માંડશે અને તેઓ તમને ખોળતા આવશે. આપણી ભૂલોના કારણે જ બધી અથડામણ છે.

જો તમે તમારા પતિ/પત્ની ને અવર્ણનીય દુઃખો આપ્યા હોય, એ હદ સુધી પજવ્યા હોય કે તેમનું દુઃખ તમે પણ ઓછું ના કરી શકો, તો પ્રતિક્રમણથી મદદ રહેશે. તેમના નામના પ્રતિક્રમણ કરવા. જેટલું દુઃખ આપ્યું હોય એ પ્રમાણે પ્રતિક્રમણ કરવા.

પ્રતિક્રમણથી શું ફાયદો થાય?

પરમ પૂજ્ય દાદાશ્રીએ પ્રતિક્રમણના અસંખ્ય ફાયદાઓ બતાવ્યા છે, તો ચાલો જોઈએ કે આ શક્તિશાળી સાધન નો ઉપયોગ સંબંધો ને સાંધવા કઈ રીતે કરવો:

  • સમસ્યા નો જળ-મૂળ થી વિનાશ

ગયા ભાવે જે કઈ અથડામણ, ક્લેશ કે વેર-ભાવ કાર્ય હોય તે આ જન્મે વિવાદ કે મતભેદ રૂપે આવે છે. અથડામણ વખતે વેરનું બીજ પડે છે જે આવતા જન્મે ઉગશે. તો આવું કઈ રીતે ના થવા દેવાય? ધીરે ધીરે જો બધા પ્રશ્નો નો સમભાવે નિકાલ કરીએ તો નવા બીજ પડતા બંધ થઈ શકે. જો કર્મબીજ બહુ મોટું હોય તો ધીરજ થી કામ લેવું પડશે, કારણ કે તેનો સંપૂર્ણપણે નાશ કરવામાં વાર લાગશે. ખુબ પ્રતિક્રમણ કરવા પડશે.

પ્રતિક્રમણ કરવાથી તે ભૂલનું બીજ, તેનું રુટ-કોઝ નો નાશ થાય છે. એ કેવી રીતે થાય? પ્રતિક્રમણની વિધિ કરવાથી, જેમાં હોય આલોચના (દોષો યાદ કરવા), પ્રતિક્રમણ (તેનો પસ્તાવો લેવો) અને પ્રત્યાખાન (ફરી એ દોષો કદી ના કરવાનો નિશ્ચય કરવો). તપ કરવાથી પુણ્ય ભેગું થાય પણ રુટ-કોઝ કાઢી નાખવાથી પરિણામ એ આવે કે કર્મની ગૂંચવણી માંથી મુક્ત થઈ શકાય. સમભાવ નો કાયદો શું કહે છે? એ એમ કહે છે કે સામી વ્યક્તિ જોડે વેર ના બંધાય તે માટેના બધા પગલાં લેવાની કાળજી રાખવી. આમ વેર થી છૂટી શકાય.

  • સમભાવે નિકાલ 

પ્રશ્નકર્તા: નિકાલ કરવો છે તો કઈ રીતે થાય ? મનમાં ભાવ કરવો કે આ પૂર્વનું આવ્યું છે ?

દાદાશ્રી: એટલાથી નિકાલ ના થાય. નિકાલ એટલે તો સામાની જોડે ફોન કરવો પડે, એના આત્માને ખબર આપવી પડે. તે આત્માની પાસે આપણે ભૂલ કરી છે એવું કબૂલ-એક્સેપ્ટ કરવું પડે. એટલે પ્રતિક્રમણ મોટું કરવું પડે.

પ્રશ્નકર્તા: સામો માણસ આપણું અપમાન કરે તો પણ આપણે તેનું પ્રતિક્રમણ કરવાનું ?

દાદાશ્રી: અપમાન કરે તો જ પ્રતિક્રમણ કરવાનું, આપણને માન આપે ત્યારે નહીં કરવાનું. પ્રતિક્રમણ કરીએ એટલે સામા પર દ્વેષભાવ તો થાય જ નહીં. ઉપરથી એની પર સારી અસર થાય. આપણી જોડે દ્વેષભાવ ના થાય એ તો જાણે પહેલું સ્ટેપ, પણ પછી એને ખબર પણ પહોંચે છે.

પ્રશ્નકર્તા: એના આત્માને પહોંચે ખરું ?

દાદાશ્રી: હા, જરૂર પહોંચે. પછી એ આત્મા એના પુદગલને પણ ધકેલે છે કે 'ભઈ, ફોન આવ્યો તારો.' આપણું આ પ્રતિક્રમણ છે તે અતિક્રમણ ઉપરનું છે, ક્રમણ ઉપર નથી.

  • તિરસ્કારમાંથી છુટકારો 

પ્રશ્નકર્તા: પૂર્વજન્મના ઋણાનુબંધમાંથી છૂટવા માટે શું કરવું જોઈએ ?

દાદાશ્રી: આપણે જેની જોડે પૂર્વનું ઋણાનુબંધ હોય અને તે આપણને ગમતું જ ન હોય, એની જોડે સહવાસ ન જ ગમતો હોય અને સહવાસમાં રહેવું જ પડતું હોય ફરજિયાત, તો શું કરવું જોઈએ ! કે બહારનો વ્યવહાર એની જોડે રાખવો જોઈએ ખરો પણ અંદર એના નામના પ્રતિક્રમણ કરવા જોઈએ. કારણ કે આપણે આગલા અવતારમાં અતિક્રમણ કરેલું હતું તેનું આ પરિણામ છે. કૉઝીઝ શું કર્યા હતા ? તો કહે, અતિક્રમણ કર્યું હતું એની જોડે પૂર્વભવમાં, તેનું આ ભવમાં ફળ આવ્યું એટલે એનું પ્રતિક્રમણ કરીએ તો એ પ્લસ-માઇનસ થઈ જાય. એટલે અંદર એની તમે માફી માંગી લો, માંગ માંગ કર્યા કરો કે મેં જે દોષ કર્યા હોય તેની માફી માંગું છું. કોઈ પણ ભગવાનની સાક્ષીએ, તો બધું ખલાસ થઈ જશે નહીં તો પછી શું થાય છે, એના તરફ બહુ દોષિત જોવાથી, કોઈ પુરુષને સ્ત્રી દોષિત બહુ જો જો કરે એટલે તિરસ્કાર વધે અને તિરસ્કાર છૂટે એટલે ભય લાગે. જેનો આપણને તિરસ્કાર હોયને તેનો ભય લાગશે તમને. એ દેખો કે તમને ગભરામણ થાય, એટલે જાણીએ કે આ તિરસ્કાર છે. એટલે તિરસ્કાર છોડવા માટે આપણે અંદર માફી માંગ માંગ કરો. બે જ દહાડામાં એ તિરસ્કાર બંધ થઈ જશે. એ ના જાણે, તમે અંદર માફી માંગ માંગ કરો એના નામની, એના તરફ જે જે દોષો કર્યા હોય, તેની 'હે ભગવાન હું ક્ષમા માગું છું.' આ દોષનું પરિણામ છે મને. કોઈ પણ માણસ જોડે જે જે દોષ કર્યા હોય, તેની અંદર તમે માફી માંગ માંગ કરો ભગવાન પાસેથી તો બધું ધોવાઈ જશે.

×
Share on