Related Questions

જીવનસાથીની પસંદગી કેવી રીતે કરવી?

“જીવનસાથીની પસંદગી” એ બાબત ખરેખર ઘણાના જીવનમાં અઘરો પ્રશ્ન બની જાય છે. જેવા આપણે મોટા થઈએ છીએ કે આપણને કલ્પનાઓ શરુ થાય છે કે આપણે કેવા જીવનસાથી સાથે પરણીશું ? એના લક્ષણો અને ગુણો કેવાં હોવા જોઈએ એની રૂપરેખા આપણે મનમાં જ બનાવી જ દઈએ છીએ. આ બધા ગુણો મળે એવી વ્યક્તિનો ભેટો થાય પછી જ આપણે જીવનમાં સ્થાયી થવાનું વિચારીએ છીએ.

મહત્ત્વનું એ છે કે આપણે જીવન સાથીની પસંદગી એવી રીતે કરવી કે આગળ જતાં લગ્નજીવનમાં અપેક્ષાઓ, દુઃખ કે ક્લેશ ના થાય. આ બાબતે પરમ પૂજ્ય દાદાશ્રીના વિચારો અને માર્ગદર્શન આ પ્રમાણે છે...

ચારિત્ર્યના ગુણોનું મહત્વ

દાદાશ્રી : ચારિત્ર ખરાબ હોય, વ્યસની હોય. બધી જાતની ઉપાધિઓ હોય. વ્યસની ગમે કે ના ગમે ?

પ્રશ્નકર્તા : બિલકુલ નહીં.

દાદાશ્રી : અને ચારિત્ર સારું હોય ને વ્યસની હોય તો ?

પ્રશ્નકર્તા : સિગરેટ સુધી ચલાવી લેવાય.

દાદાશ્રી : ખરું કહે છે, ત્યાં સુધી નભાવી લેવાય, પછી આગળનું શી રીતે, પેલું બ્રાંડીના કપ ભરીને પીવે, શી રીતે પોષાય ? સીગરેટ સુધી ચલાવી લેવાય, બરોબર છે. ખરી વાત છે. એનું હદ હોય, સીગરેટ સુધી ચલાવી લેવાનું ! અને ચારિત્ર તો બહુ મોટી વસ્તુ છે. તું માનું છું બેન, ચારિત્રમાં ? ચારિત્રને પસંદ કરું છું તું ?

પ્રશ્નકર્તા : એના વગર જીવાય જ કેમ ?

દાદાશ્રી : હા, જુઓ, આટલું હિન્દુસ્તાનની સ્ત્રીઓ, છોકરીઓ સમજે ને તો કામ કાઢી નાખે. ચારિત્રને જો સમજે તો કામ કાઢી નાખે.

પ્રશ્નકર્તા : અમારા આટલા ઉચ્ચ વિચારો સારા વાંચનથી થયા છે.

દાદાશ્રી : ગમે તેના વાંચનથી, આટલા સંસ્કાર પડ્યા ને ! સારા વિચારોના !

બાકી આ તો દગા-ફટકા છે. તમને બધાંને ના દેખાય. મને તો દેખાય બધું. નર્યા દગા-ફટકા બધા છે અને દગો હોય, ત્યાં સુખ ના હોય કોઈ દહાડો ય ! સિન્સીયર રહેવું જોઈએ. આપણી પૈણ્યા પહેલાં ભૂલો થઈ હોય. એ બેઉ જણની એક્સેપ્ટ કરી દેવડાવીએ અમે અને પછી એમને એગ્રીમેન્ટ કરી આપીએ એ ફરી સિન્સીયર. જોવાનું નહીં બીજી જગ્યાએ. ગમે કે ના ગમે પણ પછી સિન્સીયર રહેવાનું. આપણી મધર ના ગમતી હોય. તો પણ એને સિન્સીયર રહીએ છીએ ને ? એનો સ્વભાવ ખરાબ હોય મધરનો, તો ય સિન્સીયર રહીએ છીએને ? 

