Related Questions

બાળકોના વિકાસમાં માતાપિતાની ભૂમિકા શું છે?

તમારા પ્રથમ બાળકની સાથે જ તમારી પેરેન્ટિંગની ફરજ શરૂ થાય છે. તમારામાં માતા-પિતા તરીકેની ભૂમિકા વિકસિત થતા જ તમને તમારા બાળકની પસંદ અને નાપસંદ સમજ પડતી જાય છે. તે ક્યારે ભૂખ્યો છે? અથવા રાત્રે સૂતા પહેલા તેને શું આરામદાયક લાગે છે? પછી જેમ જેમ બાળક મોટું થાય છે, તેમ તેમ તમે વધુ શીખતા જાઓ છો - બાળક શરમાળ સ્વભાવનું છે, જેને હંમેશાં તમારા ખોળામાં બેસવાનું જ એને અનુકૂળ લાગે છે? અથવા રમતિયાળ સ્વભાવનું છે, તે બહાર જઈને તે પોતે કંઈકનું કંઈક નવું કર્યા કરે છે? તો, અહીં તમારી ભૂમિકા શું છે? માતા-પિતાની ભૂમિકા શું છે?

જ્ઞાની પુરુષ દાદાશ્રી કહે છે, “બાળક જન્મે ત્યારથી જ તેમની સાથે, તેમનું વ્યક્તિત્વ લઈને આવે છે, તમારે ફક્ત તેમને મદદ કરવી અને તેની માવજત કરવી જેથી તે ખીલશે.” જેમ દરેક બીજ એની સાથે લઈને જ આવે છે કે એમાંથી કયું વૃક્ષ ઊગશે: નારંગી અથવા સફરજન, તેમ તમારું બાળક પણ એ લઈને આવેલું છે. પોતાના કર્મબીજ સાથે લઈને આવે છે અને તે ઊગશે. એવું કંઈ નથી કે નારંગી સફરજન કરતા અથવા સફરજન નારંગી કરતા સારું. પ્રત્યેક બાળકનું પોતાનું એક સ્વતંત્ર વ્યક્તિત્વ હોય છે અને જ્યારે તેને યોગ્ય રીતે પોષણ આપવામાં આવે ત્યારે તે સુંદર રીતે ખીલશે. જરા આસપાસ જુઓ અને તમને ઘણા સફળ લોકો એવા મળશે, કે જે કાં તો અંતર્મુખી છે અથવા બહિર્મુખી. ત્યાં કોઈ રૂઢિચુસ્ત ધારણા નથી, જેવું કે એક કરતા વધુ સારો અથવા સુખી છે.

Parent Child

ચાલો, આપણે બાળકના ઘડતર માટે માતા-પિતાની ભૂમિકાને સમજીએ.

માતા-પિતાની ફરજ સમજો

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે:

  • "માતાપિતા બનવું એ વડાપ્રધાનની જવાબદારીઓ કરતા એ મોટી જવાબદારી છે. માતાપિતા તરીકે, જો તમે કંઇક ખોટું કરો છો, તો તે તમારા પોતાના બાળકને જ નુકસાન પહોંચાડશે.”
  • “જે બાળકો આપણે ત્યાં જન્મ્યા છે, છોકરાંની જોડે તમે ફરજથી બંધાયેલા છો. તેમને સારા સંસ્કાર આપવા જોઈએ."
  • “તમારો ધર્મ શું? કે છોકરાને પાલન-પોષણ મોટો કરવો, એને સદ્રસ્તે ચઢાવવો. હવે એ અવળું બોલતો હોય તો તમે અવળું બોલો તો શું થાય ? એ બગડી જાય. એટલે તમારે પ્રેમથી એને ફરી સમજણ પાડવી કે બેસ ભઈ, આમ છે, તેમ છે. બાળ જીવનમાં માતાપિતાની આ મુખ્ય ભૂમિકા છે. તમારી બધી ક્રિયાઓ પાછળ આધ્યાત્મિક અન્ડરસ્ટેન્ડ હોવું જોઈએ."
  • "એમને ભણાવવા, ગણાવવા, બધું કમ્પ્લીટ કરી, એમને સર્વિસે લગાવી દીધાં. એટલે પછી એ ડાળે (કામે) લાગ્યાં, એટલે બહુ રાખવી નહિ. એટલું ધ્યાન રાખવાનું કે જેટલું આપણી જોડે આવે એટલું જ આપણું."

