
આપણે શ્રી નેમિનાથ ભગવાન અને રાજકુંવરી રાજુલના આઠ ભવોના અપ્રતિમ ઋણાનુબંધ વિશે વાંચ્યું. યાદવકુળમાં જન્મેલા અને આ કાળચક્રના નવમા વાસુદેવ શ્રીકૃષ્ણના પિતરાઈ ભાઈ એવા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાનનું ઉત્કૃષ્ટ જીવનચરિત્ર વાંચીએ.
આયુષ્ય પૂર્ણ થતાં દેવગતિમાંથી ચ્યવીને નેમિનાથ ભગવાનનો જન્મ ભરતક્ષેત્રની શોર્યપુર નગરીમાં રાજા સમુદ્રવિજય અને રાણી શિવાદેવીને ત્યાં થયો હતો. નેમિનાથ ભગવાન યાદવકુળના રાજા સમુદ્રવિજયના પુત્ર હતા. રાજા સમુદ્રવિજય દસ ભાઈઓમાં સૌથી મોટા ભાઈ હતા અને એમાં રાજા વાસુદેવ એ સૌથી નાના ભાઈ હતા, જેઓ ભગવાન શ્રીકૃષ્ણના પિતા હતા. શ્રીકૃષ્ણ ભગવાન અને શ્રી નેમિનાથ ભગવાન એકબીજાના પિતરાઈ ભાઈ હતા.
રાણી શિવાદેવીને તીર્થંકર નેમિનાથ ભગવાનના જન્મ પહેલાં ચૌદ સપના આવ્યાં હતાં. માતા-પિતાએ ભગવાનનું નામ અરિષ્ટનેમિ રાખ્યું. એમનું કુળ શ્યામવર્ણવાળું હતું. નેમિનાથ ભગવાનની તથા શ્રીકૃષ્ણ વાસુદેવની કાયા શ્યામવર્ણી હતી. હાલમાં પણ દેવાલયો અને મંદિરોમાં નેમિનાથ ભગવાન અને શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિઓ શ્યામ વર્ણની હોય છે.
નેમિનાથ ભગવાન જન્મથી જ અહિંસાપ્રેમી, દયા અને કરુણાવાળા હતા. જ્યારે ભગવાન બાળવસ્થામાં હતા, ત્યારે એક વાર રમતા-રમતા તેઓ આયુધશાળામાં પહોંચી ગયા અને ત્યાં મોટો પાંચજન્ય શંખ ફૂંક્યો. એ દ્રશ્ય જોઈ બધા સ્તબ્ધ થઈ ગયા. વાસ્તવિકતામાં એ શંખ વાસુદેવ વિના કોઈ ન ફૂંકી શકે, જ્યારે નેમિનાથ ભગવાને નાની વયે આ શંખ ફૂંકતા પોતાની શક્તિનો જબરજસ્ત પરચો આપ્યો.
નેમિનાથ ભગવાન રાજકુંવર હોવાથી યાદવકુળમાં યુદ્ધના સમયે એમને પણ જોડાવું પડતું હતું. ભગવાન બાણવિદ્યામાં અત્યંત નિપુણ હોવા છતાં પણ યુદ્ધના સમયે કોઈને બાણથી મારતા ન હતા; પણ, કોઈનું બાણ દ્વારા ધનુષ તોડતા, તો કોઈનો મુગટ પાડતા, કોઈના રથ પર બાણ મારતા, તો કોઈના બાણ જ ઉડાવી દેતા, કે જેથી કરીને સામેવાળો શત્રુ નિ:સહાય થઈ જતો હતો. નેમિનાથ ભગવાન કોઈની હિંસા કર્યા વિના કે નુકસાન પહોંચાડ્યા વિના યુદ્ધ કરતા હતા.
તીર્થંકર હોવાને લીધે નેમિનાથ ભગવાનનું બળ ચક્રવર્તી અને વાસુદેવ કરતા પણ અનેકગણું હતું, પણ ભગવાન પોતાનું બધું જ બળ આત્મા પ્રાપ્ત કરવામાં અને કષાયોને જીતવા માટે જ વાપરતા હતા, નહીં કે શત્રુઓને જીતવા માટે. જેમણે પોતાના કષાયો, ક્રોધ-માન-માયા-લોભને જીત્યા, તેઓ અરિહંત કહેવાયા. બધા જ તીર્થંકરો અરિહંત કહેવાય છે. તીર્થંકરો બધા જ ક્ષત્રિય અને એટલા શક્તિશાળી હોય કે બધા જ પાપોને ફગાવીને આત્મામાં સ્થિર થઈ શકે. જે બહારના શત્રુઓને હણી શકે છે, એ જ પોતાના અંદરના શત્રુઓને પણ હણી શકે છે.
