ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી: શ્રેણિક રાજાનો ગતિબંધ

શ્રેણિક મહારાજાએ શ્રી મહાવીર સ્વામીને પ્રસન્ન મુનિ વિશે ઘણા પ્રશ્નો પૂછ્યા અને ત્યારે ભગવાન મહાવીરે સુંદર ભાવવિજ્ઞાન બહાર પાડ્યું. આગળ શ્રેણિક મહારાજાએ મહાવીર સ્વામીને પોતાની નરકગતિ ટાળવાના ઉપાયો પૂછ્યા તે જાણીએ.

પ્રસન્ન મુનિના પ્રસંગ બાદ શ્રેણિક મહારાજાએ આગળ ભગવાનને પૂછ્યું, “હે પ્રભુ! કેવળજ્ઞાનનો વિચ્છેદ ક્યારે થશે? એટલે કે છેલ્લા કેવળજ્ઞાની ક્યારે થશે અને કોણ થશે?” ત્યારે ભગવાન જવાબ આપે એ પહેલાં જ દેવગતિમાંથી એક દેવતા વિમાનમાં આવ્યા અને મહાવીર સ્વામીને બહુ જ ભક્તિભાવથી વંદના કરીને પાછા પોતાના સ્વસ્થાને ચાલ્યા ગયા.

ભગવાને શ્રેણિક મહારાજાના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું, “આ જે દેવ આવ્યા એ છેલ્લા કેવળજ્ઞાની થશે. એમનું નામ જંબુસ્વામી હશે અને તેઓ સુધર્મા સ્વામીના શિષ્ય હશે.” આ સાંભળીને બધાને ખૂબ આનંદ થયો. ત્યારે, દેવોની સભામાં ઇન્દ્રદેવે શ્રેણિક રાજાના ખૂબ વખાણ કરતા કહ્યું, “શ્રેણિક રાજા જેવા કોઈ અત્યારે આ કાળમાં ભગવાન મહાવીરના પરમ ભક્ત નથી.” આ સાંભળીને સભામાં હાજર બીજા એક દેવને થયું, “આ કેવી વાત કરે છે? લાવ, હું એમની પરીક્ષા કરી જોઉં.” એટલે ભગવાન મહાવીરની સભામાં શ્રેણિક રાજા જ્યાં બેઠા હતા ત્યાં એ દેવે આવીને એક પછી એક બધા સાથે વાતો કરી. એક કુષ્ટ માનવીનો વેશ લઈને એ દેવે શ્રેણિક મહારાજાને આશીર્વાદ આપતા કહ્યું, “ઘણું જીવો.” પછી થોડીવારમાં ત્યાં હાજર અભયકુમારને આશીર્વાદ આપતાં કહ્યું, “જીવો કે મરો.” પછી આગળ જતાં ત્યાં રહેલા કસાઈને કહ્યું, ”જીવો પણ નહીં ને મરો પણ નહીં.” અંતે એણે ભગવાન મહાવીરને કહ્યું, “તમે મરો.”

આવા વિરોધાભાસી જવાબો સાંભળીને શ્રેણિક મહારાજા એકદમ ઊંચાનીચા થઈ ગયા. એમને થયું કે આ ભગવાનને મરો કહે છે! આ કેવો માણસ છે? ભગવાન કેમ આ બધું જોઈ રહ્યા છે? આ ખોટો હોવા છતાં ભગવાન કેમ કશું કહેતા નથી? શ્રેણિક રાજા ભગવાનની હાજરીમાં કશું બોલ્યા નહીં, પણ એમને પોતાના સૈનિકોને કહ્યું, “આ જેવો બહાર નીકળે કે બધા એને પકડીને મારી નાખજો.” ભગવાન મહાવીર તો કેવળજ્ઞાની હતા; એમની પાસે મનઃપર્યવ સહિત બધા જ જ્ઞાન હતા. એમને તરત ખબર પડી કે શ્રેણિક રાજા ઊંધું સમજ્યા છે. પછી ભગવાને એમને સાચી સમજણ આપતા કહ્યું, “તું કેમ આવું વિચારે છે?” ત્યારે શ્રેણિક રાજાએ કહ્યું, “આ કેવી રીતે બની શકે? આ જે બોલે છે એ મારા મગજમાં નથી ઊતરતું! તમને મરો એવું કહેવાય? તમે તો તીર્થંકર ભગવાન છો!” પછી ભગવાન મહાવીરે શ્રેણિક રાજાને સમજાવતા કહ્યું, “મને મરો એટલા માટે કહે છે કે હું મરું તો સીધો મોક્ષે જ જવાનો છું, એટલા માટે મને મરો કહે છે. તને જીવો એટલા માટે કહે છે કે તું જો મરીશ તો પહેલી નરકે જઈશ, માટે તને ‘જીવો’ એમ કહે છે. અભયકુમારને જીવો અથવા તો મરો કહ્યું, કારણ કે એ જીવશે તો એ ભક્તિમાં-આરાધનામાં જ છે અને મરશે તો એ દેવગતિમાં જ જવાનો છે. આ કસાઈને જીવ પણ નહીં ને મર પણ નહીં એવું કહે છે, કારણ કે એ જો જીવશે તો કેટલી હત્યા કરશે ને કેટલું પાપ બાંધશે અને મરશે તો એ સાતમી નરકે જશે. માટે એને બંને માટે ના પાડે છે.” આ જે ગુહ્ય વાત છે, એ સમજાય એવી નથી. ભગવાનને કેવળજ્ઞાનમાં દેખાય એટલે જ એ જવાબ આપી શકે, બીજા કોઈના ગજા નહીં.

શ્રેણિક રાજાને નરકગતિનો બંધ

મૃત્યુ બાદ પોતે નરકે જશે, એ વાત સાંભળીને શ્રેણિક રાજાને અંદર જબરજસ્ત ચિંતા થઈ, ઉત્પાત થઈ ગયો અને મહીં વજ્રઘાત જેવું થયું કે આવું કેવું? એમણે ભગવાનને નમસ્કાર કરીને વિનંતી કરી, “ભગવાન! હું તમારી આટલી ભક્તિ કરું છું, આપનો પરમ ભગત છું, છતાં પણ મને નરક? એનું શું કારણ?”ત્યારે ભગવાને કહ્યું, “તેં પૂર્વે નરકનું આયુષ્ય બાંધ્યું છે.”

