
શ્રી મહાવીર ભગવાનને કેવળજ્ઞાન થયા બાદ એમના અગિયારે ગણધરો, સાધુ-સાધ્વીજીઓ અને શ્રાવક તથા શ્રાવિકાઓ સહિત ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ અને ભગવાને સમોવસરણમાં ભવ્ય દેશના આપી. ભગવાન મહાવીરની ઉત્કૃષ્ટ ભક્તિ ધરાવતા શ્રેણિક મહારાજા, રાણી નંદા, એમના પુત્ર અભયકુમાર અને રાણી ચેલણાનો પરિચય મેળવીએ.
શ્રેણિક રાજાના પૂર્વભવની આ વાત છે. એમના પૂર્વભવમાં એક નગરીમાં તેઓ સુમંગલ નામના એક રાજકુમાર હતા. એમનો એક મંત્રીપુત્ર હતો. એ બંને જણા મિત્રો હતા પણ મંત્રીપુત્રનો દેખાવ બેડોળ અને વિચિત્ર હતો. મંત્રીપુત્રને જોતાં જ બધાને હસવું આવે એવો એનો દેખાવ હતો. એની ઊંટ જેવી ડોક, હાથીના સૂપડા જેવા પગ અને વાળ તો ઘાસની જેમ જાણે ઊભા જ રહેતા હતા. રાજકુમારને એ મંત્રીપુત્ર સાથે ખૂબ જ મૈત્રી હોવા છતાં જ્યારે તેઓ મંત્રીપુત્રને જોતા તો એ હસ્યા વગર રહેતા જ ન હતા. આ બાબતે મંત્રીપુત્રને અંદર બહુ જ દુઃખ રહેતું.
હંમેશા આપણે જ્યારે કોઈના પણ શરીરના અંગ-ઉપાંગ કે દેખાવ માટે મશ્કરી કરીએ તો એનું પરિણામ બહુ ખરાબ આવે છે. કારણ કે દરેકને પોતાના દેહ પ્રત્યે ખૂબ દેહાધ્યાસ હોય છે કે, “આ દેહ તે ‘હું’ જ છું.” એવું પોતાને લાગે છે. એટલે જો દેહને માટે કંઈ પણ બોલવામાં આવે તો એને લાગે કે બધું મને જ કહે છે. પછી વ્યક્તિને પણ એ બાબતનો બહુ ભોગવટો આવે છે. એટલે આપણે ક્યારેય પણ કોઈ બેડોળ હોય, કોઈ જાડો કે ગમે તેવો હોય તો પણ કોઈની મશ્કરી ના કરાય. કારણ કે એનાથી એ વ્યક્તિને દુઃખ થાય છે. નાનપણમાં હંમેશા સુમંગલ રાજકુમાર પેલા મંત્રીપુત્રની આવી રીતે મશ્કરી કરતા. એ બંને યુવાન થયા પછી પણ આવી મશ્કરી ચાલતી જ રહી અને તે મંત્રીપુત્ર અત્યંત દુઃખી થતો.
પછી એક વખત તો એ મંત્રીપુત્રને જબરજસ્ત વૈરાગ આવ્યો અને એને થયું, “આ જીવન જીવવા જેવું જ નથી. આવો કેવો દેહ લઈને હું આવ્યો!” એ પૂર્વભવનું કર્મ જ હતું, નામકર્મ! સારું પુણ્ય લઈને આવ્યો હોય તો સરસ, રૂપાળો દેહ મળે અને જો પાપનો ઉદય હોય તો પછી વિચિત્ર, કદરૂપો દેહ મળે. બિચારો મંત્રીપુત્ર આવું પૂર્વકર્મ લઈને આવ્યો હશે. એને ભોગવવાનું બહુ આવ્યું હતું. છેવટે, મંત્રીપુત્રને જબરજસ્ત વૈરાગ આવ્યો અને એણે પોતે નક્કી કર્યું કે, “હવે આ ટોળામાં મારે જીવવું જ નથી.” એ પોતે તાપસ થઈને જંગલમાં ગયો અને ત્યાં તેણે ખૂબ તપશ્ચર્યા કરી.
આ બાજુ સુમંગલ રાજકુમાર ગાદી પર આવ્યા અને એમણે સરસ રીતે પોતાનું રાજ્ય ચલાવ્યું. ત્યારબાદ ઘણા વર્ષો પછી મંત્રીપુત્ર તાપસ, ખૂબ લબ્ધિઓ અને સિદ્ધિઓ મેળવીને એ પાછો એ જ ગામમાં આવ્યો. એના ગામમાં આવતાં જ સૈનિકો અને રાજાએ એને ઓળખી લીધો. પોતાના જૂના મંત્રીપુત્રને જોઈને રાજાને ખૂબ આનંદ થયો અને તેમણે મંત્રીપુત્રનું ખૂબ પ્રેમથી સ્વાગત કરીને, પૂજા અને નમસ્કાર કર્યાં.
પછી રાજાએ મંત્રીપુત્ર તાપસને વિનંતી કરી, “તમારે જ્યારે ઉપવાસનું પારણું હોય તો મને તમે લાભ આપજો. હું જરૂરથી તમને પારણું કરાવીશ.” મંત્રીપુત્ર તાપસે એક એક મહિનાના ઉપવાસ કરતો હતો. પછી એ ચાલ્યો ગયો. જતાં જતાં એ તારીખ આપતો ગયો કે આ તારીખે મારા પારણાં છે; હું પાછો આવીશ. જ્યારે મહિના પછી પારણાં માટે તાપસ પાછો આવ્યો ત્યારે એ રાજાને પારણું કરાવવાનું ખ્યાલમાં જ નહોતું; એ ભૂલી ગયા હતા. તે તાપસ આવીને જતો રહ્યો. કોઈએ એનો આદરસત્કાર કર્યો ન હતો. એ સમતામાં હતો અને એક મહિના પછી ફરી પાછો પારણાં માટે આવ્યો.
થોડા સમય બાદ પછી રાજાએ ફરી તાપસને જઈને વિનંતી કરીને કહ્યું, “અરે, હું તો ભૂલી ગયો. તમે ફરી પાછા મને લાભ આપજો.” ફરી આવતા મહિનાની તારીખ તાપસે આપી. પછી મહિના બાદ જ્યારે ફરીથી એ પારણાંનો દિવસ આવ્યો ત્યારે રાજાને ખૂબ માંદગી આવી હતી અને માંદગીને કારણે તેઓ પોતાના અંતઃપુરમાંથી બહાર આવ્યા જ ન હતા. આ બાજુ બધા સૈનિકોએ રાજા માંદા છે એમ કહીને પેલા મંત્રીપુત્ર તાપસને બારોબાર રવાના કર્યો. તે તાપસની કંઈ આગતાસ્વાગતા થઈ ન હોવાને કારણે તે પાછો જતો રહ્યો.
પછી ત્રીજી વાર એવું જ બન્યું. સુમંગલ રાજાએ પાછા જઈને માફી માંગી. ત્રીજી વાર રાજાને લાભ આપવા મંત્રીપુત્ર તાપસ પણ ત્રીજી વાર પારણાં માટે તૈયાર થયો. તાપસ જ્યારે ત્રીજી વખત પારણું કરવા રાજમહેલમાં આવ્યો ત્યારે રાજાને સખત માંદગી હતી. એટલે પછી રાજાના બધા મંત્રીઓને થયું, “આ તાપસ કંઈક અપશુકનિયાળ છે. એ જ્યારે જ્યારે આવે છે, ત્યારે ત્યારે આપણા રાજા માંદા પડી જાય છે. માટે આને બહાર કાઢો; આને આવવા જ ના દેશો. એનું અપમાન કરીને કાઢી મૂકો એટલે એ ફરી આવે જ નહીં.” એટલે બધાએ તાપસને ખૂબ અપમાન કરીને કાઢી મૂક્યો.
આ બાજુ મંત્રીપુત્ર તાપસને અંદર જબરજસ્ત માન ઘવાયું. એને અપમાનનો જબરજસ્ત ઘા લાગ્યો અને એણે નક્કી કર્યું, “હું ખૂબ તપશ્ચર્યા કરું અને આ તપશ્ચર્યાનું મને જે કંઈ પણ ફળ મળે, એના પરિણામે હું આવતા ભવે આ રાજાનો જબરજસ્ત વેરવી બનું; એના મોતનું હું નિમિત્ત બનું.” એવું એણે નિયાણું બાંધ્યું. તપશ્ચર્યા કરીને તાપસ દેવગતિમાં ગયો.
અંતે જ્યારે રાજાને પાછળથી આની જાણ થઈ ત્યારે એમને પણ વૈરાગ આવ્યો. રાજા પોતે પણ તાપસ થયા અને ખૂબ તપશ્ચર્યા કરીને તેઓ પણ દેવગતિમાં ગયા. રાજાને તો આ બધા વિશે કંઈ ખબર જ ન હતી; એ તો પોતાના રાજમહેલમાં બીમારીમાં તરફડતો હતો અને મંત્રીઓએ અપમાન કરીને તાપસને કાઢી મૂક્યો હતો. સુમંગલ રાજા અને મંત્રીપુત્ર તાપસ વચ્ચે આ બધું અજાણતાં થઈ ગયું છતાં પણ વેર તો બંધાયું. પાપ તો ઊભું થઈ જ ગયું. અજાણતા થયું પણ સામાને તો દુઃખ થયું જ ને! એ કંઈ છોડે! સામો કંઈ છોડતો હશે?
લોકો કહે છે કે અજાણતા કરેલા પાપનું કંઈ ફળ ના આવે; જાણીને કરીએ તો જ આવે. એવું નથી! કર્મનો કાયદો એવું શીખવાડતો નથી. જાણતા કે અજાણતા કરેલું હોય એનું ફળ તો આવે જ છે. જેણે જાણીને પાપ કે પુણ્ય કર્યું હોય એને જાણીને ભોગવવાનું હોય અને અજાણતા જેનાથી પાપ કે પુણ્ય થયું હોય એને અજાણતા ભોગવવાનું હોય, પણ કર્મ તો ભોગવવાનું જ હોય છે; કોઈ એમાંથી છટકી તો ના જ શકે. એ નિયમ છે, સિદ્ધાંત ક્યાંય ફેરફાર ના થાય. પણ હા, ભોગવટામાં ફેરફાર થઈ શકે. કર્મોનો ન્યાય ચોક્કસ છે.