જ્યારે નેમિનાથ ભગવાનની યુવાવસ્થા આવી, ત્યારે પરિવારને તેમના લગ્ન માટેની ઈચ્છા હતી. પરંતુ, નેમિનાથ ભગવાન પહેલેથી જ વિરક્ત હતા; તેમને સંસારમાં કોઈ રસ જ ન હતો.
એક વખત, ભગવાન શ્રીકૃષ્ણની આઠ રાણીઓ નેમિકુમારને ઉદ્યાનમાં ક્રીડા માટે લઈ ગઈ. તેમણે નેમિકુમારને ખૂબ આનંદ કરાવ્યો. રાણીઓ નેમિકુમારને લગ્ન કરવા માટે ખૂબ મનાવી રહી હતી. પરંતુ નેમિકુમારે હા કે ના ન કીધી; તેઓ માત્ર હસ્યા. જેનો અર્થ રાણીઓએ લગ્ન માટે હા સમજી લીધો. ભગવાન શ્રીકૃષ્ણ અને બીજા વડીલોએ તેમના લગ્ન રાણી સત્યભામાના નાના બહેન રાજકુમારી રાજીમતી (રાજુલ), કે જે ખૂબ જ સાત્વિક અને અત્યંત સુંદર હતાં, તેમની સાથે નક્કી કર્યાં.
રાજા ઉગ્રસેને પુત્રી રાજીમતીનાં લગ્ન માટે ખૂબ ધામધૂમથી આયોજન કર્યું. રાજુલ શણગાર સજીને લગ્ન માટે રાહ જોતાં હતાં અને બીજી બાજુ અરિષ્ટનેમિ મોટી જાન સાથે લગ્ન માટે જઈ રહ્યા હતા. ત્યાં અચાનક, નેમિકુમારને કાનમાં ક્રૂર અવાજ સંભળાયો. તેમને જાનવરોની ભયથી તરફડીને પોતાની જાન બચાવવા માટેની ચિચિયારીઓ સંભળાઈ. આ ભયંકર અવાજો સાંભળીને અરિષ્ટનેમિનું અહિંસાપ્રેમી અને કરુણામય હૃદય હચમચી ગયું. તેમનાથી આ સહન ન થયું, તેમણે રથ રોકાવીને સારથિને પ્રાણીઓ વિષે તપાસ કરવા કહ્યું.
સારથિએ કહ્યું કે અવાજો જુદા-જુદા પ્રાણીઓના હતા. બધા પશુ-પક્ષીઓ જેમ કે મરઘી, બકરી, ગાય, વાછરડા, હરણ વગેરેને જાનૈયાઓના ભોજન માટે મારીને રાંધવામાં આવશે અને એનું જમણ પીરસાશે. પોતાના નિમિત્તે આટલી બધી હિંસા; એક લગ્નની મોજમજા માટે કારણ વગર આટલા બધા નિર્દોષ પશુ-પક્ષીઓ મરી જશે, એ જાણીને નેમિકુમારનું હ્રદય ખૂબ દ્રવી ગયું.
નેમિકુમારે લગ્ન ન કરવાનું નક્કી કર્યું અને સારથિને રથ પાછો વાળવા કહ્યું. રથ પાછો વળતો જોઈને મંત્રીઓ, ભગવાન શ્રીકૃષ્ણ, તેમની રાણીઓ, રાજા ઉગ્રસેન, રાણી શિવાદેવી અને તેમના બધા સંબંધીઓ તેમને લગ્ન કરવા અને પાછા વળવા ખૂબ સમજાવ્યા. તેમણે બધા પ્રાણીઓને છોડી દીધા, પરંતુ નેમિકુમાર મક્કમ હતા; તેમને જબરજસ્ત વૈરાગ્ય આવી ગયો હતો. બધાના ખૂબ સમજાવવા પર તેમણે કહ્યું, “પ્રાણીઓ તો છૂટ્યા, મારે તો ભવસાગરમાંથી છૂટી જવું છે. હવે હું ફરી ક્યારેય આ બાજુ નહીં જઉં.” તેમણે મક્કમપણે રથ પોતાના ઘર તરફ હંકાર્યો અને આખી જાન પાછી વળી.