પછી ભગવાન મહાવીરે શ્રેણિક રાજાને નરકનો આયુષ્ય બંધ કઈ રીતે પડ્યો એ વિશે સમજાવ્યું. જ્યારે શ્રેણિક રાજાને નરકનો બંધ પડ્યો ત્યારે તેઓ મહાવીર સ્વામીને નહોતા મળ્યા, એમના ભક્ત નહોતા થયા. તેઓ જબરજસ્ત રાજાશાહીમાં લડાઈ અને શિકાર કરતા હતા. એક વખત, શ્રેણિક રાજા શિકાર કરવા ગયા ત્યારે તેમણે એક હરણીને પોતાના બાણથી વીંધી નાંખી અને એ હરણી ખૂબ તરફડી તરફડીને મૃત્યુ પામી. એ હરણીના ગર્ભમાં બાળક હતું, જ્યારે એ હરણી મૃત્યુ પામી ત્યારે એનું બાળક બહાર નીકળી ગયું અને એ પણ તરફડતું-તરફડતું મૃત્યુ પામ્યું. એક જ બાણથી બેના મોત થયા. આ બાજુ, શ્રેણિક રાજાને અંદર ખૂબ જ ગર્વરસ થયો; એમનો અહંકાર ચગ્યો, “જો, હું કેવો બાણાવળી છું! એક તીરથી મેં બેને માર્યા.” એ જ સમયે એમને નરકનો બંધ પડ્યો. જો એ સમયે તેમણે પશ્ચાત્તાપ કર્યો હોત તો કદાચ તેઓ દેવગતિમાં જાત પણ એમને આનાથી ઊંધું ગર્વ થયો. એટલે એનું ફળ એમને નરકગતિનો બંધ પડ્યો. આયુષ્ય બંધ પડ્યા પછી કશું થાય નહીં, કારણ કે શ્રેણિક રાજાએ પછી આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કર્યાં ન હતા.

આયુષ્ય બંધનું આખું વિજ્ઞાન છે. દરેકના જીવનનું આયુષ્ય બે-તૃતીયાંશ એટલે બે-તૃતીયાંશ પૂરું થાય અને એક-તૃતીયાંશ બાકી રહે ત્યારે એ સમયે આયુષ્યનો બંધ પડે છે. પછી પાછું રહેલું જે એક-તૃતીયાંશ આયુષ્ય રહેલું તેનું પાછું બે-તૃતીયાંશ અને એક-તૃતીયાંશ માં વિભાજિત થઈને બે-તૃતીયાંશ પસાર થાય છે. જ્યારે પાછું  એક-તૃતીયાંશ રહે છે ત્યારે એ સાંધામાં બીજો બંધ પડે છે; આગલો બંધ ભૂસાઈ જાય છે અને આ બીજો બંધ પડે છે. પછી બાકી રહેલું જે આયુષ્ય છે એમ બે-તૃતીયાંશ અને એક-તૃતીયાંશ વિભાજિત થતાં થતાં નવા બંધ પડતા જાય છે અને પાછલા બંધ છૂટતા જાય છે. શ્રેણિક રાજાને પાકો ગતિબંધ પડી ગયો હતો એ કોઈ રીતે જાય એવો ન હતો. આ રીતે શ્રેણિક રાજાને આયુષ્ય બંધ પડી ગયો હોવાથી આવતા ભવ માટે એમને નરકગતિનું આયુષ્ય બંધાયું અને ક્યારેય પણ ફેરફાર ના થાય એવો બંધ પડી ગયો હતો.

ભગવાન મહાવીરે, શ્રેણિક રાજાને પોતાના કેવળજ્ઞાનમાં જોઈને કહ્યું, “આ તારાથી નહીં થાય. તારે નરકગતિ થશે. તું ભલે અમારી ભક્તિ કરે છે, પણ આ બંધ પહેલેથી પડી જ ગયો છે. છતાં પણ તું નરકગતિનું આયુષ્ય પૂરું કરીને આવતી ચોવીસીનો પહેલો તીર્થંકર પદ્મનાભ તરીકે થઈશ. પણ આ નરકનું જે નિકાચિત કર્મ બંધાઈ ગયું છે, એ તારે ભોગવ્યે છૂટકો છે, એમાંથી તું છટકી નહીં શકે.” ફરી શ્રેણિક રાજાએ ભગવાનને કહ્યું, “તમે ભગવાન છો, હાજરાહાજૂર છો. હું તમારી સામે પ્રત્યક્ષ છું. તમે મને કોઈ રસ્તો તો બતાડો કે જેથી કરીને હું નરકગતિ ટાળી શકું. મને કંઈક ઉપાય બતાડો પ્રભુ!” ત્યારે ભગવાને કહ્યું, “તું ગમે તે કરીશ, પણ આ નરકગતિ ટળવાની નથી જ. આ પાકા પાયે નિકાચિત કર્મ છોડશે નહીં.”

મહાવીર સ્વામીના સમજાવ્યા છતાં શ્રેણિક રાજા ન માન્યા. ખૂબ વિહ્વળ થઈને, તરફડિયા મારતા અને કાલાવાલા કરતા એમણે ભગવાનને વિનંતી કરી, “ભગવાન, કંઈક રસ્તો બતાડો.“ ત્યારે ભગવાને કહ્યું, “હું રસ્તો બતાડીશ ખરો, પણ તારાથી એ થઈ નહીં શકે.” તો પણ શ્રેણિક રાજાએ કહ્યું, “ના, હું ગમે તે રીતે કરીને બતાડીશ પણ નરકમાંથી છૂટી જઈશ.” પછી ભગવાને એમને નરકગતિ ટાળવા માટેના બે-ત્રણ ઉપાયો બતાવ્યા.

ભગવાને કહ્યું, “એક દિવસ તમારી દાસી કપિલાના હાથે સાધુઓને દાન કરાવ, તો તારી નરકગતિ ટળશે.” ભગવાનના કહ્યા પ્રમાણે શ્રેણિક રાજાએ કપિલા દાસીને દાન આપવાની આજ્ઞા કરી તો સામે દાસીએ રાજાને ના પાડી અને કહ્યું, “હું તો દાન આપી જ ના શકું. મારો હાથ એટલો બધો ઝીણો છે કે હું કોઈને કશું આપી જ ના શકું.” પછી રાજાએ બળજબરીથી એ દાસીને દાન આપવા બેસાડી. દાન આપતી વખતે દાસીએ પોતાના હાથેથી ચાટલું બાંધીને દાન તો આપ્યું પણ સીધું પોતાના હાથેથી એણે દાન ન આપ્યું. પછી શ્રેણિક રાજાએ ભગવાન પાસે જઈને કહ્યું, “ભગવાન, કપિલા દાસીએ દાન આપ્યું.” ત્યારે ભગવાને ઉત્તર આપ્યો, “ના ચાલે. એ તો ચાટલાથી આપે છે, એટલે એણે દાન આપ્યું કહેવાય જ નહીં.”