આ કુદરતના ધર્મનો કાંટો છે; એમાં ક્યાંય ફેરફાર થાય નહીં. સુમંગલ રાજાના નિમિત્તે પેલા તાપસને અજાણ્યામાં અપમાન કરીને કાઢી મૂકવામાં આવ્યો, તો એનું ફળ તો એને આવ્યું જ. તાપસે વેર બાંધ્યું જેનું ભયંકર ફળ આવ્યું. કોઈને જાણ્યે કે અજાણ્યે દુઃખ ના હો એવી ભાવના કરવી. અને કોઈને અજાણતા દુઃખ થઈ ગયું હોય અને એવી ખબર પડે તો તરત બોલવું કે, “મારાથી જાણ્યે-અજાણ્યે કોઈથી દુઃખ પડ્યું હોય તેની માફી માંગું છું, પશ્ચાત્તાપ કરું છું.”
સુમંગલ રાજા અને મંત્રીપુત્ર બંને તાપસ થઈને દેવગતિમાં ગયા અને ત્યાંથી આયુષ્ય પૂરું કરીને મનુષ્યમાં જન્મ લીધો.
સુમંગલ રાજાએ દેવગતિનું આયુષ્ય પૂરું કરીને મગધ દેશના પ્રસેનજિત રાજાના પુત્ર શ્રેણિક તરીકે જન્મ લીધો. શ્રેણિક મહારાજા જબરજસ્ત સ્વરૂપવાન અને બુદ્ધિમાન હતા. તેઓ જેમ મોટા થતા ગયા તેમ તેમ બધી વિદ્યાઓ ઝડપથી શીખી લીધી.
પોતાના રાજ્યના મુખ્ય સૂત્રધારની યોગ્ય પસંદગીના હેતુથી પ્રસેનજિત રાજાએ બધા રાજકુમારોની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. પ્રસેનજિત રાજાએ બધા રાજકુમારોને જમવા માટે બેસાડ્યા અને પછી ત્યાં જ બહુ બધા કૂતરાંઓ છોડ્યા. કૂતરાંઓ બધાની થાળીઓમાંથી ખાવાનું લઈ લેવા ભસતાં ભસતાં, તરાપ મારતાં આવ્યા. જેવા કૂતરાંઓ પેસ્યા એવા જ બધા રાજકુમારો એમની થાળીઓ એમની એમ મૂકીને ડરીને ભાગી ગયા.
આ બાજુ શ્રેણિકકુમાર બહુ બુદ્ધિશાળી હતા એટલે ધીમે રહીને તેઓ ભાગી ગયેલા રાજકુમારોની થાળીમાંનો ખોરાક કૂતરાંઓને નાખતા ગયા અને પછી પોતે પણ નિરાંતે પોતાની થાળીનો આહાર આરોગ્યો. આ રીતે શ્રેણિક કુમારે બધાં જ કૂતરાંઓને વ્યસ્ત રાખ્યા. આ પ્રસંગ પરથી એમના પિતા પ્રસેનજિત રાજા ખૂબ ખુશ થયા અને તેમને શ્રેણિકકુમાર ખરેખર બુદ્ધિશાળી લાગ્યા.
હવે બીજી પરીક્ષામાં પ્રસેનજિત રાજાએ કરંડિયામાં લાડુઓ ભરીને મૂકાવ્યા અને સાથે બંધ ઘડામાં પાણી ભરીને મૂકાવ્યું. રાજાએ બધા રાજકુમારોને કહ્યું, “આ બંધ કરંડિયામાં જે લાડુઓ છે તે તમે તોડ્યા વગર ખાઓ અને માટલાને તોડ્યા વગર એનું પાણી પીઓ.” આ સાંભળીને કોઈ રાજકુમારને કશું સૂઝ્યું નહીં, એટલે બધા નિરાશ થઈને બેસી ગયા. જ્યારે શ્રેણિકકુમાર તો ખૂબ બુદ્ધિશાળી હતા. તેમણે કરંડિયામાં જે જાળી હતી એમાં સળી નાખી નાખીને અને જોરથી હલાવીને બધા જ લાડુઓ તોડી નાખ્યા; એના ભૂકા કરી દીધા. ભૂકા થઈ ગયા પછી એમાં સળી જેવું નાંખી ખંખેરીને લાડુ કાઢીને ખાઈ ગયા. બીજા બધા રાજકુમારોએ આ જોયા કર્યું અને પ્રસેનજિત રાજા પણ શ્રેણિકકુમારની બુદ્ધિ જોઈને ખૂબ ખુશ થયા. પછી શ્રેણિકકુમારે માટીના બંધ ઘડા નીચે એક થાળી મૂકીને એમાં ઝમેલું પાણી ભેગું કરીને પીધું. આ બધું જોઈને એમના પિતા પ્રસેનજિત રાજાને ખાતરી થઈ કે એમનો આ પુત્ર સૌથી હોશિયાર છે અને એમનો ઉત્તરાધિકારી થવાને લાયક છે. રાજાને શ્રેણિકકુમાર માટે ખૂબ જ આશા હતી.
બીજી બાજુ એવું થયું કે જેમ જેમ રાજકુમારો યુવાન થયા એમ પ્રસેનજિત રાજાએ એમના રાજ્યની વહેંચણી બધા કુમારોમાં કરી અને શ્રેણિકકુમારને બધાના અધિપતિ બનાવવાનું નક્કી કર્યું. પ્રસેનજિત રાજાએ શ્રેણિકકુમાર સિવાયના પુત્રોને નાના રાજ્યો આપ્યા અને પોતે રાજગાદી પર રહીને શ્રેણિકકુમારને પોતાની પાસે રાખ્યા. એમનો આશય એ હતો કે પોતાની ગાદી પર શ્રેણિકકુમારને બેસાડવા. પણ આ બાબત પ્રસેનજિત રાજાએ જાહેર કરી ન હતી. એટલે શ્રેણિકકુમારને અંદરથી જબરજસ્ત અપમાન જેવું લાગ્યું. ખૂબ ઘા વાગ્યો અને થયું, “મારાથી પણ આ બધા રાજકુમારો ઓછા બુદ્ધિમાન છે, છતાંય આમને આટલું બધું માન મળ્યું, રાજગાદીઓ મળી અને મને કંઈ નહીં!” એમને એટલું બધું અપમાન લાગ્યું કે પછી એ અપમાનથી ઘવાઈને ચુપચાપ રાજાને કે કોઈને પણ કહ્યા વગર ગુપ્ત રીતે પોતે ક્યારેય પાછા નહીં આવે એમ નક્કી કરીને પોતાના રાજ્યમાંથી નીકળીને બીજા દેશ તરફ ગયા.
શ્રેણિકકુમાર એક નગરમાં વણિકની દુકાનમાં ગયા. ત્યાં એમણે પોતાના પ્રભાવ અને બુદ્ધિથી વણિકનો વેપાર ખૂબ વધારી દીધો. વણિકે શ્રેણિકકુમારને પોતાના ઘરે રાખ્યા. થોડા વખત પછી વણિકે જોયું કે શ્રેણિકકુમાર બહુ હોશિયાર હતા અને વેપાર ખૂબ વધી રહ્યો હતો. વણિક પોતાની પુત્રી નંદાના વિવાહ માટે યોગ્ય વરની શોધમાં જ હતા. તેમને લાગ્યું કે એમની પુત્રી માટે આનાથી યોગ્ય વર બીજો કોઈ નહીં હોય. શ્રેણિકકુમારે વણિકને કહ્યું, “આપ મને ઓળખતા નથી! મારી નાત-જાત વિશે આપને ખ્યાલ નથી! આપ ક્યા આધારે આપની પુત્રીને મારા સાથે પરણાવવા તૈયાર થયા છો?” ત્યારે વણિકે ઉત્તર આપ્યો, “જે કંઈ પણ હોય, તમારી હોશિયારી અને તમને જોતાં લાગે છે કે તમે કોઈ ઊંચા ખાનદાનના હશો!” પછી શ્રેણિક કુમારે હા કહી અને નંદા સાથે એમના લગ્ન થયા. પછી નંદા ગર્ભવતી થઈ.
એ જ સમયમાં શ્રેણિકકુમારના પિતા પ્રસેનજિત રાજા બહુ જ માંદા પડ્યા. તેઓ એટલા બધા માંદા પડ્યા કે એમને એમ લાગ્યું કે હું બચી નહીં શકું. એમને શ્રેણિકકુમારની ખૂબ યાદ આવતી હતી અને વિરહ લાગતો હતો. એમણે પોતાના બધા દૂતોને શ્રેણિકકુમારને શોધવા મોકલ્યા. પછી અંતે પ્રસેનજિત રાજાના દૂતોએ શ્રેણિકકુમારને શોધી કાઢ્યા અને રાજાનો સંદેશો આપતા કહ્યું, “તમારા પિતા તમને બહુ જ યાદ કરે છે. તમારે હવે રાજ્યમાં પાછા આવવું જ પડશે.” આ સાંભળી શ્રેણિકકુમારને પણ પોતાના પિતા માટે લાગણી થઈ. દૂત દ્વારા બધી હકીકતો સાંભળ્યા પછી શ્રેણિકકુમારને પોતે જે ગેરસમજણ ઊભી થઈ એ વિશે ખ્યાલ આવ્યો.
પોતાના પિતા પ્રસેનજિત રાજાને મળવા જતાં પહેલાં શ્રેણિકકુમારે એમની પત્ની નંદાને સમાધાન આપીને જલ્દી પાછા આવવાનું કહ્યું. એમણે નંદાને એક નાનકડી ચિઠ્ઠીમાં લખીને આપ્યું, “હું રાજગૃહી નગરીનો ગોપાળ છું.” ગોપાળનો અર્થ રાજા પણ થાય અને ગોવાળ પણ થાય. નંદાએ ચિઠ્ઠી લઈને મૂકી રાખી. શ્રેણિકકુમારને પાછા આવતા જોઈ એમના પિતા પ્રસેનજિત રાજાએ ખૂબ ખુશીથી એમને પોતાની રાજગાદી આપી અને બધાના ઉપરી બનાવ્યા. અંતે, પ્રસેનજિત રાજાએ ધર્મધ્યાનમાં સમય વિતાવ્યો અને શ્રાવકધર્મ અંગીકાર કરીને ખૂબ ભક્તિ કરતાં કરતાં પોતાનો દેહ છોડ્યો. આના પરથી એવું સમજાય છે કે ગેરસમજણમાં જો આપણને સામાની વાતનો આશય પકડાય નહીં તો બહુ મોટું નુકસાન થઈ જાય છે.
