Related Questions

અરિહંત કોને કહી શકાય?

અરિહંત ભગવાન કોને કહેવાય?

  • જે સિદ્ધ થયેલા ના હોય અને અહીં આગળ દેહધારી અને કેવળજ્ઞાની હોય તેને અરિહંત ભગવાન કહેવાય.
  • જેમણે બધા દુશ્મનોને નાશ કરી નાખ્યા છે, ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષરૂપી દુશ્મનોને નાશ કર્યા છે એવા કેવળજ્ઞાની, એને અરિહંત ભગવાન કહેવાય. દુશ્મનોને નાશ કર્યા ત્યાંથી પૂર્ણાહુતિ થતા સુધીના અરિહંત કહેવાય. એ પૂર્ણ સ્વરૂપ ભગવાન કહેવાય!
  • જે હાજર હોય તેને. ગેરહાજર હોય તેને અરિહંત ના કહેવાય. પ્રત્યક્ષ-પ્રગટ હોવા જોઈએ.

arihant

ઓળખાણ, અરિહંત ભગવાનની 

  • અરિહંત ભગવાન એટલે મોક્ષ પહેલાની સ્થિતિ. જ્ઞાનમાં સિદ્ધ ભગવાન જેવી જ સ્થિતિ છે, પણ બંધન તરીકે આટલું રહ્યું છે. જેમ બે માણસને સાંઈઠ વર્ષની સજા કરી હતી, તે એક માણસને જાન્યુઆરીની પહેલી તારીખે કરી હતી. એ બીજા માણસને જાન્યુઆરીની ત્રીજી તારીખે કરી. પહેલાને સાંઈઠ વર્ષ પૂરા થઈ ગયા. પેલો છૂટો થઈ ગયો. બીજો બે દહાડા પછી છૂટો થવાનો છે. પણ એ છૂટો જ કહેવાય ને? એવી એમની સ્થિતિ છે!
  • અરિહંત તો બહુ મોટું રૂપ કહેવાય. આખા બ્રહ્માંડમાં તે ઘડીએ એવા પરમાણુ કોઈના હોય નહીં. બધા ઊંચામાં ઊંચા પરમાણુ એકલા તીર્થંકરના શરીરમાં ગોઠવાઈ ગયેલા. ત્યારે એ શરીર કેવું! એ વાણી કેવી! એ રૂપ કેવું! એ બધી વાત જ કેવી! એમની તો વાત જ જુદી ને?! એટલે એમની જોટે તો મૂકતા જ નહીં, કોઈનેય! તીર્થંકરની જોટે કોઈને મૂકાય નહીં એવી ગજબ મૂર્તિ કહેવાય.
  • અરિહંત દેહધારી ને નામધારી, એટલે કે નામ સહિત જ હોય.
  • અરિહંત તો નિરંતર અરિહંત જ રહે અને અરિહંત જ દેશના આપે.
  • ‘અરિહંત કોણ છે!’ એને જાણો તો દર્દ ઓછા થશે. અરિહંત જ આ દુનિયાના રોગ મટાડે છે.
  • સર્વશ્રેષ્ઠ ઉપકારી અરિહંત ભગવાન કહેવાય. અરિહંત! પોતે છ દુશ્મનોને જીત્યા અને આપણને જીતવાનો રસ્તો દેખાડે છે, આશીર્વાદ આપે છે. એટલે એમને પહેલા મૂક્યા. બહુ ઉપકારી માન્યા એમને.
  • અરિહંત તો સીમંધર સ્વામી છે અગર તો બીજા ઓગણીસ તીર્થંકરો હોય એ અરિહંત છે, જે વર્તમાન તીર્થંકર હોય એ અરિહંત કહેવાય.

અત્યારે અરિહંત ભગવાન ક્યાં હયાત છે?

સીમંધર સ્વામી એ આ જ બ્રહ્માંડમાં છે. એ આજે અરિહંત છે, માટે એમને નમસ્કાર કરીએ છીએ. હજુ એ હાજર છે. અરિહંત તરીકે છે, તો જ આપણને ફળ મળે. એટલે આખા બ્રહ્માંડમાં અરિહંત જ્યાં પણ હોય એમને નમસ્કાર કરું છું, એવું સમજીને બોલે તો એનું ફળ બહુ સુંદર મળે છે.

આપણે નમો અરિહંતાણં બોલીએ તો એ કોને પહોંચે છે, એ વિશે પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે:

આ ‘નમો અરિહંતાણં’ ક્યાં પહોંચે છે આપણે બોલીએ છીએ તે? જ્યાં બીજા ક્ષેત્રોમાં અરિહંતો છે, જ્યાં જ્યાં છે, ત્યાં એમને પહોંચે છે. હંમેશાં પોસ્ટ તો એની જગ્યાએ જ પહોંચવાની. કંઈ ત્યાં આગળ મહાવીર ભગવાનને પહોંચવાની નહીં. ત્યારે લોકો શું સમજે છે, આ ‘નમો અરિહંતાણં’ બોલીને આપણે મહાવીર ભગવાનને નમસ્કાર પહોંચાડીએ છીએ. એ ચોવીસ તીર્થંકરો તો મોક્ષમાં જઈને બેઠાં છે, એ તો ‘નમો સિદ્ધાણં’ થયા, એ ભૂત તીર્થંકર કહેવાય. એટલે આજે સિદ્ધ ભગવાન કહેવાય. અને વર્તમાન તીર્થંકર હોય, તેને અરિહંત કહ્યા!

×
Share on