ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી: ગૌતમ સ્વામીની અષ્ટાપદ યાત્રા

આવતા ભવે નરકગતિ ન મળે તે માટે શ્રેણિક રાજાએ શ્રી મહાવીર સ્વામી પાસેથી ઉપાયો જાણ્યા બાદ ઘણા પ્રયત્નો કર્યા, પણ કશું વળ્યું નહીં. હવે, આગળ આપણે ગણધર ગૌતમ સ્વામીના ભગવાન મહાવીર પ્રત્યેના પ્રશસ્ત રાગ અને પરમ વિનય વિશેની વાતો જાણીએ.

gautam-swami

ગૌતમ સ્વામી શ્રી મહાવીર સ્વામીના પ્રથમ ગણધર હતા, પટ્ટશિષ્ય હતા. મહાવીર સ્વામી માટે ગૌતમ સ્વામીને અનન્ય ભક્તિ હતી; જબરજસ્ત રાગ હતો, જેને પ્રશસ્ત રાગ કહેવામાં આવે છે. પ્રશસ્ત રાગ એટલે સંસારની કોઈ ચીજ પર ના હોય, પણ એકલા ભગવાન પર જ રાગ હોય. ગૌતમ સ્વામી માટે તો ભગવાન મહાવીર પ્રત્યક્ષ હાજર હતા. એટલે ગૌતમ સ્વામીને ભગવાનના દેહ અને વાણી પર જબરજસ્ત રાગ હતો. પ્રશસ્ત રાગ તો ઘણો ઊંચો કહેવાય. એ પ્રશસ્ત રાગ કો’ક વિરલો જ પામે. આ રાગને સાવ વખોડવા જેવો નથી; એ કેવળજ્ઞાનની અપેક્ષાએ અટકાવે એવો છે પણ તે સંસારી રાગ કરતાં તો ઘણા ઊંચા દરજ્જાનો છે.

સાક્ષાત તીર્થંકર ભગવાન પર પ્રશસ્ત રાગ હોવાથી ભગવાનને મોક્ષે લઈ ગયા વગર છૂટકો જ ના હોય. પ્રશસ્ત રાગનો ફાયદો એ હોય કે સંસારમાં બધે રાગ ફેલાયેલો છે, તે બધેથી ખસીને, એક ભગવાનમાં કેન્દ્રિત થઈ જાય; બીજે ક્યાંય જાય નહીં. ગૌતમ સ્વામીને એવો પ્રશસ્ત રાગ હતો; એ જેવોતેવો રાગ નહોતો. ગૌતમ સ્વામી ગણધર હતા; એમને ભગવાન પાસેથી ચૌદપૂર્વના જ્ઞાનની ધારણા થઈ હતી. ભગવાન મહાવીર પ્રત્યેનો પ્રશસ્ત રાગ એમના કેવળજ્ઞાનને અટકાવતો હતો.

ગૌતમ સ્વામી પાસે એટલી બધી શક્તિ અને જ્ઞાન હતું કે તેઓ જો કો’કને ઉપદેશ આપે તો એને અંદર એ જ્ઞાન પરિણામ પામીને કેવળજ્ઞાન થઈ જતું હતું પણ તેઓ પોતે કેવળજ્ઞાનથી વંચિત હતા.

