Related Questions

સંબંધિક સમસ્યાઓને ભૂંસવાનું રબર

આપણે ઘણી વખત આપણા જીવનસાથી સાથે થતા વર્તનમાં તેમને જાણ્યે-અજાણ્યે દુઃખ આપી દેતા હોઈએ છીએ. આપણી ઈચ્છા ના હોય તો પણ આપણા વાણી-વિચાર-વ્યવહારથી આપણને તેમના માટે નેગેટિવ પણ થઈ જાય છે. ધીરે ધીરે તેમનો વ્યવહાર પણ બદલતો જાય છે અને લગ્નજીવન પર આની નકારાત્મક અસર પડે છે. આનું કારણ છે કે તેમને કોઈ પણ રીતે દુઃખ પહોંચ્યું છે. આવા સંજોગોમાં લગ્નજીવનને સાચવી રાખવાનો ઉપાય શું તમે જાણો છો? શું એવી કોઈ રીત છે કે જેનાથી તમે તમારા જીવનસાથીને આપેલા દુઃખને દૂર કરી શકો? હા! હૃદયપૂર્વક ક્ષમા માગવાથી, પ્રતિક્રમણ કરવાથી રસ્તો મળી શકે!

પરમ પૂજ્ય દાદાશ્રીએ પ્રતિક્રમણનું વિજ્ઞાન ખુલ્લું કર્યું છે. તેમની જોડે થયેલા સત્સંગના અમુક અંશો નીચે દર્શાવેલ છે.

married life

પ્રતિક્રમણ શું છે?

પ્રતિક્રમણ એ એક એવું સાધન છે જેનાથી કોઈને પણ અપાયેલા દુઃખ માટે કે લગ્નજીવનમાં બનેલા પ્રસંગોમાં પણ ક્ષમા માગી શકાય. કારણ કે, તમે તમારું વર્તન અથવા વ્યવહાર તાત્કાલિક તો બદલી ના શકો, પણ પ્રતિક્રમણ કરવાથી, માફી માગવાથી, બદલાવ આવવાનો માર્ગ ખુલી જાય છે. આ એક વૈજ્ઞાનિક રસ્તો છે, કારણ કે માફી માગવાથી તમે તમારા વ્યવહારનું રક્ષણ નથી કરી રહ્યા, માટે તેનો ક્યારેક તો અંત આવશે. ધીરે ધીરે તમે સંબંધો સુમેળ થતા અનુભવશો.

પ્રતિક્રમણ કેવી રીતે કરવું?

પ્રશ્નકર્તા: એ પસ્તાવો કેવી રીતે કરું? બધાને દેખતા કરું કે મનમાં કરું?

દાદાશ્રી: મનમાં! મનમાં દાદાજીને યાદ કરીને કે આ મારી ભૂલ થઈ છે હવે ફરી નહીં કરું, એવું મનમાં યાદ કરીને કરવાનું એટલે ફરી એમ કરતા કરતા એ બધું દુઃખ ભૂલાઈ જાય. એ ભૂલ તૂટી જાય છે.પણ એવું ના કરીએ તો પછી ભૂલો વધતી જાય. આ મેં તમને હથિયાર આપ્યું છે, આ પ્રતિક્રમણ એ મોટું હથિયાર આપ્યું છે. કારણ કે, આખું જગત કાપવાનું મોટામાં મોટું હથિયાર જ આ છે. અતિક્રમણથી જગત ઊભું થયું છે ને પ્રતિક્રમણથી જગતનો વિલય થાય છે. બસ છે. અતિક્રમણ થયું એ દોષ થયો. એ તમને ખબર પડી એટલે દોષ ‘શૂટ ઍટ સાઈટ’ કરવો જોઈએ તમારે. દોષ દેખાયો કે શૂટ કરો.

આ એક જ માર્ગ એવો છે કે પોતાના દોષ દેખાતા જાય અને શૂટ થતા જાય, એમ કરતા કરતા દોષ ખલાસ થતા જાય.

પ્રતિક્રમણ ક્યારે કરવું?

પ્રતિક્રમણ તો દોષ થયો તે બદલ પ્રતિક્રમણ કરીએ છીએ. દોષ ના થયો તો કંઈ પ્રતિક્રમણ કરવાની જરૂર નથી. એ તો એની જોડે હિસાબ આપણો ચૂકતે થઈ ગયો. પણ ઊંધું થયું ના હોય તો કશી લેવાદેવા નથી. અને જેમ જેમ પ્રતિક્રમણ થશે ને, તેમ તેમ બધું હલકું થતું જશે, તે માણસો જોડે. તે સંબંધો માણસો જોડે બિલકુલ ક્લિયર. પ્રતિક્રમણ કરવા યોગ્ય અમુક પ્રસંગો નીચે દર્શાવેલા છે:

  • ખરાબ વિચારો આવે ત્યારે

કોઈના માટે સહેજ પણ અવળો-સવળો વિચાર આવે કે, તરત તેને ધોઈ નાખવો. એ વિચાર જો, થોડીક જ વાર જો રહે ને તો એ સામાને પહોંચી જાય અને પછી ઊગે. ચાર કલાકે, બાર કલાકે કે બે દહાડેય એને ઊગે, માટે સ્પંદનનું વહેણ એ બાજુ ના જતું રહેવું જોઈએ.

