ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી: મહાસતી મૃગાવતી

શ્રી મહાવીર સ્વામીના પુત્રી પ્રિયદર્શના અને જમાઈ જમાલિ સ્વચ્છંદના રસ્તે ચાલ્યા. આગળ, મૃગાવતી મહાસતી, કે જેઓ મહાવીર સ્વામીની જબરજસ્ત જ્ઞાન-ભક્તિ અને આરાધના કરતાં હતાં, એમનો જીવન પરિચય મેળવીએ.

મૃગાવતી રાણી અને શતાનિક રાજા

કૌશાંબી નગરીના રાજા શતાનિક અને મૃગાવતી એમના પટરાણી હતાં. એક દિવસ બધા મંત્રીઓ અને લોકોએ રાજાને કહ્યું, “તમારો રાજદરબાર અને વૈભવ પરિપૂર્ણ છે પણ એમાં એક વસ્તુ ખૂટે છે. તમારા રાજ્યમાં ક્યાંય ચિત્રશાળા નથી!” આ સાંભળીને શતાનિક રાજાને થયું કે બરાબર છે. આ કમી પણ મારે પૂરી કરવી જોઈએ. પછી રાજાએ મંત્રીઓને કહ્યું, “આપણા રાજ્યના ઉચ્ચતમ ચિત્રકારોને બોલાવો અને એક ચિત્રસભાનું નિર્માણ કરો. ચિત્રસભાની બધી દિવાલો ઉપર ચિત્રકલા કરીને જબરજસ્ત અજોડ ચિત્રસભા ઊભી કરો.” શતાનિક રાજાના એક આદેશથી ચિત્રસભાનું નિર્માણ શરૂ થઈ ગયું. ચિત્રસભા માટે રાજ્યના ઉત્તમમાં ઉત્તમ ચિત્રકારોને બોલાવવામાં આવ્યા.

બધા ચિત્રકારોમાંથી એક ચિત્રકાર બહુ જ સિદ્ધિવાળો હતો. એ ચિત્રકારે એક યક્ષદેવની ખૂબ આરાધના કરીને એમને રીઝવ્યા હતા. યક્ષદેવે ચિત્રકાર પર પ્રસન્ન થઈને જે જોઈએ એ વરદાન માંગવાનું કહ્યું. ચિત્રકારે યક્ષદેવ પાસેથી માંગ્યું, “કોઈ પણ વ્યક્તિના શરીરનો કોઈ નાનકડો ભાગ જો મારા જોવામાં આવે, તો એના આધારે હું એનું આખું ચિત્ર હૂબહૂ આલેખી શકું એવી મને શક્તિ આપો.” પછી યક્ષદેવે ચિત્રકારને એવી શક્તિ આપી. ચિત્રકારને યક્ષદેવ પાસેથી આ દૈવી વરદાન પ્રાપ્ત થયું હતું.

પછી શતાનિક રાજાએ બધા ચિત્રકારોને પોતાના મહેલમાં બોલાવ્યા અને યોગ્ય માર્ગદર્શન આપીને મહેલના જુદા જુદા ભાગમાં ચિત્રકલા કરવાનો આદેશ આપ્યો. યોગાનુયોગ એવું બન્યું કે વરદાન પામેલા ચિત્રકારના ભાગે મૃગાવતી રાણીના મહેલના અંતઃપુરનો ભાગ અને અંતઃપુરની બહાર જે બેઠક વ્યવસ્થા હતી એ વિભાગનું ચિત્ર દોરવાની જવાબદારી આવી.

ચિત્રકાર સુંદર ચિત્ર કરતો હતો ત્યાં જ એણે પડદા પાછળથી મૃગાવતી રાણીના પગના અંગૂઠાનો જરાક જ ભાગ દેખાયો. આટલા પરથી તેણે મૃગાવતી રાણીનું આખું ચિત્ર દોરવા લાગ્યો, કારણ કે એને યક્ષદેવનું વરદાન હતું. જ્યારે તે મૃગાવતી રાણીની આંખ દોરતો હતો, ત્યારે એની પીંછીમાંથી રંગનું મોટું ટપકું રાણીના સાથળ પર પડી ગયું. ચિત્રકારે એ લૂછી નાંખ્યું અને ફરી આંખ દોરવા ગયો. ત્યાં તો પાછું રાણીના ચિત્ર પર એ જ જગ્યાએ ટપકું પડ્યું.