શ્રેણિક રાજાએ મહાવીર સ્વામી પાસે બીજો ઉપાય માંગ્યો, તો ભગવાને કહ્યું, “જો આ કસાઈ એક જ દહાડો જાનવરોની કતલ કરવાનું બંધ રાખે, તો તારી નરકગતિ ટળે.” પછી રાજાએ કસાઈને કહ્યું, “તું એક દહાડો જાનવરની કતલ કરવાનું બંધ રાખ.”આ સાંભળી પેલા કસાઈએ કહ્યું, “આ તો નહીં બને. મારે તો પ્રકૃતિમાં આ વણાયું જ છે. મને માર્યા વગર ચેન જ નહીં પડે.” રાજાએ એક ઉપાય કરીને સૈનિકો દ્વારા બળજબરીથી કસાઈના પગે દોરડું બાંધીને એને કૂવામાં ચોવીસ કલાક સુધી ઊંધો લટકાવ્યો અને આસપાસ સૈનિકો ગોઠવી દીધા. ચોવીસ કલાક બાદ એ કસાઈને કૂવામાંથી બહાર કાઢીને ભગવાન પાસે લઈ જવામાં આવ્યો. શ્રેણિક રાજા બોલ્યા, “ભગવાન, આ કામ થઈ ગયું એટલે મારી નરકગતિ ટળી ગઈ ને?” ભગવાને કહ્યું, “ના, એવું નથી. તેં ભલે આ કસાઈને બાંધીને ઊંધો લટકાવ્યો પણ કૂવાની ભીંતો પર આ કસાઈ પાણીથી પાડા ચીતરતો હતો અને પોતે ભાવથી જ પાડાને ખડગ લઈને મારતો હતો. ચોવીસે કલાક એણે આ જ ધંધો કર્યો છે. ચીતરી-ચીતરીને પાડા માર્યા છે; એણે ભાવથી માર્યા છે. એટલે આ ઉપાય પણ સફળ થયો ન કહેવાય. એ લેખે નહીં લાગે.” ભગવાનની પાસેથી આપણને જાણવા મળે છે કે ભાવવિજ્ઞાન કેવું કામ કરે છે.

પુણિયા શ્રાવકની સામાયિક

શ્રેણિક રાજા નિરાશ થઈ ગયા અને એમણે ભગવાનને કહ્યું, “ભગવાન, મને હજુ કંઈક ઉપાય બતાડો.” પછી ભગવાને કહ્યું, “તારા રાજ્યમાં પુણિયો શ્રાવક કરીને એક શ્રાવક છે; એ દરરોજ સામાયિક કરે છે. એમાંની એક સામાયિકનું પુણ્ય તું લઈ આવ તો તારી નરકગતિ ટળી જશે.” આ સાંભળી રાજા એકદમ ખુશ થઈને ઉત્સાહમાં આવી ગયા અને એમણે ભગવાનને કહ્યું, “હા, ભગવાન, હું હમણાં લઈ આવું. એ મારા જ રાજ્યનો છે, તો વાર જ કેટલી!” આ પ્રમાણે પછી શ્રેણિક રાજા પુણિયા શ્રાવક પાસે ગયા. પોતાના નામ પ્રમાણે પુણિયો શ્રાવક પૂણી વણવાનું કામ કરતો હતો. રૂની પૂણીઓ વણી વણીને વેચતો અને પોતાનું ગુજરાન ચલાવતો હતો. પુણિયો શ્રાવક ખૂબ ગરીબ હતો પણ ભગવાન મહાવીરનો અનન્ય ભક્ત હતો. એ ખૂબ જબરજસ્ત સામાયિક-પ્રતિક્રમણ કરતો હતો અને ભગવાને આપેલા શ્રાવકના બધા જ વ્રતો પાળતો હતો.

શ્રેણિક મહારાજા, ભગવાન મહાવીરના કહ્યા પ્રમાણે, પુણિયા શ્રાવક પાસે ગયા અને કહ્યું, “તું મને એક સામાયિકનું પુણ્ય આપ.” આ સાંભળીને પુણિયા શ્રાવકને તો અહો અહો થયું કે રાજા મારા ઘરે કેવી રીતે! ગરીબની ઝૂંપડીએ ક્યાંથી? આ જે માંગે એ હું આપવા તૈયાર છું. શ્રેણિક રાજાએ કહ્યું, “મારે બીજું કશું જ જોઈતું નથી. માત્ર તારી એક જ સામાયિકનું પુણ્ય જોઈએ છે.” આ સાંભળીને પુણિયા શ્રાવકે કહ્યું, “ખુશીથી લઈ જાઓ.” હવે શ્રેણિક રાજા પોતે ક્ષત્રિય હોવાથી એમણે કહ્યું, “એમ ને એમ તો હું ના લઉં. પણ તું એના બદલામાં કંઈક લે.” કારણ કે રાજા તો મફતનું કંઈ લે નહીં ને. પછી પુણિયા શ્રાવકે કહ્યું, “હું શું લઉં? મને આ સામાયિકની કિંમત ખબર નથી. તો પછી શું કહું! એક કામ કરો, ભગવાન પાસે જ તમે પૂછી આવો. ભગવાન મહાવીર જે કહે એ મને મંજૂર છે.”

એટલે પાછા શ્રેણિક મહારાજાએ ભગવાન મહાવીર પાસે જઈને કહ્યું, “ભગવાન, તમે બોલો એટલી કિંમત હું હમણાં જ પુણિયા શ્રાવકને ચૂકવી દઉં અને મારી નરકગતિ ટળી જાય.” રાજાની આ વાત સાંભળી ભગવાને કહ્યું કે, “એ પુણિયા શ્રાવકની એક સામાયિકની કિંમત એટલી છે કે તારું આખું રાજપાટ ખાલી દલાલીમાં જ જાય. તો મૂળ મૂડી તો ક્યાં રહી! તું કેવી રીતે ચૂકવી શકીશ?” ભગવાન મહાવીરની વાત સાંભળીને શ્રેણિક મહારાજા એકદમ હતાશ થઈ ગયા અને એમને ખૂબ જ અફસોસ થયો. અંતે તેઓ સમજી ગયા કે હવે કોઈ રીતે મારી નરકગતિ ટળવાની નથી.

પુણિયા શ્રાવકની સામાયિકની વાત કેટલી મહાન છે! એની કિંમત કેટલી બધી છે! પુણિયો શ્રાવક સામાયિક કેવી કરતો હશે એ આપણને ખબર પડે એમ છે? શું અત્યારે આપણે પુણિયા શ્રાવક જેવી સામાયિક કરીએ છીએ? ભગવાને બતાડેલી સામાયિક કરીએ છીએ?  આપણે તપાસ કરીએ કે શું ભગવાન મહાવીરે બતાવેલી સામાયિક આપણે કરીએ છીએ એવી હોઈ શકે?