  • જ્યાં ઘર્ષણ થાય છે ત્યાં

આ ભીંતને માટે અવળા વિચાર આવે તો વાંધો નથી, કારણ એકપક્ષી ખોટ છે. જ્યારે જીવતા માટે એક અવળો વિચાર આવ્યો કે જોખમ છે. બંને પક્ષે ખોટ જાય. પણ આપણે એની પાછળ પ્રતિક્રમણ કરીએ તો બધા દોષો જાય. એટલે જ્યાં જ્યાં ઘર્ષણ થાય છે ત્યાં આગળ પ્રતિક્રમણ કરો. એટલે ઘર્ષણ ખલાસ થઈ જાય.

  • જ્યારે અથડામણ થાય ત્યારે

જ્યારે તમારો, તમારા જીવનસાથી સાથે ઝઘડો થાય છે, ત્યારે તમે એમની સાથે વાત કરવા માગતા નથી અથવા એમનો ચહેરો પણ નથી જોવા માગતા. આવી પરિસ્થિતિમાં પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, એનું પ્રતિક્રમણ કરવાનું ને એના તરફ ભાવ રાખવાના! ફરી પાછું એવું થાય તો ફરી પાછું પ્રતિક્રમણ કરવાનું. કારણ કે, એક પડ જતું જ રહે, પછી બીજું પડ જતું રહે. એમ પડવાળા ને? પ્રતિક્રમણ કરી લીધા પછી પણ તમે જોશો કે તમે સમસ્યાથી ઘેરાયેલા જ છો, તો એનો અર્થ એવો નથી કે તમારું પ્રતિક્રમણ નકામું ગયું છે. દરેક પ્રતિક્રમણ સાથે કર્મનું એક પડ જાય છે, છતાં દરેક જણ ઘણા કર્મો લાવેલા હોવાથી તમારે પ્રતિક્રમણ ચાલુ રાખવા જ પડશે.

શું પ્રતિક્રમણથી સંબંધો સુધરી જશે?

જો તમારે કોઈ એક વ્યક્તિ સાથે ના બનતું હોય, તો ઘણા દિવસો સુધી તેમના ખૂબ પ્રતિક્રમણ કરવાથી તમને એમની જોડે બનવા માંડશે અને તેઓ તમને ખોળતા આવશે. આપણી ભૂલોના કારણે જ બધી અથડામણ છે.

જો તમે તમારા જીવનસાથીને અવર્ણનીય દુઃખો આપ્યા હોય, એ હદ સુધી પજવ્યા હોય કે તેમનું દુઃખ તમે પણ ઓછું ના કરી શકો, તો પ્રતિક્રમણથી મદદ રહેશે. તેમના નામના પ્રતિક્રમણ કરવા જોઈએ. જેટલું દુઃખ આપ્યું હોય એ પ્રમાણે પ્રતિક્રમણ કરવા.

પ્રતિક્રમણથી શું ફાયદો થાય?

પરમ પૂજ્ય દાદાશ્રીએ પ્રતિક્રમણના અસંખ્ય ફાયદાઓ બતાવ્યા છે, તો ચાલો જોઈએ કે આ શક્તિશાળી સાધનનો ઉપયોગ સંબંધોને સુધારવા કઈ રીતે કરવો:

  • સમસ્યાનો જડમૂળથી વિનાશ

ગયા ભવે જે કંઈ અથડામણ, ક્લેશ કે વેરભાવ કર્યા હોય તે આ જન્મે વિવાદ કે મતભેદરૂપે આવે છે. અથડામણ વખતે વેરનું બીજ પડે છે જે આવતા જન્મે ઊગશે. તો આવું ના થાય એના માટે શું કરવું? ધીરે ધીરે જો બધા જ પ્રશ્નોના સમભાવે નિકાલ કરીએ, તો નવા બીજ પડતા બંધ થઈ શકે છે. જો કર્મબીજ બહુ મોટું હોય તો ધીરજથી કામ લેવું પડશે, કારણ કે તેનો સંપૂર્ણપણે નાશ કરવામાં વાર લાગશે. ખૂબ પ્રતિક્રમણ કરવા પડશે.