માતા-પિતા તરીકેની તમારી ફરજ પૂરી કરવા માટેની કેટલીક વ્યવહારિક રીતો:

1. જીવનના દરેક પાસાઓને ચોખ્ખા કરો

જીવન કેવી રીતે જીવવું તે માતા-પિતાએ સમજવું જોઈએ. માત્ર પૈસા કમાવવા પાછળ નથી ભાગવું. તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો. તમારા સ્વાસ્થ્ય, સંપત્તિ અને બાળકોનું નૈતિક ઘડતરનું ધ્યાન રાખો. જીવનના બધા જ પાસાઓ ચોખ્ખા કરવા પડશે.

તમારે દરરોજ રાત્રે બાળકો સાથે બેસવું જોઈએ અને તેમને વાસ્તવિકતા સમજાવવી જોઈએ, તેમની સાથે વાતચીત કરવી જોઈએ. બધા બાળકોને પ્રોત્સાહનની જરૂર હોય છે. તેમની પાસે પહેલેથી જ સાંસ્કૃતિક મૂલ્યો છે, પરંતુ તેમને ફક્ત પ્રોત્સાહનની જરૂર છે.

2. માતા-પિતા વચ્ચે જવાબદારીઓની વહેંચણી

માતા-પિતાએ બાળકોની જવાબદારીઓ વિશે ચર્ચા કરવી અને તેની વહેંચણી કરવી. ચૌદ વર્ષની વય સુધી, બાળકને માતાના પ્રેમ અને હૂંફની વધુ જરૂર હોય છે. તેણીને દૈનિક દિનચર્યાઓનો નિર્ણય અને કાળજી લેવા દો. પિતાને સામાન્ય રીતે જીવનના મોટા, અસર કરતા નિર્ણયોમાં સામેલ થવાની જરૂર હોય છે, જેમ કે, તમારા બાળકને કઈ શાળામાં પ્રવેશ આપવો, કઈ કારકિર્દીમાં આગળ વધવું, વગેરે. પંદર વર્ષ પછી પિતાને બાળકના વિકાસમાં મુખ્ય ભૂમિકા લેવી જોઈએ. બાળકના વિકાસમાં પિતાની આ એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે.

સર્વાંગી પેરેન્ટિંગ અભિગમ: જવાબદાર પેરેન્ટની વ્યાપક ભૂમિકાઓ

અતિશય ધ્યાન ન રાખવું

બાળકના વિકાસમાં માતા-પિતાની આ એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. નાનપણથી જ બાળકને ઘરના કેટલાક કામો આપો અથવા એને તમારા વ્યવસાયિક કાર્યમાં મદદ કરવા માટે કહો, તેથી તેઓની પાસે જે છે તેની કદર કરતા શીખશે અને માલિકીની ભાવના રાખતા શીખશે. અમુક એવા પણ મા-બાપ હોય છે કે જે પોતાના બાળક માટે વધારે પડતા જ સત્તાધારી હોય છે, જે બાળકોને વાતે વાતે ટકોરો કરે છે અને નિયમોમાં રાખવા માંગતા હોય છે અથવા અમુક ખૂબ જ પ્રોટેક્ટિવ હોય છે કે જેઓ હંમેશાં તેમના બાળકને ખુશ કરવામાં જ પ્રયત્નશીલ હોય છે. અતિશય ધ્યાન વધતા બાળકને ગૂંગળામણ થાય છે. તેમને નિષ્ફળ થવા દો; કોઈ ચીજવસ્તુઓનો બગાડ થાય તો થવા દો અને આ બધાનો અનુભવ થતા ધીરે ધીરે તેઓ ઘડાશે.

બાળકને નીડરતાથી જીવનનો સામનો કરતા શીખવો

કોકૂનમાંથી નીકળતા પતંગિયાનો સંઘર્ષ તેને દુનિયાનો સામનો કરવા માટે મજબૂત બનાવે છે; નહીં તો તે કચડાઈ જશે. એ જ રીતે, બાળકની વધારે પડતી સંભાળ રાખવી એ પણ તેને અશક્ત બનાવી શકે છે. થોડી કડકાઈ, સંઘર્ષ, બાળકની પ્રતિભા વિકસાવવા માટે આશીર્વાદરૂપ બને છે. ફક્ત પ્રતિકૂળ સંજોગોમાં બાળક સફળતાની શિખરો સુધી પહોંચવાનો નવો માર્ગ શોધી કાઢે છે. બાળકને સંસારનો અને નિષ્ફળતાનો હિંમતથી સામનો કરવા શીખવો. કોઈ પણ પડકારનો સામનો કરતા પહેલા હંમેશાં બાળકને પ્રેરણા આપો અને કોઈ પણ નિષ્ફળતા માટે ક્યારેય ટીકા ન કરો. તેના બદલે, તેઓ આમાંથી શું બોધ પામ્યા અથવા તેઓ બીજી વખત આનો સામનો કઈ રીતે કરશે, એ અંગે પૂછો.