આપણે સામાયિકમાં શું કરીએ છીએ? આપણે સામાયિકમાં જે વિધિ બોલવાની હોય એ બોલીને બેસી જઈએ છીએ. અડતાલીસ મિનિટ બાંધીને આપણામાંથી કોઈ માળા ગણે છે, કોઈ નવકારવાળી ગણે છે, કોઈ ચોપડી વાંચે છે, તો કોઈ વ્યાખ્યાન સાંભળે છે, તો કોઈ ઊભા થઈને વાતો કરે છે અને ગપ્પા પણ મારે છે. આવી સામાયિક કરતા હોઈએ છીએ. શું ભગવાનની સામાયિક આવી હોતી હશે? શું માળા આપણે જુદા સમયે ના ગણી શકીએ? શું ભગવાને કહ્યું હતું કે સામાયિકમાં માળા ગણજો અથવા ચોપડી વાંચજો? આવી સામાયિક કઈ રીતે હોઈ શકે?

ખરેખર, ભગવાનની સામાયિક તો પુણિયો શ્રાવક કરતો હતો. નિરંતર આત્મભાવમાં રહીને પોતાના એકેએક પુદ્‌ગલ પરમાણુને જુદા જુએ અને જાણે અને પોતે એમાંથી જુદો જ રહે; એમાં તન્મયાકાર ના થાય. અડતાલીસ મિનિટ સુધી એકધારી આત્મદશામાં રહી અને પોતાના જ પુદ્‌ગલ પર્યાયોને જોયા કરે, એને ખરી સામાયિક કહી છે. પુણિયો શ્રાવક આવી સામાયિક કરતો હતો. અડતાલીસ મિનિટ નિરંતર પોતાના જ અંદરના પર્યાયોને જોવાના છે, પોતાના દોષો, વિચારો, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, જે આપણાથી જુદા છે, અનાત્મ વિભાગ છે, એમાં શું શું આવે છે તે જોયા કરવાનું.

સાચા દિલથી અને ભગવાનની રીતની સામાયિક કરીએ તો ખરેખર ભગવાનની સામાયિકથી પુણિયા શ્રાવક જેવી સામાયિક આપણે આજે પણ કરી શકીએ એમ છીએ. સામાયિક પોતાની આત્મદશામાં આવવા માટે છે નહીં કે પ્રભાવના મેળવવા કે નામના-કીર્તિ મેળવવા માટે. આ આપણને કઈ રીતે શોભે?  મહાવીર સ્વામીના આપણે અનુયાયી હોઈએ તો આપણે ભગવાનની વાતને આટલી નીચી લઈ ગયા! આ કઈ રીતના શોભે? થાય તો કરવું, ના થાય તો ન કરવું. પણ ભગવાનની સામાયિકને ના લજવાય! આ કેટલી મોટી લાજ આવે એવી વાત છે. આપણે બધાએ જાગૃત થવાની જરૂર છે.

ભગવાન મહાવીરની સામાયિક કેવી હોય? આપણે કરતા હોઈએ એ તો હોઈ શકે એવું લાગતું જ નથી. કારણ કે આમાં અંદર કંઈ ફેરફાર થતો નથી. આપણે જે પણ કરીએ એના પછી આપણને અંદર કંઈ ફાયદો ના થાય, આપણી દૃષ્ટિ ખૂલે નહીં, આત્મભાવમાં અવાય નહીં, તો આપણું કરેલું કેટલું લેખે લાગ્યું કહેવાય? આપણે વિચારીને પોતાની જાતને પૂછવું જોઈએ કે ત્યાંને ત્યાં જ રહેવાનું છે? આગળ વધવાનું નથી? ભલે આપણે દીક્ષા લઈને નીકળી ના પડ્યા હોઈએ, પણ શ્રાવકો જે કરતા હતા, ત્યાં સુધી તો પામી શકીએ કે નહીં?

ભગવાનની બતાડેલી વસ્તુ પુણિયા શ્રાવક ને બીજા બધા પામી શક્યા, તો આપણે કેમ ના પામી શકીએ? કાળને કે કર્મને, કોઈને આપણે દોષ દેવાની જરૂર નથી; નહીં તો આપણો પુરુષાર્થ ટાઢો પડી જશે. આપણે પુરુષાર્થમાં આવવાની જરૂર છે. જે હોય તે, પણ મારે મારા દોષ જોવા છે. ચાલ, અડતાલીસ મિનિટ બેસીને જોઉં. પાંચ મિનિટ, દસ મિનિટ જેટલા દેખાય એટલી તો હું શરૂઆત કરું. ના હોય તો કોઈને પૂછું, કોઈનું માર્ગદર્શન લઉં કે ખરેખર સામાયિક કઈ રીતે કરાય. મારે એમાં એ સામાયિકમાં જોવું છે.

વીતરાગોનું વિજ્ઞાન એવું સરસ છે કે એક જ સામાયિકથી આત્મા ખુલ્લો પ્રગટ થઈ જાય એવું છે. જ્ઞાનીઓએ આ જ જ્ઞાન બોધ્યું છે; આ કાળના જ્ઞાનીઓએ પણ આપણને આ વાત આપી છે. આપણે ચૂકી જઈએ છીએ એ આપણી ભૂલ છે. આપણે જાગતા કેમ નથી? આપણને કેમ ખબર નથી પડતી? આપણે કેમ વિચારતા નથી કે હું જે કંઈ કરું છું એનું પરિણામ કેટલું આવે છે? આટલા અનંત અવતાર રખડીને આ મનુષ્યભવ મળ્યો છે તો એને આવી રીતે મારે ખોઈ નાખવાની જરૂર છે? એની કિંમત મારે વસૂલ કરવી છે.

કેટલીય લખ ચોર્યાસીમાં ફરી-ફરીને આપણે આવ્યા અને પુણ્યાનુબંધી પુણ્ય બાંધતા આવ્યા ત્યારે વીતરાગોની વાત, મોક્ષે જવાની વાત, કંઈક મારા કાનને સાંભળવા મળી અને એવો ભાવ જાગ્યો કે મારે પણ આ વીતરાગના માર્ગે જવું છે. તો પછી જવા માટે આપણે પુરુષાર્થ કંઈ નહીં કરવાનો? ભગવાનની વાત પામવી હોય તો કેમ પુરુષાર્થ ના થાય? ભગવાનની જબરજસ્ત વાત છે ને કેમ આપણા હૃદય સુધી ના પહોંચે? કેમ આપણા આવરણો દૂર ના કરે? એની માટે તો આ ભવ છે, નહીં કે સંસારમાં ભૌતિક ચીજો કે સંબંધોમાં અટવાવા માટે! આ તો બાય-પ્રોડક્શન છે, મનુષ્યભવનું મેઈન-પ્રોડક્શન આત્મા પ્રાપ્ત કરીને ભગવાનના, વીતરાગોના માર્ગે મોક્ષે જવા જેવું છે.