એક વખત રસ્તામાં વિહાર કરતાં કરતાં ગૌતમ સ્વામીએ એક પછી એક પાંચ જણાને પ્રતિબોધ કર્યો અને એ પાંચેયને કેવળજ્ઞાન થઈ ગયું. કેવળજ્ઞાન થયા પછી તે બધા ભગવાન મહાવીરના સમવસરણની પર્ષદામાં આવ્યા. જેને કેવળજ્ઞાન થાય એને તીર્થંકર ભગવાનના સમવસરણમાં કેવળીની પર્ષદામાં જ બેસવાનું હોય. પાંચેય કેવળીઓ ભગવાનને વંદના કરવા ગૌતમ સ્વામીની જોડે આવ્યા. એમાં પ્રથમ ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરને વંદના કરી પછી એમણે પાંચેય કેવળજ્ઞાનીઓને કહ્યુ, “ચાલો, તમે પણ ભગવાન મહાવીરને વાંદો.” ગૌતમ સ્વામીને ખબર ન હતી કે એ પાંચેયને કેવળજ્ઞાન થયું હતું. ભગવાને કહ્યું, “હે ગૌતમ, આ તું કેવળીની અશાતના ના કરીશ.” આ સાંભળીને ગૌતમ સ્વામી સમજી ગયા કે ભગવાનને કોણ વાંદે નહીં? જે કેવળી હોય એ! ગૌતમ સ્વામીને અંદર ખૂબ ખેદ અને દુઃખ થયું. એમણે પછી ખમાવી લીધું. એમને અંદર બહુ ડંખ લાગ્યો કે સાવ નવા લોકોને મારા બે શબ્દો સાંભળતાં જ કેવળજ્ઞાન થઈ જાય છે અને મને જ નથી થતું! હું કેવો કમભાગી છું કે મારું કેવળજ્ઞાન અટક્યું છે! ભગવાન મહાવીર વારંવાર ગૌતમ સ્વામીને કહેતા હતા, “સમયમ્‌ ગોયમ મા પમાયએ.” એટલે કે, “હે ગૌતમ! સમય વહી જઈ રહ્યો છે; તું પ્રમાદ ના કર.”

એક વખત ભગવાન મહાવીરે એમની દેશનામાં કહ્યું, “અષ્ટાપદ પર્વત પર ચોવીસે તીર્થંકરો, જિનેશ્વરોનાં બિંબ મૂકેલા છે. જે કોઈ વ્યક્તિ ત્યાં જઈને દર્શન કરે અને એક રાત્રિ ત્યાં વાસ કરે, તો એ જરૂર એ જ ભવમાં મોક્ષપદને પામે.” આ સાંભળીને ગૌતમ સ્વામીએ અષ્ટાપદ પર્વત જવાનું નક્કી કર્યું અને તેઓ ભગવાનની આજ્ઞા લઈને અષ્ટાપદ પર્વત પર જવા નીકળ્યા હતા.

અષ્ટાપદ પર્વત પર ચડવું એ બહુ કઠિન કાર્ય હતું, પણ ગૌતમ સ્વામી પોતે ગણધર હતા એટલે એમનું નિશ્ચયબળ ખૂબ પ્રબળ હતું. અષ્ટાપદ પર્વત ચઢવાના ત્રણ પડાવ આવતા હતા. જ્યારે ગૌતમ સ્વામી પ્રથમ પડાવ ચડ્યા ત્યાં પાંચસો તાપસો તપ કરતા હતા. ગૌતમ સ્વામી પાંચસો તાપસો પાસે બેઠા અને એમને બોધ આપી આગળ વધ્યા. ગૌતમ સ્વામી પોતે સ્થૂળકાય હોવાથી એમને ઉપર ચઢતાં જોઈ તાપસોને થયું, “આ ઉપર ક્યારે પહોંચી રહેશે? અમે તો કેટલા વખતથી પ્રયત્ન કરીએ છીએ છતાં પણ પહોંચાતું નથી.” પણ ગૌતમ સ્વામી તો સડસડાટ પર્વત ચડી ગયા. બીજા પડાવે અન્ય પાંચસો તાપસો તપ કરતા હતા. એમની સાથે ગૌતમ સ્વામીએ સત્સંગ કરીને બોધ આપ્યો. પછી એ તાપસોને પણ જબરજસ્ત પરિણામ આવ્યું અને તેઓ ભગવાન મહાવીરને સમર્પિત થઈ ગયા. પછી આગળ ત્રીજા પડાવે બીજા પાંચસો તાપસો હતા અને એમને પણ ગૌતમ સ્વામીએ બોધ આપ્યો. અંતે, બધા પંદરસો તાપસો ગૌતમ સ્વામીના શિષ્ય થઈ ગયા. આમ કરતાં-કરતાં ગૌતમ સ્વામી અષ્ટાપદ પર્વત ચડ્યા અને ત્યાં એમણે ચોવીસ તીર્થંકર ભગવંતોના બિંબને ખૂબ ભક્તિભાવથી વંદના કરી. ગૌતમ સ્વામી અષ્ટાપદ પર્વત પર એક આખો દિવસ અને આખી રાત્રિ રહ્યા અને ભગવાનનાં બિંબનાં દર્શનથી ખૂબ આનંદિત થઈ ગયા.