આ બાજુ નંદાના કૂખે એક પુત્રનો જન્મ થયો; જેનું નામ અભય રાખવામાં આવ્યું. તેઓ અભયકુમાર તરીકે ઓળખાયા. અભયકુમાર ખૂબ જ બુદ્ધિશાળી હતા. એમના નાનાએ એમને ઘણીબધી વિદ્યાઓ શીખવી હતી. અભયકુમાર એટલા બધા બુદ્ધિશાળી હતા કે જે વિદ્યાઓ શીખતાં પંદર વર્ષ લાગે, એ બધી જ વિદ્યાઓ તેઓ માત્ર છ મહિનામાં જ શીખી લેતા હતા. આમ જોવા જઈએ તો તેઓ શ્રેણિક રાજાના પુત્ર હતા.
એક વખત જ્યારે તેઓ પોતાના મિત્રો સાથે રમતા હતા ત્યારે એમના મિત્રએ એમને ટોણો માર્યો, “તું આટલો હોશિયાર છે પણ શું તને તમારા પિતાનું નામ ખબર છે? તમારા પિતા તો છે જ નહીં.” આ સાંભળીને અભયકુમારને જબરજસ્ત આઘાત લાગ્યો અને થયું ”શું વાત છે? ખરેખર હું પિતા વિનાનો છું? આ બધા શું કહેવા માંગે છે?” અભયકુમારને અંદરથી બહુ જ તાપ તાપ થઈ ગયો. ઘરે જઈને અભયકુમારે એમની માતાને સાચી હકીકત અંગે પૂછા કરી.
પછી નંદા માતાએ ખૂબ આમતેમ જવાબ આપીને બોલવાનું ટાળ્યું પણ અંતે બહુ પૂછા કરતાં એમણે કહ્યું, “તારા પિતા તો જતા રહ્યા છે પણ આ ચિઠ્ઠી મને આપીને ગયા છે. આનો શું અર્થ થાય એ મને ખબર નથી.” પણ અભયકુમાર તો બહુ બુદ્ધિમાન હતા. એમણે માતા દ્વારા આપેલી ચિઠ્ઠી વાંચી, એમાં લખ્યું હતું, “હું રાજગૃહી નગરીનો ગોપાળ છું.” ગોપાળનો અર્થ એમને બરાબર સમજાઈ ગયો કે એમના પિતા ચોક્કસ રાજા જ હશે. પછી અભયકુમાર પોતાની માતાને લઈને રાજગૃહી તરફ જલ્દીથી રવાના થયા. ત્યાં એમણે માતાને ગામની બહાર ઉદ્યાનમાં રાખ્યાં અને પોતે શ્રેણિક રાજા પાસે ગયા.
એ સમયે રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજાને ૫૦૦ મંત્રીઓની નિમણૂક કરવાની હતી, જ્યારે એમની પાસે ૪૯૯ મંત્રીઓ થયા હતા. એક ખૂટતા મંત્રીની શોધ ચાલતી હતી. પણ કોઈ યોગ્ય મંત્રી જડતા નહોતા. મંત્રી બનવા માટે ઘણી બધી પરીક્ષામાંથી પસાર થવું પડે એમ હતું. એ પસાર થઈને એમાં ઉત્તીર્ણ થાય તો એ વ્યક્તિને મંત્રી તરીકે સ્વીકારવામાં આવે. જે સમયે મંત્રીઓની પરીક્ષા લેવાની વાતચીત ચાલુ હતી એ જ સમયે અભયકુમાર ત્યાં ગયા અને એ પરીક્ષામાં એમણે ભાગ લીધો. એ પરીક્ષા એવી હતી કે એક મોટા પાણી વિનાના ખાલી કૂવામાં એક હીરાની વીંટી નાખવામાં આવી હતી. જે કોઈ એ હીરાની વીંટી કૂવાની અંદર ઊતર્યા વગર બહાર રહીને જ કાઢી આપે તો એ બુદ્ધિશાળી કહેવાશે.
પછી કોઈ વ્યક્તિ આ કસોટી પૂરું કરી શક્યું નહીં પણ અભયકુમાર બહુ બુદ્ધિશાળી હતા. એમણે કૂવામાં એ વીંટી ઉપર જ છાણનો પોદળો નાખ્યો; એટલે વીંટી એમાં બરાબર ભરાઈ ગઈ. પછી એના પર બળતા ઘાસના પૂડા અને લાકડાં નાખ્યાં એટલે પાણીનો ભાગ શોષાઈ ગયો અને વીંટી અંદર પકડાઈ ગઈ. ત્યાર બાદ એમણે કૂવામાં અંદર ફટાફટ પાણી ભરાવ્યું અને સુકાયેલું છાણ હલકું હોવાથી કૂવામાં ઉપર આવી ગયું. પછી ધીમે રહીને અભયકુમારે એ પકડીને એમાં રહેલી વીંટી ચોખ્ખી કરીને આપી દીધી.
શ્રેણિક રાજા આ જોઈને ખૂબ ખુશ થઈ ગયા કે અભયકુમાર તો બહુ બુદ્ધિશાળી છે. પછી એમણે અભયકુમારને પાસે બોલાવીને બધી પૂછપરછ કરી. ત્યારે અભયકુમારે પોતાના ગામનું નામ આપ્યું. તો શ્રેણિક રાજાને એકદમ યાદ આવ્યું કે પોતે એ ગામમાં રહ્યા હતા. એમણે અભયકુમારને એક પછી એક બધાની પૂછપરછ કરી. રાજાએ વણિક શેઠ અને એમની પુત્રી નંદા વિશે પૂછ્યું. અભયકુમાર એક પછી એક બધી ઓળખાણ સમાચાર આપતા ગયા. શ્રેણિક રાજા બહુ ખુશ થયા.
પછી છેલ્લે શ્રેણિક રાજાએ પૂછ્યું, “નંદા સગર્ભાવસ્થામાં હતી તો એમના કૂખે કોણ જન્મ્યું? તને કંઈ ખબર છે આ વિશે?” ત્યારે અભયકુમારે ઉત્તર આપ્યો, “હા, એમની કૂખે પુત્ર જન્મ્યો છે.” પછી શ્રેણિક રાજાએ પૂછ્યું, “એમ, તેં જોયો છે એ પુત્ર?” ત્યારે અભયકુમારે હસતા હસતા જવાબ આપ્યો, “એ હું જ પોતે છું; અભયકુમાર છે મારું નામ.” પછી શ્રેણિક રાજા ખૂબ ખુશ થઈને અભયકુમારને ભેટી પડ્યા અને કહ્યું, “જલ્દી જલ્દી, બતાવ તારી માતા ક્યાં છે?” અભયકુમાર શ્રેણિક રાજાને ગામની બહાર લઈ ગયા અને માતા-પિતા બંનેનો મેળાપ કરાવ્યો. અંતે શ્રેણિક રાજાએ અભયકુમાર અને નંદા રાણીને રાજમહેલમાં લાવ્યા અને નંદા રાણીને પોતાની પટરાણી બનાવ્યા. આવી રીતે શ્રેણિક રાજાએ અભયકુમારને મહામંત્રી બનાવીને રાજ્યનો મોટાભાગનો રાજકારભાર સોંપ્યો. આગળ જતાં, એમણે અભયકુમારને અડધું રાજ્ય આપીને એમના ખૂબ સારી કન્યા સાથે લગ્ન કરાવ્યા.
અભયકુમાર બહુ બુદ્ધિશાળી હતા અને એમણે પોતાની બુદ્ધિનો ઉપયોગ બધું પોઝિટિવ કરવામાં જ કર્યો હતો; એ જરાય નેગેટિવિટીમાં નહોતા પડ્યા.
સુજેષ્ટા અને ચેલણા નામની બે રાજકુંવરીઓ હતી. એમાં સુજેષ્ટા કુંવરી ખૂબ જ રૂપવાન હતી. એક વખત સુજેષ્ટાએ સાધ્વીજીનું અપમાન કરીને એમને હરાવ્યાં હતાં. આથી સાધ્વીજીને સુજેષ્ટા કુંવરી માટે ઈર્ષ્યા ઊભી થઈ. જો પોતે આત્મજ્ઞાનમાં ન આવે અને પોતાના કષાયોમાંથી છૂટવાનો પુરુષાર્થ ન માંડે તો આ બધા જ દોષો ઘેરી વળે છે. સાધ્વીજીને જબરજસ્ત ઈર્ષ્યા થઈ અને એમણે નક્કી કર્યું, “આ કુંવરીને એવી જગ્યાએ પરણાવું કે જ્યાં એનું ખૂબ અપમાન થાય અને એવા ખૂબ રાણીઓવાળો રાજા શોધી કાઢું.” આ હેતુથી એ સાધ્વીજી શ્રેણિક રાજા પાસે આવ્યાં અને શ્રેણિક રાજાને એ કુંવરીનું ચિત્ર દોરીને બતાવ્યું. ત્યાં રાજા પણ ચિત્ર જોઈને મૂર્છિત થઈ ગયા અને એમને થયું, “આવી સુંદર રાણી! મારા અંતઃપુરમાં તો આવી એકેય રાણી નથી.”
આ બધી વાત અભયકુમારને ખબર પડી અને એમણે શ્રેણિક રાજાને બધી યોજના ઘડી આપી. અભયકુમારે યુક્તિથી સુજેષ્ટા કુંવરીનું અપહરણ કરવાની યોજના ઘડી અને એ રાજકુંવરીના મહેલમાં સુરંગ ખોદીને ત્યાં પોતાના પિતા શ્રેણિક રાજા અને સૈનિકોને લઈને આવી પહોંચ્યા. આ બાજુ નાની બહેન ચેલણા પોતાની મોટી બહેન સુજેષ્ટા વગર રહી શકે એમ ન હતી. એટલે ચેલણાએ સુજેષ્ટાને કહ્યું, “મને પણ તું લઈ જા.” સુજેષ્ટા કુંવરીએ કહ્યું, “સારું! હું લઈ જઉં છું.” બહુ ઉતાવળમાં ચોરીછુપીથી સુજેષ્ટા કુંવરીનું હરણ કરવાનું હતું. એટલામાં અચાનક સુજેષ્ટા કુંવરીએ કહ્યું, “ઊભા રહો! હું મારો રત્નનો ડાબલો લઈને આવું.” એમ કરીને તે રત્નો લેવા મહેલમાં ગયાં.
