અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો15 ડિસેમ્બર |
10 ડિસેમ્બર | to | 12 ડિસેમ્બર |
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોતમને તમારા પતિ/પત્ની ની ભૂલો દર્શાવવાની ઈચ્છા કેટલી વાર થઈ હશે ? અથવા તો તમારી સાથે પણ સામા પક્ષ તરફથી આવું જ થાય એવું પણ અનુભવ્યું હશે ? ત્યારે કેવી લાગણી થાય છે ? જયારે તમને તમારા પતિ/પત્ની ની ભૂલો અથવા કોઈની પણ ભૂલોને દર્શાવવાની જરૂર લાગે ત્યારે યાદ રાખજો કે તમારી સાથે જયારે આવું થાય ત્યારે તમને કેવું લાગે છે. આપણને કોઈ આપણી જ ભૂલ બતાવે એવું આપણે નથી ઇચ્છતા હોતા। છતાં કોઈ એવું કરે તો આપણને દુઃખ પણ થાય છે અને થોડા-ઘણા અંશે દ્વેષભાવ પણ થાય છે. દુઃખદ વાત એ છે કે, આ બધાથી ઘણીવાર વેરભાવ અને કલેશ ઉદ્ભવે છે જેનાથી ઘરમાં પણ દુઃખનું વાતાવરણ નિર્માણ થાય છે.
સામાની ક્ષતિઓ (ભૂલોનો) દર્શાવવી નહી.
પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, "જીવન બધું બગડી ગયું છે, આવું જીવન ના હોવું જોઈએ. જીવન તો પ્રેમમય હોવું જોઈએ. જ્યાં પ્રેમ હોય ત્યાં ભૂલો જ ના કઢાય. ભૂલ કાઢવી હોય તો સમજ બરાબર પાડવી. એને આપણે કહીએ, 'આમ કરવા જેવું છે.' તો એ પેલી કહેશે, 'સારું થયું મને કહ્યું.' ઉપકાર માને.'ચામાં ખાંડ નથી', કહેશે. અલ્યા, પી જા ને છાનોમાનો. વખતે એને ખબર પડશેને ? એ આપણને કહે ઉલટી, કે તમે ખાંડ માંગી નહીં ?! ત્યારે કહીએ, તમને ખબર પડે ત્યારે મોકલજો. જીવન જીવતાં નથી આવડતું. ઘરમાં ભૂલ કઢાય નહીં. કાઢે કે ના કાઢે આપણા લોકો ?"
કરો અવગણના તમારા જીવનસાથીના ભૂલોની
'વાઇફ'ની કેટલીક ભૂલો આપણે સહન કરીએ તો તેના પર પ્રભાવ પડે. આ તો વગર ભૂલે ભૂલ કાઢીએ તો શું થાય ? કેટલાક પુરુષો સ્ત્રીના સંબંધમાં બૂમાબૂમ કરે છે, તે બધી ખોટી બૂમો હોય છે.
પોતાના વ્યક્તિત્વને સુધારવા પ્રયત્ન કરો
તમારે બીજાની ભૂલો તરફ ધ્યાન દોરવાનું ટાળવું જોઈએ કારણ કે આ વસ્તુ તમારા અહંકારમાંથી ઉભી થાય છે અને તેની અસરથી સામી વ્યક્તિને પણ દુઃખ પહોંચશે. તેઓ પોતે, પહેલેથી જ પોતાની થતી ભૂલો અંગે માહિતગાર છે.આના બદલે, મન-વચન-કાયાથી કોઈપણ જીવને દુઃખ ન આપવાનો ભાવ રાખવો. બીજાના દોષ ન જુઓ. સ્વયંને આપણે કેવી રીતે સુધારી શકીએ અને કેવી રીતે પોતાના દોષમાંથી બહાર નીકળી શકીએ એના ઉપર ધ્યાન આપવું જોઈએ. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે,“સુધારવા માટે પોતે જ સુધરવાની જરૂર છે. કોઇને સુધારી શકાય એવું નથી. જે સુધારવાના પ્રયત્નવાળા છે તે બધાં અહંકારી છે. પોતે સુધર્યો એટલે સામો સુધરી જ જાય.”