ભગવાનની વાતને હૃદયમાં ઉતારવાની છે કે, કેમ નહીં? જો આજે મારે સામાયિક ના થાય તો આજે ખાવાનું બંધ કરી દઈશ. કરી જુઓ! ભગવાનની પાછળ પડો. ભગવાન, તમારી વાત મને કેમ સમજાતી નથી? મારી પર કંઈક એવી કૃપા કરો કે મને કોઈ જ્ઞાની મળી જાય અને આ બધો મારો ઉઘાડ કરી આપે. તો કેમ ના થાય? આપણે તો ઢીલાઢસ થઈને ફરીએ છીએ! પુરુષાર્થમાં જાગીને મંડી પડવાનું છે. આવી સરસ ભગવાનની વાત છે અને આપણે જબરજસ્ત સમજણવાળા છીએ. કેટલી બધી રીતે આપણે ડેવલપ થયેલા છીએ. આ વાતો જાણવા બેઠા છીએ, કેટલા હાઈલી ડેવલપ્ડ છીએ. પોતાની જાતને પૂછો કે બધી વાતમાં એક્સપર્ટ થઈ શકીએ એમ છીએ, તો આમાં કેમ નહીં?

ક્યાં વીતરાગોની વાત છે અને આપણે એમની વાતને કેવી સમજ્યા છીએ અને વ્યવહારમાં કેવી લઈ ગયા છીએ! ભગવાનની બધી વાત આપણી પાસે છે. આપણને બધી ખબર છે કે પુણિયા શ્રાવકની સામાયિક બહુ ઊંચી, પણ એક વાર તો પૂછો કે એવી સામાયિક મારે કેવી રીતે પ્રાપ્ત કરવી! ઊંચી સામાયિક મને પ્રાપ્ત કેવી રીતે થાય; મારે એની જરૂર છે. બધાને ખબર છે ક્રોધ ના કરવો, લોભ ના કરવો, માન ના કરવું, ચોરી ના કરવી, જૂઠ ના બોલવું - આ બધો જવાબ છે; જવાબ તો બધાને ખબર છે. એનાથી શું થયું? પણ રીત અને રકમ બતાડનારો હોય, તો મારું કામ થાય. મારે એની જરૂર છે. મારે ક્રોધ નથી કરવો પણ ક્રોધ ના થાય એવું મને કંઈક જ્ઞાન મળે તો એની મેળે જ ના થાય. વીતરાગોનો તો આ માર્ગ છે. એ આપણને ક્યારેય ક્રોધ ના કરો એવું ના કહે; માત્ર જ્ઞાન જ આપે કે આપોઆપ આપણો ક્રોધ ચાલ્યો જાય. એવા જ્ઞાનીઓને, એવા તીર્થંકરોને આપણે કોટિ કોટિ નમસ્કાર કરીએ અને એ સ્વરૂપને પામીએ.

રોહિણીયા ચોર

રાજગૃહી નજીક, લોહખુર નામનો ખૂબ જ ચાલાક અને ભયંકર ઘાતકી ચોર રહેતો હતો. તે અને તેની પત્નીને રોહિણીયા નામનો પુત્ર હતો. રોહિણીયા, તેના પિતાના પગલાને અનુસરીને, મોટો થઈને તેના પિતા કરતાં પણ વધુ હોશિયાર અને બુધ્ધિશાળી ચોર બન્યો. જેમ જેમ વર્ષો પસાર થતા ગયા, તેમ એક દિવસ વૃધ્ધ લોહખુર મરણ પથારી પર હતો. તેણે રોહિણીયાને બોલાવ્યો અને ક્યારેય પણ મહાવીરનો ઉપદેશ ન સાંભળવાની સલાહ આપી, કારણ કે તેમનો ઉપદેશ તેના વ્યવસાયને અનુરૂપ નથી હોતો. રોહિણીયાએ તેના પિતાને વચન આપ્યું કે તે તેમની સલાહનું હંમેશા અનુસરણ કરશે.

Rohineya-thief story

હવે, એક દિવસ, એવું બન્યું કે જ્યારે રોહિણીયા એક જગ્યાએથી પસાર થઈ રહ્યો હતો, ત્યાં જ તેણે ભગવાનનો અવાજ સાંભળ્યો. ભગવાન શ્રાવસ્તી લોકોને દેશના આપી રહ્યા હતા. રોહિણીયાએ તરત જ તેના હાથથી કાન બંધ કરી દીધા. પરંતુ એટલામાં જ, એક તીક્ષ્ણ કાંટો તેના પગમાં ખૂંચી ગયો અને તેને ખૂબ જ દર્દ થવા લાગ્યું. પરિસ્થિતિ એવી બની કે તેને ફરજિયાત પણે કાંટાને કાઢવા માટે એક હાથ કાન પરથી લેવો જ પડે. જેવું તેણે આવું કર્યું કે, તરત જ ભગવાન મહાવીરના આ શબ્દો તેના કાનમાં પડ્યા, “એવી વ્યક્તિ કે જેના પગ જમીનને ન અડતા હોય, જેની આંખ પલકતી ન હોય, જેના શરીરને પરસેવો ન વળતો હોય અને જેમના ગળામાં રહેલ હાર કદી મૂરઝાયેલ ન હોય તો, તે દેવલોકમાંથી આવેલ હોય છે. “ રોહિણીયાએ તરત જ કાંટો તેના પગમાંથી કાઢ્યો અને આગળ વધ્યો.

રોહિણીયાએ પહેલા ક્યારેય ન કરી હોય તેવી લૂંટ ચલાવી. જેના પરિણામે, શહેરના લોકોને ખૂબ હેરાનગતિ થવા લાગી. તેઓએ રાજા શ્રેણિકને વિનંતિ કરી કે રોહિણીયા સામે કોઇ પગલા લેવામાં આવે. રાજાએ તેમના અત્યંત બુધ્ધિશાળી અને વિશ્વાસુ મુખ્ય પ્રધાન, અભયકુમારને બોલાવ્યા અને રોહિણીયાની ધરપકડ કરવા માટેની કામગીરી સોંપી.

અભયકુમારે તેમના સૈનિકોને મહત્વના સ્થળોએ ગોઠવી દીધા અને રોહિણીયાને પકડવામાં સફળ રહ્યા. જો કે, ચોરે વેશપલટો કર્યો. તેથી, જ્યારે તેને લાવવામાં આવ્યો, ત્યારે તેણે પોતે બાજુના ગામનો ખેડૂત છે તેવો પરિચય આપ્યો. રાજાએ તે ગામમાંથી તેની ઓળખ ચકાસવા માટે બોલાવ્યા.. રોહિણીયા હંમેશા બે ડગલાં આગળ જ ચાલતોઅને માટે, તેણે પહેલેથી જ આ બાબતની ગોઠવણી કરી લીધી હતી. પરિણામે, સૈનિકો એવી ખાતરી સાથે પાછા આવ્યા કે આ ઓળખ સાચી છે. અભયકુમાર સારી રીતે જાણતા હતા કે આ વ્યક્તિ રોહિણીયા જ છે, પરંતુ ઓળખના પુરાવા વિના તે કશું કરી શક્યા નહિ. તેથી તેમણે યુક્તિપૂર્વકની યોજના ઘડી.