આ બાજુ બધા સિપાહીઓ આવ્યા અને ગભરાઈને સમયના અભાવને કારણે ચેલણા કુંવરીનું હરણ કરી ગયા. સિપાહીઓને ખ્યાલ ન હતો કે તેમણે સુજેષ્ટા કુંવરીનું અપહરણ કર્યું હતું કે પછી ચેલણા કુંવરીનું! અપહરણ કર્યા બાદ રસ્તામાં એમને હકીકત ખબર પડી કે સુજેષ્ટા કુંવરી નહીં પણ ચેલણા કુંવરીનું અપહરણ થયું છે. ચેલણા કુંવરી પણ ખૂબ રૂપાળા હતાં અને શ્રેણિક રાજા સાથે એમના લગ્ન થયાં. બીજી બાજુ, સુજેષ્ટા કુંવરીને અંદર બહુ જ ભયંકર દ્વેષ-ઈર્ષ્યા થઈ, “મને છોડીને મારી બહેનને લઈ ગયા.” કારણ કે સુજેષ્ટા કુંવરીને શ્રેણિક રાજા પ્રત્યે અત્યંત રાગ હતો અને રાજા સાથે પરણવું હતું. પણ હવે એમની પાસે કશો ઉપાય જ ન હતો. બધાએ ચેલણા રાણીને શોધવા ખૂબ પ્રયત્નો કર્યા પણ કોઈ પકડી શક્યું નહીં.
અંતે, સુજેષ્ટા કુંવરી ઈર્ષ્યાથી ખૂબ સળગી ગયા અને એમને સંસાર પ્રત્યે વૈરાગ આવ્યો. અંતે તેમણે ચંદના આર્યા પાસે દીક્ષા લીધી અને પોતે સાધ્વી બન્યાં. ઈર્ષ્યા માણસને ભયંકર ભોગવટો આપે છે. સુજેષ્ટા કુંવરીને સવળું સૂઝ્યું અને ઈર્ષ્યામાંથી બહાર નીકળવા એમણે દીક્ષા લીધી એ સારું થયું, નહીં તો ઈર્ષ્યામાં ને ઈર્ષ્યામાં વેર બંધાય અને કેટલાય અવતારો બગડી જાય!
મહાવીર સ્વામીએ પાંચ મહાવ્રતો આપ્યા જે દરેક આધ્યાત્મિક વ્યક્તિએ પાળવા જરૂરી છે. તેમણે આ પાંચ મહાવ્રતોની સંપૂર્ણપણે સ્થાપના કરી. આ વ્રતો આ મુજબ છે:
૧. અહિંસા, તેનો અર્થ છે કે હિંસા ન કરવી.
૨. સત્ય, ‘સત’ એટલે શાશ્વત સત્ય. આ બ્રહ્માંડમાં છ શાશ્વત તત્વો આવેલા છે. જો કે, આત્મા એ આપણું પોતાનું ખરું સ્વરૂપ છે. માટે, તે સૌથી મહત્વનું તત્વ છે, અને તેથી, ‘આત્મા’ એ જ માત્ર ‘સત’ તત્વ છે. જે બીજા પર આધારિત હોય છે, તે બધા સાપેક્ષ સત્ય છે. આપણા માતાપિતાના આધારે ‘હું બાળક છું’, એ સાપેક્ષ સત્ય છે. પત્નીના આધારે, ‘હું બાળક છું’ એ સત્ય નથી, ખરું ને? સાપેક્ષ સત્ય હિત, પ્રિય, મીત અને સામી વ્યક્તિ માટે હિતકારી હોવું જોઇએ. આપણે હંમેશા એવું લક્ષમાં રાખવું જોઇએ કે સાપેક્ષ સત્ય હંમેશા બદલાયા કરે છે. માટે, કોઇ પણ વ્યવહારિક સત્ય માટે કોઇ આગ્રહ રાખવો જોઇએ નહિ.
૩. અચૌર્ય, એટેલે એવું વ્રત કે જેમાં વિચાર, ભાવ, ક્રિયા અને વાણીથી જરા પણ ચોરી ન કરવી.
૪. અપરિગ્રહ, જેનો અર્થ કશાનો માલીકીભાવ ન રાખવો.આપણું શરીર, મન અને વાણી એ આપણો પ્રાથમિક પરિગ્રહ છે. ત્યારપછી, આપણી પત્ની, બાળકો, કુટુંબ, ઘર, ફર્નિચર, સંબંધો, નામ, પ્રતિષ્ઠા, અપમાન, વગેરે બધા આપણા પરિગ્રહો છે. પરિગ્રહ એટલે એવું કંઇ કે, જેના પર આપણું ખેંચાઈ જાય છે. આપણે જયારે આ વ્રતનું સાચા અર્થમાં પાલન કરશું ત્યારે દેહાધ્યાસ, એટલે કે, ‘હું , પોતે જ, શરીર છું’, એની માન્યતા જતી રહેશે. આધ્યાત્મિકતામાં, બાહ્ય પરિગ્રહોનો ત્યાગ કરવો, એનું કોઇ મહત્વ હોતું નથી, પરંતુ આ બાહ્ય પરિગ્રહોમાં રહેલ રાગ (મોહ)ને કાઢી નાખવો એ જ લક્ષમાં રાખવામાં આવે છે. જ્યારે આપણને કોઇ ચિંતા ન થાય ત્યારે જ, ‘અપરિગ્રહ’ની સ્થિતિ ગણાય!
૫. બ્રહ્મચર્ય, ભગવાન પાર્શ્વનાથે માત્ર ચાર મહાવ્રતો જ (બ્રહ્મચર્ય સિવાયના) આપ્યા હતા કારણ કે બ્રહ્મચર્ય તો અપરિગ્રહમાં સમાવિષ્ટ જ છે. જો કે, ભગવાન મહાવીરે પાંચમું વ્રત બ્રહ્મચર્યનું ઉમેર્યું. આ એટલા માટે કે તેઓ જાણતા હતા કે, આવનારા સમયના સામાન્ય માણસો અપરિગ્રહ અને બ્રહ્મચર્ય વચ્ચેના તફાવતને સમજી શકશે નહિ. માટે, તેઓ એવું કહીને ગેરમાર્ગે દોરવાશે કે ભગવાને બ્રહ્મચર્યના સંદર્ભમાં તો કશું કહ્યું નથી. આ ગેરઉપયોગને રોકવા માટે, ભગવાને પાંચમું વ્રત ઉમેર્યું.
રાજગૃહી નજીક, લોહખુર નામનો ખૂબ જ ચાલાક અને ભયંકર ઘાતકી ચોર રહેતો હતો. તે અને તેની પત્નીને રોહિણીયા નામનો પુત્ર હતો. રોહિણીયા, તેના પિતાના પગલાને અનુસરીને, મોટો થઈને તેના પિતા કરતાં પણ વધુ હોશિયાર અને બુધ્ધિશાળી ચોર બન્યો. જેમ જેમ વર્ષો પસાર થતા ગયા, તેમ એક દિવસ વૃધ્ધ લોહખુર મરણ પથારી પર હતો. તેણે રોહિણીયાને બોલાવ્યો અને ક્યારેય પણ મહાવીરનો ઉપદેશ ન સાંભળવાની સલાહ આપી, કારણ કે તેમનો ઉપદેશ તેના વ્યવસાયને અનુરૂપ નથી હોતો. રોહિણીયાએ તેના પિતાને વચન આપ્યું કે તે તેમની સલાહનું હંમેશા અનુસરણ કરશે.

હવે, એક દિવસ, એવું બન્યું કે જ્યારે રોહિણીયા એક જગ્યાએથી પસાર થઈ રહ્યો હતો, ત્યાં જ તેણે ભગવાનનો અવાજ સાંભળ્યો. ભગવાન શ્રાવસ્તી લોકોને દેશના આપી રહ્યા હતા. રોહિણીયાએ તરત જ તેના હાથથી કાન બંધ કરી દીધા. પરંતુ એટલામાં જ, એક તીક્ષ્ણ કાંટો તેના પગમાં ખૂંચી ગયો અને તેને ખૂબ જ દર્દ થવા લાગ્યું. પરિસ્થિતિ એવી બની કે તેને ફરજિયાત પણે કાંટાને કાઢવા માટે એક હાથ કાન પરથી લેવો જ પડે. જેવું તેણે આવું કર્યું કે, તરત જ ભગવાન મહાવીરના આ શબ્દો તેના કાનમાં પડ્યા, “એવી વ્યક્તિ કે જેના પગ જમીનને ન અડતા હોય, જેની આંખ પલકતી ન હોય, જેના શરીરને પરસેવો ન વળતો હોય અને જેમના ગળામાં રહેલ હાર કદી મૂરઝાયેલ ન હોય તો, તે દેવલોકમાંથી આવેલ હોય છે. “ રોહિણીયાએ તરત જ કાંટો તેના પગમાંથી કાઢ્યો અને આગળ વધ્યો.
રોહિણીયાએ પહેલા ક્યારેય ન કરી હોય તેવી લૂંટ ચલાવી. જેના પરિણામે, શહેરના લોકોને ખૂબ હેરાનગતિ થવા લાગી. તેઓએ રાજા શ્રેણિકને વિનંતિ કરી કે રોહિણીયા સામે કોઇ પગલા લેવામાં આવે. રાજાએ તેમના અત્યંત બુધ્ધિશાળી અને વિશ્વાસુ મુખ્ય પ્રધાન, અભયકુમારને બોલાવ્યા અને રોહિણીયાની ધરપકડ કરવા માટેની કામગીરી સોંપી.