બીજા દિવસે સવાર થતાં જ ગૌતમ સ્વામી અષ્ટાપદ પર્વત પરથી નીચે ઊતરવા મંડ્યા અને નીચે ઊતરતાં, જે પંદરસો તાપસો એમની પાસેથી પ્રતિબોધ પામ્યા હતા, તે સહુએ ભગવાન મહાવીરનું શરણું સ્વીકાર્યું અને ગૌતમ સ્વામી પાસેથી દીક્ષા લીધી. દીક્ષા લીધા બાદ, એ બધા જ તાપસો ખૂબ આનંદિત થઈને ગૌતમ સ્વામીની સાથે જ વિહાર કરવા લાગ્યા હતા.

ગૌતમ સ્વામી બધાને ભગવાન મહાવીરની પાસે લઈ ગયા. ગૌતમ સ્વામીએ બધાને પોતાની લબ્ધિથી પારણાં કરાવ્યા. કોઈ તાપસે છઠનું તો કોઈએ અઠમનું પારણું કર્યું હતું. જેવા ગૌતમ સ્વામી પંદરસો તાપસો સાથે ભગવાનના સમવસરણમાં પ્રવેશ્યા, ત્યાં અઠમનું પારણું કરનારા તાપસોને ભગવાનનું સમવસરણ દૂરથી જોતાં જ આનંદ આનંદ થયો અને ભગવાનને સમવસરણમાં બેઠેલા જોઈને અહો અહો થતાં, ત્યાં જ કેવળજ્ઞાન થઈ ગયું. પછી, છઠના પારણાં કરનારા બીજા પાંચસો તાપસોને ભગવાનનું સમવસરણ નજીકથી જોતાં જ અંદર જબરજસ્ત આનંદ થયો અને એમને પણ કેવળજ્ઞાન થઈ ગયું. બાકીના અન્ય પાંચસો તાપસોને ભગવાનનું મુખારવિંદ જોતાં જ કેવળજ્ઞાન થઈ ગયું. બધા જ તાપસોને ભગવાનનાં સમવસરણમાં પેસતાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું. એ સમવસરણને પણ ધન્ય છે, એ ભગવાનને પણ ધન્ય છે અને ભગવાનના દર્શન ભાવથી કરનારા એ તાપસોને પણ ધન્ય છે! આપણને પણ એવી ભક્તિ જાગે; આપણને પણ એવું જ્ઞાન પ્રાપ્ત થાય.

પંદરસો તાપસો કેવળજ્ઞાન પામ્યા બાદ ભગવાન મહાવીરના સમવસરણમાં બેસવા કેવળીની પર્ષદા તરફ જવા ગયા ત્યારે ગૌતમ સ્વામીને ખબર ન હતી કે એ પંદરસો તાપસોને કેવળજ્ઞાન થયું હતું. એટલે એમણે બધા તાપસોને કહ્યું, “તમે ત્યાં ક્યાં બેઠા? ભગવાનને વંદના કરો અને પછી અહીંયા મારી સાથે બેસો.” આ સાંભળીને ભગવાને ગૌતમ સ્વામીને ધીમે રહીને કહ્યું, “ગૌતમ, આ કેવળીઓની અશાતના થઈ રહી છે તારાથી.” એટલે ગૌતમ સ્વામીને તરત જ ખ્યાલ આવ્યો, “અરે, આ તાપસો તો કેવળજ્ઞાન પામી ગયા.” એમણે બધા તાપસોની માફી માંગી અને હૃદયથી પશ્ચાત્તાપ કરીને ભગવાનને કહ્યું, “ભગવાન મારું કેવું દુર્ભાગ્ય કે આ બધાને કેવળજ્ઞાન થઈ જાય છે અને મને કેમ નથી થતું? મને કેવળજ્ઞાન ક્યારે થશે?” ભગવાન મહાવીરે કહ્યું, “તારા મારા પરના પ્રશસ્ત રાગને લીધે કેવળજ્ઞાન અટક્યું છે. માટે, તું પ્રમાદ ના કર, ના કર, ના કર.” પણ ગૌતમ સ્વામીને ભગવાન મહાવીર પરનો રાગ ગયો નહીં અને એમને કેવળજ્ઞાન થતું પણ ન હતું. છતાં, ગૌતમ સ્વામીનો ભગવાન પ્રત્યેના પ્રશસ્ત રાગ અને વિનયને વખાણવા જેવા છે. ભગવાને ફક્ત એટલું જ કહ્યું, “ગૌતમ, તું અશાતના કરે છે કેવળીઓની.” તો પોતે ગુરુપદે હોવા છતાં પણ કેવળીઓનો માફી માંગી અને ખમાવ્યા.