એક આંખમાં પ્રેમ અને બીજી આંખમાં કડકાઈ

અમુક સમયે માતા-પિતા દ્વારા ઉશ્કેરણીને લીધે બાળકો ખોટા રસ્તે આગળ વધે છે. તેથી, દરેક વસ્તુમાં સામાન્યતા લાવો. એક આંખમાં પ્રેમ અને બીજી આંખમાં કડકાઈ જાળવી રાખો. કડકાઈથી કોઈ વ્યક્તિને વધુ નુકસાન પહોંચતું નથીક્રોધથી ઘણું નુકસાન થાય છે. કડકાઈનો અર્થ ક્રોધ નથી, પરંતુ તેનો અર્થ અમુક બાબતોમાં જે ઉકળાટ થતો હોય તે કાઢી નાખવો. તમારે તેમને બધું જ કહેવાનું છે, પરંતુ નાટકીય રીતે. નાટકીય વ્યવહાર કેવો હોય? એટલે શાંત થવાની સાંકળ ખેંચીને પછી ગુસ્સો બતાવવાનો.

ક્યારે પ્રોત્સાહન આપવું અને ક્યારે નહીં

માતા-પિતાની આ ભૂમિકા થોડી મુશ્કેલ છે. જ્યારે એક પુત્ર તેના પિતાની મૂછો ખેંચતો હોય ત્યારે પિતાને આનંદ થતો હોય છે. તે કહેશે, "જરા જુઓ તો ખરા, તે મારી મૂછો ખેંચે છે!" જો તમે તેને જે ઈચ્છે તે કરવા દેશો અને તમે બાળકને કંઈ નહીં બોલો, તો ક્યારેય પણ તેને ‘આ ખોટું કહેવાય’ તે નહીં સમજાય. બાળક પ્રત્યેક ઘટનામાં થતી પ્રતિક્રિયાઓ જોઈને શીખે છે. જો બીજું કંઈ ન કરવામાં આવે, તો પછી તેને કડક ટકોર કરો કે જેથી બાળકને ખ્યાલ આવે કે તે કંઈક ખોટું કરી રહ્યો છે. ત્યારે તેને સમજાશે કે, “હું આ કંઈ ખોટું કરી રહ્યો છું.” તે સમયે માનવું યોગ્ય નથી, પણ માત્ર ટકોર કરવી યોગ્ય છે.

તેથી તેને ખબર હોવી જોઈએ કે, જ્યારે પણ તે મૂછો ખેંચે છે, તો બદલામાં તેના ઉપર ટકોર કે ગુસ્સો કરવામાં આવશે. જો તમે તેને એમ કહીને પ્રોત્સાહિત કરો છો કે, "ખૂબ સરસ, મારું બાળક કેટલું હોશિયાર છે", તે પછી તેને પ્રોત્સાહન મળે છે અને તે પછીની વખતે પણ તે મૂછો વધુ ખેંચશે! દરેક વખતે તે કંઈક ખોટું કરે છે, ત્યારે તેને સમજાવો કે આ ખોટું છે. આ તેના ખ્યાલમાં આવવું જોઈએ. નહિતર, તે માનશે કે તે જે કરી રહ્યું છે તે યોગ્ય જ છે. તેથી જ તેઓ ખોટા રસ્તે ચાલવા લાગે છે. તેથી, તમારે બાળકને કહેવું જોઈએ.

જ્યારે બાળકે કોઈ સારું કામ કર્યું હોય, તો તમારે તેની પ્રશંસા કરવી જોઈએ. અને તેના વખાણ કરી તેની પીઠ થપથપાવી જોઈએ, શાબાશી આપો, ત્યારે તેના અહંકારને પુષ્ટિ મળે છે. તેથી, તે ફરી એકવાર કોઈ સારું કામ કરવા માટે પ્રેરાશે. નાના બાળકનો અહંકાર સુપ્ત સ્થિતિમાં છે. અહંકાર હાજર જ હોય છે, પરંતુ તે સંકુચિત સ્થિતિમાં રહે છે. જેમ જેમ બાળક મોટો થાય તેમ તેમ તેના ફણગા ફૂટે છે. એક બાળક ફક્ત ત્યાં સુધી સારું રહે છે, જ્યાં સુધી તમે તેના અહંકારને બિનજરૂરી રીતે પાણી ન આપો. જો તેના અહંકારને તમારી પાસેથી ખોરાક ન મળે, તો બાળક ઉત્તમ મૂલ્યોથી (સંસ્કારથી) ખીલે છે.