તેણે ચોરને એટલું બધું મદ્યપાન કરવા માટે મજબૂર કરી દીધો કે તે બેભાન થઇ ગયો. જ્યારે તે ભાનમાં આવ્યો, ત્યારે તેણે જોયું કે તેની આસપાસ દેવલોક જેવું વાતાવરણ રચાયેલું હતું. તે ક્યાં હતો તેની તેને ખબર પડી શકી નહિ. તેથી, તેણે એક અપ્સરાને આના વિશે પૂછ્યું. અપ્સરાએ જવાબ આપ્યો કે તે દેવલોકમાં છે અને તે આ બધા સુખોને ભોગવી શકે છે; પરંતુ તે પહેલા તેણે પોતાના ગતભવના કર્મોનું વર્ણન કરવું પડશે. રોહિણીયા શંકાશીલ હતો. ત્યારે બરાબર, તેને દેવલોક વિશેનો મહાવીરનો ઉપદેશ યાદ આવ્યો. તે આસપાસ જોવા લાગ્યો અને જોયું કે દરેક લોકોના પગ જમીનને સ્પર્શતા હતા, તેઓની આંખો મનુષ્યની જેમ પલકતી હતી, તેઓના શરીરને પરસેવો વળતો હતો અને હારમાંના કેટલાક ફૂલો કરમાયેલા પણ હતા. આ બધી બાબતોની મદદથી તેણે તારણ કાઢ્યું કે, તે ખરેખર દેવલોકમાં નથી. તેને ફસામણરૂપી યોજનાનો ખ્યાલ આવી ગયો અને ત્યાંથી નાસી છુટ્યો.

હવે તે મુક્ત હતો, તો પણ તેને ભગવાનના વચનો જ સતત યાદ આવતા હતા. તેણે વિચાર્યું, “ભગવાનના શબ્દો કેટલા બધા શક્તિશાળી અને અદ્ભૂત હતા!!! મેં ફક્ત એક જ વાક્ય સાંભળ્યું અને કોઇ જાતની ઇચ્છા વિના, તો પણ એ વાક્ય સાંભળવાથી મારો જીવ બચી ગયો. જો હું તેઓને વારંવાર સાંભળું તો, તો મને તેમની પાસેથી ઘણું પ્રાપ્ત થશે. કોણ જાણે, તે મને કદાચ આ જન્મ-મરણના દુષ્ચક્રમાંથી પણ મુક્ત કરી નાખે?!” ઘણા બધા વર્ષો સુધી આવી દૈવીવાણી સાંભળવાની તક ગુમાવી દીધી આ વાતથી તેનું હૃદય પશ્ચાતાપથી દ્રવિત થઇ ગયું. તે મહાવીર સ્વામી પાસે દોડ્યો અને અત્યંત નમ્રતાથી તેઓને પૂછ્યું, “હે ભગવાન, શું હું તમારા શરણોમાં આવવાની પાત્રતા ધરાવું છું? શું તમે મને તમારા શિષ્ય તરીકે સ્વીકાર કરશો?”ભગવાને તેને આ બાબતે સંમતિ આપી.

તે તરત જ રાજા શ્રેણિકની સભામાં ગયો, અને દરેકની હાજરીમાં, તેના ગુનાઓની કબૂલાત કરી. તેણે અભયકુમારને એવા બધા સ્થળો દર્શાવી દીધા જ્યાં તેણે ચોરેલી સંપત્તિ છૂપાવીને રાખી હતી અને એવું જાહેર કર્યું કે તે હવે દીક્ષા લેશે અને ભગવાનના ચરણોમાં બાકીનું જીવન વ્યતીત કરશે. તે ભગવાન પાસે આવ્યો અને તેઓની પાસે હ્રદયપૂર્વક તેણે કરેલા તમામ દુષ્કર્મોની કબૂલાત કરી. તેણે તેના ગુનાઓ બદલ પસ્તાવો કર્યો, અત્યંત કઠિન તપશ્ચર્યા કરી અને પોતાની જાતને તેણે બાંધેલા તમામ ખરાબ કર્મોમાંથી મુક્ત કરી. અંતે, તેણે દીક્ષા લીધી અને તેનું જીવન ભગવાનની ભક્તિમાં અને સેવામાં પસાર થયું. મૃત્યુ પછી, તે દેવગતિમાં ગયો અને દેવ બન્યો. આ કથા આધ્યાત્મિક શક્તિની મહત્વત્તા દર્શાવે છે કે તીર્થંકરની દૈવી વાણીમાં કેટલી બધી શક્તિ હોય છે. જે કુદરતી રીતે જ લોકોના કલ્યાણ કાજે વહેતી હોય અને સાથોસાથ દરેકને માટે અવશ્યપણે લાભદાયી પણ નીવડે છે.

ગૌતમ સ્વામીનો પરમ વિનય

ભગવાન મહાવીરના શરણમાં આવીને, ગૌતમ સ્વામીનું મિથ્યા અભિમાન નષ્ટ થઈ ગયું. તેઓ ભગવાનના અતિનમ્ર શિષ્ય બની ગયા. જેમ જેમ દિવસો પસાર થતા ગયા, તેમને ભગવાન તરફ અત્યંત પ્રશસ્ત રાગ ઉત્પન્ન થયો. ગૌતમ સ્વામીનો તેમના પ્રત્યેનો પ્રેમ અપાર હતો. આ જ કારણ હતું કે તેઓ શા માટે કેવળજ્ઞાન પ્રાપ્ત ન કરી શક્યા અને બીજી તરફ હજારો લોકો માત્ર એક વખત ભગવાનના શબ્દો સાંભળીને જ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકતા હતા.

gautam-swami

ગૌતમ સ્વામી અસાધારણ બુધ્ધિમતા ધરાવતા હતા. તેથી, તેઓ કોઇને પણ ધર્મનો ઉપદેશ આપે, તેમના ઉપદેશ થકી કોઈપણ વ્યક્તિને કેવળજ્ઞાન થઇ જાય, એવી ક્ષમતા તેઓ ધરાવતા હતા.