હંમેશા નિયમ એવો હોય કે શિષ્યને પોતાના આરાધ્ય દેવ, ગુરુ કે જ્ઞાની પ્રત્યે અંદરથી વિનય ચોક્કસ હોવો જોઈએ. પરમ વિનય એટલે આપણને આપણા જ્ઞાની, ગુરુ કે ભગવાન પ્રત્યે એકતા જ લાગે અને અભેદતા કે જુદાઈ ના હોય. શાસ્ત્રમાં કહ્યું છે કે વિનય એ ધર્મનું મૂળ છે અને વિનયથી ધર્મની શરૂઆત થાય છે. પરમ વિનય એટલે આપણને જે પ્રત્યક્ષ મળે એમની જોડે આપણને એકતા અને અભેદતા હોય; એમના વિશે એક પણ નેગેટિવ વિચાર આપણને ના આવે.

વીતરાગ માર્ગમાં વિનયને ખૂબ મહત્વ આપ્યું છે. શરૂઆત વિનયથી થાય છે અને પરમ વિનયથી પૂર્ણાહુતિ થાય છે. જેના માટે પરમ વિનય હોય એના પ્રત્યે આપણું સર્વસ્વ સમર્પણ હોય. ગૌતમ સ્વામીને મહાવીર સ્વામી પ્રત્યે અતૂટ પરમ વિનય હતો જે આપણે શીખવા જેવું છે.

રોહિણીયા ચોર

રાજગૃહી નજીક, લોહખુર નામનો ખૂબ જ ચાલાક અને ભયંકર ઘાતકી ચોર રહેતો હતો. તે અને તેની પત્નીને રોહિણીયા નામનો પુત્ર હતો. રોહિણીયા, તેના પિતાના પગલાને અનુસરીને, મોટો થઈને તેના પિતા કરતાં પણ વધુ હોશિયાર અને બુધ્ધિશાળી ચોર બન્યો. જેમ જેમ વર્ષો પસાર થતા ગયા, તેમ એક દિવસ વૃધ્ધ લોહખુર મરણ પથારી પર હતો. તેણે રોહિણીયાને બોલાવ્યો અને ક્યારેય પણ મહાવીરનો ઉપદેશ ન સાંભળવાની સલાહ આપી, કારણ કે તેમનો ઉપદેશ તેના વ્યવસાયને અનુરૂપ નથી હોતો. રોહિણીયાએ તેના પિતાને વચન આપ્યું કે તે તેમની સલાહનું હંમેશા અનુસરણ કરશે.