જ્યારે રાજીમતીને આ બધી ખબર પડી, ત્યારે તેઓ બેભાન થઈ ગયાં અને ભાનમાં આવ્યા પછી મહિનાઓ સુધી તેમનું રુદન અટક્યું જ નહીં. તેમને ખૂબ જ આઘાત લાગ્યો હતો.
એક વર્ષ વર્ષીદાન કર્યા બાદ, નેમિકુમારે દેવોની વિનંતીથી દીક્ષા લીધી. હજારેક સાધુ-સાધ્વીઓ તથા શ્રાવક-શ્રાવિકાઓએ પણ તેમની સાથે દીક્ષા લીધી. દીક્ષા લીધા બાદ, ભગવાનને મન:પર્યવજ્ઞાન થયું.
નેમિનાથ ભગવાનના મોટા ભાઈ રથનેમિને રાજુલ પ્રત્યે ખૂબ જ લાગણી થઈ. આશ્વાસન આપવા તેઓ થોડા થોડા સમયે રાજુલને ભેટ આપતા હતા. રથનેમિ રાજુલ પ્રત્યે આસક્ત થઈ ગયા હતા; પરંતુ, રાજુલને કંઈ પડી નહોતી. રાજુલ નેમિનાથ ભગવાનથી જુદા પડવાના કારણે ખૂબ જ વિરહ અને વેદનામાં હતાં. તેઓ બધી ભેટો બાજુ પર મૂકતાં જતાં હતાં.
રાજુલે બધી ભેટો સ્વીકારી લીધી. એનાથી રથનેમિને એવી ગેરસમજણ ઊભી થઈ કે રાજુલને પણ તેમના પ્રત્યે પ્રેમ હતો. તેથી રથનેમિ રાજુલને મહેલમાં મળવા ગયા અને વિવાહ માટે પ્રસ્તાવ મૂક્યો. રાજુલે તેમને પછી આવવાનું કહ્યું.
બીજા દિવસે, જ્યારે રથનેમિ રાજુલને મળવા ગયા, ત્યારે રાજુલે ખૂબ જ દૂધ પી લીધેલું હતું. રથનેમિના આવતાં જ, રાજુલે થાળીમાં ઊલટી કરી અને રથનેમિને પોતે બહાર કાઢેલું દૂધ પી જવાનું કહ્યું. રથનેમિએ વ્યાકુળ થઈને કહ્યું, “આ હું કઈ રીતે પી શકું?”
રાજુલે કહ્યું, “આ જ રીતે, હું પણ અરિષ્ટનેમિને વરેલી છું. તમે મને કેવી રીતે અપનાવી શકો? મારા મનથી અરિષ્ટનેમિ એ જ મારા પતિ છે, એમના સિવાય કોઈ મારા મનમાં આવી જ ન શકે.” આ સાંભળીને, રથનેમિને પોતાની ભૂલ સમજાઈ. તેઓ રાજુલની માફી માંગીને ત્યાંથી જતા રહ્યા. આ સાથે, રથનેમિ અને રાજુલને વૈરાગ્ય આવ્યો અને તેમણે દીક્ષા લઈ લીધી.
દીક્ષા બાદ, બંને પોતાની રીતે વિચરતા હતા અને પોતાના કર્મો ખપાવતા હતા.
એક વખત, એવું બન્યું કે જ્યારે રાજુલ સાધ્વી બીજા સાધ્વીઓ સાથે વિહાર કરતાં હતાં, ત્યારે અચાનક જ જોરદાર વરસાદ તૂટી પડ્યો. બધા લોકો આશ્રયની શોધમાં આમતેમ વિખરાઈ ગયા. રાજુલ સાધ્વી એકલા પડી ગયા. તેઓ આશરો શોધતાં શોધતાં એક ગુફામાં પેઠાં. અંધારું હોવાથી તેમને ખબર ન પડી કે એ જ ગુફામાં સાધુ રથનેમિ પણ બેઠેલા હતા.
રાજુલ સાધ્વી ગુફામાં એકલાં જ હતાં એમ માનીને પોતાના કપડાં સૂકવવા લાગ્યાં. આ જોઈને, રથનેમિને વિકાર ઊભો થયો. તેમણે રાજુલને કહ્યું, “આ દીક્ષા છોડી દઈએ અને સુખેથી ભોગ-વિલાસમાં જીવન વીતાવીએ.”