પરિણામો ભૂલ દર્શાવવાના
જો બીજા ભૂલ કરે અને તમે એમની ભૂલ બતાડો, એમાં તમને શું મળશે ?
આ રેલવેલાઇન ચાલે છે. તેમાં કેટલી બધી કામગીરીઓ હોય છે ! કેટલી જગ્યાએથી નોંધ આવે, ખબરો આવે, તે એનું 'ડિપાર્ટમેન્ટ' જ આખું જુદું. હવે તેમાં ય ખામી તો આવે જ ને ? તેમ 'વાઇફ'ના ડિપાર્ટમેન્ટમાં કો'ક ફેરો ખામી પણ આવે. હવે આપણે જો એમની ખામી કાઢવા જઇએ તો પછી એ આપણી ખામી કાઢશે. તમે આમ નથી કરતા, તેમ નથી કરતા. આમ કાગળ આવ્યો ને તેમ કર્યું તમે. એટલે એ વેર વાળે.
જયારે તમને એવા સંજોગો આવે, જેમાં તમારે જીવનસાથીને ટકોર કરવી પડે એવું હોય, તો તમે પરમ પૂજ્ય દાદાશ્રીની સમજણને ધ્યાનમાં રાખીને ટકોર કરી શકો છો.
“ટકોર તો કરવી પડે, પણ કહેતાં આવડવું જોઈએ. કહેતાં ના આવડે, વ્યવહાર ના આવડે એટલે અહંકાર સહિત ટકોર થાય. એટલે પાછળથી એનું પ્રતિક્રમણ કરવું. તમે સામાને ટકોર કરો એટલે સામાને ખોટું તો લાગશે, પણ એનું પ્રતિક્રમણ કર કર કરશો એટલે છ મહિને, બાર મહિને વાણી એવી નીકળશે કે સામાને મીઠી લાગે. અત્યરે, ‘ટેસ્ટેડ’ વાણી જોઈએ. તમને ‘અનટેસ્ટેડ’ વાણી બોલવાનો હક્ક નથી. જો તમે આ રીતે પ્રતિક્રમણ કરશો, તો પછી ગમે તેવી વાણી ખરાબ હશે તો પણ સુધારશે.”
પ્રશ્નકર્તા : ભૂલ કાઢીએ તો ખરાબ લાગે એને અને ના કાઢે તો ય ખરાબ લાગે.
દાદાશ્રી: ના, ના, ના, ખરાબ ના લાગે. આપણે ભૂલ ના કાઢીએ, તો એ કહેશે, 'કઢી ખારી થઈ તો ય બોલ્યા નહીં !' ત્યારે કહીએ, 'તમને ખબર પડશે ને, મારે શું કરવા કહેવું ?' પણ આ તો કઢી ખારી થઈ ગઈ હોય તો મોઢું બગાડે, કઢું ખારું થયું છે. અલ્યા, એ બઈ નથી સમજતી, તે તું વળી કહું છું ? માથાફોડ કરું છું ? એ તો એમને છાતીએ ઘા ના લાગે, બળ્યું ! મનમાં કહેશે, આ કંઈ હું ન હતી સમજતી ?! આ તો મને બાણ મારે છે, મૂઓ. આ મૂઓ કાળમૂખો, રોજ મારી ભૂલો જ કાઢ કાઢ કરે છે. તો આપણા લોકો જાણી જોઈને આ ભૂલો કાઢે છે તેથી આ સંસાર વધારે બગડતો જાય છે. તમને કેમ લાગે છે ? એટલે થોડું આપણે વિચાર કરીએ તો શું વાંધો છે?
પ્રશ્નકર્તા : આવી ભૂલ કાઢીએ તો પછી એનાથી ફરીથી ભૂલ ના થાયને ?