અભયકુમારે તેમના સૈનિકોને મહત્વના સ્થળોએ ગોઠવી દીધા અને રોહિણીયાને પકડવામાં સફળ રહ્યા. જો કે, ચોરે વેશપલટો કર્યો. તેથી, જ્યારે તેને લાવવામાં આવ્યો, ત્યારે તેણે પોતે બાજુના ગામનો ખેડૂત છે તેવો પરિચય આપ્યો. રાજાએ તે ગામમાંથી તેની ઓળખ ચકાસવા માટે બોલાવ્યા.. રોહિણીયા હંમેશા બે ડગલાં આગળ જ ચાલતોઅને માટે, તેણે પહેલેથી જ આ બાબતની ગોઠવણી કરી લીધી હતી. પરિણામે, સૈનિકો એવી ખાતરી સાથે પાછા આવ્યા કે આ ઓળખ સાચી છે. અભયકુમાર સારી રીતે જાણતા હતા કે આ વ્યક્તિ રોહિણીયા જ છે, પરંતુ ઓળખના પુરાવા વિના તે કશું કરી શક્યા નહિ. તેથી તેમણે યુક્તિપૂર્વકની યોજના ઘડી.
તેણે ચોરને એટલું બધું મદ્યપાન કરવા માટે મજબૂર કરી દીધો કે તે બેભાન થઇ ગયો. જ્યારે તે ભાનમાં આવ્યો, ત્યારે તેણે જોયું કે તેની આસપાસ દેવલોક જેવું વાતાવરણ રચાયેલું હતું. તે ક્યાં હતો તેની તેને ખબર પડી શકી નહિ. તેથી, તેણે એક અપ્સરાને આના વિશે પૂછ્યું. અપ્સરાએ જવાબ આપ્યો કે તે દેવલોકમાં છે અને તે આ બધા સુખોને ભોગવી શકે છે; પરંતુ તે પહેલા તેણે પોતાના ગતભવના કર્મોનું વર્ણન કરવું પડશે. રોહિણીયા શંકાશીલ હતો. ત્યારે બરાબર, તેને દેવલોક વિશેનો મહાવીરનો ઉપદેશ યાદ આવ્યો. તે આસપાસ જોવા લાગ્યો અને જોયું કે દરેક લોકોના પગ જમીનને સ્પર્શતા હતા, તેઓની આંખો મનુષ્યની જેમ પલકતી હતી, તેઓના શરીરને પરસેવો વળતો હતો અને હારમાંના કેટલાક ફૂલો કરમાયેલા પણ હતા. આ બધી બાબતોની મદદથી તેણે તારણ કાઢ્યું કે, તે ખરેખર દેવલોકમાં નથી. તેને ફસામણરૂપી યોજનાનો ખ્યાલ આવી ગયો અને ત્યાંથી નાસી છુટ્યો.
હવે તે મુક્ત હતો, તો પણ તેને ભગવાનના વચનો જ સતત યાદ આવતા હતા. તેણે વિચાર્યું, “ભગવાનના શબ્દો કેટલા બધા શક્તિશાળી અને અદ્ભૂત હતા!!! મેં ફક્ત એક જ વાક્ય સાંભળ્યું અને કોઇ જાતની ઇચ્છા વિના, તો પણ એ વાક્ય સાંભળવાથી મારો જીવ બચી ગયો. જો હું તેઓને વારંવાર સાંભળું તો, તો મને તેમની પાસેથી ઘણું પ્રાપ્ત થશે. કોણ જાણે, તે મને કદાચ આ જન્મ-મરણના દુષ્ચક્રમાંથી પણ મુક્ત કરી નાખે?!” ઘણા બધા વર્ષો સુધી આવી દૈવીવાણી સાંભળવાની તક ગુમાવી દીધી આ વાતથી તેનું હૃદય પશ્ચાતાપથી દ્રવિત થઇ ગયું. તે મહાવીર સ્વામી પાસે દોડ્યો અને અત્યંત નમ્રતાથી તેઓને પૂછ્યું, “હે ભગવાન, શું હું તમારા શરણોમાં આવવાની પાત્રતા ધરાવું છું? શું તમે મને તમારા શિષ્ય તરીકે સ્વીકાર કરશો?”ભગવાને તેને આ બાબતે સંમતિ આપી.
તે તરત જ રાજા શ્રેણિકની સભામાં ગયો, અને દરેકની હાજરીમાં, તેના ગુનાઓની કબૂલાત કરી. તેણે અભયકુમારને એવા બધા સ્થળો દર્શાવી દીધા જ્યાં તેણે ચોરેલી સંપત્તિ છૂપાવીને રાખી હતી અને એવું જાહેર કર્યું કે તે હવે દીક્ષા લેશે અને ભગવાનના ચરણોમાં બાકીનું જીવન વ્યતીત કરશે. તે ભગવાન પાસે આવ્યો અને તેઓની પાસે હ્રદયપૂર્વક તેણે કરેલા તમામ દુષ્કર્મોની કબૂલાત કરી. તેણે તેના ગુનાઓ બદલ પસ્તાવો કર્યો, અત્યંત કઠિન તપશ્ચર્યા કરી અને પોતાની જાતને તેણે બાંધેલા તમામ ખરાબ કર્મોમાંથી મુક્ત કરી. અંતે, તેણે દીક્ષા લીધી અને તેનું જીવન ભગવાનની ભક્તિમાં અને સેવામાં પસાર થયું. મૃત્યુ પછી, તે દેવગતિમાં ગયો અને દેવ બન્યો. આ કથા આધ્યાત્મિક શક્તિની મહત્વત્તા દર્શાવે છે કે તીર્થંકરની દૈવી વાણીમાં કેટલી બધી શક્તિ હોય છે. જે કુદરતી રીતે જ લોકોના કલ્યાણ કાજે વહેતી હોય અને સાથોસાથ દરેકને માટે અવશ્યપણે લાભદાયી પણ નીવડે છે.
એક દિવસ, વર્ધમાન મહાવીર ઋષભદત્ત ગામમાં આવ્યા અને માતા દેવાનંદા મળ્યા જેમણે પહેલા ભગવાન મહાવીરનો ગર્ભ ધારણ કર્યો હતો. સમોસરણની રચના થઈ અને તેઓ સજોડે ભગવાનનો ઉપદેશ સાંભળવા માટે ત્યાં આવે છે. તેઓ જાણતા ન હતા કે અગાઉ ગર્ભધારણ વખતે ભગવાન તેમના પુત્રરૂપે હતા, આ વાતની જાણ થયા બાદ તેઓ ખૂબ જ પ્રસન્ન થયા. ભગવાને દેશના આપી જેમાં તેમણે કહ્યું, “આ સંસારમાં, સુખ અને દુ:ખ બન્ને નાશવંત છે. શાશ્વત સુખ માત્ર આપણા આત્મામાં જ પ્રાપ્ત થાય છે. માટે, આપણા જીવનનો મુખ્ય ઉદ્દેશ આત્મજ્ઞાન પ્રાપ્તિનો હોવો જોઇએ.” આ દેશના સાંભળીને, તેમના માતા પિતાને સમકિત (સમ્યક દર્શન)ની પ્રાપ્તિ થઇ!
મહાવીર સ્વામી ભગવાન વિહાર કરતાં કરતાં એક વખત તેમના જન્મસ્થાન, ક્ષત્રિયકુંડમાં પધાર્યા. તેમના ભાઇ નંદીવર્ધને ભગવાનની દીકરી પ્રિયદર્શના અને જમાઇ જમાલી સાથે ભગવાનની મુલાકાત લીધી. તેમનો ઉપદેશ શ્રાવકોને સંસારનો ત્યાગ કરવા પ્રેરણા આપતો અને ત્યારબાદ તેઓ ભગવાન પાસેથી દીક્ષા લેતા હતાં. થોડાક વર્ષો પછી, જમાલી આવ્યો અને ભગવાનને પૂછ્યું કે શું તે પણ તેના શિષ્યોની સાથે, જુદાજુદા સ્થળોએ વિહાર કરી શકે અને સાધના કરી શકે. જો કે, ભગવાન શાંત રહ્યા. તેમના મૌનને સંમતિરૂપે સમજીને, જમાલી તેના સંઘ સાથે નીકળી પડ્યો.
એક વખત જમાલીને મેલેરિયા થઈ ગયો. તેને ખૂબ જ નબળાઇ લાગી રહી હતી. તેથી, તેણે તેના શિષ્યોને પથારી તૈયાર કરવાની સૂચના આપી. થોડાક સમય પછી, તે તેના શિષ્યોની તપાસ કરવા ગયો કે પથારી તૈયાર છે કે નહિ. શિષ્યોએ કહ્યું, “હા, પથારી તૈયાર છે.” જ્યારે જમાલી ગયો અને જોયું તો પથારી હજુ તૈયાર થઈ રહી હતી. તેથી, તેણે શિષ્યોને પૂછ્યું કે શા માટે તેઓ જૂઠું બોલ્યા. શિષ્યોએ કહ્યું કે ભગવાન મહાવીરે એવું શીખવ્યું છે કે કોઇ કાર્ય થઈ રહ્યું હોય, એને થઈ ગયેલું જ કહેવાય.
જમાલી ભગવાન પાસે ગયો અને આ બાબત અંગે સ્પષ્ટતા પૂછી. ભગવાને સ્પષ્ટતા કરી કે ‘કાર્ય-કારણ’ના સિધ્ધાંત મુજબ, કંઇ પણ થઈ રહ્યું હોય, તો તેને થયેલું જ માનવામાં આવે છે; તે જૂઠું કહી શકાય નહિ. દાખલા તરીકે, જો કોઈ મુંબઈથી ટેક્સીમાં બેસીને અમદાવાદના જઈ રહ્યો હોય અને અન્ય કોઇ વ્યક્તિ એના વિશે પૂછે, તો તેની પત્ની કહેશે, “અરે, એ તો અમદાવાદ ગયા છે”, ખરૂ ને! તે અમદાવાદ ન પહોંચ્યા હોવા છતાં, એવું કહેવાય કે તે અમદાવાદ ગયા છે કારણ કે અમદાવાદ જવાની ક્રિયા જ્યારથી નિશ્ચય કર્યો ત્યારથી શરૂ થઈ ચૂકી હોય છે.