ત્રણ વખત રાણીના ચિત્ર પર એ જ સાથળની જગ્યા ઉપર ટપકું પડ્યું અને ત્રણે વખત એણે લૂછ્યું. પછી ચિત્રકારને એકદમ વિચાર આવ્યો, “હું ત્રણ વાર લૂછું છું તો પણ પાછું એ જ જગ્યા પર ટપકું કેમ પડતું હશે?” એટલામાં એને અંદર ઝબકારો થયો, “કદાચ મૃગાવતી રાણીના સાથળ પર એવું કંઈક લાંછન કે મસો હશે જેના આધારે રહી રહીને આ ટપકું અહીં જ પડે છે.” પછી ચિત્રકારે એ ટપકું જેમ હતું તેમ એ ચિત્રમાં રહેવા દઈને મૃગાવતી રાણીનું ચિત્ર દોર્યું.

બધા ચિત્રકારો દ્વારા ચિત્રકળાનું કામ પૂરું થતાં શતાનિક રાજા આખી ચિત્રસભા જોવા નીકળ્યા. બધામાં એમને મૃગાવતી રાણીનું ચિત્ર ખૂબ જ સુંદર અને સારામાં સારું લાગ્યું. રાણીનું આબેહૂબ ચિત્ર દોરેલું જોતાં જ રાજા એકદમ ખુશ થયા પણ અચાનક એમની નજર રાણીના ચિત્રમાં સાથળ પર રહેલાં ટપકાં ઉપર પડી અને એમને એકદમ વિચાર આવ્યો, “વસ્ત્રથી ઢાંકેલા ભાગમાં આ ચિત્રકારને કેવી રીતે ખબર પડી કે રાણીને ત્યાં આગળ લાંછન છે?” કારણ કે વાસ્તવમાં મૃગાવતી રાણીના સાથળ પર એવું લાંછન હતું.

રાજાને ચિત્રકાર અને રાણી વચ્ચે ગરબડ હોવાની શંકા ગઈ; એમને થયું કે આ ભાગ ચિત્રકાર કઈ રીતે જોઈ શકે. રાજા ચિત્રકાર પર અત્યંત ક્રોધે ભરાયા અને પેલા ચિત્રકારને જેલમાં પૂરીને ખૂબ માર મરાવ્યો. પછી, થોડા શાંત થયા પછી અન્ય ચિત્રકારોએ રાજાને કહ્યું, “આ ચિત્રકારને તો યક્ષદેવની કૃપાથી વરદાન પ્રાપ્ત થયેલું છે. એ વિદ્યાના આધારે કોઈ પણ વ્યક્તિના દેહનો જરાક અમથો પણ ભાગ જુએ તો એના પરથી એ વ્યક્તિનું આબેહૂબ ચિત્ર દોરી શકે છે.”

આ બધી શક્તિઓ અત્યારે આ કાળમાં નથી પણ એ કાળ, એટલે કે, ચોથા આરામાં હતી. આ કાળમાં યાંત્રિક શક્તિઓ છે જ્યારે ચોથા આરામાં માંત્રિક વિદ્યાઓ હતી. ચોથા આરાનો અંત સમય એટલે કે ભગવાન મહાવીરના સમય સુધી બોંતેર લાખ વિદ્યાઓ હતી. ભગવાન મહાવીરે બધી જ વિદ્યાઓનો વિચ્છેદ કર્યો હતો, કારણ કે તેમને ખબર હતી કે પાંચમો આરો બહુ ભયંકર આવવાનો છે અને લોકો આ વિદ્યાઓનો દુરુપયોગ કરીને ભયંકર કુકર્મ બાંધશે.

બોંતેર લાખ વિદ્યાઓમાંની એક વિદ્યા એ ચિત્રકારને પ્રાપ્ત થઈ હતી. બધા ચિત્રકારોએ ભેગા થઈને રાજાને ઘણું સમજાવ્યું. પણ રાજાએ ખરેખર આ વાત સાચી છે કે નહીં એની ખાતરી કરવા એ ચિત્રકારની પરીક્ષા લેવાનું વિચાર્યું. એ ચિત્રકાર સામે રાજાએ એકદમ કૂબડી, કઢંગી દાસીને પડદા પાછળ બેસાડી દીધી અને એ દાસીના આંગળીનું જરાક અમથું ટેરવું એને બતાડવામાં આવ્યું. બસ, આટલા પરથી ચિત્રકારે દાસીનું હૂબહૂ ચિત્ર દોર્યું. આ જોઈને શતાનિક રાજાને તે ચિત્રકારની વિદ્યા વિશે ખાતરી થઈ પણ છતાં તેઓ ચિત્રકાર પર ખૂબ જ ક્રોધિત હતા. ભલે એને એની વિદ્યાથી રાણીના સાથળ પર લાંછન છે એવું એને જણાયું, પણ એને ચિત્રમાં દોરીને રાણીનો એટલો ભાગ ઉઘાડો રાખવાની જરૂર ન હતી. ગુસ્સામાં ને ગુસ્સામાં રાજાએ ફરી ચિત્રકાર આવું કોઈ કાર્ય કરે નહીં, ફરી આવા ચિત્રો દોરે નહીં એ કારણથી તેના જમણા હાથનો અંગૂઠો કાપીને રાજ્યની બહાર કાઢી મૂક્યો.