નિયંત્રણ ન કરો; હૃદયથી પ્રેમ વરસાવો

માતા-પિતાની આ સૌથી મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. જ્યારે તમે તમારા બાળકો સાથે વાત કરો છો, ત્યારે તે કોઈ સત્તાવાળા સ્વર સાથે ન હોવી જોઈએ. ઉદાહરણ તરીકે, જો કોઈ બાળકને ૬૦% ગુણ આવ્યા હોય પરીક્ષામાં અને તે તેના પિતાને બતાવે, તો પિતાએ કહેવું જોઈએ કે, “તું પરીક્ષામાં પાસ થયો તે સારું છે, પરંતુ આ પૂરતું નથી. હું તારી પાસેથી અપેક્ષા રાખું છું કે તું ૮૫% મેળવે અને એક સારો એન્જિનિયર બને”, પછી આ વિષયને છોડી દો. તે પછી, તમે જે કહ્યું તેને સારા માર્ક્સ મેળવવા માટે, તે ફરી ફરી તેને યાદ ન કરાવો. તે તેના મનમાં હશે જ. જો તમે કહેવાનું ચાલુ રાખો છો, તો તે તમારા શબ્દોને અવગણશે.

થોડા મહિના પછી, જ્યારે તમે તેનું પરિણામ જોશો, જો તે 75% મેળવે છે, તો તેને પ્રોત્સાહિત કરતા કહેવું કે, "તારા ગુણ વધ્યા છે. તારી પાસે ખૂબ સારી યાદશક્તિ અને શ્રેષ્ઠ બનવાની ખૂબ જ ઊંચી ક્ષમતા છે. જો તું વધુ ધ્યાનથી ભણીશ, તો મને ખાતરી છે કે, તું વધુ સફળતાની ઉંચાઈઓ સુધી પહોંચી શકીશ. મને વિશ્વાસ છે કે, તું ૮૫% થી ૯૦% મેળવી શકે એમ છે.” બસ, આટલું કહીને પછી આ વિષયને છોડી દો. બાળકને પ્રોત્સાહન આપવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

જ્યારે પણ તેઓ ભૂલો કરે છે, ત્યારે તેને ખૂબ જ પ્રેમથી સમજાવો. તમારે સમજાવવું જોઈએ, પરંતુ સમજાવવાની પણ એક રીત છે. તમારે ત્યાં સુધી જ સમજાવવું, જ્યાં સુધી બાળક તમારી વાતો સ્વીકાર કરે છે. તેઓ તમારી વાતો માટે તેના બારણા બંધ કરે, તે પહેલા તમારે બોલવાનું બંધ કરી દેવું જોઈએ. જો તમે તેના બારણા બંધ થતા સુધીની રાહ જોશો, તો તમારા શબ્દો વ્યર્થ જશે. તેથી કોઈ સત્તાવાળો સ્વર ન હોવો જોઈએ, ખાસ કરીને પુખ્ત વયના બાળકો સાથે.

મિત્રતા જાળવી રાખો

  • પરમ પૂજ્ય દાદાશ્રી સમજાવે છે કે, જ્યાં સુધી બાળક સાતથી આઠ વર્ષનું ન થાય અને ભૂલ કરે ત્યાં સુધી માતા-પિતાએ તેમને માર્ગદર્શન આપવું પડશે અને તે પણ જો જરૂરી હોય તો તેમને ડિસિપ્લીન પણ શીખવવું પડે છે. બારથી પંદર વર્ષની ઉંમર સુધી તમે તેમને માર્ગદર્શન આપી શકો છો, પરંતુ સોળ પછી તમારે મિત્ર બનવું પડશે.
  • જો તમે તમારા બાળકોના મિત્ર બનશો તો તેઓ સુધરશે. પરંતુ, જો તમે માતા-પિતા તરીકે તમારી સત્તાનો ભાર મૂકતા હો તો તમે તેમને ગુમાવવાનું જોખમ લેશો. તમારી મિત્રતા એવી હોવી જોઈએ કે બાળક બીજે ક્યાંય પણ હૂંફ અને માર્ગદર્શનની શોધમાં ન જાય. તમારે તમારા બાળક સાથે એ બધી વસ્તુઓ કરવી જોઈએ, જે એક મિત્ર તેની સાથે કરે; રમતો રમો, ખેલ-કૂદ, એકસાથે ચા પીવો, વગેરે. પછી જ તે તમારો રહેશે, નહીં તો તમે તેને ગુમાવશો.
  • સૌપ્રથમ તો તમારે નિશ્ચય કરવો જોઈએ કે તમે તેમની સાથે એક મિત્ર તરીકે રહેવા માંગો છો અને પછી તમે તે કરી શકશો.
  • જો તમારો મિત્ર કંઈક ખોટું કરી રહ્યો છે, તો તમે તેને સાવચેત કરવા માટે ક્યાં સુધી જાઓ છો? તમે તેને ફક્ત તે જ સ્થિતિ સુધી સલાહ આપશો જ્યાં સુધી તે સાંભળે છે, પરંતુ તમે તેની સાથે ઝઘડો નહીં કરો. જો તે સાંભળતો નથી, તો પછી તમે તેને કહેશો કે નિર્ણય તેનો છે.
  • તમારા બાળકના મિત્ર બનવા માટે, તમારે તે સ્વીકારવું પડશે કે સાંસારિક દ્રષ્ટિકોણથી તમે તેના પિતા છો, પરંતુ તમારા મનમાં, તમારે તેના પુત્ર થઈને વિચારવું જોઈએ. જ્યારે પિતા તેમના બાળકના સ્તર પર આવે છે, ત્યારે તેને મિત્ર તરીકે સ્વીકારવામાં આવશે. મિત્ર બનવા માટેનો બીજો કોઈ જ રસ્તો નથી.

