Related Questions

શું ક્રોધ એ નબળાઈ કહેવાય કે જબરાઈ કહેવાય?

પ્રશ્નકર્તા : તો પછી મારું કોઈ અપમાન કરે ને હું શાંતિથી બેસું, તો એ નિર્બળતા ના કહેવાય ? 

દાદાશ્રી : ના. ઓહોહો ! અપમાન સહન કરવું, એ તો મહાન બળવાનપણું કહેવાય ! અત્યારે અમને કોઈ ગાળો ભાંડે તો અમને કશું જ ના થાય, એને માટે મન પણ ના બગડે, એ જ બળવાનપણું ! અને નિર્બળતા તો, આ બધા કચકચ કર્યા જ કરે છે ને, જીવમાત્ર લઢમ્લઢા કર્યા કરે છે, એ બધી નિર્બળતા કહેવાય. એટલે અપમાન શાંતિથી સહન કરવું એ મહાન બળવાનપણું છે અને એવું અપમાન એક જ ફેરો ઓળંગીએ, એક સ્ટેપ ઓળંગેને, તો સો સ્ટેપ ઓળંગવાની શક્તિ આવે. આપને સમજાયું ને ? સામો બળવાન હોય, એની સામે નિર્બળ તો જીવમાત્ર થઈ જ જાય છે, એ તો એનો સ્વભાવિક ગુણ છે. પણ જો નિર્બળ માણસ આપણને છંછેડે તો ય એને આપણે કંઈ પણ ન કરીએ ત્યારે એ બળવાનપણું કહેવાય.

ખરી રીતે નિર્બળનું રક્ષણ કરવું જોઈએ ને બળવાનની સામું થવું જોઈએ, પણ આ કળિયુગમાં એવાં મનુષ્યો જ નથી રહ્યાં ને ! અત્યારે તો નિર્બળને જ માર માર કરે અને બળવાનથી તો ભાગે. બહુ ઓછાં માણસો છે કે જે નિર્બળની રક્ષા કરે અને બળવાનની સામો થાય. એવાં હોય ત્યારે એને તો ક્ષત્રિય ગુણ કહેવાય. બાકી, જગત આખું ય નબળાને માર માર કરે છે, ઘેર જઈને ય ધણી બાયડી પર શૂરો થઈને બેસે. ખીલે બાંધેલી ગાયને મારીએ તો તે કઈ બાજુ જાય ? અને છૂટી મૂકીને મારે તો ? નાસી જાય ને, નહીં તો સામી થાય. 

મનુષ્ય પોતાની શક્તિ હોવા છતાં સામાને રંજાડે નહીં, પોતાના દુશ્મનને પણ રંજાડે નહીં, એનું નામ બળવાનપણું કહેવાય છે. અત્યારે કોઈ તમારી ઉપર ક્રોધ કરતો હોય ને તમે તેના પર ક્રોધ કરો તો તે બાયલાપણું ના કહેવાય ? એટલે મારું શું કહેવાનું કે આ ક્રોધ-માન-માયા-લોભ એ જ બધી નિર્બળતાઓ છે. બળવાન હોય તેને ક્રોધ કરવાની જરૂર જ ક્યાં રહી ? પણ આ તો ક્રોધનો જેટલો તાપ છે એ તાપથી પેલાને વશ કરવા જાય છે, પણ જેને ક્રોધ નથી એની પાસે કંઈ હશે ખરું ને ? એનું શીલ નામનું જે ચારિત્ર છે, એનાથી જાનવરો પણ વશ થઈ જાય. વાઘ-સિંહ, દુશ્મનો બધાં, આખું લશ્કર બધું વશ થઈ જાય !

×
Share on
Copy