એક વખત મહાવીર ભગવાને એમની દેશનામાં કહ્યું કે, “જે અષ્ટાપદ પર્વત પર ચોવીસ તીર્થંકરોના જીનાયલો છે, તેના દર્શન કરે અને એક રાત્રી ત્યાં વાસ કરે, તે જરૂર એ જ ભવમાં મોક્ષ પદને પામશે.” આ સાંભળીને ગૌતમસ્વામી અષ્ટાપદ જવાનો નિશ્ચય કરે છે અને તે માટેની બધી જ તૈયારીઓ કરે છે. અષ્ટાપદ પર ચડવું કઠીન હતું પરંતુ આખરે ગૌતમસ્વામી તો પ્રથમ ગણધર હતા અને એમનું નિશ્ચય બળ જબરદસ્ત હતું. અષ્ટાપદ પર્વત પર ચઢતી વખતે ત્રણ પડાવ આવે છે. પ્રથમ પડાવ પાસે ૫૦૦ તાપસોને ગૌતમ સ્વામીએ બોધ આપ્યો અને તેઓ બધા મહાવીર ભગવાનને સમર્પણ થઈ ગયા. બીજા પડાવ પાસે અન્ય ૫૦૦ તાપસો તપ કરી રહ્યા હતા અને તેમને પણ ગૌતમ સ્વામીએ સુંદર બોધ આપ્યો અને તેઓ બધા પણ મહાવીર ભગવાનને સમર્પણ થઈ ગયા. ત્રીજા પડાવ પાસે પણ ૫૦૦ તાપસોને બોધ પમાડી તેઓ ભગવાનને સમર્પિત થયા.આ રીતે ૧૫૦૦ તાપસો ગૌતમ સ્વામીના શિષ્યો થઈ ગયા. ત્યારબાદ ગૌતમ સ્વામી અષ્ટાપદ પર્વતના શિખરે પહોંચ્યા અને ત્યાં અત્યંત ભક્તિપૂર્વ ચોવીસ તીર્થંકરોને વંદના કરી. ત્યાં ગૌતમ સ્વામી એક રાત્રી વાસ કરીને બીજા દિવસે પર્વત પરથી ઉતરે છે અને ૧૫૦૦ તાપસો મહાવીર ભગવાનનું શરણું સ્વીકારીને ગૌતમ સ્વામી પાસે દીક્ષા અંગીકાર કરે છે. ત્યારબાદ બધા ખુબ જ આનંદિત થઈને ગૌતમ સ્વામી સાથે વિહાર કરે છે. ગૌતમ સ્વામી ૧૫૦૦ તાપસોમાં કોઈ ને છઠ તો કોઈને અઠ્ઠમના પારણા કરાવે છે. ત્યારબાદ ગૌતમ સ્વામી સહિત ૧૫૦૦ તાપસો ભગવાનના સમવોસરણમાં જવા માટે વિહાર કરે છે. ત્યારે, જેઓએ અઠ્ઠમના પારણા કર્યા હોય છે એવા ૫૦૦ તાપસોને ભગવાનના સમવોસરણને દૂરથી જ જોઇને અને તેના દર્શન કરીને, બધાને ત્યાં જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. બીજા ૫૦૦ તાપસો જેઓએ છઠના પારણા કર્યા હોય છે તેમને સમવોસરણને નજીકથી જોતા જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને બાકી રહેલા ૫૦૦ શિષ્યોને ભગવાનના મુખારવિંદને જોતા જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ત્યારબાદ ૧૫૦૦ તાપસો ભગવાનને વંદન કરી કેવળીઓની પર્શદામાં બેસે છે ત્યારે ગૌતમ સ્વામી એમને રોકે છે કારણ કે, તેઓ એ વાતથી અજાણ હતા કે, ૧૫૦૦ તાપસોએ કેવળજ્ઞાન થયું છે. એ જ સમયે, મહાવીર ભગવાને ગૌતમ સ્વામીને કહ્યું કે, “હે ગૌતમ, આ ૧૫૦૦ કેવળીઓની અશાતના થઈ રહી છે તમારાથી, તેઓને કેવળજ્ઞાન થયું છે”. આ સાંભળીને ગૌતમ સ્વામીએ હૃદયપૂર્વક પશ્ચાતાપ કરીને બધાની માફી માંગી. આવા પ્રકારનો તેમનો અસાધારણ પરમ વિનય હતો! સાથોસાથ તેમનો પ્રેમ અને પરમ વિનય ભગવાન પ્રત્યે એટલો જ દ્રઢ હતો!!!

હાથ જોડીને આપણા વડીલોને નમવું એ વિનય દર્શાવે છે. ભગવાનના ચરણોમાં નમવું એ વધારે વિનય દર્શાવે છે. પરમ વિનય એટલે ગુરૂ અથવા જ્ઞાની જેની પાસેથી આપણને સાચું જ્ઞાન મળ્યું હોય, તેમની સાથે અભેદતા અને ક્યારેય પણ તેમના માટે એક પણ નેગેટીવ વિચાર ન આવવો જોઈએ. આપણો ઉધ્ધાર તેમના થકી જ થવાનો છે. પરમ વિનય એટલે સામી વ્યક્તિ માટે એકતા જ હોય અને ક્યારે પણ જુદાઈ ન લાગે. આપણા શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, “વિનય એ ધર્મનું મૂળ છે”.વીતરાગ માર્ગમાં વિનયનું ખુબ મહત્વ છે. શરૂઆત વિનયથી અને અંત પણ પરમ વિનયથી જ થાય છે.

સુલસા શ્રાવિકા

તીર્થંકર મહાવીર કે રાજગૃહી નગરીતરફ વિહાર કરી રહ્યા હોય છે ત્યારે તેમને એક અંબડ નામનો શ્રાવક મળે છે. ભગવાન તે શ્રાવક દ્વારા તેમના ખાસ આશીર્વાદ સુલસા શ્રાવિકા માટે મોકલે છે. શ્રાવક વીતરાગ ભગવાન તરફથી આવેલા આ શબ્દો જોઇને આશ્ચર્યચકિત થઇ ઊઠ્યો. તે વિચારવા લાગ્યો કે ભગવાને આવું શા માટે કર્યું હશે? તેથી, તેણે સુલસાની ભગવાન પ્રત્યે ભક્તિની પરીક્ષા કરવાનું નક્કી કર્યું. અંબડ શ્રાવક પાસે કેટલીક એવી શક્તિઓ હતી જેના દ્વારા તે બનાવટી સમોવસરણ રચી શકે. પછી, તેણે શહેરમાં એવી અફવા ફેલાવી કે મહાવીર સ્વામી આવે છે ત્યાં તો બધા સ્થાનિક લોકો સમોસરણ તરફ દોટ મૂકે છે.

જો કે, સુલસા તેના ઘરમાંથી બહાર આવી નહિ. અંબડે તેમને પૂછ્યું, “શું તમે ભગવાનના દર્શન માટે જશો નહિ?”તેમણે સ્પષ્ટતા કરી કે, “જો ખરેખરમાં ભગવાન મહાવીર આવ્યા હોય, તો મને તરત જ સ્પંદનો અનુભવ થાત. મારૂ સમગ્ર શરીર આનંદથી થનગની ઉઠયું હોય. જો કે, જો આવી લાગણીઓ મારી અંદર આવી નથી રહી, તો તે દર્શાવે છે કે આ સમોવસરણ બનાવટી છે, અને વાસ્તવિક નથી. “ શ્રાવકને ખ્યાલ આવ્યો કે તેમની ભક્તિની નિષ્ઠા ઉપર શંકા કરવામાં પોતે ખોટો હતો. સુલસાએ આ જન્મમાં તીર્થંકર ગોત્ર બાંધ્યું અને તેના પરિણામે, આવતી ૨૪મી તેઓ તીર્થંકર બનશે.