Rohineya-thief story

હવે, એક દિવસ, એવું બન્યું કે જ્યારે રોહિણીયા એક જગ્યાએથી પસાર થઈ રહ્યો હતો, ત્યાં જ તેણે ભગવાનનો અવાજ સાંભળ્યો. ભગવાન શ્રાવસ્તી લોકોને દેશના આપી રહ્યા હતા. રોહિણીયાએ તરત જ તેના હાથથી કાન બંધ કરી દીધા. પરંતુ એટલામાં જ, એક તીક્ષ્ણ કાંટો તેના પગમાં ખૂંચી ગયો અને તેને ખૂબ જ દર્દ થવા લાગ્યું. પરિસ્થિતિ એવી બની કે તેને ફરજિયાત પણે કાંટાને કાઢવા માટે એક હાથ કાન પરથી લેવો જ પડે. જેવું તેણે આવું કર્યું કે, તરત જ ભગવાન મહાવીરના આ શબ્દો તેના કાનમાં પડ્યા, “એવી વ્યક્તિ કે જેના પગ જમીનને ન અડતા હોય, જેની આંખ પલકતી ન હોય, જેના શરીરને પરસેવો ન વળતો હોય અને જેમના ગળામાં રહેલ હાર કદી મૂરઝાયેલ ન હોય તો, તે દેવલોકમાંથી આવેલ હોય છે. “ રોહિણીયાએ તરત જ કાંટો તેના પગમાંથી કાઢ્યો અને આગળ વધ્યો.

રોહિણીયાએ પહેલા ક્યારેય ન કરી હોય તેવી લૂંટ ચલાવી. જેના પરિણામે, શહેરના લોકોને ખૂબ હેરાનગતિ થવા લાગી. તેઓએ રાજા શ્રેણિકને વિનંતિ કરી કે રોહિણીયા સામે કોઇ પગલા લેવામાં આવે. રાજાએ તેમના અત્યંત બુધ્ધિશાળી અને વિશ્વાસુ મુખ્ય પ્રધાન, અભયકુમારને બોલાવ્યા અને રોહિણીયાની ધરપકડ કરવા માટેની કામગીરી સોંપી.

અભયકુમારે તેમના સૈનિકોને મહત્વના સ્થળોએ ગોઠવી દીધા અને રોહિણીયાને પકડવામાં સફળ રહ્યા. જો કે, ચોરે વેશપલટો કર્યો. તેથી, જ્યારે તેને લાવવામાં આવ્યો, ત્યારે તેણે પોતે બાજુના ગામનો ખેડૂત છે તેવો પરિચય આપ્યો. રાજાએ તે ગામમાંથી તેની ઓળખ ચકાસવા માટે બોલાવ્યા.. રોહિણીયા હંમેશા બે ડગલાં આગળ જ ચાલતોઅને માટે, તેણે પહેલેથી જ આ બાબતની ગોઠવણી કરી લીધી હતી. પરિણામે, સૈનિકો એવી ખાતરી સાથે પાછા આવ્યા કે આ ઓળખ સાચી છે. અભયકુમાર સારી રીતે જાણતા હતા કે આ વ્યક્તિ રોહિણીયા જ છે, પરંતુ ઓળખના પુરાવા વિના તે કશું કરી શક્યા નહિ. તેથી તેમણે યુક્તિપૂર્વકની યોજના ઘડી.

તેણે ચોરને એટલું બધું મદ્યપાન કરવા માટે મજબૂર કરી દીધો કે તે બેભાન થઇ ગયો. જ્યારે તે ભાનમાં આવ્યો, ત્યારે તેણે જોયું કે તેની આસપાસ દેવલોક જેવું વાતાવરણ રચાયેલું હતું. તે ક્યાં હતો તેની તેને ખબર પડી શકી નહિ. તેથી, તેણે એક અપ્સરાને આના વિશે પૂછ્યું. અપ્સરાએ જવાબ આપ્યો કે તે દેવલોકમાં છે અને તે આ બધા સુખોને ભોગવી શકે છે; પરંતુ તે પહેલા તેણે પોતાના ગતભવના કર્મોનું વર્ણન કરવું પડશે. રોહિણીયા શંકાશીલ હતો. ત્યારે બરાબર, તેને દેવલોક વિશેનો મહાવીરનો ઉપદેશ યાદ આવ્યો. તે આસપાસ જોવા લાગ્યો અને જોયું કે દરેક લોકોના પગ જમીનને સ્પર્શતા હતા, તેઓની આંખો મનુષ્યની જેમ પલકતી હતી, તેઓના શરીરને પરસેવો વળતો હતો અને હારમાંના કેટલાક ફૂલો કરમાયેલા પણ હતા. આ બધી બાબતોની મદદથી તેણે તારણ કાઢ્યું કે, તે ખરેખર દેવલોકમાં નથી. તેને ફસામણરૂપી યોજનાનો ખ્યાલ આવી ગયો અને ત્યાંથી નાસી છુટ્યો.