આંતરિક સુંદરતાને જુઓ

જીવનસાથીની પસંદગી વખતે આપણે એવો આગ્રહ રાખીયે છીએ કે તેઓ દેખાવમાં સુંદર હોય, પણ આપણે કોઈનું ચારિત્ર્ય તેમના દેખાવ પાર ના આંકવું જોઈએ. જો આપણે આજીવન એમની સાથે રહેવું હોય, તો આંતરિક સુંદરતા અને ચારિત્ર્ય બાહ્ય સૌંદર્ય જેટલું જ કે તેનાથી થોડું વધુ અગત્યનું ના લાગે?

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, આપણા એક મહાત્માની છોકરી શું કરે ? એનાં ફાધરને કહે છે કે 'મને આ છોકરો નથી ગમતો.' હવે છોકરો ભણેલો-કરેલો. હવે ફાધરનું, મધરનું દીલ ઠરે એવો, બધાનું દીલ ઠરે એવો. એટલે પેલા ફાધરને અકળામણ થઈ ગઈ કે મહાપરાણે આવો સારો છોકરો જડ્યો ત્યારે પાછી છોડી ના પાડે છે.

થાકેલો માણસ પછી બાવળીયાના નીચે બેસે. થાકેલો માણસ તે ક્યાં બેસે ? બાવળીયા નીચે ! ત્યારે શું થાય તે ?! પછી એમણે મને કહ્યું. એટલે મેં કહ્યું, 'એ છોડીને મારી પાસે બોલાવો.' મેં કહ્યું, 'બેન શું વાંધો આવ્યો મને કહેને. શું વાંધો છે ? ઊંચો પડે છે ? જાડો પડે છે ? પાતળો પડે છે ?' ત્યારે કહે, 'ના. જરા બ્લેકીશ છે.' મેં કહ્યું, એ તો હું ઊજળો કરી નાખીશ, બીજું કશું તને નડે છે ? ત્યારે કહે, 'ના, બીજું કશું ય નહીં.' ત્યારે મેં કહ્યું, 'તો હા પાડી દેને. પછી ઊજળો હું કરી આપીશ.' પછી એ છોડી એના પપ્પાજીને કહે છે, 'તમે દાદાજી સુધી મારી ફરીયાદ કરો ?' તો શું કરે ત્યારે ?!

પૈણ્યા પછી મેં કહ્યું, 'બેન ઊજળો કરવા સાબુ મંગાવું કે ?' ત્યારે બેન કહે છે, 'ના દાદાજી, ઊજળો જ છે.' વગર કામનું બ્લેકીશ, બ્લેકીશ ! એ તો બ્લેક કંઈ ચોપડે તો કાળો દેખાય જરા અને યલ્લો ચોપડે તો યલ્લો દેખાય ! બાકી છોકરો સારો હતો. મને સારો લાગ્યો. એને જવા કેમ દેવાય ? પેલી શું જાણે ? મોળો છે જરાં. કરી નાખજે પછી, પણ આવું ફરી નહીં મળે !!

માતા-પિતા તમારા હિતેચ્છુ

મારા માતા-પિતા મારા માટે યોગ્ય ના હોય તેવી વ્યક્તિ પસંદ કરે તો?

તમારા માટે જીવનસાથીની પસંદગી કરતી વખતે તમારા માતા પિતા ને તમારું હિત સૌથી વધુ હૈયે હોય. તેઓ ક્યારે પણ જાણી જોઈએ તેમના બાળકો દુઃખી થાય તેવું કામ ના કરે. માટે તેમના પર કદી પણ શંકા ના કરવી. આમ છતાં જો તમારા લગ્નજીવનમાં કઈ પ્રશ્નો આવે છે, તો તે તમારા કર્મો છે, જે તમે પૂર્વ જન્મથી જોડે લાવ્યા છો. કર્મ અંગેનું વિજ્ઞાન વધુ જાણવા અહી ક્લિક કરો.

×
Share on