દાદાશ્રી : ઓહોહો, એટલે ઉપદેશનું કારણ થાય એટલા માટેને ! હં, તે ભૂલ કાઢવાનો વાંધો નથી, હું તમને શું કહું છું, ભૂલ કાઢો પણ એ પોતે ઉપકાર માને તો ભૂલ કાઢો કે તમે સારું થયું આ મને ભૂલ દેખાડી. મને તો ખબર જ નહીં. તે ઉપકાર માનો છો ?! બેન, તું એમનો ઉપકાર માનું છું ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : તો પછી એનો અર્થ શું કાઢવાનો ? જે ભૂલ એ જાણતી હોય, તેને તમારે કાઢવાનો અર્થ શું છે ? એને કાળમુખા કહે છે સ્ત્રીઓ, કે મૂઓ કાળમૂખો જ્યારે ત્યારે બોલીને ઊભો રહે છે. એ જે જાણતી હોય ભૂલ એ આપણાથી કઢાય નહીં. બીજું કંઈ પણ થયું હોય કે કઢી ખારી થઈ હોય પછી શાક બગડી ગયું હોય, તો એ ખાય તો એ જાણે કે ના જાણે ? માટે આપણે કહેવાની જરૂર ના હોય ! પણ ભૂલ એ ના જાણતી હોય, તે આપણે કહીએ તો એ ઉપકાર માને. બાકી એ જાણતી હોય તે ભૂલ કાઢવી એ તો ગુનો છે. આપણા લોકો ઇન્ડિયનો જ કાઢે છે.
હું તો સાંતાક્રૂઝમાં ત્રીજે માળે બેઠો હોઉં તો ચા આવે. તે જરા કોઈ દહાડો ખાંડ ભૂલી ગયા હોય તો હું પી જઉં અને તે ય દાદાના નામથી. મહીં દાદાને કહું, 'ચાની મહીં ખાંડ નાખો, સાહેબ.' તે દાદા નાખી આપે ! એટલે ખાંડ વગરની ચા આવે તો પી જઈએ, બસ. અમારે તો કશો ડખો જ નહીં ને ! અને પછી પેલાં ખાંડ લઈને દોડધામ કરીને આવે. મેં કહ્યું, 'ભઈ, કેમ ખાંડ લાવ્યો ? આ ચાના કપ-રકાબી લઈ જા.' ત્યારે કહે, 'તમે ચા મોળી હતી તે ખાંડ માંગી નહીં !' મેં કહ્યું, 'હું શું કરવા કહું ?' તમને સમજણ પડે એવી વાત છે ?
સંદર્ભ: પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર (સંક્ષિપ્ત) (Page #30, Paragraph #2 & #3, Page #31, Page #32 Paragraph #1 )
1) ઘરમાં ચલણ ના રાખવું. જે ચલણ રાખે છે, તેને ભટકવું પડે. નાચલણીયા નાણાંને લોકો પૂજામાં મૂકે ! 'વાઈફ' જોડે 'ફ્રેન્ડ' તરીકે રાખવું. એ તમારા 'ફ્રેન્ડ' ને તમે એમના 'ફ્રેન્ડ' !
2) પૈણ્યો ત્યારથી વહુને સુધારવા ફરતો હોય, પણ મરે ત્યાં સુધી બેઉ ના સુધરે. એનાં કરતાં શાક સુધારત તો સુધારાઈ જાત. એટલે વહુને સુધારવી જ ના જોઈએ. એ આપણને સુધારે તો સારું, આપણે તો સુધારવું જ ના જોઈએ.
3) કોઈને ય સુધારવાનો પ્રયત્ન કરશો નહીં, પણ જાતે સુધરવાનો પ્રયત્ન કરજો. કોઈને સુધારવાનો અહંકાર તો તીર્થંકરોએ ય નહીં કરેલો, એ તો મોક્ષનું દાન આપવા આવેલા.
4) મિનિટે' ય ભાંજગડ ના પડે, એનું નામ ધણી. મિત્ર જોડે જેમ બગડવા નથી દેતા તેમ સાચવવું. મિત્ર જોડે ના સાચવે તો મિત્રતા તૂટી જાય.
5) સામો માણસ ભૂલ કરીને આવે તેની કિંમત નથી, પણ ક્લેશ થાય તેની બહુ કિંમત છે. ક્લેશ છે ત્યાં ભગવાનનો વાસ નથી.
6) અથડામણ થાય છે એ આપણી જ નબળાઈ છે.
subscribe your email for our latest news and events