હવે તે મુક્ત હતો, તો પણ તેને ભગવાનના વચનો જ સતત યાદ આવતા હતા. તેણે વિચાર્યું, “ભગવાનના શબ્દો કેટલા બધા શક્તિશાળી અને અદ્ભૂત હતા!!! મેં ફક્ત એક જ વાક્ય સાંભળ્યું અને કોઇ જાતની ઇચ્છા વિના, તો પણ એ વાક્ય સાંભળવાથી મારો જીવ બચી ગયો. જો હું તેઓને વારંવાર સાંભળું તો, તો મને તેમની પાસેથી ઘણું પ્રાપ્ત થશે. કોણ જાણે, તે મને કદાચ આ જન્મ-મરણના દુષ્ચક્રમાંથી પણ મુક્ત કરી નાખે?!” ઘણા બધા વર્ષો સુધી આવી દૈવીવાણી સાંભળવાની તક ગુમાવી દીધી આ વાતથી તેનું હૃદય પશ્ચાતાપથી દ્રવિત થઇ ગયું. તે મહાવીર સ્વામી પાસે દોડ્યો અને અત્યંત નમ્રતાથી તેઓને પૂછ્યું, “હે ભગવાન, શું હું તમારા શરણોમાં આવવાની પાત્રતા ધરાવું છું? શું તમે મને તમારા શિષ્ય તરીકે સ્વીકાર કરશો?”ભગવાને તેને આ બાબતે સંમતિ આપી.

તે તરત જ રાજા શ્રેણિકની સભામાં ગયો, અને દરેકની હાજરીમાં, તેના ગુનાઓની કબૂલાત કરી. તેણે અભયકુમારને એવા બધા સ્થળો દર્શાવી દીધા જ્યાં તેણે ચોરેલી સંપત્તિ છૂપાવીને રાખી હતી અને એવું જાહેર કર્યું કે તે હવે દીક્ષા લેશે અને ભગવાનના ચરણોમાં બાકીનું જીવન વ્યતીત કરશે. તે ભગવાન પાસે આવ્યો અને તેઓની પાસે હ્રદયપૂર્વક તેણે કરેલા તમામ દુષ્કર્મોની કબૂલાત કરી. તેણે તેના ગુનાઓ બદલ પસ્તાવો કર્યો, અત્યંત કઠિન તપશ્ચર્યા કરી અને પોતાની જાતને તેણે બાંધેલા તમામ ખરાબ કર્મોમાંથી મુક્ત કરી. અંતે, તેણે દીક્ષા લીધી અને તેનું જીવન ભગવાનની ભક્તિમાં અને સેવામાં પસાર થયું. મૃત્યુ પછી, તે દેવગતિમાં ગયો અને દેવ બન્યો. આ કથા આધ્યાત્મિક શક્તિની મહત્વત્તા દર્શાવે છે કે તીર્થંકરની દૈવી વાણીમાં કેટલી બધી શક્તિ હોય છે. જે કુદરતી રીતે જ લોકોના કલ્યાણ કાજે વહેતી હોય અને સાથોસાથ દરેકને માટે અવશ્યપણે લાભદાયી પણ નીવડે છે.

સુલસા શ્રાવિકા

તીર્થંકર મહાવીર કે રાજગૃહી નગરીતરફ વિહાર કરી રહ્યા હોય છે ત્યારે તેમને એક અંબડ નામનો શ્રાવક મળે છે. ભગવાન તે શ્રાવક દ્વારા તેમના ખાસ આશીર્વાદ સુલસા શ્રાવિકા માટે મોકલે છે. શ્રાવક વીતરાગ ભગવાન તરફથી આવેલા આ શબ્દો જોઇને આશ્ચર્યચકિત થઇ ઊઠ્યો. તે વિચારવા લાગ્યો કે ભગવાને આવું શા માટે કર્યું હશે? તેથી, તેણે સુલસાની ભગવાન પ્રત્યે ભક્તિની પરીક્ષા કરવાનું નક્કી કર્યું. અંબડ શ્રાવક પાસે કેટલીક એવી શક્તિઓ હતી જેના દ્વારા તે બનાવટી સમોવસરણ રચી શકે. પછી, તેણે શહેરમાં એવી અફવા ફેલાવી કે મહાવીર સ્વામી આવે છે ત્યાં તો બધા સ્થાનિક લોકો સમોસરણ તરફ દોટ મૂકે છે.