ત્યાં રાજુલ સાધ્વીએ ખૂબ જ કડક શબ્દોમાં સંભળાવ્યું, “દીક્ષા લીધા પછી ફરી પરણવાની વાત કરો છો? તમારી અને મારી શી ગતિ થશે? ક્ષત્રિય થઈને, નેમિનાથ જેવા તીર્થંકર ભગવાનના ભાઈ થઈને આવી કાયરતા? દીક્ષા લીધા પછી મોક્ષે જ પહોંચવાને બદલે વચ્ચેથી તૂટી જવાની ક્યાં વાત? આવું તો વિચારમાં પણ ન હોવું જોઈએ.”
રાજુલ સાધ્વીની ધારદાર વાણી સાંભળીને સાધુ રથનેમિને ખૂબ પસ્તાવો થયો. રાજુલે બરાબર લપસવાના સમયે એવી વાણી સંભળાવી કે જેથી રથનેમિ પાછા વળ્યા. રથનેમિ સવાર થતાં જ ભગવાન નેમિનાથ પાસે જઈને આલોચના કરીને બધા જ પાપો ધોઈને શુદ્ધ થઈ ગયા.
નેમિનાથ ભગવાનનું બ્રહ્મચર્ય જબરજસ્ત હતું. તેમના નિમિત્તે રાજુલ અને રથનેમિ બંનેને પણ બ્રહ્મચર્ય મળ્યું. ચોવીસ તીર્થંકરોમાંથી નેમિનાથ ભગવાન અને મલ્લિનાથ ભગવાનનું બ્રહ્મચર્ય વખણાય છે.
શ્રીકૃષ્ણ ભગવાન શ્રી નેમિનાથ ભગવાનના પિતરાઈ ભાઈ હતા, એમનું કુટુંબ શામળું કહેવાય. શ્રીકૃષ્ણ ભગવાન વાસુદેવ હતા. વાસુદેવ બહુ જ શક્તિશાળી હોય. વાસુદેવનો પ્રતાપ એટલો બધો હતો કે અડધી પૃથ્વીના તેઓ રાજા હતા. જૈન શાસ્ત્રમાં દસ મોટા આશ્ચર્યમાંથી એક આશ્ચર્ય શ્રીકૃષ્ણ ભગવાનનું ગણાય છે. શ્રીકૃષ્ણ ભગવાનના સમયમાં દ્રૌપદીનું હરણ થયુ હતું. એ વખતે ઘાતકીખંડ દ્વીપના ભરતક્ષેત્રના પદ્મનાભ રાજા સામે નારદ મુનિએ દ્રૌપદીના રૂપનું વર્ણન કર્યું હતું. પછી એ વર્ણન સાંભળીને પદ્મનાભ રાજાએ દ્રૌપદી પર મૂર્છિત થયા અને દ્રૌપદીનું હરણ કરાવવાનું વિચાર્યું. પદ્મનાભ રાજાએ સાધના કરીને એક દેવ પાસેથી દ્રૌપદીનું હરણ કરાવ્યું અને એમની સાથે લગ્નની માંગણી કરી. આખરે દ્રૌપદી તો એક સતી હતા, એ કોઈ રીતે તૈયાર ન થયા. એમણે રાજા પાસે એક મહિનાની મુદત માંગી. એ એક મહિનામાં દ્રૌપદીએ ભક્તિ-આરાધના અને ઉપવાસ કરીને કૃષ્ણ ભગવાનને યાદ કર્યા. દ્રૌપદીએ આ સંકટમાંથી ઉગારવા માટે દેવોને પણ ખૂબ પ્રાર્થના કરી.
આપણે જે પૃથ્વી પર રહીએ છે એને જંબુદ્વીપનું ભરતક્ષેત્ર કહેવાય છે અને બીજું ભરતક્ષેત્ર ઘાતકીખંડ દ્વીપમાં છે. આમ કુલ પાંચ ભરતક્ષેત્ર, પાંચ મહાવિદેહ ક્ષેત્ર અને પાંચ ઐરાવત ક્ષેત્ર આવેલા છે.
