Related Questions

જીવનસાથીની પસંદગી કેવી રીતે કરવી?

જીવનસાથીની પસંદગી, એ આપણા માટે સૌથી અઘરો નિર્ણય બની રહે છે. લગ્ન કરવાની ઉંમર થાય ત્યારે કેવા જીવનસાથી સાથે લગ્ન થશે એની કલ્પનાઓ ચાલુ થઈ જાય છે. એમનામાં ચારિત્ર સંબંધી કેવા લક્ષણો અને ગુણો હોવા જોઈએ એનું લીસ્ટ પણ મનમાં બનાવી લઈએ છીએ. જ્યારે આપણી ડિઝાઈન પ્રમાણે કોઈ વ્યક્તિ મળી જાય ત્યારે આપણે જીવનમાં એની સાથે ઠરીઠામ થવાનું નક્કી કરીએ છીએ. જોકે, આમાં અગત્યની વાત એ છે કે જીવનસાથીની પસંદગી કેવી રીતે કરવી એ જાણવું જોઈએ, જેથી આપણું લગ્નજીવન અપેક્ષાઓ, દુઃખ અને કલેશમાં ન પરિણમે.

married life

ચારિત્રના ગુણોનું મહત્ત્વ

જીવનસાથીની પસંદગી કેવી રીતે કરવી તે વિશે પરમ પૂજ્ય દાદા ભગવાન આગવી સમજણ આપે છે.

દાદાશ્રી: ચારિત્ર ખરાબ હોય, વ્યસની હોય. બધી જાતની ઉપાધિઓ હોય. વ્યસની ગમે કે ના ગમે?

પ્રશ્નકર્તા: બિલકુલ નહીં.

દાદાશ્રી: અને ચારિત્ર સારું હોય ને વ્યસની હોય તો?

પ્રશ્નકર્તા: સિગરેટ સુધી ચલાવી લેવાય.

દાદાશ્રી: ખરું કહે છે, ત્યાં સુધી નભાવી લેવાય, પછી આગળનું શી રીતે, પેલું બ્રાંડીના કપ ભરીને પીવે, શી રીતે પોષાય? સિગરેટ સુધી ચલાવી લેવાય, બરોબર છે. ખરી વાત છે. એનું હદ હોય, સિગરેટ સુધી ચલાવી લેવાનું! અને ચારિત્ર તો બહુ મોટી વસ્તુ છે. તું માનું છું બેન, ચારિત્રમાં? ચારિત્રને પસંદ કરું છું તું?

પ્રશ્નકર્તા: એના વગર જીવાય જ કેમ?

દાદાશ્રી: હા, જુઓ, આટલું હિન્દુસ્તાનની સ્ત્રીઓ, છોકરીઓ સમજે ને તો કામ કાઢી નાખે. ચારિત્રને જો સમજે તો કામ કાઢી નાખે.

પ્રશ્નકર્તા: અમારા આટલા ઉચ્ચ વિચારો સારા વાંચનથી થયા છે.

દાદાશ્રી: ગમે તેના વાંચનથી, આટલા સંસ્કાર પડ્યા ને! સારા વિચારોના! બાકી, આ તો દગા-ફટકા છે. તમને બધાને ના દેખાય. મને તો દેખાય બધું. નર્યા દગા-ફટકા બધા છે અને દગો હોય, ત્યાં સુખ ના હોય કોઈ દહાડોય! સિન્સિયર રહેવું જોઈએ. આપણી પૈણ્યા પહેલાં ભૂલો થઈ હોય. એ બેઉ જણની એક્સેપ્ટ કરી દેવડાવીએ અમે અને પછી એમને એગ્રીમેન્ટ કરી આપીએ એ ફરી સિન્સિયર. જોવાનું નહીં બીજી જગ્યાએ. ગમે કે ના ગમે પણ પછી સિન્સિયર રહેવાનું. આપણી મધર ના ગમતી હોય, તો પણ એને સિન્સિયર રહીએ છીએ ને? એનો સ્વભાવ ખરાબ હોય મધરનો, તોય સિન્સિયર રહીએ છીએ ને?

આંતરિક સુંદરતા જોવી

જીવનસાથીની પસંદગી વખતે આપણે દેખાવડી વ્યક્તિ સાથે લગ્ન કરવાનો આગ્રહ રાખીએ છીએ. પણ, આપણે કોઈ વ્યક્તિના દેખાવ પરથી એના ચારિત્રને ન આંકવું જોઈએ. આખું જીવન એમની સાથે રહેવાનું હોય તો આંતરિક સુંદરતા અને ચારિત્ર બાહ્ય સુંદરતા કરતાં વધારે મહત્ત્વના છે, ખરું ને?

આ બાબતે પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, "આપણા એક મહાત્માની છોકરી શું કરે? એના ફાધરને કહે છે કે 'મને આ છોકરો નથી ગમતો.' હવે છોકરો ભણેલો-કરેલો. હવે ફાધરનું, મધરનું દિલ ઠરે એવો, બધાનું દિલ ઠરે એવો. એટલે પેલા ફાધરને અકળામણ થઈ ગઈ કે મહાપરાણે આવો સારો છોકરો જડ્યો ત્યારે પાછી છોડી ના પાડે છે.

એટલે મેં કહ્યું, 'એ છોડીને મારી પાસે બોલાવો.' મેં કહ્યું, 'બેન શું વાંધો આવ્યો મને કહે ને. શું વાંધો છે? ઊંચો પડે છે? જાડો પડે છે? પાતળો પડે છે?' ત્યારે કહે, 'ના. જરા બ્લેકીશ છે.' મેં કહ્યું, એ તો હું ઊજળો કરી નાખીશ, બીજું કશું તને નડે છે? ત્યારે કહે, 'ના, બીજું કશુંય નહીં.' ત્યારે મેં કહ્યું, 'તો હા પાડી દે ને. પછી ઊજળો હું કરી આપીશ.' પછી એ છોડી એના પપ્પાજીને કહે છે, 'તમે દાદાજી સુધી મારી ફરિયાદ કરો?' તો શું કરે ત્યારે?

પૈણ્યા પછી મેં કહ્યું, 'બેન ઊજળો કરવા સાબુ મંગાવું કે?' ત્યારે બેન કહે છે, 'ના દાદાજી, ઊજળો જ છે.' વગર કામનું બ્લેકીશ, બ્લેકીશ! એ તો બ્લેક કંઈ ચોપડે તો કાળો દેખાય જરા અને યલ્લો ચોપડે તો યલ્લો દેખાય! બાકી છોકરો સારો હતો. મને સારો લાગ્યો. એને જવા કેમ દેવાય? પેલી શું જાણે? મોળો છે જરા. કરી નાખજે પછી, પણ આવું ફરી નહીં મળે!!”

માતા-પિતા આપણા હિતેચ્છુ

જો આપણા માતા-પિતા આપણા માટે ખોટા જીવનસાથીની પસંદગી કરે તો?

આપણા માટે જીવનસાથીની પસંદગી કરતી વખતે માતા-પિતાના દિલમાં સૌથી વધારે આપણા હિતનો જ વિચાર હોય. પોતાના બાળકો દુ:ખી થાય એવું તેઓ જાણીજોઈને ક્યારેય ના કરે. માટે, આપણે માતા-પિતા પર ક્યારેય શંકા કરવી નહીં. તેમ છતાં, આપણી સાથે જો કંઈ ખરાબ બનાવ બને તો એનું કારણ આપણા પાછલા ભવના કર્મો છે. કર્મનાં વિજ્ઞાન વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો.

×
Share on