ચિત્રકારે ફરીથી યક્ષદેવની ખૂબ ભક્તિ-આરાધના કરી. યક્ષદેવ પ્રસન્ન થયા અને એમણે ફરીથી ચિત્રકારને કહ્યું, “તારે શું વરદાન જોઈએ છે?” પછી ચિત્રકારે યક્ષદેવને શતાનિક રાજા દ્વારા એની સાથે જે બન્યું હતું એ વિશે બધી વાત કરી. એ બધું સાંભળ્યા બાદ યક્ષદેવે કહ્યું, “જા, હું તને એવા વરદાન આપું છું કે હવે તું ડાબા હાથે પણ કોઈપણ વ્યક્તિનું હૂબહૂ ચિત્ર દોરી શકીશ. એટલે તારી વિદ્યા નહીં જતી રહે; તને કામ લાગશે.” આ વિદ્યાથી ચિત્રકાર બહુ ખુશ થઈ ગયો.

પણ એના મનમાં શતાનિક રાજા માટે જબરજસ્ત વેર ઊભું થયું અને વેરનો બદલો લેવાનું એણે નક્કી કર્યું. એણે થયું કે શતાનિક રાજાએ એને ખોટો દંડ દીધો અને કારણ વગર એનો અંગૂઠો કાપી લીધો એટલે એણે રાજાને ફસાવવાનું નક્કી કર્યું. ત્યારબાદ એણે મૃગાવતી રાણીનું સુંદર ચિત્ર દોરીને એ શતાનિક રાજાના ઉપરી ચંડપ્રદ્યોત રાજા પાસે ગયો. શતાનિક રાજા, ચંડપ્રદ્યોત રાજાના ખંડણી રાજા હતા. જાણે કોઈ સુંદર દેવાંગના કે અપ્સરા હોય, એવી દુનિયામાં ના હોય એટલી સુંદર મૃગાવતી રાણીનું ચિત્ર જોતાં જ ચંડપ્રદ્યોત રાજા લોભાયા.

એમને મૃગાવતીને પોતાની પટરાણી બનાવવાનું મન થયું. ચિત્રકારે પણ મૃગાવતી રાણીની સુંદરતામાં વધારો કરતા ચંડપ્રદ્યોત રાજાને કહ્યું, “હજુ તો તમે માત્ર ચિત્ર જુઓ છો પણ ખરેખર તો રાણી ખૂબ રૂપાળાં છે.” ચંડપ્રદ્યોત રાજા એટલા બધા ઉશ્કેરાઈ ગયા કે એમણે નક્કી કર્યું, “ગમે તે રીતે મૃગાવતી રાણીને તો હું મારી પાસે લઈ આવીશ જ.”

ત્યારબાદ ચંડપ્રદ્યોત રાજાએ પોતાના દૂતને શતાનિક રાજાને મોકલીને સંદેશો આપ્યો, “તું મૃગાવતી રાણી મને સોંપી દે. હું એની સાથે લગ્ન કરીશ, કારણ કે તું મારો ખંડણી રાજા છે. તારી બધી મિલકત પર મારો હક્ક છે. તો તારી રાણી પર પણ મારો હક્ક છે. માટે તું મને આપી દે.” આ સાંભળીને શતાનિક રાજા ખૂબ ગુસ્સે થયા. એમણે ક્રોધે ભરાઈને ચોખ્ખી ના પાડી દીધી. પછી ચંડપ્રદ્યોત રાજા મોટું લશ્કર લઈને લડવા આવ્યા.

ચંડપ્રદ્યોત રાજાના મોટા લશ્કર સામે શતાનિક રાજા તો સાવ નાના રાજા હતા. શતાનિક રાજા ગભરાઈને આઘાત પામ્યા કે, “હવે મારું શું થશે? મારી રાણીને લઈ જશે!” એમ આઘાતમાં ને આઘાતમાં એમનું હૃદય બંધ પડી ગયું અને તેઓ મૃત્યુ પામ્યા. શતાનિક રાજાનું આખું રાજ્ય ચંડપ્રદ્યોત રાજાના હાથમાં આવી ગયું. રાજાના મૃત્યુ પામવાથી હવે એમની પ્રજા અને રાજ્ય પાસે ચંડપ્રદ્યોત રાજા પાસે શરણાગતિ પામ્યા સિવાય બીજો કોઈ વિકલ્પ જ ન હતો.