કુદરતનો કાયદો એવો છે કે, એક પૃથ્વી પરથી બીજી પૃથ્વી પર સદેહે જઈ શકાય એમ નથી; પણ શ્રીકૃષ્ણ ભગવાન સદેહે પહોંચી શક્યા. એમણે ઘાતકીખંડ દ્વીપના ભરતક્ષેત્રમાં જઈને પદ્મનાભ રાજા સામે યુદ્ધ કર્યું અને દ્રૌપદીને પરત લાવ્યા. યુદ્ધમાં જ્યારે શ્રીકૃષ્ણ ભગવાને શંખ ફૂંક્યો ત્યારે એ જ કાળના, એ જ ક્ષેત્રના વાસુદેવ કપિલ રાજા ઘાતકીખંડના ભરતક્ષેત્રનાં તીર્થંકરની સભામાં બેઠા હતા. શ્રીકૃષ્ણ વાસુદેવનો શંખનાદ સાંભળી એમણે તરત જ તીર્થંકર ભગવાનને પૂછ્યું, ”આ કેવી રીતે શક્ય બન્યું? કે મારા જેવો જ શંખ કોણ ફૂંકી શકે? કારણ કે કુદરતના નિયમ પ્રમાણે એક ક્ષેત્રમાં એક જ વાસુદેવ, એક જ તીર્થંકર અને એક જ ચક્રવર્તી હોય છે. ક્યારેય પણ બે વાસુદેવ, બે તીર્થંકર કે બે ચક્રવર્તી ભેગા ના થાય. તો આ કઈ રીતે શક્ય બન્યું?”
ત્યારે તીર્થંકર ભગવાને જવાબ આપ્યો કે, ”આ એક અપવાદ છે. વાસુદેવ શ્રીકૃષ્ણ ભગવાન આવ્યા છે. એમણે પોતાના જબરજસ્ત બળથી પદ્મનાભ રાજાને યુદ્ધમાં હરાવ્યા છે અને પોતાનો શંખ યુદ્ધમાં ફૂંક્યો છે.” ત્યારે કપિલ વાસુદેવને શ્રીકૃષ્ણ ભગવાનને મળવાની ઈચ્છા થઈ. ભગવાને પરવાનગી પણ આપી.
જ્યાં સુધીમાં કપિલ વાસુદેવ કૃષ્ણ ભગવાનને મળવા નીકળ્યા ત્યાં સુધીમાં તો શ્રીકૃષ્ણ વાસુદેવ દ્રૌપદીને લઈને ઘણા આગળ નીકળી ગયા હતા. એ ક્ષેત્રને પાર કરવું કપિલ વાસુદેવ માટે શક્ય ન હતું. ત્યારે કપિલ વાસુદેવે પણ સામે શંખ વગાડીને કૃષ્ણ ભગવાન સાથે શંખથી વાર્તાલાપ કર્યો. એ શંખ કેવો હશે! શંખથી ટેલિફોનની જેમ રીતસરની વાણીથી વાતચીત થાય.
શંખના માધ્યમથી કપિલ વાસુદેવે શ્રીકૃષ્ણ ભગવાનને કહ્યું કે, ” મારે તમને મળવું છે, ખૂબ આનંદ થયો તમે અહીં આવ્યા એ મને ખબર ના પડી.” ત્યારે કૃષ્ણ ભગવાને શંખ દ્વારા જવાબ આપ્યો કે, ”હું ઘણો બધો આગળ નીકળી ગયો છું. હવે, પાછુ આવવું મુશ્કેલ છે અને ઘણી શક્તિ અને સમયનો વ્યય થાય એમ છે. માટે આપણે શંખથી જ મળી લઈએ.” આ રીતે મળીને શ્રીકૃષ્ણ ભગવાન દ્રૌપદીને લઈને ભરતક્ષેત્રમાં પરત ફર્યા.
આ અધ્યાત્મ જગતનું એક મોટું આશ્ચર્ય ગણાય છે કે એક જ કાળમાં બે વાસુદેવનું એક જ ક્ષેત્રમાં શંખ દ્વારા મિલન થયું. આ પરથી આપણને શ્રીકૃષ્ણ ભગવાનની શક્તિનો વધુ પરચો થાય છે અને એમના વિશે ના જાણેલી વાતો જાણવા મળે છે.
શ્રી નેમિનાથ ભગવાનના સમયમાં મુનિ ગજસુકુમાર થઈ ગયા; એમના કેવળજ્ઞાન સંબંધી એક અદ્ભુત પ્રસંગ બન્યો હતો. ગજસુકુમાર એ કૃષ્ણ ભગવાનના આઠ ભાઈઓમાંના એક ભાઈ હતા. ગજસુકુમાર કૃષ્ણ ભગવાનના બહુ જ વહાલા હતા. એ અત્યંત રૂપાળા હતા. યુવાન થતાં ગજસુકુમારના લગ્ન કરવામાં આવ્યાં. એમના એક લગ્ન રાજકુંવરી અને બીજા લગ્ન સોમદત્ત નામના બ્રાહ્મણની પુત્રી સોમા સાથે કરવામાં આવ્યા હતા. ગજસુકુમાર તો જન્મથી જ વૈરાગી હતા પણ બધા ભાઈઓ અને દેવકી માતાના ખૂબ લાડલા હોવાથી દબાણપૂર્વક એમણે લગ્ન કર્યા. તેઓ સંસારથી બહુ જ વિરક્ત હતા, એમને જરાય રુચિ ન હતી.