જો કે, જમાલી ભગવાનના જવાબથી સંતુષ્ટ ન થયો. તેણે એવો આગ્રહ રાખ્યો કે ભગવાનનો દ્રષ્ટિકોણ ખોટો છે અને તેનો સાચો છે. માટે, તેણે ભગવાનની અવજ્ઞા કરી અને તેમને છોડીને જતો રહ્યો. કોઇ પણ વ્યક્તિએ ક્યારેય પણ ભગવાનના શબ્દો ઉપર શંકા કરવી જોઇએ નહિ. આ પ્રસંગ એનું સુંદર ઉદાહરણ છે કે કઈ રીતે વ્યક્તિ મોક્ષના માર્ગથી ચલિત થઈ જતી હોય છે. ભલેને ગમે તેટલી સારી ક્રિયાઓ કરી હોય અને ખૂબ તપશ્ચર્યા કરી હોય, તો પણ જો તે ભગવાન ઉપર વિશ્વાસ રાખી શકે નહિતો પછી મોક્ષ માટે તે બધું વ્યર્થ છે.
તેથી, પરમ પૂજ્ય દાદા ભગવાન હંમેશા કહે છે, “જે સીડીઓ દ્વારા, તમે ઉપર ચઢ્યા છો તે સીઢીને ક્યારેય કાપવી ન જોઇએ. “ જે વ્યક્તિ પાસેથી આપણને સાચું જ્ઞાન મળ્યું છે અને વિકાસ થયો છે (તે આપણા ગુરૂ, જ્ઞાની કે તીર્થંકર ભગવાન હોય શકે), આપણે તેમના ક્યારેય પણ દોષ ન જોવા જોઇએ. આપણે જેની પાસેથી જ્ઞાન મેળવ્યું તેમના પણ દોષ જોવા લાગીએ, તો આપણે એવા અજ્ઞાનતા ઘોર અંધકારમાં ફસાઇ જઈશું કે આપણે સમ્યક દર્શન ગુમાવી દઈશું. જે વ્યક્તિ મોક્ષે જવા ઇચ્છતી હોય અને બધા કર્મોમાંથી તો છુટવું હોય તો કોઇના પણ, પછી ભલે બહારની કોઇ અજાણી વ્યક્તિના પણ, ક્યારેય દોષ ન જોવા જોઇએ. જેના થકી આપણા જીવનમાં પ્રગતિ થઈ હોય અને ખરેખર અમૂલ્ય વસ્તુ પ્રાપ્ત થઈ હોય તો તેના દોષ તો કઈ રીતે જોઇ શકાય?”હા, આપણને પ્રશ્ન પૂછવાનો અને આપણા સંશયોને દૂર કરવાનો પૂરેપૂરો અધિકાર છે અને એવું પણ બને કે આપણને કોઇ વસ્તુ સમજવામાં વધુ સમય લાગે. પરંતુ જ્ઞાનીની અવજ્ઞા કરીને આપણી પોતાની સમજ પર ચાલવું તે ખરેખર, તો સ્વચ્છંદ છે. જ્યાં સ્વચ્છંદ છે, ત્યાં કોઇ મોક્ષે જઈ જ ન શકે. આજ્ઞા સાચી રીતે અને નિષ્ઠાપૂર્વક પાળવાથી સ્વચ્છંદ જતો રહે છે.
જમાલીની પત્ની અને ભગવાન મહાવીરની પુત્રી પ્રિયદર્શના પણ તેના પતિના પંથે ચાલવા લાગી. જો કે, થોડા વર્ષ પછી, એકવાર એવું બન્યું કે પ્રિયદર્શના એક કુંભારને ત્યાં ગઈ, જે જાણતો હતો કે કઈ રીતે તેણે પિતાને છોડી દીધા, કુંભારે તેની આંખ ખોલવાનો પ્રયાસ કર્યો કે, જેથી તે મહાવીર સ્વામીની શરણમાં ફરીથી જતી રહે. તેણે ધીરેથી એક સળગતો કોલસો તેની સાડી ઉપર મૂકી દીધો. થોડી ક્ષણોમાં, જ્યારે પ્રિયદર્શનાએ જોયું કે તેના કપડા સળગી રહ્યા છે, તે બૂમો પાડવા લાગી કે, “અરે, હું સળગી રહી છું, હું સળગી રહી છું.” ત્યાં રહેલા લોકોએ તે આગને બુઝાવી દીધી. પછી, કુંભારે પ્રિયદર્શનાને પૂછ્યું, “તમે અને તમારા પતિ એવું માની રહ્યા છો કે જ્યારે કાર્ય સંપૂર્ણપણે પૂર્ણ થાય ત્યારે જ તે થયેલું કહેવાય છે. તો પછી તમે અગાઉથી કેમ ચીસો નાખી કે, “હું સળગી ગઈ, હું દાઝી ગઈ.?”તમે જ્યારે સંપૂર્ણપણે સળગી જાવ ત્યારે જ તમારે એવું કહેવું જોઇએ. જે કંઇ બની રહ્યું છે, તેને તમે કઈ રીતે કહી શકો કે આ થઈ ગયું છે – આ તારો સિધ્ધાંત છે, ખરું ને?”
પ્રિયદર્શનાને તેની ભૂલનો ખ્યાલ આવ્યો, તે ભગવાનના ચરણોમાં સમર્પિત થાય છે અને પોતાની ભૂલોની કબૂલાત કરે છે. આ બધાના પરિણામે, આવતા ભવમાં તેને દેવગતિ પ્રાપ્ત થાય છે.
એક દિવસ, ભગવાન મહાવીર શ્રાવસ્તીનગરીમાં પહોંચ્યા. તેમના શિષ્ય, આનંદ મુનિ, ભગવાનને મળવા જવાના રસ્તામાં, હલાહલ નામના કુંભારની દુકાન નજીકથી પસાર થયા, જ્યાં ગોશાળો (જેનો ઉલ્લેખ અગાઉ પણ આવ્યો હતો) રહેતો હતો. અહંકારી ગોશાળાએ અત્યારે પણ પોતાની જાતને ૨૪મા તીર્થંકર તરીકે ઘોષિત કરવાનું શરૂ કરી દીધું. આનંદ મુનિ સામે તેણે એવી બડાઇ મારવાનું શરૂ કરી દીધુ કે, તેની પાસે એવી મહાન શક્તિ છે કે જેના દ્વારા ક્ષણમાં જ કોઇને પણ ભસ્મીભૂત કરી શકે છે.
આનંદ મુનિએ આ વાત ભગવાનને કહી અને ગોશાળો જે કહી રહ્યો હતો તે સાચું છે કે કેમ તેની પૂછપરછ કરી. ભગવાને એવું કહ્યું કે તેની પાસે તેજોલેશ્યાનું જ્ઞાન છે જેના દ્વારા તે કોઇને પણ ભસ્મ કરી શકે છે. જો કે, તે તીર્થંકરને નષ્ટ ન કરી શકે, એટલે કે; ભગવાન મહાવીરને! ભગવાને આનંદ મુનિ અને તેમના અન્ય શિષ્યોને ચેતવ્યા કે ગોશાળાથી દૂર રહેવું કારણ કે તે તેની શક્તિનો દુરૂપયોગ ગમે તે સમયે કરી શકે છે. તેમણે તેઓને સલાહ આપી કે તેની સાથે કોઇ પણ પ્રકારની દલીલોમાં પડવું નહિ.
બીજી તરફ, શ્રાવસ્તી નગરીમાં, બે વ્યક્તિ પોતાની જાતને તીર્થંકર ઘોષિત કરી રહ્યા છે તે ચર્ચાનો વિષય બની ગયો. આ બન્નેમાંથી જે લોકો જે ગુરૂને સ્વીકારતા હોય તે લોકો સામાન્યપણે જ પોતપોતાના ગુરૂની પક્ષમાં જ હોય. તેથી, જે લોકો મહાવીર ભગવાનને માનતા હતા તેમને ખાતરી હતી કે, તેઓ જ સાચા તીર્થંકર છે. જો કે, ઘણા જિજ્ઞાસુ લોકો ગોશાળા દ્વારા દર્શાવાતા ચમત્કારિક શક્તિ પ્રયોગોથી પ્રભાવિત થઈ ગયા અને તેને તીર્થંકર તરીકે માની બેઠા.
એક દિવસ, ગોશાળો આવ્યો અને ભગવાનને બધી જ રીતે અપશબ્દો બોલી હેરાન કરવાનું શરૂ કરી દીધું! ભગવાન સ્થિર જ રહ્યા અને ગોશાળો જે કંઇ કહી રહ્યો હતો તેને ધીરજપૂર્વક સાંભળવા લાગ્યા. જો કે, તેમના શિષ્યો, જે લોકો ભગવાન તરફ પૂજ્યભાવ ધરાવતા હતા અને હ્રદયપૂર્વક ભગવાનની ભજતા હતા, તેઓ ભગવાન માટેના આ ખરાબ શબ્દો સહન કરી શક્યા નહિ. તેઓ વળતો પ્રહાર કરતા હતા જેના કારણે ગોશાળો ખૂબ જ ક્રોધિત થયો. તેણે તરત જ તેલોલેશ્યાનો પ્રયોગ કર્યો અને બે શિષ્યોને બાળી નાખ્યા. તે બન્ને ભગવાન મહાવીરના ચરણ કમળમાં સમર્પિત થયા અને મૃત્યુ પછી, દેવલોક પામ્યા.
આ દ્રશ્યના સાક્ષી બનેલા અન્ય શિષ્યો, ગોશાળાની ક્રૂરતા જોઇને આઘાત પામ્યા, ભગવાનને તે બે શિષ્યોનો જીવ પાછો આવી જાય તે માટે વિનંતિ કરવા લાગ્યા. ભગવાને તેમને સમજાવ્યું કે આ શક્ય નથી, કારણ કે તેઓ મોક્ષદાતા છે, જીવનદાતા નથી.
જન્મ અને મૃત્યુ એ આપણા કર્મોનું જ પરિણામ છે. ભગવાન ક્યારેય આમાં વચ્ચે પડતા નથી. વધુમાં, આપણે દરેક અસંખ્ય જન્મો અન મૃત્યુમાંથી પસાર થયા છીએ. મોક્ષનમાર્ગે પ્રગતિ કરવા માટે આની શી કિંમત છે? બે શિષ્યો જેને આપણે મૃત્યુ પામેલા કહીએ છીએ તે હકીકતમાં તો ભગવાનનું શરણ પામ્યા છે અને મોક્ષ પંથેપામ્યા છે. તે જ ખરેખર મહત્વનું છે!

