Related Questions

મોક્ષ એટલે શું? શું હું તેના વિશે વધુ જાણી શકું?

મોક્ષ એટલે શું? મુક્તિ એટલે શું?

તમને સુખ ગમે કે દુઃખ?

સુખ, બરાબર ને?

શું તમે ક્યારેય નોટીસ કર્યું છે કે, જો સુખ અનુભવ્યા પછી, દુઃખનો અનુભવ થાય, તો તમને તે ગમતું નથી?

તેથી, ખરેખર તમે સનાતન (કાયમના) સુખની શોધમાં છો, નહીં કે વિનાશી સુખની. જો સનાતન સુખ પ્રાપ્ત થઈ ગયું, એને પછી સંસારનું કોઈ પણ દુઃખ ના અડે તો એ આત્માની મુક્તિ થઈ ગઈ. સનાતન સુખ, એનું નામ જ મોક્ષ.

કાયમના માટે મુક્ત થવું એવી જાગૃતિ રહેવી, એ મોક્ષની વ્યાખ્યા છે. જીવતા જ “હું મુક્ત છું” એવી જાગૃતિ હોવી જોઈએ.

જો તમારે બધા જ કર્મોથી મુક્તિ પ્રાપ્ત કરવી હોય અને સંપૂર્ણ મોક્ષ જોઈતો હોય તો, તમારે પહેલા અજ્ઞાનથી (આત્માના) મુક્ત થવું પડશે. એકવાર અજ્ઞાનથી મુક્ત થતા જ તમને બધું જ સીધું અને સરળ લાગશે; શાંતિ થશે અને દિન-પ્રતિદિન તમને વધુ ને વધુ શાંતિનો અનુભવ થશે અને કર્મોથી મુક્તિ મળશે.

બે સ્ટેજનો મોક્ષ

મોક્ષના બે સ્ટેજ છે.

પ્રત્યક્ષ એવા જ્ઞાની પુરુષ પાસેથી આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા બાદપ્રથમ સ્ટેજનો મોક્ષ આ જ જીવનમાં અનુભવી શકાય. આ સ્ટેજના મોક્ષમાં, તમે આ જ જીવનમાં દુઃખોથી મુક્તિનો અનુભવ કરી શકશો.

જ્યારે તમે તમારા બધા જ કર્મોથી મુક્ત થશો (બધા જ સંસારી પરમાણુઓના બંધનોથી) ત્યારે બીજા સ્ટેજનો મોક્ષ પ્રાપ્ત થશે. એક પણ પરમાણુ તમારા આત્મા સાથે જોડાયેલો ન હોય ત્યારે. આ સ્ટેજનો મોક્ષ પ્રાપ્ત કરવા માટે, તમને તમારા છેલ્લા ભવમાં આત્માનો સંપૂર્ણ અને સર્વાંગ અનુભવ થવો જોઈએ અને તે પણ મનુષ્ય દેહમાં રહીને. માત્ર મનુષ્ય દેહમાં જ તમે આખા બ્રહ્માંડના એકેએક પરમાણુને જોઈ શકો છો અને આત્યંતિક કલ્યાણ (મોક્ષ) પ્રાપ્ત કરી શકો છો. આ બધા અનુભવ પછી તમે મોક્ષે, સિદ્ધક્ષેત્રે જઈ શકો. (સંપૂર્ણપણે મુક્તિ પામેલા આત્માઓનું કાયમનું નિવાસ સ્થાન)

મોક્ષ કોણ આપી શકે?

શાસ્ત્રજ્ઞાનથી નિવેડો (મોક્ષ) નથી, અનુભવ જ્ઞાનથી નિવેડો છે. અનુભવ જ્ઞાન અનુભવી જ્ઞાની પાસેથી જ મળે. શાસ્ત્રો આપણી ભૂલ ના દેખાડે. એ સામાન્ય ભાવે બધાને કહી જાય. પ્રત્યક્ષ વિના ઉપાય નથી. કાગળ પર દોરેલો દીવો અંધારામાં પ્રકાશ આપે? શાસ્ત્રોની સીમા કાગળ પરના દીવા જેટલી જ છે. સાક્ષાત્ પ્રકાશ ફક્ત એક જ્ઞાની જ આપી શકે છે, જે સ્વયં પૂર્ણ પ્રકાશક છે.

