Related Questions

શું લગ્નજીવનમાં પતિ/પત્નીના દોષ જોવા યોગ્ય છે?

તમને તમારા જીવનસાથીની ભૂલો દર્શાવવાની ઈચ્છા કેટલી વાર થઈ હશે? અથવા તો તમારી સાથે પણ સામા પક્ષ તરફથી આવું જ થાય એવું પણ અનુભવ્યું હશે? ત્યારે કેવી લાગણી થાય છે? જ્યારે તમને તમારા જીવનસાથીની ભૂલો અથવા કોઈની પણ ભૂલોને દર્શાવવાની જરૂર લાગે ત્યારે યાદ રાખજો કે તમારી સાથે જ્યારે આવું થાય ત્યારે તમને કેવું લાગે છે. આપણને કોઈ આપણી જ ભૂલ બતાવે એવું આપણે નથી ઈચ્છતા હોતા. છતાં કોઈ એવું કરે તો આપણને દુઃખ પણ થાય છે અને થોડાઘણા અંશે દ્વેષભાવ પણ થાય છે. દુઃખદ વાત એ છે કે, આ બધાથી ઘણીવાર વેરભાવ અને ક્લેશ ઉદ્ભવે છે, જેનાથી ઘરમાં પણ દુઃખનું વાતાવરણ નિર્માણ થાય છે.

married life

સામાની ક્ષતિઓ (ભૂલોનો) દર્શાવવી નહીં.

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, "જીવન બધું બગડી ગયું છે, આવું જીવન ના હોવું જોઈએ. જીવન તો પ્રેમમય હોવું જોઈએ. જ્યાં પ્રેમ હોય ત્યાં ભૂલો જ ના કઢાય. ભૂલ કાઢવી હોય તો સમજ બરાબર પાડવી. એને આપણે કહીએ, 'આમ કરવા જેવું છે.' તો એ પેલી કહેશે, 'સારું થયું મને કહ્યું.' ઉપકાર માને. 'ચામાં ખાંડ નથી', કહેશે. અલ્યા, પી જા ને છાનોમાનો. વખતે એને ખબર પડશે ને? એ આપણને કહે ઉલટી, કે તમે ખાંડ માંગી નહીં?! ત્યારે કહીએ, તમને ખબર પડે ત્યારે મોકલજો. જીવન જીવતા નથી આવડતું. ઘરમાં ભૂલ કઢાય નહીં. કાઢે કે ના કાઢે આપણા લોકો?"

કરો અવગણના તમારા જીવનસાથીના ભૂલોની

'વાઈફ'ની કેટલીક ભૂલો આપણે સહન કરીએ તો તેના પર પ્રભાવ પડે. આ તો વગર ભૂલે ભૂલ કાઢીએ તો શું થાય? કેટલાક પુરુષો સ્ત્રીના સંબંધમાં બૂમાબૂમ કરે છે, તે બધી ખોટી બૂમો હોય છે.

પોતાની જાતને સુધારવાનો પ્રયત્ન કરો

તમારે બીજાની ભૂલો તરફ ધ્યાન દોરવાનું ટાળવું જોઈએ, કારણ કે આ વસ્તુ તમારા અહંકારમાંથી ઊભી થાય છે અને તેની અસરથી સામી વ્યક્તિને પણ દુઃખ પહોંચશે. તેઓ પહેલેથી જ પોતાની થતી ભૂલો અંગે માહિતગાર છે. આના બદલે, મન-વચન-કાયાથી કોઈપણ જીવને દુઃખ ન આપવાનો ભાવ રાખવો. બીજાના દોષ જુઓ. સ્વયંને આપણે કેવી રીતે સુધારી શકીએ અને કેવી રીતે પોતાના દોષમાંથી બહાર નીકળી શકીએ એના ઉપર ધ્યાન આપવું જોઈએ. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે,સુધારવા માટે પોતે સુધરવાની જરૂર છે. કોઈને સુધારી શકાતો જ નથી. જે સુધારવાના પ્રયત્નવાળા છે તે બધા અહંકારી છે. પોતે સુધર્યો એટલે સામો સુધરી જાય.” 

પરિણામો ભૂલ દર્શાવવાના

જો બીજા ભૂલ કરે અને તમે એમની ભૂલ બતાડો, એમાં તમને શું મળશે?

આ રેલ્વેલાઈન ચાલે છે. તેમાં કેટલી બધી કામગીરીઓ હોય છે! કેટલી જગ્યાએથી નોંધ આવે, ખબરો આવે, તે એનું 'ડિપાર્ટમેન્ટ' જ આખું જુદું. હવે તેમાંય ખામી તો આવે જ ને? તેમ 'વાઈફ'ના ડિપાર્ટમેન્ટમાં કો'ક ફેરો ખામી પણ આવે. હવે આપણે જો એમની ખામી કાઢવા જઈએ તો પછી એ આપણી ખામી કાઢશે. 'તમે આમ નથી કરતા, તેમ નથી કરતા. આમ કાગળ આવ્યો ને તેમ કર્યું તમે.' એટલે એ વેર વાળે.

×
Share on