ગોશાળો, જો કે, આટલું બનવા છતાં પણ જરા પણ સંતુષ્ટ થયો ન હતો. તેણે તેજોલેશ્યા ભગવાન ઉપર પણ ફેંકી. પરંતુ આ વખતે, તેજોલેશ્યા ભગવાનની ત્રણ પ્રદક્ષિણા કરીને પાછી ગોશાળાને જ વાગી, કારણ કે વર્ધમાન મહાવીર તીર્થંકર અને ચરમ શરીરી હતા. તીર્થંકર ભગવાનનું કોઈ દિવસ અકાળે મરણ થાય નહિ. ગોશાળાનું આખું શરીર સળગવા લાગ્યું. ભગવાને તેને કહ્યું, “સાવચેત રહેજે, સાતમા દિવસે, તારું મ્રુત્યુ થશે.” આ સાંભળીને, ગોશાળાને તેના ખોટા કર્મોનો ખ્યાલ આવ્યો અને તેના પર તે નિષ્ઠાપૂર્વક પસ્તાવો કરવા લાગ્યો. તે પીડામાં રડવા લાગ્યો, “આ ભયંકર પીડા એ મારા પાપ કર્મનું જ ફળ છે.” તેણે તેના બધા શિષ્યોને એકઠા કર્યા અને સ્વીકાર્યું કે: “હું ખોટો હતો અને ભગવાન મહાવીર સાચા હતા. તમે બધા તેમની પાસે જાઓ. તેઓને ભગવાન તરીકે સ્વીકારો! હું મોટો પાપી છું. મહેરબાની કરીને મને માફ કરો.” તેણે અત્યંત પસ્તાવો કર્યો. તેનું શું પરિણામ આવ્યું? તેના મૃત્યુ પછી, ભગવાને જાહેર કર્યું કે, “ગોશાળો, તેના પ્રતિક્રમણને કારણે, દેવગતિને પામ્યો છે. છેલ્લા દિવસે, તેણે ખૂબ જ પસ્તાવો કર્યો જેના કારણે તેણે તેની જાતને પાપોથી મુક્ત કરી દીધી. તેથી, તે ચોક્કસપણે મોક્ષ પ્રાપ્ત કરશે. “તેથી, તમે જુઓ, સાચી આલોચના અને પશ્ચાતાપમાં અત્યંત શક્તિ રહેલી છે. જો હ્રદયપૂર્વક કરવામાં આવે, તો ખરાબમાં ખરાબ પાપો પણ બળી શકે છે!
તેજોલેશ્યા મહાવીરને તાકીને ફેંકવામાં આવી હોવા છતાં પણ ભગવાનને મારી શકી નહિ, પરંતુ તેનાથી ભગવાનને ખરાબ અસરો જરૂરથી થઈ. તેનાથી ભગવાનને મરડો થઈ ગયો, જેના કારણે, ભગવાનનું ઘણું બધું વજન ઘટી ગયું. જો કે, ભગવાનને અંદર શાંતિ જ હતી. તેમના શિષ્યો ખૂબ જ ચિંતિત થઇ ગયા; ખાસ કરીને, સિંહ નામનો એક શિષ્ય ભગવાનની પીડા જોઇને ખૂબ રડવા લાગ્યો. ભગવાને તેને શાંત કર્યો અને કહ્યું, “ચિંતા ન કર. મને કશું થવાનું નથી. હું હજુ બીજા ચૌદ વર્ષ જીવવાનો છું.” સિંહે આગ્રહ કર્યો કે ભગવાને કેટલીક દવા લેવી જોઇએ, જેમાં ભગવાન સંમત થયા. ભગવાને તેને રેવતી પાસે જવા માટે સૂચન કર્યું, જે ભગવાન માટે અત્યંત ભક્તિથી, ભગવાન માટે કેટલીક વાનગીઓ બનાવી રહી હતી. ભગવાન મહાવીરે સ્પષ્ટપણે એવી સુચના આપી કે તે અમુક વાનગી ન લઈ આવે, પરંતુ તેના બદલે તે બીજી વાનગી બીજોરાની કે જે રેવતીએ ઘેર બનાવી હોય તે લઈ આવે.

સિંહ રેવતી પાસે ગયો. તેણી ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ઊઠી અને વધુમાં તેણીએ સાંભળ્યું કે ભગવાને તેને ખાસ કરીને અમુક વાનગી બનાવવાનું કહ્યું છે તો તેણી ખૂબ જ રોમાંચિત અને આનંદિત થઇ ઊઠી. તેણે ખૂબ જ આનંદ સાથે બીજોરાની વાનગી સિંહને આપી, જે પ્રમાણે ભગવાને સૂચના આપી હતી! મહાવીર સ્વામીએ તે ખાધી અને તેમનો ઇલાજ થઇ ગયો. આમ, રેવતી તીર્થંકર તરીકેનું ગોત્ર બાંધે છે. આવતી ચોવીસીમાં રેવતી ૧૭મા તીર્થંકર તરીકે થશે.
ભગવાન મહાવીરના શરણમાં આવીને, ગૌતમ સ્વામીનું મિથ્યા અભિમાન નષ્ટ થઈ ગયું. તેઓ ભગવાનના અતિનમ્ર શિષ્ય બની ગયા. જેમ જેમ દિવસો પસાર થતા ગયા, તેમને ભગવાન તરફ અત્યંત પ્રશસ્ત રાગ ઉત્પન્ન થયો. ગૌતમ સ્વામીનો તેમના પ્રત્યેનો પ્રેમ અપાર હતો. આ જ કારણ હતું કે તેઓ શા માટે કેવળજ્ઞાન પ્રાપ્ત ન કરી શક્યા અને બીજી તરફ હજારો લોકો માત્ર એક વખત ભગવાનના શબ્દો સાંભળીને જ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકતા હતા.

ગૌતમ સ્વામી અસાધારણ બુધ્ધિમતા ધરાવતા હતા. તેથી, તેઓ કોઇને પણ ધર્મનો ઉપદેશ આપે, તેમના ઉપદેશ થકી કોઈપણ વ્યક્તિને કેવળજ્ઞાન થઇ જાય, એવી ક્ષમતા તેઓ ધરાવતા હતા.
એક વખત મહાવીર ભગવાને એમની દેશનામાં કહ્યું કે, “જે અષ્ટાપદ પર્વત પર ચોવીસ તીર્થંકરોના જીનાયલો છે, તેના દર્શન કરે અને એક રાત્રી ત્યાં વાસ કરે, તે જરૂર એ જ ભવમાં મોક્ષ પદને પામશે.” આ સાંભળીને ગૌતમસ્વામી અષ્ટાપદ જવાનો નિશ્ચય કરે છે અને તે માટેની બધી જ તૈયારીઓ કરે છે. અષ્ટાપદ પર ચડવું કઠીન હતું પરંતુ આખરે ગૌતમસ્વામી તો પ્રથમ ગણધર હતા અને એમનું નિશ્ચય બળ જબરદસ્ત હતું. અષ્ટાપદ પર્વત પર ચઢતી વખતે ત્રણ પડાવ આવે છે. પ્રથમ પડાવ પાસે ૫૦૦ તાપસોને ગૌતમ સ્વામીએ બોધ આપ્યો અને તેઓ બધા મહાવીર ભગવાનને સમર્પણ થઈ ગયા. બીજા પડાવ પાસે અન્ય ૫૦૦ તાપસો તપ કરી રહ્યા હતા અને તેમને પણ ગૌતમ સ્વામીએ સુંદર બોધ આપ્યો અને તેઓ બધા પણ મહાવીર ભગવાનને સમર્પણ થઈ ગયા. ત્રીજા પડાવ પાસે પણ ૫૦૦ તાપસોને બોધ પમાડી તેઓ ભગવાનને સમર્પિત થયા.આ રીતે ૧૫૦૦ તાપસો ગૌતમ સ્વામીના શિષ્યો થઈ ગયા. ત્યારબાદ ગૌતમ સ્વામી અષ્ટાપદ પર્વતના શિખરે પહોંચ્યા અને ત્યાં અત્યંત ભક્તિપૂર્વ ચોવીસ તીર્થંકરોને વંદના કરી. ત્યાં ગૌતમ સ્વામી એક રાત્રી વાસ કરીને બીજા દિવસે પર્વત પરથી ઉતરે છે અને ૧૫૦૦ તાપસો મહાવીર ભગવાનનું શરણું સ્વીકારીને ગૌતમ સ્વામી પાસે દીક્ષા અંગીકાર કરે છે. ત્યારબાદ બધા ખુબ જ આનંદિત થઈને ગૌતમ સ્વામી સાથે વિહાર કરે છે. ગૌતમ સ્વામી ૧૫૦૦ તાપસોમાં કોઈ ને છઠ તો કોઈને અઠ્ઠમના પારણા કરાવે છે. ત્યારબાદ ગૌતમ સ્વામી સહિત ૧૫૦૦ તાપસો ભગવાનના સમવોસરણમાં જવા માટે વિહાર કરે છે. ત્યારે, જેઓએ અઠ્ઠમના પારણા કર્યા હોય છે એવા ૫૦૦ તાપસોને ભગવાનના સમવોસરણને દૂરથી જ જોઇને અને તેના દર્શન કરીને, બધાને ત્યાં જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. બીજા ૫૦૦ તાપસો જેઓએ છઠના પારણા કર્યા હોય છે તેમને સમવોસરણને નજીકથી જોતા જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને બાકી રહેલા ૫૦૦ શિષ્યોને ભગવાનના મુખારવિંદને જોતા જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ત્યારબાદ ૧૫૦૦ તાપસો ભગવાનને વંદન કરી કેવળીઓની પર્શદામાં બેસે છે ત્યારે ગૌતમ સ્વામી એમને રોકે છે કારણ કે, તેઓ એ વાતથી અજાણ હતા કે, ૧૫૦૦ તાપસોએ કેવળજ્ઞાન થયું છે. એ જ સમયે, મહાવીર ભગવાને ગૌતમ સ્વામીને કહ્યું કે, “હે ગૌતમ, આ ૧૫૦૦ કેવળીઓની અશાતના થઈ રહી છે તમારાથી, તેઓને કેવળજ્ઞાન થયું છે”. આ સાંભળીને ગૌતમ સ્વામીએ હૃદયપૂર્વક પશ્ચાતાપ કરીને બધાની માફી માંગી. આવા પ્રકારનો તેમનો અસાધારણ પરમ વિનય હતો! સાથોસાથ તેમનો પ્રેમ અને પરમ વિનય ભગવાન પ્રત્યે એટલો જ દ્રઢ હતો!!!