મૃગાવતી રાણીની કુશળ બુદ્ધિ

મૃગાવતી રાણી બહુ બુદ્ધિશાળી હતાં. આવી પરિસ્થિતિમાં એમને ખ્યાલ આવી ગયો કે ચંડપ્રદ્યોત રાજા હવે મને લઈ જ જશે. તેઓ એક સતી હતાં અને પતિવ્રતા હતાં. એમને પોતાને એક બાળક પણ હતું. પણ રાજકુમાર વયમાં નાના હોવાથી મૃગાવતી રાણીને એમના બાળ રાજકુમારની પણ ચિંતા થઈ. ગમે તેમ કરીને મૃગાવતી રાણીએ પોતાની કુશાગ્ર બુદ્ધિથી ચિંતાનો ઉપાય શોધી કાઢ્યો અને કપટ વાપરીને કળા કરી.

મૃગાવતી રાણીએ અત્યંત મીઠાં વચનોથી પોતાના દૂત દ્વારા ચંડપ્રદ્યોત રાજાને કહેવડાવ્યું, “અમે તો તમારા શરણમાં છીએ. પણ મારું બાળક હજુ બહુ નાનું છે. એને કોણ સાચવશે? આજુબાજુના બધા રાજાઓ પણ એના પર આક્રમણ કરીને આ રાજ્યની ધૂળધાણી કરી નાખશે. માટે, મારું બાળક થોડું મોટું થાય ત્યાં સુધી તમે રાહ જુઓ અને હું તો તમારી જ છું.” આ રીતે મૃગાવતી રાણીએ કળાપૂર્વક કામ કર્યું.

ચંડપ્રદ્યોત રાજા તો પહેલેથી જ મૃગાવતી રાણી પર મોહિત થયેલા હતા. એટલે પછી રાજા તો મૃગાવતી રાણીની વાત માની ગયા. પછી ફરી મૃગાવતી રાણીએ ચંડપ્રદ્યોત રાજા પાસે એવી વિનંતી કરી કે, “અમારા રાજ્યના રક્ષણ માટે તમે અમારા રાજનગરની બધી બાજુએથી પથ્થરનો પાકો કોટ ચણાવી આપો. આથી મારું અને મારા બાળકનું રક્ષણ રહેશે.” ચંડપ્રદ્યોત રાજાએ મૃગાવતી રાણીની આ બધી જ માંગણીઓનો સ્વીકાર કર્યો.

વિષયાંધ વ્યક્તિને કશું સૂઝે જ નહીં. વિષયાંધ થયેલા ચંડપ્રદ્યોત રાજા કંઈપણ વિચાર્યા વગર મૃગાવતી રાણી જેમ કહે એમ બધું જ કરતા ગયા. રાજા દ્વારા આખો કોટ બંધાવી આપ્યા બાદ મૃગાવતી રાણીએ ફરી એમને કહ્યું, “હવે, મારી પાસે ખાવા-પીવાનું કશું નથી. એટલે મને ધનધાન્ય મોકલી આપો.” પછી રાજાએ રત્નો-દાગીના અને ધનધાન્ય વગેરે બધું જ મૃગાવતી રાણીને મોકલી આપ્યું.

આમાં આશ્ચર્યની વાત તો એ છે કે હજુ ચંડપ્રદ્યોત રાજાએ મૃગાવતી રાણીને માત્ર ચિત્રમાં જ જોયા હતા. તેઓ ક્યારેય મૃગાવતી રાણીને વ્યક્તિગત રીતે મળ્યા ન હતા. માત્ર રાણીનું ચિત્ર જોઈને મોહિત થતાં જ તેઓ રાણીની એકે-એક માંગણી પૂરી કરતા ગયા. વિષયથી અંધ થયેલો માણસ શું ના કરે? વિષયાંધ માણસ તો ભગવાનને પણ ભૂલી જાય! ભગવાન પણ એના હૃદયમાં ના આવે અને ભગવાનની કહેલી એક વાત પણ એને ના સમજાય.