પ્રતિક્રમણ કરવાથી તે ભૂલનું બીજ, તેના રુટ-કોઝનો નાશ થાય છે. એ કેવી રીતે થાય છે? પ્રતિક્રમણની વિધિ કરવાથી, જેમાં આલોચના (દોષો યાદ કરવા), પ્રતિક્રમણ (તેનો પસ્તાવો લેવો) અને પ્રત્યાખાન (ફરી એ દોષો કદી ના કરવાનો નિશ્ચય કરવો) હોય છે. તપ કરવાથી પુણ્ય ભેગું થાય છે, પણ રુટ-કોઝ કાઢી નાખવાથી કર્મની ગૂંચવણીમાંથી મુક્ત થઈ શકાય એમ છે. સમભાવનો કાયદો શું કહે છે? એ એમ કહે છે કે સામી વ્યક્તિ જોડે વેર ના બંધાય તે માટેના બધા પગલાં લેવાની કાળજી રાખવી. આમ વેરથી છૂટી શકાય.

  • સમભાવે નિકાલ

પ્રશ્નકર્તા: નિકાલ કરવો છે તો કઈ રીતે થાય? મનમાં ભાવ કરવો કે આ પૂર્વનું આવ્યું છે?

દાદાશ્રી: એટલાથી નિકાલ ના થાય. નિકાલ એટલે તો સામાની જોડે ફોન કરવો પડે, એના આત્માને ખબર આપવી પડે. તે આત્માની પાસે આપણે ભૂલ કરી છે એવું કબૂલ-એક્સેપ્ટ કરવું પડે. એટલે પ્રતિક્રમણ મોટું કરવું પડે.

પ્રશ્નકર્તા: સામો માણસ આપણું અપમાન કરે તો પણ આપણે તેનું પ્રતિક્રમણ કરવાનું?

દાદાશ્રી: અપમાન કરે તો જ પ્રતિક્રમણ કરવાનું, આપણને માન આપે ત્યારે નહીં કરવાનું. પ્રતિક્રમણ કરીએ એટલે સામા પર દ્વેષભાવ તો થાય જ નહીં. ઉપરથી એની પર સારી અસર થાય. આપણી જોડે દ્વેષભાવ ના થાય એ તો જાણે પહેલું સ્ટેપ, પણ પછી એને ખબર પણ પહોંચે છે.

પ્રશ્નકર્તા: એના આત્માને પહોંચે ખરું?

દાદાશ્રી: હા, જરૂર પહોંચે. પછી એ આત્મા એના પુદ્લને પણ ધકેલે છે કે 'ભઈ, ફોન આવ્યો તારો.' આપણું આ પ્રતિક્રમણ છે તે અતિક્રમણ ઉપરનું છે, ક્રમણ ઉપર નથી.

  • તિરસ્કારમાંથી છુટકારો

પ્રશ્નકર્તા: પૂર્વજન્મના ઋણાનુબંધમાંથી છૂટવા માટે શું કરવું જોઈએ?

દાદાશ્રી: આપણે જેની જોડે પૂર્વનું ઋણાનુબંધ હોય અને તે આપણને ગમતું જ ન હોય, એની જોડે સહવાસ ન જ ગમતો હોય અને સહવાસમાં રહેવું જ પડતું હોય ફરજિયાત, તો શું કરવું જોઈએ કે બહારનો વ્યવહાર એની જોડે રાખવો જોઈએ ખરો, પણ અંદર એના નામના પ્રતિક્રમણ કરવા જોઈએ. કારણ કે આપણે આગલા અવતારમાં અતિક્રમણ કરેલું હતું તેનું આ પરિણામ છે. કૉઝીઝ શું કર્યા હતા? તો કહે, અતિક્રમણ કર્યું હતું એની જોડે પૂર્વભવમાં, તેનું આ ભવમાં ફળ આવ્યું, એટલે એનું પ્રતિક્રમણ કરીએ તો એ પ્લસ-માઈનસ થઈ જાય. એટલે અંદર એની તમે માફી માગી લો, માગ માગ કર્યા કરો કે મેં જે દોષ કર્યા હોય તેની માફી માગું છું. કોઈ પણ ભગવાનની સાક્ષીએ, તો બધું ખલાસ થઈ જશે નહીં તો પછી શું થાય છે, એના તરફ બહુ દોષિત જોવાથી, કોઈ પુરુષને સ્ત્રી દોષિત બહુ જો જો કરે એટલે તિરસ્કાર વધે અને તિરસ્કાર છૂટે એટલે ભય લાગે. જેનો આપણને તિરસ્કાર હોય ને તેનો ભય લાગશે તમને. એ દેખો કે તમને ગભરામણ થાય, એટલે જાણીએ કે આ તિરસ્કાર છે. એટલે તિરસ્કાર છોડવા માટે આપણે અંદર માફી માગ માગ કરો. બે જ દહાડામાં એ તિરસ્કાર બંધ થઈ જશે. એ ના જાણે, તમે અંદર માફી માગ માગ કરો એના નામની, એના તરફ જે જે દોષો કર્યા હોય, ભગવાન હું ક્ષમા માગું છું. આ દોષનું પરિણામ છે મને. કોઈ પણ માણસ જોડે જે જે દોષ કર્યા હોય, કે અંદર તમે માફી માગ માગ કરો તો બધું ધોવાઈ જશે.

×
Share on