જો કે, સુલસા તેના ઘરમાંથી બહાર આવી નહિ. અંબડે તેમને પૂછ્યું, “શું તમે ભગવાનના દર્શન માટે જશો નહિ?”તેમણે સ્પષ્ટતા કરી કે, “જો ખરેખરમાં ભગવાન મહાવીર આવ્યા હોય, તો મને તરત જ સ્પંદનો અનુભવ થાત. મારૂ સમગ્ર શરીર આનંદથી થનગની ઉઠયું હોય. જો કે, જો આવી લાગણીઓ મારી અંદર આવી નથી રહી, તો તે દર્શાવે છે કે આ સમોવસરણ બનાવટી છે, અને વાસ્તવિક નથી. “ શ્રાવકને ખ્યાલ આવ્યો કે તેમની ભક્તિની નિષ્ઠા ઉપર શંકા કરવામાં પોતે ખોટો હતો. સુલસાએ આ જન્મમાં તીર્થંકર ગોત્ર બાંધ્યું અને તેના પરિણામે, આવતી ૨૪મી તેઓ તીર્થંકર બનશે.

Sulsa Shravika

જીવતા તીર્થંકર

એક દિવસ, વર્ધમાન મહાવીર મલ્લિનાથ ભગવાનના દેરાસર પાસેના ઉદ્યાનમાં ધ્યાનસ્થ મુદ્રામાં બિરાજમાન હતા. એક યુગલ તેમના દરરોજના નિત્યક્રમ મુજબ મંદિરમાં પૂજા કરવા માટે આવે છે. બન્ને ભગવાન પાસેથી પસાર થાય છે અને ભગવાન મલ્લિનાથની પૂજા કરવા મંદિરમાં પ્રવેશે છે. આ જોઇને, ઇન્‍દ્રદેવ તે યુગલ સમક્ષ પ્રગટ થાય છે અને તેઓને જણાવે છે કે તેમણે બગીચામાં ધ્યાનમાં રહેલા જેમને જોયા તે ભગવાન મહાવીર, વર્તમાન હાજર તીર્થંકર છે. ઇન્‍દ્રદેવે તેઓને જીવતા તીર્થંકરની પૂજાનું મહત્વ અને તેમના થકી કઇ રીતે મોક્ષ થઇ શકે તે સમજાવ્યું.

simandhar-swami

એ જ રીતે, આપણા માટે, મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજમાન એવા ૨૦ તીર્થંકરો વર્તમાને હાજર છે; શ્રી સીમંધર સ્વામી આપણી પૃથ્વીથી સૌથી નજીક છે. તેથી, આપણે હ્રદયપૂર્વક ભગવાન સીમંધર સ્વામીની આરાધના કરવી જોઇએ. તેઓ જ એકમાત્ર આપણા સહુના કેવળજ્ઞાન અને મોક્ષ પ્રાપ્તિના ઉત્તમ નિમિત્ત છે. અત્યારે, મહાવીર પછી, આપણી પૃથ્વી ઉપર કોઇ તીર્થંકર નથી. મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજેલ સીમંધર સ્વામી પાસે પહોંચવા માટે, આપણને તેમના પ્રતિનિધિ કે, જે જીવતા જ્ઞાની છે તેમની જરૂર પડશે, જ્ઞાની પુરૂષ જેમનો આત્મા જાગૃત હોય અને જે બીજાના આત્માને પણ જાગૃત કરી શકે અને આપણે આવતા ભવમાં સીમંધર સ્વામી પાસે જઈ શકીએ એવા તૈયાર કરી આપવાની ક્ષમતા ધરાવતા હોય છે.