મૃગાવતી રાણી માટે ચંડપ્રદ્યોત રાજાને જબરજસ્ત આકર્ષણ હતું. એમને રાણી પર બરોબર વિશ્વાસ પણ બેસી ગયો હતો. ચંડપ્રદ્યોત રાજા દ્વારા મૃગાવતી રાણીના રાજ્યમાં મજબૂત કોટ બંધાતાં જ રાણી અને રાજકુમાર બંને પોતાના કોટના દરવાજા બંધ કરીને અંદર સુરક્ષિત રહ્યા. મૃગાવતી રાણીએ પોતાના બધાં જ સુભટો અને સૈનિકોને કોટની દિવાલ ઉપર બેસીને રાજ્યનું રક્ષણ કરવાનો આદેશ આપ્યો. રાણીના રાજ્યમાં થતી ગતિવિધિઓ જોઈને ચંડપ્રદ્યોત રાજા સમજી ગયા કે કંઈક ગરબડ થઈ ગઈ છે.

રાજા જબરજસ્ત ગુસ્સે ભરાયા અને તેઓ પણ મૃગાવતી રાણીના કોટની બહાર પોતાનું મોટું સૈન્ય લઈને બેસી રહ્યા. રાજાને અંદર મનોમન રાણી પ્રત્યે બદલાની તીવ્ર ભાવના જાગી અને એમણે નક્કી કર્યું કે આમના લશ્કરને પોતે હંફાવશે તો ખરા. વિષયમાંથી કેટલી બધી દ્વેષ અને વેર ભાવનાઓ ઊભાં થયા જ કરતી હોય છે. જે રાજા મૃગાવતી રાણી પર મોહિત હતા એ જ રાજાને હવે એમની માટે જબરજસ્ત બદલો લેવાની ભાવના થઈ. જ્યાં સાચો પ્રેમ હોય ત્યાં બદલાની ભાવના ના હોય; ત્યાં આગળ તો બલિદાન આપવાની વાત હોય. જેની માટે આપણને ખરો પ્રેમ હોય ત્યાં એનો એકેય દોષ કે નેગેટિવ ના દેખાય. ચંડપ્રદ્યોત રાજાને મૃગાવતી રાણી પ્રત્યે પ્રેમ ન હતો પણ આસક્તિ હતી.

મૃગાવતી રાણીનો વૈરાગ

ઘણો વખત એવું ચાલ્યું. પછી મૃગાવતી રાણીને અંદર થયું, “આ બધું શું થઈ રહ્યું છે? આને કેવી રીતે જીવન કહેવાય? આવી રીતે ક્યાં સુધી હું મારા બાળક સાથે પુરાઈને ભયમાં રહું? હું મારા બાળકને કઈ રીતે સંસ્કાર આપીશ? હું ભયમાં ને ભયમાં રાત-દિવસ રહું છું. મારા બાળકને પણ આના કેવા પડઘા પડતા હશે!” મૃગાવતી રાણી બહુ ગભરાતાં હતાં. એમ કરતાં કરતાં એમને વૈરાગ આવ્યો અને અંદર થયું, “ભગવાન મહાવીર, ક્યાં છો તમે? મારી પ્રાર્થના સુણો અને મને ઉગારો. મારે તો  તમારી પાસે દીક્ષા લેવી છે.”

ભગવાન તો અંતર્યામી હતા, કેવળજ્ઞાની હતા; એમને મૃગાવતી રાણીના પડઘા પહોંચ્યા, સ્પંદનો પહોંચ્યાં. ભગવાને એમની પુકાર સાંભળી લીધી. મૃગાવતી રાણીનો ઉદ્ધાર કરવા કુદરત ભગવાનને મૃગાવતી રાણીના નગરની બહાર ખેંચી લાવી. ભગવાન દેશના આપવા માટે બિરાજ્યા અને ત્યાં દેવોએ સમવસરણ રચ્યું.

ભગવાન મહાવીર પોતાના રાજ્યમાં પધાર્યા છે એવું સાંભળતાં જ મૃગાવતી રાણીનું રોમેરોમ થનગની ઊઠ્યું. તેમને ખૂબ આનંદ-આનંદ થઈ ગયો અને એમનો બધો જ ભય જતો રહ્યો. તેમણે પોતાના બધા જ નગરજનો, સૈનિકો ને બધું લાવલશ્કર લઈને બારણા ખોલી દીધાં અને ખૂબ હિંમતભેર ભગવાનનાં દર્શન માટે ગયાં. ત્યાં એમને ચંડપ્રદ્યોત રાજાની જરાય બીક ન લાગી. રાજા માટે એમને કોઈ ભાવ ન રહ્યો; એમના મનમાં ભગવાન ભગવાન જ થઈ ગયું હતું.