તમારી જાતને સુધારો

માતા-પિતાની આ સૌથી મોટી અને સૂક્ષ્મ ભૂમિકા છે. શુદ્ધ પ્રેમ ફક્ત ત્યારે જ ઉત્પન્ન થાય છે જ્યારે તમે શુદ્ધ હશો, એટલે કે ક્રોધ-માન-માયા-લોભ વગેરેથી મુક્ત હશો. જો તમે સુધરશો, તો તમારી હાજરીથી બધું સુધરશે. જે પહેલા પોતાને સુધારે છે, તે જ પછી બીજાને સુધારી શકે છે. સુધરેલા કોને કહી શકાય? જ્યારે તમે તેને ઠપકો આપો છો, તો પણ બાળક તેની પાછળનો પ્રેમ જોશે. તમે ઠપકો આપી શકો છો, પરંતુ જો તમે તે પ્રેમથી કર્યું હશે, તો પછી સામી વ્યક્તિ સુધરશે. જો માતા-પિતા સારા હોય, તો પછી બાળકો સારા હશે, તેઓ સમજદાર થશે. જાતે તપ કરો, પરંતુ બાળકોને નૈતિક મૂલ્યોથી સમૃદ્ધ બનાવો.

Related Questions
  1. બાળકોના વિકાસમાં માતાપિતાની ભૂમિકા શું છે?
  2. બાળકો સાથે કઈ રીતે વાત કરવી?
  3. કઈ રીતે બોલવું જોઇએ જેથી બાળકો તમને અસરકારક રીતે સાંભળે?
  4. કઈ રીતે બાળકોને બહારનું ખાવાનું બને તેટલું ઓછું કરે તે માટે માર્ગદર્શન આપવું?
  5. જ્યારે તમારા બાળકો ભૂલો કરે ત્યારે શું કરવું જોઇએ?
  6. ઊંચા સ્વરે બોલ્યા વિના બાળકને શિસ્તબધ્ધ કઈ રીતે બનાવવું? બાળકને સારી ટેવો વાળું અને શિસ્તબધ્ધ રીતે કઇ રીતે ઉછેરવું?
  7. તોફાની સ્વભાવના બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
  8. તોફાની અથવા જીદ્દી બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
  9. સારા માતા પિતા તરીકે બાળક સામે કઈ રીતે વર્તન કરવું જોઇએ?
  10. તમારા બાળકો ઉપર ચીડાવાનું કઈ રીતે બંધ કરશો? કચકચ કઈ રીતે બંધ થશે?
  11. બાળકોની ખરાબ આદતો કઈ રીતે તોડવી?
  12. બાળકના શિક્ષણમાં માતા પિતાની શું ભૂમિકા છે?
  13. ટીનએજર્સ સાથે માતાપિતાએ કઈ રીતે વર્તવું?
  14. બાળકોને નૈતિકતા કઈ રીતે શીખવવી?
  15. માતા પિતા અને બાળકોના સંબંધો કઈ રીતે મજબૂત થાય?
  16. તમારા બાળકોને વારસામાં કેટલું આપવું?
  17. સિંગલ પેરેન્ટ તરીકે ટીનએજર સાથે કેવી રીતે વર્તવું?
  18. બાળકો માટે થતી પ્રાર્થનાની શક્તિ કેવી હોય? હું બાળકો માટે કેવી રીતે પ્રાર્થના કરું?
×
Share on