મોક્ષમાર્ગ વિશે નહીં જાણવાથી આખું જગત ભટક ભટક કરે છે અને પરિણામે જ્યાં જાય છે ત્યાં ભૂલો પડે છે. મોક્ષ જોઈતો હોય તો છેવટે જ્ઞાની પાસે જ જવું પડશે. અહીંથી સ્ટેશને જવું હોય તોય તેના રસ્તાના જ્ઞાનીને તારે પૂછવું પડે. તો આ તો મોક્ષની ગલી સાંકડી, અટપટી ને વળી ભૂલભૂલામણીવાળી. જાતે જવા જઈશ તો ક્યાંય અટવાઈ જઈશ. માટે જ્ઞાની ખોળી કાઢીને તેમને પગલે પગલે ચાલ્યો જા.

જ્ઞાનવિધિમાં તમને કઈ સમજણ પ્રાપ્ત થાય છે?

અક્રમ વિજ્ઞાનમાં, જ્ઞાનવિધિ એ ૨ કલાકનો વૈજ્ઞાનિક પ્રયોગ છે કે જેમાં જ્ઞાની પુરુષની કૃપાથી જ મુમુક્ષુ અનુભવપૂર્વકના આત્મજ્ઞાનની પ્રાપ્તિની સાથે સાથે આ જગત કોણ ચલાવે છે તે જ્ઞાન પામે છે.

  • આત્મજ્ઞાન: “હું કોણ છું?”નો જવાબ મળે છે.
  • કર્તા સંબંધીનું જ્ઞાન: આ જગતના બધા સંજોગો વ્યવસ્થિત શક્તિ (સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ)ના તાબામાં છે. આ જગતમાં કોઈ સ્વતંત્ર કર્તા છે જ નહીં. ઉપર કોઈ એવી વ્યક્તિ નથી, જેની પાસે આ બધું ચલાવવાનો સમય હોય. પરમ પૂજ્ય દાદાશ્રી આ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સને 'વ્યવસ્થિત શક્તિ' કહે છે. દરેક વસ્તુ અને વ્યક્તિ બધું વ્યવસ્થિતના જ તાબામાં છે. 'વ્યવસ્થિત શક્તિ'ની સમજણ એ સર્વ અવસ્થામાં સંપૂર્ણ સમાધાનકારી જ્ઞાન છે.

સંસારી જીવનમાં શું વાંધો છે? આપણે શા માટે મોક્ષની પ્રાપ્તિ કરવી જોઈએ?

આપણા જીવનમાં આપણે કોઈ ને કોઈ ધર્મનું પાલન કરતા હોઈએ છીએ. ઘણા બધા પુરુષાર્થ પછી આનું કંઈક તો પરિણામ આવવું જ જોઈએ, પરંતુ આપણને ખબર જ નથી કે કેવા પ્રકારનું પરિણામ આપણને જોઈએ છે અને આપણે માત્ર પુરુષાર્થ કર્યે જ જતા હોઈએ છીએ. આપણે નફા માટે ધંધો કરીએ છીએ, લગ્ન કરીએ છીએ, બાળકો થાય છે અને ઘર ખરીદીએ છીએ, એવા આશય સાથે કે તેના પરિણામે શાંતિ પ્રાપ્ત થશે, પરંતુ તે સાથે દુઃખ પણ લાવે છે. આપણે દુઃખોમાંથી કેવી રીતે મુક્ત થઈ શકીએ અને સનાતન સુખની પ્રાપ્ત કેવી રીતે કરી શકીએ? જો આપણે મોક્ષ પ્રાપ્ત કરીએ, તો પછી આપણે ન માત્ર આપણે દુઃખોથી મુક્ત થઈશું, પરંતુ કર્મોથી પણ મુક્ત થઈશું. બસ આટલા માટે આપણે મોક્ષ પ્રાપ્ત કરવો જોઈએ.