જ્યારે ભગવાનના દર્શનની આવી તાલાવેલી લાગે ત્યારે ખરા દર્શન થયાં કહેવાય. નહીં તો આપણે ભય, કષાયો બધું સાથે લઈને દર્શન કરવા જતા જોઈએ છીએ. મૃગાવતી રાણીની ભગવાન મહાવીર પ્રત્યે ભક્તિ જબરજસ્ત હતી. ભક્તિ પછી મૃગાવતી રાણીને આગળ ભગવાન પાસેથી જ્ઞાનની પ્રાપ્તિ પણ થઈ. એમના જીવનમાં ભક્તિ અને જ્ઞાનનો સુંદર સમન્વય થયો. ભક્તિ અને જ્ઞાન એકાંતે નહીં પણ બંને સાથે હતાં.

મૃગાવતી રાણી ભગવાન પાસે સમોવસરણમાં ગયાં અને ખૂબ ભક્તિથી ભગવાનને નમસ્કાર કર્યા. આ બાજુ ચંડપ્રદ્યોત રાજા પણ ભગવાન મહાવીરના અનુયાયી હતા. એમને પણ ભગવાન પ્રત્યે ખૂબ ભક્તિ હતી. ભગવાનના આગમનના સમાચારથી તેઓ પણ ભગવાન પાસે પહોંચ્યા. સમોવસરણમાં આવીને ભગવાનની હાજરીમાં બંને ચંડપ્રદ્યોત રાજા પોતાનું બધું જ વેર, બદલો ભૂલી ગયા. એટલું જ નહીં પણ મૃગાવતી રાણી માટે એમને જે વિષયાંધપણું ઊભું થયું હતું એ પણ શમી ગયું.

મૃગાવતી રાણીએ ભગવાનને પ્રાર્થના કરી, “પ્રભુ, મને દીક્ષા આપો.” પછી મૃગાવતી રાણીએ ચંડપ્રદ્યોત રાજાને પણ નમસ્કાર કરીને કહ્યું, “મને તમે આ વેરમાંથી છોડો. આ દીકરો મેં તમને સોંપ્યો છે; તમારો જ છે અને મારે તો દીક્ષા લેવી છે. મારે હવે મારા જીવનનો ઉદ્ધાર કરવો છે.” ભગવાન મહાવીરની હાજરીમાં મૃગાવતી રાણીના આવા ભાવ જોતાં જ ચંડપ્રદ્યોત રાજાનું દિલ પીગળી ગયું. રાજાના પણ ભગવાનની હાજરીમાં બધા જ કષાયો, વેરઝેર છૂટી ગયા અને ખૂબ પ્રેમથી એમણે વિનંતીનો સ્વીકાર કર્યો.

મૃગાવતી રાણીના રાજકુમાર પુત્રને તેમણે કૌશાંબી નગરીનો નાનો રાજા બનાવ્યો. એમણે રાજ્યમાં એવી બધી વ્યવસ્થા કરી કે કોઈ એને જરાય પણ આંચ ના આવવા દે. ચંડપ્રદ્યોત રાજાએ મૃગાવતી રાણીના પુત્રને પોતાના પુત્રની જેમ અપનાવ્યો અને પછી મૃગાવતી રાણીએ દીક્ષા લીધી.

મહાસતી મૃગાવતીને કેવળજ્ઞાન

ભગવાન મહાવીરે મૃગાવતી રાણીને મહાસતી ચંદનબાળાને સોંપ્યા. મૃગાવતીજી ચંદનબાળા મહાસતીના અંગત થઈને રહેતાં હતાં. મૃગાવતીજીએ ભગવાનની દેશના સાંભળીને તપ, ભક્તિ અને આરાધના કરીને ખૂબ પ્રગતિ કરતાં હતાં.

એક વખત એવું બન્યું કે ભગવાન મહાવીરની દેશના ચાલતી હતી ત્યારે સૂર્ય અને ચંદ્ર બંને એકસાથે, એક જ સમયે પોતાના બિંબ સાથે, પોતાના મૂળ વિમાન સાથે ભગવાન મહાવીરના સમોવસરણમાં દેશના સાંભળવા પધાર્યા. આ અધ્યાત્મ જગતનું એક મોટું આશ્ચર્ય ગણાય છે અને ઇતિહાસ પણ કહે છે કે આ ૨૫૦૦ વર્ષ પહેલાંની જ વાત છે. પશ્ચિમી જગતમાં પણ એવું કહેવાય છે કે એ કાળમાં, એ સમયે, એક-બે કલાક માટે ઘોર અંધારું થઈ ગયું હતું. ચંદ્ર પણ ન દેખાય અને સૂર્ય પણ ન દેખાય. આમ તો ક્યારેય સૂર્ય અને ચંદ્ર સાથે જ આવે એવું બને નહીં પણ મહાવીર ભગવાનના વખતમાં આવું આશ્ચર્ય બન્યું હતું.