સંસારથી વિરક્ત રહેતા ગજસુકુમાર એક વખત નેમિનાથ ભગવાન પાસે પોતાની બે પત્નીઓ સાથે ગયા અને ભગવાન પાસે એમણે દીક્ષા લીધી. દીક્ષા લઈને બીજે દિવસે તેઓ સ્મશાનમાં આત્માનું ધ્યાન કરવા ગયા. તેઓ સ્મશાનમાં અવળી સાધના માટે નહીં પરંતુ એકાંત મળે એ હેતુથી સાધના કરવા ગયા હતા.
ગજસુકુમાર જ્યારે સ્મશાનમાં આત્માનું ધ્યાન કરતા હતા તે વખતે તેમના સસરા ત્યાંથી પસાર થયા. ગજસુકુમારને જોઈને સસરાને ખૂબ જ ક્રોધ આવી ગયો. તેમને થયું કે આણે મારી પુત્રીને રખડાવી. સસરાએ ગુસ્સામાં ને ગુસ્સામાં ગજસુકુમારના માથા પર માટીનું કુલડું મૂકીને તેમાં ચિતાના ધગધગતા અંગારા મૂક્યા.
એ સમયે ગજસુકુમારને થયું કે, ”મારા સસરાજી મને મોક્ષની પાઘડી પહેરાવી ગયા.” એ સમયે ગજસુકુમાર પોતાના આત્મધ્યાનથી જરાય ચલાયમાન થયા ન હતા; તેમણે પોતાના સસરાને નિર્દોષ જ જોયા. જો સામાન્ય માનવીના માથા ઉપર આટલા ધગધગતા અંગારા મૂકવામાં તો કેટલી બધી વેદના થાય પણ ગજસુકુમારે એ વેદનાને જબરજસ્ત સમતાપૂર્વક પાર કરી, પોતે પોતાના કેવળજ્ઞાન સ્વરૂપમાં જ રહ્યા.
આત્મધ્યાનમાં તેઓ શ્રેણીઓ ચડતા ગયા અને તેમને કેવળજ્ઞાન પ્રગટ થઈ ગયું. કેવળજ્ઞાન સ્વરૂપ દેહથી તદ્દન ભિન્ન છે. આત્મા એક સમય પણ દેહમાં એકાકાર થયો નથી, અવ્યાબાધ છે. શરીરને બાધાપીડા થાય છે પણ તે આત્માને જરાય અડતી નથી. આત્માના આવા સુંદર કેવળજ્ઞાન અને અવ્યાબાધ સ્વરૂપનો અનુભવ ગજસુકુમારને થયો અને તેઓ મોક્ષ પામ્યા.
આ કેવળજ્ઞાન સ્વરૂપ તીર્થંકરો અને જ્ઞાનીઓએ અનુભવ્યું છે. આપણને પણ એમની પાસેથી અનુભવ થઈ શકે એમ છે અને એ જ રસ્તો છે મોક્ષે જવાનો!
દીક્ષા લીધાના ૫૪ દિવસ પછી નેમિનાથ ભગવાનને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. દેવોએ તેમના માટે સમોવસરણની રચના કરી. તેમને અગિયાર ગણધરો હતા, જેમાંથી ત્રણ ગણધરો નવ ભવથી પ્રભુના ભાઈ, મિત્ર અથવા મંત્રી તરીકે સાથે ને સાથે જ હતા.
નેમિનાથ ભગવાન ૧૦૦૦ વર્ષ જીવ્યા. તેમણે ૩૦૦ વર્ષની ઉંમરે દીક્ષા લીધી અને પોતાના જીવનનો ૭૦% કાળ જગતકલ્યાણ પાછળ ખર્ચ્યો. તેઓ ગિરનાર પર્વત પરથી નિર્વાણ પ્રાપ્ત કરી મોક્ષે પધાર્યા.
subscribe your email for our latest news and events