હાથ જોડીને આપણા વડીલોને નમવું એ વિનય દર્શાવે છે. ભગવાનના ચરણોમાં નમવું એ વધારે વિનય દર્શાવે છે. પરમ વિનય એટલે ગુરૂ અથવા જ્ઞાની જેની પાસેથી આપણને સાચું જ્ઞાન મળ્યું હોય, તેમની સાથે અભેદતા અને ક્યારેય પણ તેમના માટે એક પણ નેગેટીવ વિચાર ન આવવો જોઈએ. આપણો ઉધ્ધાર તેમના થકી જ થવાનો છે. પરમ વિનય એટલે સામી વ્યક્તિ માટે એકતા જ હોય અને ક્યારે પણ જુદાઈ ન લાગે. આપણા શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, “વિનય એ ધર્મનું મૂળ છે”.વીતરાગ માર્ગમાં વિનયનું ખુબ મહત્વ છે. શરૂઆત વિનયથી અને અંત પણ પરમ વિનયથી જ થાય છે.
તીર્થંકર મહાવીર કે રાજગૃહી નગરીતરફ વિહાર કરી રહ્યા હોય છે ત્યારે તેમને એક અંબડ નામનો શ્રાવક મળે છે. ભગવાન તે શ્રાવક દ્વારા તેમના ખાસ આશીર્વાદ સુલસા શ્રાવિકા માટે મોકલે છે. શ્રાવક વીતરાગ ભગવાન તરફથી આવેલા આ શબ્દો જોઇને આશ્ચર્યચકિત થઇ ઊઠ્યો. તે વિચારવા લાગ્યો કે ભગવાને આવું શા માટે કર્યું હશે? તેથી, તેણે સુલસાની ભગવાન પ્રત્યે ભક્તિની પરીક્ષા કરવાનું નક્કી કર્યું. અંબડ શ્રાવક પાસે કેટલીક એવી શક્તિઓ હતી જેના દ્વારા તે બનાવટી સમોવસરણ રચી શકે. પછી, તેણે શહેરમાં એવી અફવા ફેલાવી કે મહાવીર સ્વામી આવે છે ત્યાં તો બધા સ્થાનિક લોકો સમોસરણ તરફ દોટ મૂકે છે.
જો કે, સુલસા તેના ઘરમાંથી બહાર આવી નહિ. અંબડે તેમને પૂછ્યું, “શું તમે ભગવાનના દર્શન માટે જશો નહિ?”તેમણે સ્પષ્ટતા કરી કે, “જો ખરેખરમાં ભગવાન મહાવીર આવ્યા હોય, તો મને તરત જ સ્પંદનો અનુભવ થાત. મારૂ સમગ્ર શરીર આનંદથી થનગની ઉઠયું હોય. જો કે, જો આવી લાગણીઓ મારી અંદર આવી નથી રહી, તો તે દર્શાવે છે કે આ સમોવસરણ બનાવટી છે, અને વાસ્તવિક નથી. “ શ્રાવકને ખ્યાલ આવ્યો કે તેમની ભક્તિની નિષ્ઠા ઉપર શંકા કરવામાં પોતે ખોટો હતો. સુલસાએ આ જન્મમાં તીર્થંકર ગોત્ર બાંધ્યું અને તેના પરિણામે, આવતી ૨૪મી તેઓ તીર્થંકર બનશે.

એક દિવસ, વર્ધમાન મહાવીર મલ્લિનાથ ભગવાનના દેરાસર પાસેના ઉદ્યાનમાં ધ્યાનસ્થ મુદ્રામાં બિરાજમાન હતા. એક યુગલ તેમના દરરોજના નિત્યક્રમ મુજબ મંદિરમાં પૂજા કરવા માટે આવે છે. બન્ને ભગવાન પાસેથી પસાર થાય છે અને ભગવાન મલ્લિનાથની પૂજા કરવા મંદિરમાં પ્રવેશે છે. આ જોઇને, ઇન્દ્રદેવ તે યુગલ સમક્ષ પ્રગટ થાય છે અને તેઓને જણાવે છે કે તેમણે બગીચામાં ધ્યાનમાં રહેલા જેમને જોયા તે ભગવાન મહાવીર, વર્તમાન હાજર તીર્થંકર છે. ઇન્દ્રદેવે તેઓને જીવતા તીર્થંકરની પૂજાનું મહત્વ અને તેમના થકી કઇ રીતે મોક્ષ થઇ શકે તે સમજાવ્યું.

એ જ રીતે, આપણા માટે, મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજમાન એવા ૨૦ તીર્થંકરો વર્તમાને હાજર છે; શ્રી સીમંધર સ્વામી આપણી પૃથ્વીથી સૌથી નજીક છે. તેથી, આપણે હ્રદયપૂર્વક ભગવાન સીમંધર સ્વામીની આરાધના કરવી જોઇએ. તેઓ જ એકમાત્ર આપણા સહુના કેવળજ્ઞાન અને મોક્ષ પ્રાપ્તિના ઉત્તમ નિમિત્ત છે. અત્યારે, મહાવીર પછી, આપણી પૃથ્વી ઉપર કોઇ તીર્થંકર નથી. મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજેલ સીમંધર સ્વામી પાસે પહોંચવા માટે, આપણને તેમના પ્રતિનિધિ કે, જે જીવતા જ્ઞાની છે તેમની જરૂર પડશે, જ્ઞાની પુરૂષ જેમનો આત્મા જાગૃત હોય અને જે બીજાના આત્માને પણ જાગૃત કરી શકે અને આપણે આવતા ભવમાં સીમંધર સ્વામી પાસે જઈ શકીએ એવા તૈયાર કરી આપવાની ક્ષમતા ધરાવતા હોય છે.
મહાવીર સ્વામી, વિહાર વખતે, રાજગીરી નજીક પાવાપુરી (બિહાર) પહોંચ્યા. તેમની અંતિમ દેશના ૭૨ કલાક અવિરત ચાલી! આ કાળચક્રના લોકો માટે મુક્તિ પામવાની આ છેલ્લી તક હતી. તેથી, ઘણા રાજાઓએ દીક્ષા લીધી અને અસંખ્ય લોકોએ શ્રાવક અને શ્રાવિકા ધર્મ અંગિકાર કર્યો. આ જ સમયમાં, ભગવાને ગૌતમ સ્વામીને પડોશના શહેરમાં જવાનું અને બ્રાહ્મણને સાક્ષાત્કાર કરાવી દેવાનું કામ સોંપ્યું.
અંતે, ભગવાને શૈલેષીકરણ ક્રિયા કરી અને ૭૨ વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધો. ભગવાનનું નિર્વાણ થયું અને સિધ્ધક્ષેત્રમાં ગયા! દેવ ભગવંતો અંતિમ ક્રિયાઓ કરવા આવ્યા અને ભગવાન મહાવીરના નિર્વાણ કલ્યાણકની ઉજવણી કરી.

આ સમાચાર સાંભળીને, આખા વિશ્વમાં અંધકાર છવાઇ ગયો. માટે, લોકોએ તેમના ભગવાનની ઝાંખી મેળવવા માટે દીવાઓ પ્રગટાવ્યા! આ ક્રિયા આજે પણ આ યુગના છેલ્લા તીર્થંકરની – મહાવીર સ્વામી, આપણા તારણહાર, જેમના શાસનમાં આપણો જન્મ થયો તેમની યાદમાં કરવામાં આવે છે. આપણે આ પ્રસંગને ‘દિવાળી’ તરીકે ઉજવીએ છીએ!
પાછા ફરતી વખતે, ગૌતમ સ્વામીએ જાણ્યું કે તેમના વ્હાલા ભગવાનને નિર્વાણ પ્રાપ્ત થયું છે. ગૌતમ સ્વામી, જેમને ભગવાન પ્રત્યે અત્યંત રાગ હતો, તેઓ આ સમાચાર સાંભળીને ચોંકી ગયા. તેઓ આ વાત માની શકતા જ ન હતા. તેઓ એ સમજવામાં નિષ્ફળ ગયા કે, “આવું બનવાનું હશે તેની ભગવાનને ક્યારે ખબર પડી હશે, શા માટે તેઓએ મને દૂર મોકલી દીધો?” તેમને ભારે આઘાત લાગ્યો. જો કે, તે જ વખતે, તેઓને ભાન થયું અને તેમના રાગનું બંધન અને મૂર્ખતા તૂટી ગઇ અને તેઓને પણ, કેવળજ્ઞાન થઈ ગયું! તેમણે ભગવાન દ્વારા અપાયેલ જગત કલ્યાણનું કામ બીજા ૧૨ વર્ષ શરૂ જ રાખ્યું અને અંતે મોક્ષે ગયા.

આજના સમયમાં, મહાવીર સ્વામીની જીવન કથા આપણા બધા માટે ખૂબ જ મહત્વ ધરાવે છે! આ કથાઆપણને તેમના જેવા, અહિંસક અને બધા બંધનોમાંથી સંપૂર્ણપણે મુક્ત થવાનો ધ્યેય નક્કી કરવા માટે પ્રેરણા આપે છે. તેમની કથાનું વર્ણન કરવા માટેનો મુખ્ય ઉદ્દેશ એ જ છે. આ કુદરતી નિયમ છે : જે ગુણોની આપણે ભજના કરીએ તે આપણામાં પણ ખીલી ઊઠે છે. મહાપુરૂષોની કથા વાંચવા પાછળનો હેતુ જ આ છે. ભગવાન મહાવીરની કથા એ તીર્થંકરની કથા છે, જે આ વિશ્વમાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે!
subscribe your email for our latest news and events