Sulsa Shravika

જીવતા તીર્થંકર

એક દિવસ, વર્ધમાન મહાવીર મલ્લિનાથ ભગવાનના દેરાસર પાસેના ઉદ્યાનમાં ધ્યાનસ્થ મુદ્રામાં બિરાજમાન હતા. એક યુગલ તેમના દરરોજના નિત્યક્રમ મુજબ મંદિરમાં પૂજા કરવા માટે આવે છે. બન્ને ભગવાન પાસેથી પસાર થાય છે અને ભગવાન મલ્લિનાથની પૂજા કરવા મંદિરમાં પ્રવેશે છે. આ જોઇને, ઇન્‍દ્રદેવ તે યુગલ સમક્ષ પ્રગટ થાય છે અને તેઓને જણાવે છે કે તેમણે બગીચામાં ધ્યાનમાં રહેલા જેમને જોયા તે ભગવાન મહાવીર, વર્તમાન હાજર તીર્થંકર છે. ઇન્‍દ્રદેવે તેઓને જીવતા તીર્થંકરની પૂજાનું મહત્વ અને તેમના થકી કઇ રીતે મોક્ષ થઇ શકે તે સમજાવ્યું.

simandhar-swami

એ જ રીતે, આપણા માટે, મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજમાન એવા ૨૦ તીર્થંકરો વર્તમાને હાજર છે; શ્રી સીમંધર સ્વામી આપણી પૃથ્વીથી સૌથી નજીક છે. તેથી, આપણે હ્રદયપૂર્વક ભગવાન સીમંધર સ્વામીની આરાધના કરવી જોઇએ. તેઓ જ એકમાત્ર આપણા સહુના કેવળજ્ઞાન અને મોક્ષ પ્રાપ્તિના ઉત્તમ નિમિત્ત છે. અત્યારે, મહાવીર પછી, આપણી પૃથ્વી ઉપર કોઇ તીર્થંકર નથી. મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજેલ સીમંધર સ્વામી પાસે પહોંચવા માટે, આપણને તેમના પ્રતિનિધિ કે, જે જીવતા જ્ઞાની છે તેમની જરૂર પડશે, જ્ઞાની પુરૂષ જેમનો આત્મા જાગૃત હોય અને જે બીજાના આત્માને પણ જાગૃત કરી શકે અને આપણે આવતા ભવમાં સીમંધર સ્વામી પાસે જઈ શકીએ એવા તૈયાર કરી આપવાની ક્ષમતા ધરાવતા હોય છે.

મહાવીર નિર્વાણ

મહાવીર સ્વામી, વિહાર વખતે, રાજગીરી નજીક પાવાપુરી (બિહાર) પહોંચ્યા. તેમની અંતિમ દેશના ૭૨ કલાક અવિરત ચાલી! આ કાળચક્રના લોકો માટે મુક્તિ પામવાની આ છેલ્લી તક હતી. તેથી, ઘણા રાજાઓએ દીક્ષા લીધી અને અસંખ્ય લોકોએ શ્રાવક અને શ્રાવિકા ધર્મ અંગિકાર કર્યો. આ જ સમયમાં, ભગવાને ગૌતમ સ્વામીને પડોશના શહેરમાં જવાનું અને બ્રાહ્મણને સાક્ષાત્કાર કરાવી દેવાનું કામ સોંપ્યું.

અંતે, ભગવાને શૈલેષીકરણ ક્રિયા કરી અને ૭૨ વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધો. ભગવાનનું નિર્વાણ થયું અને સિધ્ધક્ષેત્રમાં ગયા! દેવ ભગવંતો અંતિમ ક્રિયાઓ કરવા આવ્યા અને ભગવાન મહાવીરના નિર્વાણ કલ્યાણકની ઉજવણી કરી.

nirvan

આ સમાચાર સાંભળીને, આખા વિશ્વમાં અંધકાર છવાઇ ગયો. માટે, લોકોએ તેમના ભગવાનની ઝાંખી મેળવવા માટે દીવાઓ પ્રગટાવ્યા! આ ક્રિયા આજે પણ આ યુગના છેલ્લા તીર્થંકરની – મહાવીર સ્વામી, આપણા તારણહાર, જેમના શાસનમાં આપણો જન્મ થયો તેમની યાદમાં કરવામાં આવે છે. આપણે આ પ્રસંગને ‘દિવાળી’ તરીકે ઉજવીએ છીએ!

પાછા ફરતી વખતે, ગૌતમ સ્વામીએ જાણ્યું કે તેમના વ્હાલા ભગવાનને નિર્વાણ પ્રાપ્ત થયું છે. ગૌતમ સ્વામી, જેમને ભગવાન પ્રત્યે અત્યંત રાગ હતો, તેઓ આ સમાચાર સાંભળીને ચોંકી ગયા. તેઓ આ વાત માની શકતા જ ન હતા. તેઓ એ સમજવામાં નિષ્ફળ ગયા કે, “આવું બનવાનું હશે તેની ભગવાનને ક્યારે ખબર પડી હશે, શા માટે તેઓએ મને દૂર મોકલી દીધો?” તેમને ભારે આઘાત લાગ્યો. જો કે, તે જ વખતે, તેઓને ભાન થયું અને તેમના રાગનું બંધન અને મૂર્ખતા તૂટી ગઇ અને તેઓને પણ, કેવળજ્ઞાન થઈ ગયું! તેમણે ભગવાન દ્વારા અપાયેલ જગત કલ્યાણનું કામ બીજા ૧૨ વર્ષ શરૂ જ રાખ્યું અને અંતે મોક્ષે ગયા.

gautam-swami

આજના સમયમાં, મહાવીર સ્વામીની જીવન કથા આપણા બધા માટે ખૂબ જ મહત્વ ધરાવે છે! આ કથાઆપણને તેમના જેવા, અહિંસક અને બધા બંધનોમાંથી સંપૂર્ણપણે મુક્ત થવાનો ધ્યેય નક્કી કરવા માટે પ્રેરણા આપે છે. તેમની કથાનું વર્ણન કરવા માટેનો મુખ્ય ઉદ્દેશ એ જ છે. આ કુદરતી નિયમ છે : જે ગુણોની આપણે ભજના કરીએ તે આપણામાં પણ ખીલી ઊઠે છે. મહાપુરૂષોની કથા વાંચવા પાછળનો હેતુ જ આ છે. ભગવાન મહાવીરની કથા એ તીર્થંકરની કથા છે, જે આ વિશ્વમાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે!

Related Topic

×
Share on