મહાવીર નિર્વાણ

મહાવીર સ્વામી, વિહાર વખતે, રાજગીરી નજીક પાવાપુરી (બિહાર) પહોંચ્યા. તેમની અંતિમ દેશના ૭૨ કલાક અવિરત ચાલી! આ કાળચક્રના લોકો માટે મુક્તિ પામવાની આ છેલ્લી તક હતી. તેથી, ઘણા રાજાઓએ દીક્ષા લીધી અને અસંખ્ય લોકોએ શ્રાવક અને શ્રાવિકા ધર્મ અંગિકાર કર્યો. આ જ સમયમાં, ભગવાને ગૌતમ સ્વામીને પડોશના શહેરમાં જવાનું અને બ્રાહ્મણને સાક્ષાત્કાર કરાવી દેવાનું કામ સોંપ્યું.

અંતે, ભગવાને શૈલેષીકરણ ક્રિયા કરી અને ૭૨ વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધો. ભગવાનનું નિર્વાણ થયું અને સિધ્ધક્ષેત્રમાં ગયા! દેવ ભગવંતો અંતિમ ક્રિયાઓ કરવા આવ્યા અને ભગવાન મહાવીરના નિર્વાણ કલ્યાણકની ઉજવણી કરી.

nirvan

આ સમાચાર સાંભળીને, આખા વિશ્વમાં અંધકાર છવાઇ ગયો. માટે, લોકોએ તેમના ભગવાનની ઝાંખી મેળવવા માટે દીવાઓ પ્રગટાવ્યા! આ ક્રિયા આજે પણ આ યુગના છેલ્લા તીર્થંકરની – મહાવીર સ્વામી, આપણા તારણહાર, જેમના શાસનમાં આપણો જન્મ થયો તેમની યાદમાં કરવામાં આવે છે. આપણે આ પ્રસંગને ‘દિવાળી’ તરીકે ઉજવીએ છીએ!

પાછા ફરતી વખતે, ગૌતમ સ્વામીએ જાણ્યું કે તેમના વ્હાલા ભગવાનને નિર્વાણ પ્રાપ્ત થયું છે. ગૌતમ સ્વામી, જેમને ભગવાન પ્રત્યે અત્યંત રાગ હતો, તેઓ આ સમાચાર સાંભળીને ચોંકી ગયા. તેઓ આ વાત માની શકતા જ ન હતા. તેઓ એ સમજવામાં નિષ્ફળ ગયા કે, “આવું બનવાનું હશે તેની ભગવાનને ક્યારે ખબર પડી હશે, શા માટે તેઓએ મને દૂર મોકલી દીધો?” તેમને ભારે આઘાત લાગ્યો. જો કે, તે જ વખતે, તેઓને ભાન થયું અને તેમના રાગનું બંધન અને મૂર્ખતા તૂટી ગઇ અને તેઓને પણ, કેવળજ્ઞાન થઈ ગયું! તેમણે ભગવાન દ્વારા અપાયેલ જગત કલ્યાણનું કામ બીજા ૧૨ વર્ષ શરૂ જ રાખ્યું અને અંતે મોક્ષે ગયા.

gautam-swami

આજના સમયમાં, મહાવીર સ્વામીની જીવન કથા આપણા બધા માટે ખૂબ જ મહત્વ ધરાવે છે! આ કથાઆપણને તેમના જેવા, અહિંસક અને બધા બંધનોમાંથી સંપૂર્ણપણે મુક્ત થવાનો ધ્યેય નક્કી કરવા માટે પ્રેરણા આપે છે. તેમની કથાનું વર્ણન કરવા માટેનો મુખ્ય ઉદ્દેશ એ જ છે. આ કુદરતી નિયમ છે : જે ગુણોની આપણે ભજના કરીએ તે આપણામાં પણ ખીલી ઊઠે છે. મહાપુરૂષોની કથા વાંચવા પાછળનો હેતુ જ આ છે. ભગવાન મહાવીરની કથા એ તીર્થંકરની કથા છે, જે આ વિશ્વમાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે!

Related Topic

×
Share on