તે સમયે ભગવાનની દેશનામાં, સૂર્ય અને ચંદ્ર બંનેની હાજરીને કારણે દિવસ હતો કે રાત એ ખબર ના પડી. ખરેખર, ત્યારે રાત્રિનો સમય હતો પણ સૂર્યદેવની હાજરીમાં ખબર ના પડી. રાત્રિનો સમય હોવાથી ચંદનબાળા મહાસતીની સાથે બધાં સાધ્વીઓ પોતાને ઉતારે ચાલ્યાં ગયાં હતાં. પણ મૃગાવતી મહાસતી ભગવાનની દેશના સાંભળવામાં ખૂબ જ તલ્લીન થઈ ગયાં હતાં અને એમને ખ્યાલ ન રહ્યો કે રાત પડી ગઈ છે.

એટલે સૂર્યદેવ અને ચંદ્રદેવની વિદાય બાદ સમવસરણની સભામાં એકદમ અંધારું થઈ ગયું હતું અને એ જોઈને મૃગાવતી એકદમ ગભરાઈ ગયાં કે, “અરે, આ શું થઈ ગયું? મારા નિયમનો અને આચારનો ભંગ થઈ જશે!” એમને અંદર ખૂબ ભય લાગ્યો અને ઉતાવળાં ઉતાવળાં તેઓ પોતાના ગોરાણી ચંદનબાળા મહાસતી પાસે પહોંચી ગયાં. ત્યાં જતાં જ ચંદનબાળા મહાસતીએ એમને પૂછ્યું, “કેમ તમને મોડું થયું?” પછી મૃગાવતીએ પોતાનું મોડા આવવાનું કારણ કહ્યું. ત્યારે ચંદનબાળાએ એમને જરા ઠપકો આપ્યો, “તમારે ધ્યાન રાખવું જોઈએ ને! આપણા આચારમાં આવું આવતું નથી.” આ સાંભળીને મૃગાવતીને અંદર ખૂબ પશ્ચાત્તાપ થયો કે, “અરર! મેં કેટલી બધી ભૂલ કરી! આવું તો ચાલે? આ ખોટું થઈ ગયું.” એમણે પોતાની જાતને તિરસ્કાર કરીને ખૂબ ધિક્કારી. છેવટે, એમણે પોતાની ભૂલનો હૃદયથી ખૂબ પશ્ચાત્તાપ, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન કર્યાં. એમને આખી રાત આવું ચાલતું હતું. એમ કરતાં કરતાં અંતે એમનાં બધાં આવરણો ખૂલી ગયાં અને એમને કેવળજ્ઞાન થઈ ગયું.

મૃગાવતી કરતાં ચંદનબાળા પદમાં ઊંચાં હતાં; છતાં પણ મૃગાવતીને પહેલું કેવળજ્ઞાન થઈ ગયું. કેવળજ્ઞાનમાં કોઈ નિયમ નથી હોતો; ક્યારે કોઈને ક્ષયોપશમ થાય, ક્ષપકશ્રેણી ચડી જાય અને એને કેવળજ્ઞાન થઈ જાય! મૃગાવતીને કેવળજ્ઞાન થયું છે એ અંગે ચંદનબાળાને ખબર જ ન હતી.

એ જ રાત્રે, ચંદનબાળા મહાસતી સૂતાં હતાં અને ત્યારે મૃગાવતી મહાસતી પોતાના કેવળજ્ઞાનના આનંદમાં ખૂબ જાગૃત હતાં. ત્યારે એવું બન્યું કે એક મોટો વિષવાળો સાપ ચંદનબાળા મહાસતીની એકદમ બાજુમાં પાસે જ પડ્યો હતો. એ મૃગાવતીને એમના કેવળજ્ઞાનમાં દેખાયું એટલે તેમણે ધીમે રહીને ચંદનબાળાનો હાથ પથારીમાંથી ખસેડીને બાજુએ મૂક્યો. ત્યારે ચંદનબાળા મહાસતી એકદમ ઝબકીને જાગી ગયાં અને એમણે કહ્યું, “કેમ તમે મને આવું કર્યું? મારા હાથને કેમ અડાડ્યો? મને કેમ ખસેડી?” ત્યારે મૃગાવતીએ કહ્યું, “અહીંયાંથી સાપ જતો હતો એટલા માટે.”