તમને કેવી રીતે ખબર પડે કે તમને મોક્ષ પ્રાપ્ત થયો છે કે નહીં?

જ્યારે તમે અજ્ઞાનથી મુક્ત થાઓ છો, ત્યારે તમે એવી સ્થિતિએ પહોંચો છો, જે બધા જ દુઃખોથી મુક્ત છે. આ સ્થિતિમાં તમે અનુભવશો કે, આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પહેલાના જીવનની સરખામણીમાં હાલના જીવનમાં કંઈક અલગ જ અનુભવ કરી રહ્યા છો. આ અનુભવ થયા બાદ, તમે તમારી ભૂલોને જોઈ શકશો અને એ જ આ વાતનું પ્રમાણ છે કે તમે પ્રથમ સ્ટેજનો મોક્ષ પ્રાપ્ત કર્યો છે, કારણ કે જાગૃત આત્મા નિષ્પક્ષપાતી હોય છે. તમે આ જાણી શકશો કેમ કે, તમે આત્મા છો અને આત્મા આખા બ્રહ્માંડનો સૌથી મોટો ન્યાયાધીશ છે.

શું આવો મોક્ષ જીવતા જ અનુભવી શકાય કે પછી એ મોક્ષ મૃત્યુ પછી જ આવશે?

મૃત્યુ પછીનો મોક્ષ શું કામનો? મૃત્યુ પછી મોક્ષ મળશે એવું કહીને લોકો ફસાવે છે. અલ્યા, મને અહીં કંઈક દેખાડ ને! સ્વાદ તો દેખાડ કંઈક, કંઈક પુરાવો તો દેખાડ. ત્યાં મોક્ષ થશે, એનું શું ઠેકાણું? એવો ઉધારિયો મોક્ષ આપણે શું કરવાનો? ઉધારિયામાં ભલીવાર આવે નહીં. એટલું બધું કેશ સારું. આપણને અહીં જીવતા જ મોક્ષ થવો જોઈએ.

શું સ્થૂળદેહ મોક્ષમાં સાથે રહેશે?

આત્મજ્ઞાન પ્રાપ્તિ પછી, તમારે જ્ઞાતા-દ્રષ્ટા રહેવું પડશે, કોઈ પણ રાગ-દ્વેષ વિના, તેથી જ્યાં (સિદ્ધક્ષેત્રમાં) શાશ્વત મુક્તિ પામેલા સિદ્ધ પરમાત્માઓ કાયમી વસે છે, ત્યાં સ્થૂળદેહની હાજરી નથી રહેતી. આત્મા સ્થૂળદેહ વિના જોનાર અને જાણનાર એટલે કે જ્ઞાતા-દ્રષ્ટા તરીકે તેમજ શાશ્વત સમાધિ સુખમાં રહે છે. અને, આત્મા ક્યારેય મરતો નથી. તે સ્વભાવથી જ અવિનાશી અને શાશ્વત છે.

મોક્ષમાં આપ શું કરશો?

મોક્ષપ્રાપ્તિ અને સિદ્ધક્ષેત્રમાં ગયા પછી, તમે આત્માના અનંત અનંત સમાધિ સુખમાં રહેશો. તમે જ્ઞાતા-દ્રષ્ટા પદમાં રહીને આખા બ્રહ્માંડના ચારેય ગતિના જીવો, મનુષ્યગતિ, જાનવર, ઝાડ અને બીજા જીવો, દેવગતિના જીવો અને નર્કગતિ (નારકી જીવોને) નિહાળી આત્માના અનંત સમાધિ સુખમાં રહો છો.

×
Share on