પછી એ બાજુ જોઈને ચંદનબાળાજીએ કહ્યું, “તમને સાપ ક્યાંથી દેખાયો અંધારામાં? સાપ કેવી રીતે દેખાય?” આ એમણે ફરી મૃગાવતીજીને ખખડાવી. પછી મૃગાવતીએ કહ્યું, “મને કેવળજ્ઞાન થયું છે અને કેવળજ્ઞાનના આધારે આ સાપ દેખાય છે.” પછી ચંદનબાળાએ જરાક બારણું ખોલીને જોયું તો એમને ચંદ્રના અજવાળામાં સાપ બહાર જતો દેખાયો.

એટલે ચંદનબાળા મહાસતીને અંદર ખૂબ પસ્તાવો થયો કે, “અરે! મેં મૃગાવતીને ખોટા ખખડાવ્યા. આ તો મેં કેવળીની અશાતના કરી. એમની વાત પર મેં શંકા કરી અને ખૂબ મોટી અશાતના કરી.” એમ કરીને આખી રાત સુધી ચંદનબાળાને ખેદ રહ્યો. એમને ચેન જ પડતું ન હતું. એમણે અંદર ખૂબ દિલથી મૃગાવતી મહાસતીના પશ્ચાત્તાપ અને પ્રતિક્રમણ કર્યાં. મહાસતી ચંદનબાળા પણ કેવળજ્ઞાનને પામ્યાં.

આપણાથી કોઈના પ્રત્યે દોષ, આશાતના, તિરસ્કાર કે અભાવ થઈ જાય તો એની માટે પ્રતિક્રમણ એ મોટામાં મોટું હથિયાર છે. પ્રતિક્રમણ ભગવાન મહાવીરે આપ્યું છે. મૃગાવતી અને ચંદનબાળા જેવી મહાસતીઓ પોતાના જીવનમાં એક જ રાતમાં આ પ્રતિક્રમણ, પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત કરીને પોતાના દોષથી મુક્ત થઈને કેવળજ્ઞાન પામ્યાં.

આપણે કેવળજ્ઞાન તો આ કાળમાં પામી શકીએ એમ નથી પણ આત્મજ્ઞાન સુધી તો જઈ શકીએ એમ છીએ. માટે આપણે જેના જેના દોષો જોયા હોય, જેની જેની સાથે અભાવ-તિરસ્કાર કર્યા હોય તેના માટે આપણે ખૂબ જ જાગૃતિપૂર્વક એક-એક દોષને યાદ કરીને, એની અંદર બેઠેલા પરમાત્માને દિલથી નમસ્કાર કરીને પશ્ચાત્તાપ કરીને માફી માંગી લઈએ અને ફરી આવું નહીં કરીએ એવું નક્કી કરીએ. તો આપણે દોષમાંથી છૂટીએ અને આત્મજ્ઞાન તરફ આપણી પ્રગતિ થાય છે.

આ બંને મહાસતીઓ સ્ત્રીદેહે હતાં અને બંને કેવળજ્ઞાન પામ્યાં. કેવળજ્ઞાન પામ્યાં એટલે સાહજિક રીતે બંને એ જ ભવે મોક્ષે ગયાં. મૃગાવતી અને ચંદનબાળા ભગવાન મહાવીરના વખતમાં થઈ ગયેલી સોળ સતીઓમાંથી હતાં. ભગવાન મહાવીરના વખતમાં અમુક સ્ત્રીઓ કેવળજ્ઞાનને પામી હતી અને અમુકે તીર્થંકર ગોત્ર બાંધ્યું હતું. તેમ છતાં અમુક શાસ્ત્રો પ્રમાણે સ્ત્રીનો મોક્ષ નથી, પણ ઇતિહાસમાં તીર્થંકર શ્રી મલ્લિનાથ ભગવાન સ્ત્રીદેહે મોક્ષે ગયાં અને મૃગાવતી અને ચંદનબાળા મહાસતી પણ મોક્ષે ગયાં. એટલે સ્ત્રીને પણ મોક્ષ જવાનો અધિકાર છે એમ આપણે પોઝિટિવ લઈને ચાલીએ. આપણે પણ ખરેખર જો છૂટવું હોય તો જ્ઞાન અને વર્તમાન તીર્થંકરની આરાધનાથી છૂટી શકાય એમ છે.

આગળ, ગોશાળાએ ભગવાન મહાવીર પર તેજોલેશ્યા ફેંકી અને એ તેજોલેશ્યાની ભગવાન પર શું અસર થઈ એ જાણીએ.

Related Topic

×
Share on